You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચલણી નોટ પર મહાત્મા ગાંધીની તસવીર ક્યારથી છપાઈ રહી છે?
ભાજપના નેતા અને રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ભારતીય રૂપિયાની સ્થિતિ સુધારવા માટે આપેલી એક સલાહ ચર્ચામાં છે.
સમાચાર એજન્સી પીટીઆઈના મતે મધ્ય પ્રદેશના ખંડવામાં બુધવારે સ્વામી વિવેકાનંદ વ્યાખાનમાળા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં સ્વામીએ કહ્યું કે તેઓ નોટમાં ધનની દેવી લક્ષ્મીની તસવીરને છાપવાના પક્ષમાં છે.
પત્રકારોએ તેમને ડૉલરની સરખામણીમાં રૂપિયાની સ્થિતિને લઈને સવાલ કર્યો હતો.
સ્વામીએ ઇન્ડોનેશિયાની ચલણી નોટ પર ગણેશની તસવીર હોવાનો ઉલ્લેખ કર્યો હતો.
તેમણે કહ્યું હતું, "આ પ્રશ્નનો જવાબ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આપી શકે છે. જોકે, હું એમના પક્ષમાં છું. ભગવાન ગણેશ વિઘ્ન દૂર કરે છે."
"હું તો કહીશ કે દેશનું ચલણ સુધારવા માટે લક્ષ્મીની તસવીર લગાવી શકાય. આના પર કોઈને વાંધો ન હોવો જોઈએ."
સોશિયલ મીડિયામાં ચર્ચા
સ્વામીના આ સવાલ બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ.
@MrRao_RB હૅન્ડલે ટ્વીટ કર્યું, "જ્યારે ભગવાન ગણેશ ઇન્ડોનેશિયાનું અર્થતંત્ર સુધારી શકે તો ભારતમાં પણ આવો પ્રયાસ કરી શકાય. ઇન્ડોનેશિયા પાસે ડૉક્ટર સ્વામી જેવા અર્થશાસ્ત્રી નથી. જોકે, આપણી પાસે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
@chintu678 હૅન્ડલ પરથી ટ્વીટ કરાયું કે, "તો પછી અમેરિકન ડૉલર મજબૂત કેમ છે? એના પર તો લક્ષ્મીની તસવીર નથી?"
સવાલ એ છે કે આખરે ભારતીય ચલણ પર કોની તસવીર હશે એને નક્કી કરવાનો અધિકાર કોને છે?
શું ચલણી નોટો પર મહાત્મા ગાંધીની તસવીરને હઠાવી શકાય?
શું ભારતને આઝાદી મળી ત્યારથી જ ભારતીય ચલણી નોટો પર મહાત્મા ગાંધીની તસવીરો છપાઈ?
મહાત્મા ગાંધીની તસવીર પહેલાં ચલણી નોટો પર કોની તસવીર લાગી હતી?
અને ચલણી નોટો પર મહાત્મા ગાંધીની તસવીર પ્રથમ વખત ક્યારે પ્રકાશિત થઈ હતી?
વિશ્વના બીજી કેન્દ્રીય બૅન્કોની જેમ ભારતમાં પણ ચલણી નોટોને જાહેર કરવાનો અધિકાર માત્રને માત્ર ભારતીય રિઝર્વ બૅન્કને છે.
રૂપિયાની સફર
ભારતને 1974માં આઝાદી મળી હતી, પરંતુ પ્રજાસત્તાક 26 જાન્યુઆરી, 1950ના દિવસે બન્યું હતું. આ દરમિયાન ભારતીય રિઝર્વ બૅન્ક પ્રચલિત ચલણી નોટ જ જાહેર કરતી હતી.
ભારતીય રિઝર્વ બૅન્કની વેબસાઇટ અનુસાર ભારત સરકારે પહેલી વાર 1949માં એક રૂપિયાની નોટની ડિઝાઇન તૈયાર કરી હતી. હવે આઝાદ ભારત માટે ચિહ્નોની પસંદગી કરવાની હતી.
શરૂઆતમાં મનાતું કે બ્રિટનનાં મહારાણીની જગ્યાએ નોટ પર મહાત્મા ગાંધીની તસવીર લાગશે અને તેના માટે ડિઝાઇન પણ તૈયાર થઈ હતી.
પરંતુ અંતમાં એ નિર્ણય પર સહમતી સધાઈ કે ચલણી નોટ પર મહાત્મા ગાંધીની તસવીરની જગ્યાએ અશોક સ્તંભ છપાશે. આ સિવાય ચલણી નોટની ડિઝાઇનમાં બહુ ફેરફાર થયા નથી.
વર્ષ 1950માં ભારતીય ગણરાજ્યમાં પહેલી વાર બે, પાંચ અને દસ અને સો રૂપિયાની નોટ જાહેર કરવામાં આવી.
બે, પાંચ અને સો રૂપિયાની નોટની ડિઝાઇનમાં બહુ ફરક નહોતો, પરંતુ રંગ ઘણા અલગ હતા. 10 રૂપિયાની નોટની પાછળ પાલ નૌકાની તસવીર જેમની તેમ રાખવામાં આવી હતી.
વર્ષ 1953માં નવી ચલણી નોટ પર હિંદીને મુખ્યત્વે સ્થાન અપાયું. ચર્ચા 'રૂપિયો'ના બહુવચન પર પણ થઈ અને નક્કી કરાયું કે તેનું બહુવચન રૂપિયા થશે.
વર્ષ 1954માં એક હજાર, બે હજાર અને દસ હજાર રૂપિયાની નોટ ફરીથી બહાર પડાઈ. વર્ષ 1978માં તેને ફરીથી ચલણમાંથી બહાર કરાઈ.
એટલે કે વર્ષ 1978માં એક હજાર, પાંચ હજાર અને દસ હજાર રૂપિયાની નોટ પર નોટબંધી થઈ.
બે અને પાંચ રૂપિયાની નાની ચલણી નોટ પર સિંહ, હરણ વગેરેની તસવીર છપાઈ હતી, પરંતુ વર્ષ 1975માં 100 રૂપિયાની નોટ પર કૃષિ આત્મનિર્ભરતા અને ચાના બગીચામાંથી પત્તું ચૂંટવાની તસવીર નજરે આવવા લાગી.
વર્ષ 1969માં મહાત્મા ગાંધીના 100મા જન્મદિવસે પહેલી વાર ચલણી નોટ પર મહાત્મા ગાંધીની તસવીર છપાઈ. જેમાં મહાત્મા ગાંધી બેઠેલા દેખાય છે અને પૃષ્ઠભૂમિમાં સેવાગ્રામ આશ્રમ.
વર્ષ 1972માં રિઝર્વ બૅન્કે પહેલી વાર 20 રૂપિયાની નોટ બહાર પાડી અને તેના ત્રણ વર્ષ પછી 1975માં 50 રૂપિયાની નોટ બહાર પાડવામાં આવી.
1980ના દાયકામાં નવી સિરીઝની નોટો જાહેર કરવામાં આવી હતી. જૂની તસવીરો હઠાવાઈ અને તેની જગ્યા નવી તસવીરોએ લીધી.
બે રૂપિયાની નોટ પર વિજ્ઞાન અને ટૅક્નૉલૉજી સંબંધિત ઉપગ્રહ આર્યભટ્ટની તસવીર, એક રૂપિયાની નોટ પર ઑઇલના કૂવાની તસવીર, પાંચ રૂપિયાની નોટ પર ટ્રેક્ટરથી ખેતર ખેડતા ખેડૂતની તસવીર, 10 રૂપિયાની નોટ પર કોણાર્કનું સૂર્યમંદિર, મોર અને શાલીમાર ગાર્ડનની તસવીરો છપાઈ.
દેશના અર્થતંત્રમાં ઝડપથી સુધારો થઈ રહ્યો અને લોકોની ખરીદશક્તિમાં પણ વધારો થઈ રહ્યો હતો. એટલે રિઝર્વ બૅન્કે ઑક્ટોબર 1987માં પ્રથમ વખત 500 રૂપિયાની નોટ જાહેર કરી અને તેના પર મહાત્મા ગાંધીની તસવીર છાપી. વૉટર માર્કમાં અશોક સ્તભ રાખવામાં આવ્યો.
નવા સુરક્ષા ફિચર્સ સાથે મહાત્મા ગાંધીની સિરીઝની ચલણી નોટો વર્ષ 1996માં છાપવામાં આવી. વૉટરમાર્ક પણ બદલી દેવાયા હતા અને સાથે જ એવા ફિચર પણ સામેલ કરવામાં આવ્યા, જેમાં નેત્રહીન લોકો પણ તેની ઓળખ સરળતાથી કરી શકતા હતા.
નવ ઑક્ટોબર 2000ના રોજ એક હજાર રૂપિયાની નોટ જાહેર કરવામાં આવી.
ભારતીય ચલણમાં બીજો સૌથી મોટો સુધારો નવેમ્બર વર્ષ 2016માં કરાયો હતો.
8 નવેમ્બર, 2016ના રોજ મહાત્મા ગાંધી સિરીઝની તમામ 500 અને 1000 રૂપિયાની નોટ ગેરકાયદે જાહેર કરી દેવાઈ હતી.
એ બાદ 2000 રૂપિયાની જે નવી નોટો છપાઈ, તેમાં પણ મહાત્મા ગાંધીની તસવીર છાપવામાં આવી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો