શું તમને ખબર છે કે ભારતની માન્ય ભાષાઓ કઈ અને કેટલી છે?

ઇમેજ સ્રોત, Getty Images
જેમ દરેક માઈલે પાણીનો સ્વાદ બદલાય છે, તેવી જ રીતે દર ચાર માઈલે ભાષા પણ બદલાતી હોય છે. ગુજરાતી કહેવત છે કે બાર ગાઉએ બોલી બદલાય. ભારતની ધરતીની આ લાક્ષણિકતા ભારતમાં ભાષાની વિવિધતાનું ઉદાહરણ પૂરું પાડે છે.
લોકો દ્વારા બોલાતી તેમની માતૃભાષા વિશેની માહિતી વસતીગણતરી દરમિયાન જ એકઠી કરવામાં આવે છે, જે ભારતમાં દર 10 વર્ષે યોજાય છે.
ભાષાકીય માપદંડો અનુસાર, આ તમામ માતૃભાષાઓને અમુક મુખ્ય ભાષાના મથાળા હેઠળ મૂકવામાં આવી છે.
2011ની વસતીગણતરી અનુસાર, ભારતમાં 53 કરોડ લોકોની મુખ્ય ભાષા હિંદી હતી. આ સંખ્યા ભારતની કુલ વસતીના 43.63 ટકા જેટલી છે.

ઇમેજ સ્રોત, Getty Images
પ્રાપ્ત આંકડા અનુસાર ભારતમાં 32.22 કરોડ લોકોની માતૃભાષા હિંદી છે, જ્યારે 5 કરોડ કરતાં વધારે લોકોની ભોજપુરી બોલે છે.
તેમજ 1.6 કરોડ લોકો છત્તીસગઢી ભાષા, 1.2 કરોડ લોકો મગધી જ્યારે 2.5 કરોડ લોકો રાજસ્થાની બોલે છે.
વધુમાં ભારતમાં સમાન લાક્ષણિકતાઓ ધરાવતી જુદી-જુદી ભાષાઓ બોલાય છે.
1.35 કરોડ લોકો દ્વારા બોલાતી મૈથિલી ભાષા વર્ષ 1991માં હિંદીથી અલગ કરાઈ હતી અને બંધારણની આઠમી અનુસૂચિમાં 13મા સ્થાને સમાવિષ્ટ કરાઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતમાં બંગાળી 9.72 કરોડ લોકોની ભાષા તરીકે હિંદી બાદ બીજી સૌથી વધારે બોલાતી ભાષા છે.
આ યાદીમાં મરાઠી અને તેલુગુ અનુક્રમે ત્રીજા અને ચોથા ક્રમાંકે છે. મરાઠી 8.30 કરોડ લોકો દ્વારા બોલાય છે જ્યારે તેલુગુ 8.11 કરોડ લોકો દ્વારા બોલાય છે.
ગૃહમંત્રી અમિત શાહના હિંદીને રાષ્ટ્રભાષા બનાવવાના તાજેતરના નિવેદનને કારણે દેશભરમાં રાષ્ટ્રભાષા વિશેની ચર્ચા શરૂ થઈ ગઈ છે.
ચાલો, ભારતની વિવિધ ભાષાઓની યાદી અને તેમના વિભાગીકરણ પર એક નજર કરીએ.
ભારતમાં નોંધાયેલી ભાષાઓની સંખ્યા 19,569 છે

ઇમેજ સ્રોત, Getty Images
ભારતની 2011ની વસતીગણતરીના રજિસ્ટ્રાર જનરલ એન્ડ સેન્સસ કમિશનરના જણાવ્યાનુસાર માતૃભાષા એટલે જે ભાષામાં માતા બાળકના બાળપણ દરમિયાન તેની સાથે સંવાદ કરે છે તે.
જો માતા હયાત ન હોય તો કુટુંબની મુખ્ય વ્યક્તિ દ્વારા બોલાતી ભાષાને તેમની માતૃભાષા ગણવામાં આવે છે.
2011ની વસતીગણતરી અનુસાર, ભારતમાં કુલ 19,569 ભાષાઓ કે બોલીઓ ચલણમાં છે.
ભાષાકીય અન્વીક્ષા, સંપાદન અને તર્કશુદ્ધતા બાદ 1369 ભાષાઓને ભારતમાં લોકો દ્વારા બોલાતી વિવિધ માતૃભાષાઓનો દરજ્જો મળ્યો હતો.
જ્યારે 1474 ભાષાઓને 'અન્ય' માતૃભાષાઓના મથાળા હેઠળ મુકાઈ હતી.

10,000 બોલનાર સાથે 270 આઇડેન્ટિફાયેબલ ભાષાઓ

ઇમેજ સ્રોત, Getty Images
તમામ ભાષાઓનું ઝીણવટપૂર્વક પૃથક્કરણ કર્યા બાદ પ્રત્યેક ભાષા 10,000 કે તેથી વધારે લોકો દ્વારા બોલાતી હોય તેવી 270 ભાષાઓની યાદી તૈયાર કરાઈ હતી.
જે પૈકી 123 માતૃભાષાઓને બંધારણની આઠમી અનુસૂચિમાં દર્શાવેલ ભાષાઓ સાથે સાંકળી લેવાઈ હતી.
જ્યારે બાકીની 147 ભાષાઓને બંધારણની આઠમી અનુસૂચિમાં સમાવિષ્ટ ન હોય તેવી ભાષાઓ સાથે સાંકળી લેવાઈ છે.
જે ભાષા 10,000 કરતાં ઓછા લોકો દ્વારા બોલાતી હોય તેને અમુક ભાષા સાથે સાંકળી લઈને તે ભાષા અંતર્ગત 'અન્ય'ના મથાળા હેઠળ મુકાઈ છે.
ભારતની કુલ વસતી પૈકી 96.71 ટકા લોકો બંધારણની આઠમી અનુસૂચિમાં સમાવિષ્ટ ભાષાઓ પૈકી કોઈ એક ભાષા બોલે છે, જ્યારે બાકીના 3.29 ટકા લોકોએ અન્ય ભાષાઓને પોતાની માતૃભાષા તરીકે ગણાવી છે.
- આંતરિક અસંતુલનને કારણે વર્ષ 1981માં આસામમાં વસતીગણતરી થઈ શકી નહોતી. જોકે, આસામની વસતીગણતરીનો સમાવેશ ભારતના બંધારણની આઠમી અનુસૂચિમાં સમાવિષ્ટ ભાષાઓમાં કરાયો નહોતો.
- વર્ષ 1981માં થયેલી તામિલનાડુની વસતીગણતરીના આંકડા પણ પૂરમાં નાશ પામ્યા હોવાના કારણે અપ્રાપ્ય બન્યા છે.
- આંતરિક અસંતુલનને કારણે જમ્મુ-કાશ્મીરમાં વસતીગણતરી કરાઈ નહોતી. તેથી કાશ્મીરી અને ડોગરી ભાષા બોલનાર લોકોની માહિતી ઉપલબ્ધ નથી.
સંસ્કૃત ભાષા બોલનારની સંખ્યામાં વધઘટ

ઇમેજ સ્રોત, Getty Images
24,281 લોકો દ્વારા બોલાતી સંસ્કૃત ભાષા ભાષાઓની આ યાદીમાં 22મા ક્રમે હતી.
સંસ્કૃત બોલનાર લોકોની સંખ્યામાં ખૂબ જ વધારે પ્રમાણમાં વધઘટ જોવા મળી છે.
વર્ષ 1971માં સંસ્કૃત બોલનાર લોકોની સંખ્યા 2,212 હતી. જે 1991માં વધીને 49,736 થઈ ગઈ હતી, 2001માં આ સંખ્યા ઓછી થઈને 14,135 થઈ ગઈ.
જ્યારે 2011ની વસતીગણતરી અનુસાર સંસ્કૃત બોલનાર લોકોની સંખ્યા 24,821 થઈ જવા પામી હતી.
દેશની આધિકારિક ભાષાઓ પૈકી એક અંગ્રેજીનો ભારતના બંધારણની આઠમી અનુસૂચિમાં સમાવેશ થતો નથી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












