GDP 4.5 ટકા : મનમોહન સિંહે કહ્યું આ સમાજમાં વ્યાપેલ ભયનું પરિણામ

જુલાઈથી સપ્ટેમ્બર સુધીના બીજા ત્રૈમાસિક ગાળાની ગ્રૉસ ડૉમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)ના આંકડા આજે સૅન્ટ્રલ સ્ટૅટિસ્ટિક ઑફિસે જાહેર કર્યા છે.

આ આંકડા મુજબ જીડીપી દર ઘટીને 4.5 ટકા રહ્યો છે. ગત વર્ષે આ જ સમયગાળામાં ભારતનો જીડીપી દર 7 ટકા હતો.

4.5 ટકાનો જીડીપી દર એ છેલ્લા 26 કર્વાટરમાં સૌથી ઓછો છે.

આમ ગત વર્ષ કરતા આ વર્ષે જીડીપી દર 2.5 ટકા ઘટ્યો છે જે છેલ્લા છ વર્ષમાં સૌથી નબળો દર છે.

ભારતના મુખ્ય 8 ઔદ્યોગિક આઉટપુટ 5.8 ટકા રહ્યો છે.

અર્થતંત્રમાં મંદી અને લોકોની ખરીદશક્તિ તેમજ માગમાં ઘટાડાને અનેક નિષ્ણાતોએ જીડીપી ગત ક્વાર્ટર કરતા પણ ઓછો રહેશે તેવી ધારણા વ્યક્ત કરી હતી જે સાચી ઠરી છે.

2019-20ના પહેલા ત્રણ મહિનામાં વિકાસ દર 5 ટકા હતો. જે એની અગાઉ કરતાં પણ 0.8 ટકા ઓછો હતો. આ દર વર્ષ 2013 પછીનો સૌથી નબળો હતો.

GDP એટલે કે ગ્રૅસ ડૉમેસ્ટિક પ્રોડક્ટ. જીડીપી અર્થવ્યવસ્થાનો એક આર્થિક અને પ્રાથમિક માપદંડ છે. કોઈ પણ દેશની આર્થિક હાલત માપવા માટે જીડીપી મહત્ત્વની છે.

જીડીપી એટલે કોઈ ચોક્કસ સમય દરમિયાન વસ્તુ અને સેવાના ઉત્પાદનની કુલ કિંમત.

ભારતમાં કૃષિ, ઉદ્યોગ અને સેવા એ મુખ્ય ત્રણ ઘટક છે, જેમાં ઉત્પાદનની વધઘટના સરેરાશ પર જીડીપીનો આધાર રહેલો છે.

જીડીપી વધે તો આર્થિક વિકાસદર વધે છે. આ આંકડા દેશનો વિકાસ દર્શાવે છે.

ભારતમાં જીડીપીની ગણના દર ત્રણ મહિને કરવામાં આવે છે

ડૉ. મનમોહન સિંહે શું કહ્યું?

પૂર્વ વડા પ્રધાન અને અર્થશાસ્ત્રી ડૉ. મનમોહન સિંહે કહ્યું કે અર્થતંત્રની હાલત ખૂબ જ ચિંતાજનક છે અને એથી પણ વધારે ચિંતાજનક હાલત સમાજની છે.

એમણે કહ્યું કે 4.5 ટકાનો જીડીપી બિલકુલ અસ્વીકાર્ય છે. દેશની અપેક્ષા 8 ટકાને દરે વિકાસ કરવાની છે. ગત કર્વાટરના 5 ટકાથી 4.5 ટકા પરનો જીડીપી દર એ ચિંતાજનક છે અને ફક્ત આર્થિક નીતિઓમાં સુધારથી અર્થતંત્રને ફરક નહીં પડે.

એમણે કહ્યું કે હાલ સમાજમાં જે ભયનું વાતાવરણ છે તેને બદલવાની જરૂર છે. જો ભયને બદલે વિશ્વાસનું વાતાવરણ હશે તો આપણે 8 ટકાનો જીડીપી દર હાંસલ કરી શકીશું. અર્થતંત્રની સ્થિતિ એ સમાજની સ્થિતિને પ્રતિબિંબિત કરે છે.

ડૉ. મનમોહન સિંહે કહ્યું કે અર્થતંત્ર સમાજનો અરીસો છે. સમાજમાં ભયને બદલે વિશ્વાસ હશે તો જ તે સુધરશે.

જીડીપી કઈ રીતે નક્કી થાય છે?

જીડીપી બે રીતે નક્કી કરવામાં આવે છે, કેમ કે ઉત્પાદનનો પડતરખર્ચ મોંઘવારી સાથે વધતોઘટતો રહે છે. આ માપદંડ છે કૉસ્ટેન્ટ પ્રાઇઝ.

આ આધારે જીડીપીનો દર અને ઉત્પાદનનું મૂલ્ય એક વર્ષના આધારે ઉત્પાદનની કિંમત પર નક્કી થાય છે.

એટલે કે જો વર્ષ 2019નો આધાર લઈને તો એના પર જ ઉત્પાદનનું મૂલ્ય અને તેમાં થતી વધઘટને ધ્યાને લેવામાં આવે છે.

બીજી રીત છે કરન્ટ પ્રાઇઝ. જેમાં ઉત્પાદનમૂલ્યમાં મોંઘવારીનો દર પણ સામેલ હોય છે.

કેન્દ્રીય સાંખ્યિકી કાર્યાલય એટલે કે સીએસઓ ઉત્પાદન અને સેવાઓનાં મૂલ્યાંકન માટે એક 'આધારવર્ષ' એટલે બેઝ નક્કી કરે છે.

આ બેઝ પ્રમાણે કિંમતને આધાર બનાવીને ઉત્પાદન અને સેવાઓની કિંમતને જોવામાં આવે છે અને એ હિસાબે તુલનાત્મક વૃદ્ધિ કે ઘટાડો આંકવામાં આવે છે.

કૉસ્ટેન્ટ પ્રાઇઝના આધારે જીડીપીની ગણના કરવાનું કારણ એ પણ છે કે આ આંકડાને મોંઘવારીના ઉતારચડાવથી અલગ રાખીને માપી શકાય.

જીડીપી મુદ્દે શું ફેરફાર થયા?

ભારતની કૉસ્ટેન્ટ પ્રાઇઝ ગણનાનું આધારવર્ષ હાલમાં 2011-12 છે.

વર્ષ 2015માં ભારતે જીડીપીના માપદંડની રીત બદલી નાખી છે. જીડીપીનો માપદંડ બજારમૂલ્યની જગ્યાએ આધારભૂત મૂલ્યના આધારે આંકવાનો નક્કી થયો.

અગાઉ જીડીપી જથ્થાબંધ મૂલ્ય પર નક્કી થતો હતો, પરંતુ હવે કન્ઝ્યુમર પ્રાઇઝ ઇન્ડેક્સ એટલે કે ગ્રાહકોએ ચૂકવેલા બજારમૂલ્યને આધારે નક્કી થાય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો