ગુજરાત પેટાચૂંટણી પરિણામ : અલ્પેશ ઠાકોર, ધવલસિંહ ઝાલાને પક્ષપલટો ભારે પડ્યો?

ગુજરાતની પેટાચૂંટણીના પરિણામ અંગે અહીં દિવસભર પળેપળની માહિતી મેળવો

19:55 શક્તિસિંહ ગોહિલે અલ્પેશ ઠાકોર પર નિશાન સાધ્યું

ગુજરાત કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને કૉંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે ટ્વીટ કરીને અલ્પેશ ઠાકોરને નિશાને લીધા છે.

તેમણે ટ્વીટ કરતાં લખ્યું કે કૉંગ્રેસ ગુજરાતમાં ત્રણ બેઠકો જીતી છે. જ્યારે પક્ષપલટુ અલ્પેશ ઠાકોર રાધનપુરથી હારી ગયા છે.

આ પહેલાં શક્તિસિંહ ગોહિલ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાને મળ્યા હતા અને તેમને અભિનંદન પાઠવ્યાં હતાં.

19:00અમિત શાહ દિલ્હીના ભાજપ કાર્યાલયે પહોંચ્યા

ભાજપના અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દિલ્હી ખાતેના ભાજપના કાર્યાલયે પહોંચી ગયા છે.

એવું માનવામાં આવે છે કે મહારાષ્ટ્ર અને હરિયાણાના પરિણામોને લઈને અહીં ચર્ચા માટે બેઠક થશે.

આ પહેલાં અમિત શાહે જીત માટે મહારાષ્ટ્ર અને હરિયાણાના કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યાં હતાં.

18:30 હાર બાદ હવે અલ્પેશ ઠાકોરનું રાજકીય ભવિષ્ય શું?

18:15 રાધનપુરની જીતની રાજકોટમાં ઉજવણી

ગુજરાતની પેટાચૂંટણીમાં રાધપુર અને બાયડમાં મળેલી જીતની રાજકોટમાં કૉંગ્રેસે ઉજવણી કરી છે.

રાજકોટમાં કૉંગ્રેસના કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી.

17:50અલ્પેશની હાર, કૉંગ્રેસનું વિજય સરઘસ

અલ્પેશ ઠાકોર સામે વિજય હાંસલ કર્યા બાદ રાધનપુર બેઠક પરના કૉંગ્રેસના ઉમેદવાર રઘુભાઈ દેસાઈએ વિજય સરઘસ કાઢ્યું હતું.

ચૂંટણી પહેલાંથી જ આ બેઠક ગુજરાતમાં ચર્ચામાં હતી. તેનું કારણ કૉંગ્રેસને છોડીને ભાજપમાં આવેલા અલ્પેશ ઠાકોર અહીં ઉમેદવાર હતા.

17:18અલ્પેશ ઠાકોર, ધવલસિંહ ઝાલાને પક્ષ પલટો ભારે પડ્યો?

અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ લોકસભા ચૂંટણી બાદ ભાજપમાં પ્રવેશ કર્યો હતો. જે બાદ તેમણે ભાજપની ટિકિટ પરથી પેટાચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી હતી.

અલ્પેશ રાધનપુરથી જ આ પહેલાં કૉંગ્રેસની ટિકિટ પરથી 2017માં વિજયી થયા હતા અને આ વખતે તેઓ અહીંથી જ હારી ગયા છે.

ધવલસિંહ ઝાલા પણ બાયડની બેઠક પરથી હારી ગયા છે. આ બંને નેતાઓ મૂળ ઠાકોર સેના સાથે જોડાયેલા છે. અલ્પેશે વિજયી થયા બાદ ઠાકોર સમાજનો આભાર માન્યો હતો.

જોકે, પક્ષ બદલ્યા બાદ જ્યાંથી વિજય થયો હતો ત્યાં જ આ નેતાઓનો પરાજય થયો છે.

તાનાશાહ ભાજપ સામે લડાઈ : હાર્દિક પટેલ

હાર્દિક પટેલે કૉંગ્રેસના વિજય થયેલા ઉમેદવારોને અભિનંદન આપતા ભાજપ પર નિશાન સાધ્યું હતું.

અલ્પેશ ઠાકોર સામે વિજયી થયેલા રઘુભાઈ દેસાઈને અભિનંદન આપતા હાર્દિકે કહ્યું કે ગુજરાતમાં કૉંગ્રેસ પક્ષ સચ્ચાઈથી જનતાની લડાઈ લડી રહ્યો છે, તેથી જનતા હવે કૉંગ્રેસની સાથે છે.

હાર્દિકે કહ્યું કે તાનાશાહ ભાજપની સામે કૉંગ્રેસ પક્ષ જનતા માટે સંઘર્ષ કરી રહ્યો છે.

ગુજરાતની પેટાચૂંટણીમાં રાધનપુર બેઠક પરથી ભાજપના અલ્પેશ ઠાકોરની હાર થઈ છે, જ્યારે બાયડની બેઠક પરથી ભાજપના ધવલસિંહની હાર થઈ છે. આ બંને નેતાઓ પહેલા કૉંગ્રેસમાં હતા અને તેઓ 2017માં કૉંગ્રેસની ટિકિટ પરથી વિજય હાંસલ કર્યો હતો.

16:24 અર્જુન મોઢવાડિયાએ અમિત શાહ પર નિશાન સાધ્યું

કૉંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ રાધનપુર અને બાયડની જનતાનો આભાર માન્યો હતો અને બંને જીતેલા ઉમેદવારોને અભિનંદન આપ્યાં હતાં.

ટ્વીટ કરીને અમિત શાહ પર નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે લોકોએ ભાજપના સેલેબલ ઉમેદવારોને નકાર્યા છે.

ઉલ્લેખનિય છે કે રાધનપુર બેઠક પરથી કૉંગ્રેસ છોડીને ગયેલા અલ્પેશ ઠાકોરની હાર છે, જ્યારે બાયડ બેઠક પરથી કૉંગ્રેસ છોડીને ગયેલા ધવલસિંહની હાર થઈ છે.

પ્રજાનો નિર્ણય અમે સ્વીકારીએ છીએ : જીતુ વાઘાણી

જીતુ વાઘાણીએ કહ્યું કે ચૂંટણીમાં હાર-જીત થતી રહી છે. અમે 6 બેઠકોમાં 3 બેઠકો પર વિજય હાંસલ કર્યો છે.

તેમણે કહ્યું, "ગયા વખત કરતા કૉંગ્રેસની લીડ ઘટી છે અને કૉંગ્રેસે પણ વિચારવું જોઈએ."

"અમે જનતા પર વિશ્વાસ મૂક્યો અને અમને ત્રણ બેઠક મળી છે. એક વધારે કૉંગ્રેસને ગઈ છે."

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે બહારના પક્ષના નેતાઓ લાવવાથી કાર્યકર્તાઓ નિરાશ થાય છે?

આ મામલે જવાબ આપતા કહ્યું કે ભારતીય જનતા પક્ષનો કાર્યકર્તા જે નિર્ણય થાય તે સ્વીકારે છે. જનતાએ જે ચુકાદો આપ્યો તે અમે માથે ચડાવીએ છીએ.

15:21અલ્પેશ ઠાકોરે સ્વીકારી હાર, કહ્યું જાતિવાદી પરિબળોએ હરાવ્યો

અલ્પેશ ઠાકોરે પોતાની હાર સ્વીકારી લીધી છે અને ઠાકોર સમાજનો આ સાથે જ તેમણે આભાર માન્યો છે.

હાર સ્વીકારતા અલ્પેશ ઠાકોરે શું કહ્યું?

"ઠાકોર સમાજે મત આપ્યા, પરંતુ જાતિવાદની રાજનીતિ થઈ જેથી હું હારી ગયો. આવનારી લોકશાહી માટે આ ખતરારૂપ છે.

આવનારા સમયમાં ઠાકોર સમાજના હક માટે જ્યાં લડવાનું થાય ત્યાં લડીશ, જે કામ કરવાનું થાય તે કરીશ.

ગરીબોને કંઈક આપવું તે ગુનો બનતો હોય એવું ષડયંત્ર કરવામાં આવ્યું. હું મારી હારનો સ્વીકાર કરું છું.

જોકે, નવી ઊર્જા સાથે ફરીથી હું આવવાનો છું. હારનું કારણ જાતિવાદી પરિબળો છે. લોકોને ડરાવવાનું અને લલચાવવાનું કામ થયું છે.

હંમેશાં સત્યનો વિજય થતો હોય છે, ફરીથી સત્યનો વિજય થશે. હું ઠાકોર સમાજ માટે લડતો રહીશ.

પક્ષપલટા કરતાં જે લોકોના અધિકારની વાત છે, જેમની હંમેશાં મદદ કરી એવા લોકો કટ્ટરવાદ અને જાતિવાદથી આવે તો દુખ થાય.

જો કોઈ સમાજ માટે લડતા હોઈએ અને લોકો જાતિવાદની નજરથી જુએ તો દુખ થાય.

અમને તોફાની કહેવામાં આવે, હું કોઈને નડ્યો નથી. હું તમામ સમાજ માટે લડ્યો છતાં મને જાતિવાદી કહેવાય તો દુખ થાય.

હું હારીને બેસી રહેવાનો નથી પરંતુ ફરીથી આવીશ.

હું મારા સમાજનો આભાર માનું છું. મારા સમાજનો જેમણે મને મતો આપ્યા, સાથે જ સર્વસમાજના જે લોકોએ મને મત આપ્યા છે તેમનો આભાર માનું છું.

જે સપનું રાધનપુરના વિકાસ માટે લઈને આવ્યો હતો તે સપનું કદાચ રાધનપુરને પસંદ ન હતું.

હવે રાધનપુરનો વિકાસ ભગવાન કરશે એવું લાગી રહ્યું છે. હવે તેનો વિકાસ કેવી રીતે થશે તે સવાલ છે.

15:2015:33 અહંકારે ભાજપને હાર આપી : અમિત ચાવડા

ગુજરાત કૉંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે ભાજપને અહંકારે હાર આપી.

તેમણે કહ્યું કે વિશ્વાસઘાત કરનારને લોકોએ હાર આપી છે અને ભાજપની નીતિઓને લોકોએ નકારી દીધી છે.

બીજું શું કહ્યું અમિત ચાવડાએ સાંભળો.

14:50ગુજરાત કૉંગ્રેસમાં જીતનો માહોલ

હરિયાણામાં કૉંગ્રેસના સારા પ્રદર્શન બાદ ગુજરાતની પેટાચૂંટણીમાં પણ કૉંગ્રેસે સારું પ્રદર્શન કર્યું છે. અહીં તેઓ હાલ ત્રણ બેઠકો પર આગળ છે.

ગુજરાતમાં અમદાવાદના કૉંગ્રેસના કાર્યાલય પર હાલ ઉજવણીનો માહોલ છે. અહીં થોડીવારમાં ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવશે.

14:30ભાજપનો વિજય મહોત્સવ રદ?

ગુજરાત ભાજપ પેટાચૂંટણીના પરિણામ બાદ ગાંધીનગર ખાતે આવેલા ભાજપના કાર્યાલય પર વિજય મહોત્સવ કરવાનો હતો.

જોકે, અત્યાર સુધી કોઈ મહોત્સવ થયો નથી અને આ મામલે કોઈ જાહેરાત પણ કરવામાં આવી નથી.

ભાજપ માટે ગુજરાતનું આ પરિણામ નિરાશાજનક માનવામાં આવી રહ્યું છે. ભાજપ ચૂંટણી પહેલાં તમામ બેઠકો જીતવાનો દાવો કરતો હતો.

14:15 અમિત ચાવડાનું જીતનું ટ્વીટ

ગુજરાત કૉંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ ટ્વીટ કરીને બાયડના ઉમેદવાર જશુ પટેલને જીતનાં અભિનંદન આપ્યાં છે.

બાયડ બેઠક પર ભાજપના ઉમેદવાર કૉંગ્રેસ છોડીને ગયેલા ધવલસિંહ ઝાલા હતા.

જોકે, ચૂંટણીપંચે હજી સુધી આ બેઠકો પર અધિકારીક જીતની જાહેરાત કરી નથી.

14:10 મહારાષ્ટ્ર-હરિયાણામાં ભાજપનું પ્રદર્શન

મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેનાનું ગઠબંધન 163 બેઠકો પર આગળ છે, જ્યારે કૉંગ્રેસ અને એનસીપીનું ગઠબંધન 99 બેઠકો પર આગળ છે, જ્યારે અન્ય પક્ષો 26 બેઠકો પર આગળ છે.

હરિયાણામાં ભાજપ બહુમતીના આંકડા 46 સુધી પહોંચી શક્યો નથી. અહીં કૉંગ્રેસ અને ભાજપ વચ્ચે કટોકટીની સ્થિતિ છે.

ભાજપ 37 બેઠકો, કૉંગ્રેસ 35 બેઠકો, અન્ય 18 બેઠકો આગળ છે.

13:50કૉંગ્રેસની થરાદ બેઠક પર જીત?

થરાદની બેઠક પર કૉંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતને કૉંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડાએ જીત અંગે અભિનંદન આપ્યાં છે. જોકે, આ મામલે ચૂંટણીપંચ તરફથી કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

બીજી તરફ રાધનપુર બેઠક પર અલ્પેશ ઠાકોર 9 હજાર મતથી પાછળ છે.

13:45 અમરાઇવાડી બેઠક ભાજપ માટે રાહત

અમરાઇવાડી બેઠક પર ભાજપના ઉમેદવાર જગદીશ પટેલ સવારથી પાછળ ચાલી રહ્યા છે. તેમની સામે કૉંગ્રેસના ઉમેદવાર ધર્મેન્દ્ર પટેલ હાલ માત્ર 2,495 મતોથી આગળ ચાલી રહ્યા છે. આ પહેલાં તેઓ 5,000થી વધુ મતોની લીડ ધરાવતા હતા.

13:30 અલ્પેશ ઠાકોર ફરીથી બની શકશે ધારાસભ્ય?

કૉંગ્રેસનો હાથ છોડીને ભાજપમાં ગયેલા અલ્પેશ ઠાકોર હાલ રાધનપુરની બેઠક પરથી પાછળ ચાલી રહ્યા છે. અલ્પેશ ઠાકોર આ પહેલાં રાધનપુર બેઠક પરથી જ કૉંગ્રેસના ધારાસભ્ય હતા.

તેમણે ભાજપમાં પ્રવેશતા પહેલાં ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. જે બાદ ફરી અહીં ચૂંટણી આવી છે. જોકે, સવારથી શરૂ થયેલી મતગણતરીમાં એક પણ રાઉન્ડમાં અલ્પેશ કૉંગ્રેસના રઘુભાઈ દેસાઈથી આગળ નીકળી શક્યા નથી.

આ પેટાચૂંટણીનું પરિણામ તેમના રાજકીય ભાવિનો ફેંસલો કરશે. હાલ તેઓ 8,000 મતોથી પાછળ છે.

13:15 અલ્પેશ ઠાકોર જીતશે : શંકર ચૌધરી

ભાજપના નેતા અને પૂર્વ મંત્રી શંકર ચૌધરીએ બીબીસી સાથે વાત કરતાં કહ્યું કે હજી ભાજપના સમર્થનવાળા વિસ્તારનાં ઈવીએમ ખોલવાનાં બાકી છે. તેથી અલ્પેશ ઠાકોર ચોક્કસ જીતશે.

13:10 ભાજપની નીતિઓની હાર : મનીષ દોશી

ગુજરાતની પેટાચૂંટણીનું પરિણામને જોતાં કૉંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે આ ભાજપની ખેડૂત વિરોધી, લોકો વિરોધી નીતિઓની હાર છે. આ જનતાનો વિજય છે.

13:00 ધવલસિંહ ઝાલા મતગણતરી કેન્દ્રથી બહાર નીકળ્યા

બાયડ બેઠક પરના ભાજપના ઉમેદવાર ધવલસિંહ ઝાલા મતગણતરી કેન્દ્રથી બહાર નીકળી ગયા છે. તેમણે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે કદાચ મારી હાર થાય તો પણ તેઓ તેને સ્વીકારી લેશે.

તેમણે કહ્યું, "કદાચ મારી હાર થશે તો પણ હું સ્વીકારી લઈશ, પક્ષપલટાથી મને કોઈ ફરક પડ્યો નથી. 2022ની વિધાનસભાની ચૂંટણી માટે કામે લાગીશ."

12:50 રઘુ દેસાઈની લીડ ઓછી થઈ

રાધનપુર બેઠક પરથી ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોર સામે કૉંગ્રેસના રઘુ દેસાઈ આગળ ચાલી રહ્યા હતા. એક સમયે અલ્પેશ ઠાકોર 7 હજાર મતથી પાછળ હતા. જોકે, હવે તેઓ લગભગ 3,000થી વધુ મતોથી જ પાછળ છે.

12:36 રાધનપુરના લોકો અલ્પેશ ઠાકોર અંગે શું કહે છે?

12:30 ખેરાલુ પર ભાજપ 20,000 મતોથી આગળ

ખેરાલુ બેઠક પરથી ભાજપના ઉમેદવાર અજમલજી ઠાકોર કૉંગ્રેસના ઉમેદવાર બાબુજી ઠાકોર કરતાં 20,000 મતોથી આગળ ચાલી રહ્યા છે.

12:20 કૉંગ્રેસ અને ભાજપ ત્રણ-ત્રણ બેઠકો પર આગળ

ગુજરાતની પેટાચૂંટણીમાં રસાકસીભર્યો માહોલ છે. બંને પક્ષો કુલ 6 બેઠકોમાંથી ત્રણ-ત્રણ બેઠકો પર આગળ ચાલી રહ્યા છે. જેમાં અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા પાછળ છે.

12:08 ભાજપના પ્રદર્શનથી ખુશ : ઝડફિયા

ભાજપના નેતા ગોરધન ઝડફિયાએ ભાજપના કાર્યાલયે બીબીસી સાથે વાત કરતાં કહ્યું કે તેઓ મહારાષ્ટ્રના પરિણામોથી ખુશ છે. તેઓ મહારાષ્ટ્રમાં 63 બેઠકોના ઇન્ચાર્જ હતા.

ગત લોકસભા ચૂંટણીમાં પણ તેઓ ઉત્તરપ્રદેશમાં ઇન્ચાર્જ હતા.

12:05 અલ્પેશ અને ધવલસિંહ બંને 6,000થી વધુ મતે પાછળ

ગુજરાતની પેટાચૂંટણીમાં સતત જે બે બેઠકોની ચર્ચા થઈ રહી હતી તે રાધનપુર અને બાયડ બેઠકો પરના ભાજપના અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા પાછળ ચાલી રહ્યા છે.

11:45 અલ્પેશ ઠાકોર 6000 મતોથી પાછળ

કૉંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા અલ્પેશ ઠાકોર આઠમા રાઉન્ડના અંતે કૉંગ્રેસના રઘુભાઈ દેસાઈથી 6000 મતોથી પાછળ ચાલી રહ્યા છે. અલ્પેશ ઠાકોર માટે આજનો ફેંસલો તેમનું રાજકીય ભાવિ નક્કી કરશે.

11:35 બાયડમાં ધવલસિંહ અને જશુ પટેલ વચ્ચે રસાકસી

ભાજપના ઉમેદવાર અને બાયડ વિધાનસભા પરથી ચૂંટણી લડી રહેલા ધવલસિંહ ઝાલા અને કૉંગ્રેસના ઉમેદવાર જશુ પટેલ વચ્ચે રસાકસી ભર્યો માહોલ છે. ધવલસિંહ ઝાલા હવે બહુ ઓછા મતોથી પાછળ છે.

11:20 થરાદ, ખેરાલુ અને લુણાવાડામાં ભાજપ આગળ

ભાજપ અને કૉંગ્રેસ ત્રણ-ત્રણ બેઠકો પર આગળ ચાલી રહી છે. ભાજપના થરાદ, ખેરાલુ અને લુણાવાડાના ઉમેદવાર પેટાચૂંટણીમાં આગળ ચાલી રહ્યા છે.

11:05 ભાજપના ધવલસિંહ 6000 મતોથી પાછળ

બાયડ બેઠક પરથી ભાજપના ઉમેદવાર ધવલસિંહ ઝાલા 6,000 મતોથી પાછળ ચાલી રહ્યા છે. તેમની સામે કૉંગ્રેસના ઉમેદવાર જશુભાઈ પટેલ આગળ ચાલી રહ્યા છે.

ધવલસિંહ લોકસભા ચૂંટણી પહેલાં કૉંગ્રેસમાંથી જ ધારાસભ્ય હતા. જોકે, તે બાદ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહે કૉંગ્રેસ છોડીને ભાજપમાં પ્રવેશ કર્યો હતો.

10:50 ગુજરાતમાં કૉંગ્રેસ ત્રણ બેઠકો પર આગળ, અલ્પેશ પાછળ

ભાજપના ઉમેદવારો અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા પાછળ ચાલી રહ્યા છે. આ સાથે જ કૉંગ્રેસ અને ભાજપ બંને પેટાચૂંટણીમાં ત્રણ-ત્રણ બેઠકો પર આગળ ચાલી રહી છે.

10.31 ગુજરાતમાં કૉંગ્રેસ 3 બેઠકો પર અને ભાજપ 2 બેઠકો પર આગળ

ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ પાછળ ચાલી રહ્યા છે. જ્યારે ખેરાલુ અને થરાદ બેઠક પર ભાજપ આગળ છે.

10: 20 અલ્પેશના નામના નારા

રાધનપુર બેઠકની મતગણતરી પાટણમાં ચાલી રહી છે. અહીં બહાર બંને પક્ષોના ઉમેદવારોના સમર્થકો હાજર છે. હાલ અલ્પેશ પાછળ ચાલી રહ્યા છે. બહાર સમર્થકો અલ્પેશ જીતશે તેવા નારા લગાવી રહ્યા છે.

10:11 ભાજપના અલ્પેશ અને ધવલસિંહ બંને પાછળ

કૉંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા અલ્પેશ ઠાકોર અને તેમના સાથી ધવલસિંહ બંને પાછળ ચાલી રહ્યા છે. બાયડ અને રાધનપુર બેઠકો પર કૉંગ્રેસના ઉમેદવાર રઘુ દેસાઈ અને જશુ પટેલ આગળ ચાલી રહ્યા છે.

10:00 અલ્પેશ ઠાકોર ત્રીજા રાઉન્ડના અંતે પાછળ

ભાજપના ઉમેદવાર અને રાધનપુર બેઠકથી ચૂંટણી લડી રહેલા અલ્પેશ ઠાકોર હાલ પાછળ ચાલી રહ્યા છે. ત્રીજા રાઉન્ડના અંતે પણ કૉંગ્રેસના ઉમેદવાર રઘુભાઈ દેસાઈ આગળ છે.

9:55 અલ્પેશ ઠાકોર અને રઘુ દેસાઈ વચ્ચે બરાબરીનો જંગ

રાધનપુરથી ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોર અને કૉંગ્રેસના ઉમેદવાર રઘુ દેસાઈ વચ્ચે બીજા રાઉન્ડના અંતે માત્ર થોડા મતોનો ફરક છે. હાલ કૉંગ્રેસના રઘુ દેસાઈ આગળ ચાલી રહ્યા છે.

9:40 ગુજરાતમાં આ વખતે કેવું રહેશે કૉંગ્રેસનું પ્રદર્શન

ગુજરાતમાં હાલ મતગણતરી ચાલી રહી છે અને ચૂંટણીપંચની માહિતી પ્રમાણે કૉંગ્રેસ એક બેઠક પર આગળ ચાલી રહી છે. જોવાનું રહેશે કે કૉંગ્રેસ કેવું પ્રદર્શન કરે.

9:38 : ભાજપનું કાર્યાલય ખાલીખ

ગુજરાતમાં પેટાચૂંટણીનાં પરિણામો આવી રહ્યાં છે ત્યારે ભાજપના કાર્યાલયે સન્નાટો છે. હજી કોઈ મોટા નેતા આવ્યા નથી.

9:20 અલ્પેશ ઠાકોર શરૂઆતની ગણતરીમાં પાછળ

રાધનપુર બેઠક પરથી ચૂંટણી લડી રહેલા અલ્પેશ ઠાકોર કૉંગ્રેસના ઉમેદવાર રઘુભાઈ દેસાઈથી પાછળ ચાલી રહ્યા છે. હાલ આ શરૂઆતી વલણો છે.

9:13 ગુજરાતમાં એક બેઠક પર કૉંગ્રેસ આગળ

ચૂંટણીપંચ તરફથી માહિતી પ્રમાણે ગુજરાતની પેટાચૂંટણીમાં શરૂઆતના વલણમાં કૉંગ્રેસ એક બેઠક પર આગળ છે.

9:00 ગુજરાત કૉંગ્રેસની ઓફિસ ખાલીખમ

8:54 પાટણમાં આવેલા મતગણતરી કેન્દ્રનો માહોલ

8:46 ભાજપ અને કૉંગ્રેસ માટે શાખનો સવાલ

આ પેટાચૂંટણી લોકસભાની ચૂંટણી બાદ યોજાઈ રહી છે. ત્યારે ભાજપ તમામ બેઠકો અંકે કરવા માગશે તો કૉંગ્રેસ આમાંથી પોતાની ગયેલી બેઠકો પરત મેળવવા મથશે અને ભાજપની બેઠકો તોડવાનો પ્રયત્ન કરશે.

8:35 ભાજપ ઓફિસનો માહોલ

હાલ ગુજરાતમાં 6 બેઠકો પર થયેલી પેટાચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. ત્યારે ભાજપ ઓફિસ પર માહોલ શાંત છે.

8:30 પોસ્ટલ બૅલેટની ગણતરી

8:22 આ બેઠકો પર ખરાખરીનો જંગ

ગુજરાતમાં અલ્પેશ ઠાકોરની રાધનપુર બેઠક સિવાય, બાયડ, થરાદ, અમરાઈવાડી, ખેરાલુ અને લુણાવાડા બેઠક પર પણ મતગણતરી ચાલી રહી છે. આ તમામ બેઠકો પર ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે સીધો જંગ છે.

8:10 મહારાષ્ટ્ર અને હરિયાણાનાં શરૂઆતી વલણો

શરૂઆતી વલણોમાં મહારાષ્ટ્રમાં ભાજપ 5 અને કૉંગ્રેસ 2 બેઠકો પર આગળ છે, હરિયાણામાં ભાજપ 6 અને કૉંગ્રેસ 1 બેઠક પર આગળ છે.

8:00 ગુજરાતમાં મતગણતરી શરૂ

ગુજરાતની પેટાચૂંટણી માટેની મતગણતરી શરૂ થઈ ગઈ છે. સૌપ્રથમ બૅલેટપેપરની ગણતરી કરવામાં આવશે. જે બાદ ઈવીએમમાં પડેલા મતોની ગણતરી કરવામાં આવશે. મહારાષ્ટ્ર અને હરિયાણામાં પણ ગણતરી શરૂ થઈ ગઈ છે.

7:58 રઘુ દેસાઈ મતગણતરી કેન્દ્ર પર પહોંચ્યા

અલ્પેશ ઠાકોર સામે રાધનપુરથી ચૂંટણી લડી રહેલા કૉંગ્રેસના ઉમેદવાર રઘુ દેસાઈ મતગણતરી કેન્દ્ર પર પહોંચ્યા છે. આ પહેલાં અલ્પેશ ઠાકોર અહીં પહોંચી ચૂક્યા છે. આ બેઠક માટેની ગણતરી પાટણમાં થઈ રહી છે.

7:50 ગુજરાતમાં આ વખતે ઓછું મતદાન

ગુજરાતની આ પેટાચૂંટણીઓમાં 2019ની લોકસભા ચૂંટણી અને 2017ની વિધાનસભા ચૂંટણી કરતા પણ ઓછું મતદાન થયું છે.

કઈ બેઠક પર કેટલું મતદાન થયું

7:40 અલ્પેશ ઠાકોર મતગણતરી કેન્દ્ર પર પહોંચ્યા

રાધનપુર બેઠક પરથી ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોર મતગણતરી કેન્દ્ર પર પહોંચ્યા છે. તેમની સામે કૉંગ્રેસના રઘુ દેસાઈ છે.

7:30 સૌપ્રથમ બૅલેટબૉક્સની ગણતરી

મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાના ચૂંટણી પરિણામોની ગણતરી 8 વાગે શરૂ થશે. સૌપ્રથમ બૅલેટબૉક્સની ગણતરી શરૂ થશે. શરૂઆતનાં વલણો બપોર સુધીમાં સ્પષ્ટ થશે તેમ માનવામાં આવે છે.

7:15 મતગણતરી કેન્દ્રો પર તૈયારીઓ શરૂ

પેટાચૂંટણીના પરિણામની ગણતરી પહેલાં મતગણતરી કેન્દ્ર પર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પાટણના મતદાનગણતરી કેન્દ્રની આ તસવીર છે.

7:00 એક કલાક બાદ ગણતરી શરૂ થશે

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી માટે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. સાથે જ મહારાષ્ટ્ર અને હરિયાણાની વિધાનસભાનું પરિણામ પણ આજે આવશે. જેની ગણતરી પણ સવારે 8 વાગ્યાથી શરૂ થશે.

સૌની નજર કૉંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા પર છે.

ગુજરાતની આ છ બેઠકોમાં રાધનપુર, બાયડ, થરાદ, ખેરાલુ, અમરાઈવાડી અને લુણાવાડાનો સમાવેશ થાય છે.

આ રાધનપુર અને બાયડમાં અલ્પેશ અને ધવલસિંહ કૉંગ્રેસ છોડીને ભાજપમાં ગયા હતા એટલે પેટાચૂંટણી યોજવી પડી હતી.

જ્યારે અન્ય ચાર બેઠકો પર તત્કાલિન ધારાસભ્યોને લોકસભાની ટિકિટ આપવામાં આવી હતી અને તેઓ લોકસભાની ચૂંટણી જીતી ગયા એટલે ત્યાં પેટાચૂંટણી કરાવવી પડી હતી.

6 બેઠકોમાંથી સૌથી ઓછું મતદાન અમરાઇવાડીમાં થયું હતું અને સૌથી વધારે મતદાન થરાદમાં થયું હતું.

કઈ બેઠક પર કેટલું મતદાન થયું?

નજર રાધનપુર અને બાયડની પેટાચૂંટણી પર

રાધનપુરની બેઠક ઉપરથી ભાજપે અલ્પેશ ઠાકોરને ટિકિટ આપી છે, જેઓ ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયે કૉંગ્રેસની ટિકિટ ઉપર અહીંથી વિજેતા થયા હતા.

બાયડની બેઠક ઉપરથી ભાજપે ધવલસિંહ ઝાલાને ટિકિટ આપી છે.

ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણી સમયે ઝાલા આ બેઠક ઉપરથી કૉંગ્રેસની ટિકિટ ઉપર ચૂંટાયા હતા.

દારૂબંધીના આંદોલનથી જાણીતા બનેલા અલ્પેશ ઠાકોર 2017 અગાઉ પોતે કદી રાજકારણમાં નહીં આવે એમ કહેતા હતા.

જોકે 2017ની વિધાનસભાની ચૂંટણી પૂર્વે ઠાકોરસેના સાથે સંકળાયેલા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા કૉંગ્રેસમાં જોડાયા હતા અને ધારાસભ્ય બન્યા.

2019ની લોકસભાની ચૂંટણી પૂર્વે ઠાકોરે કૉંગ્રેસથી અંતર રાખવાનું શરૂ કર્યું હતું અને પ્રચારથી અળગા થઈ ગયા હતા.

તેમણે અને ધવલસિંહ ઝાલાએ રાજ્યસભાની ચૂંટણીમાં ક્રૉસ વોટિંગ કર્યું હતું.

મે-2019માં લોકસભા ચૂંટણી પરિણામો બાદ જુલાઈ મહિનામાં બંને ઔપચારિક રીતે ભાજપમાં જોડાઈ ગયા હતા.

અલ્પેશ ઠાકોરનું ધારાસભ્યપદ રદ કરવાની માગણી પણ કૉંગ્રેસે કરી હતી.

ઠાકોર તથા ઝાલાએ તેમની વિધાનસભા બેઠકો ઉપરથી રાજીનામાં આપી દીધાં હતાં, જેથી ખાલી પડેલી બેઠકો ઉપર પેટાચૂંટણી યોજવાની જરૂર ઊભી થઈ હતી.

કૉંગ્રેસે રાધનપુરની બેઠક ઉપરથી રઘુભાઈ દેસાઈ અને બાયડમાંથી જસુભાઈ પટેલને ઉમેદવાર બનાવ્યા છે.

2017ની ચૂંટણીમાં રાધનપુર બેઠક પર 68 ટકા મતદાન થયું હતું. એ ચૂંટણીમાં કૉંગ્રેસની ટિકિટ પરથી અલ્પેશ ઠાકોરનો અંદાજે 15,000 મતથી વિજય થયો હતો.

કૉંગ્રેસને 48.33 ટકા મત મળ્યા હતા અને ભાજપને 39.96 ટકા મત મળ્યા હતા.

અમરાઈવાડી, ખેરાલુ, થરાદ અને પંચમહાલ

ડિસેમ્બર-2017માં પંચમહાલ જિલ્લાની લુણાવાડા બેઠક ઉપરથી રતનસિંહ રાઠોડ અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા.

બાદમાં તેઓ ભાજપમાં જોડાયા હતા અને ભાજપે તેમને લોકસભાની ચૂંટણીમાં પંચમહાલની બેઠક પર ટિકિટ આપી હતી અને તેઓ જીત્યા પણ હતા.

મે-2019ની લોકસભા ચૂંટણી દરમિયાન અમદાવાદની અમરાઈવાડી બેઠક ઉપરથી ભાજપના ધારાસભ્ય હસમુખ પટેલ અમદાવાદ (પૂર્વ)ની લોકસભા બેઠક ઉપરથી વિજેતા થયા હતા.

મહેસાણા જિલ્લાની ખેરાલુ બેઠક ઉપરથી ધારાસભ્ય ભાજપના ભરતસિંહ ડાભી પાર્ટીની ટિકિટ ઉપર પાટણની બેઠકથી સંસદસભ્ય બન્યા છે.

બનાસકાંઠા જિલ્લાની થરાદ વિધાનસભા બેઠક ઉપરથી ભાજપના ધારાસભ્ય પરબતભાઈ પટેલ મે મહિનામાં બનાસકાંઠાના સંસદસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા.

આમ, સંસદસભ્ય બન્યા બાદ હસમુખ પટેલ, ભરતસિંહ ડાભી, રતનસિંહ રાઠોડ તથા પરબતભાઈ પટેલે ધારાસભ્ય પદેથી રાજીનામાં આપ્યાં હતાં.

આ ચારેય બેઠક ઉપર મહદ્અંશે ભાજપ અને કૉંગ્રેસની વચ્ચે સીધી ટક્કર છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો