રાજસ્થાન : એક એવી જેલ જ્યાંથી કેદીઓ બહાર જઈને નોકરી કરી શકે છે

રાજસ્થાનના જયપુર સ્થિત સાંગાનેરની એક જેલમાં કેદીઓને રહેવા માટે છત તો મળે છે, પણ પૈસા કે ભોજન મળતું નથી. તેનો મતલબ એ કરી શકાય કે અહીંના કેદીઓને જીવન વિતાવવા માટે કામની શોધમાં નીકળવું પડે છે.
માસુમા આહુજા આ મામલે લખે છે કે આ કેદીઓ મજૂર તરીકે કામ કરે છે, ફેકટરીમાં કામ કરે છે. કેટલાક ડ્રાઇવર તેમજ યોગા ટીચર તરીકે પણ કામ કરે છે.
રામચંદ સ્કૂલ બસ ચલાવે છે. તો તેમનાં પત્ની સુજ્ઞા કપડાંની ફૅક્ટરીમાં કામ કરે છે.
થોડા સમય પહેલાં ભારે ગરમી વચ્ચે મેં તેમના એક ઓરડાવાળા ઘરમાં ચા પીધી હતી.
ઘરની દિવાલો પીળા રંગે રંગાયેલી હતી અને માથે પતરાની છત હતી.
ઘરમાં ફ્રીઝ, ટીવી જેવી વસ્તુઓ પણ હતી. એક ખુણામાં ટિફિન લટકતું હતું. દીવાલો પર ભગવાનની તસવીરો લટકાવેલી હતી.
એ ઘરના દરવાજામાંથી દૂર દોડતાં વાહનો અને ઊંચીઊંચી ઇમારતો જોઈ શકાય છે.

તમે આ વાંચ્યું કે નહીં?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર


રામચંદ અને સુજ્ઞા એકલું જીવન વિતાવતાં હતાં.
તેમના પાડોશીઓએ તેમનાં લગ્ન કરાવ્યાં હતાં કે જેથી સુગ્નાની એકલતાનો અંત આવે અને રામચંદનું પણ કોઈ ધ્યાન રાખે.
તેમનાં જીવનમાં બધું જ સામાન્ય હતું. બસ એક વસ્તુ અસામાન્ય હતી. બન્નેને હત્યાના આરોપસર કેદની સજા મળી છે અને હવે તેઓ જેલમાં રહે છે.
તેમનું ઘર હવે સાંગાનેરની ખુલી જેલ છે.
આ જેલમાં કોઈ દિવાલ નથી, કોઈ પ્રતિબંધ નથી. તેમાં કોઈ સુરક્ષાકર્મીઓ નથી. અહીં કેદીઓને બહાર જવાની પરવાનગી આપવામાં આવે છે.
તેમને ગામમાં જઈને કામ કરવા માટે પ્રોત્સાહિત પણ કરાય છે.
આ જેલ વર્ષ 1950થી ખોલવામાં આવી છે. અહીં 450 કેદીઓ રહે છે. રાજસ્થાનમાં આવી 30 જેલ છે.
હું(માસુમા) સ્મિતા ચક્રવર્તી સાથે સાંગાનેર ગઈ હતી. સ્મિતા ચક્રવર્તી એ જ મહિલા છે કે જેમણે ભારતભરમાં ખુલ્લી જેલ બનાવવા માટે અભિયાન શરૂ કર્યું હતું.
તેમણે ભારતની સુપ્રીમ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો જ્યારબાદ કોર્ટે રાજ્યોમાં આ પ્રકારની જગ્યાઓ ઊભી કરવા સૂચવ્યું હતું.
તેઓ હાલ રાજસ્થાનના 'કમિશનર ઑફ પ્રિઝન'ના પદ પર છે. હાલ જ તેમનાં કાર્યો માટે પુરસ્કારથી સન્માનિત પણ કરવામાં આવ્યાં હતાં.



સ્મિતા ચક્રવર્તીનાં કાર્યને બળ મળી રહ્યું છે. ગત વર્ષે ભારતમાં ચાર નવી ખુલ્લી જેલનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
જ્યારે સ્મિતા ચક્રવર્તી સાથે હું સાંગાનેર પહોંચી, તો જોયું કે સ્મિતા નવાં કાર્યો વિશે કેદીઓને માહિતી આપતાં હતાં. તેઓ મારી પાસે આવ્યાં અને વાત શરૂ કરી.
આ જેલમાં કોઈ સુરક્ષાકર્મી નથી એટલે કોઈ પણ તેમાં પ્રવેશ મેળવી શકે છે. જોકે, આ જેલમાં મારાં જેવા મુલાકાતીઓ ભાગ્યે જ જોવાં મળે છે.
હું જેલના મેદાનની સામે આવેલી બાળકોની નર્સરીમાં બેઠી હતી જ્યાં મારી મુલાકાત કેટલાક પુરુષ અને મહિલા કેદીઓ સાથે થઈ.
જ્યારે મેં તેમને જેલમાં આવવાનું કારણ પૂછ્યું તો મોટાભાગના કેદીઓનો જવાબ '302' હતો.
તેમનો અર્થ IPCની કલમ 302થી હતો.
આ કલમ અંતર્ગત હત્યા માટે સજા આપવામાં આવે છે.
કેદીઓ ખુલ્લી જેલને ખેતર સમાન ગણાવે છે. અહીંની જીવન કેટલું સરળ છે અને કેદીઓ અહીં કેટલા ખુશ છે એ વાત તેમણે મને જણાવી.



સાંગાનેરની જેલમાં રહેવા માટે પહેલા કેદીઓએ કુલ સજાનો બે તૃતિયાંશ ભાગ બંધ જેલમાં વિતાવવો પડે છે.
કેદીઓ માને છે કે અન્ય જેલની સરખામણીએ આ જેલમાં રહેવાથી તેમને સ્વતંત્રતાનો અનુભવ થાય છે.
ઘણી વખત તો એવું પણ બન્યું છે કે કેદીઓ જેલ છોડવા માગતા ન હતા અને રાજસ્થાનની સરકારે જેલ ખાલી કરાવવી પડી હોય.
આ જેલોએ તેમનું જીવન સ્થિર બનાવ્યું છે. તેમણે નોકરી મેળવી છે. બાળકોને સ્કૂલમાં પ્રવેશ અપાવ્યો છે.
અને કદાચ એટલે જ અહિંના કેદીઓ સજા પૂર્ણ થયા બાદ જેલ છોડવા માગતા નથી.
જેલની મહિલાઓ કહે છે કે જેલની બહારની વ્યક્તિ તેમની પરિસ્થિતિ સમજી શકતા નથી, જ્યારે જેલના પુરુષ કેદીઓ સાથે લગ્ન કરવાં તેમના માટે સરળ બની જાય છે..
જોકે, જેલના કેદીઓને નોકરી મેળવવામાં મુશ્કેલી પડતી હોવાની ફરિયાદ પણ કેટલાક કરે છે.
જેલમાંથી મળેલું ઓખળપત્ર બતાવવા છતાં તેમને નોકરી ના મળતી હોવાની તેઓ વાત કરે છે.

ભારતમાં ખુલી જેલ
ભારતમાં વર્ષ 2015ના અંત સુધી કુલ 4,19,623 કેદીઓમાંથી 3,789 (0.9%) કેદીઓને ખુલ્લી જેલોમાં રાખવામાં આવ્યા હતા.
રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં 42 ખુલ્લી જેલો છે.
અન્ય 15 રાજ્યોમાં 21 ખુલી જેલ બનાવવામાં આવી હતી. (સ્રોત : પ્રિઝન સ્ટૅટિસ્ટિક્સ ઇન્ડિયા 2015)

જોકે, લોકો અહીં એક સામાન્ય જીવન વિતાવે છે.
કેદીઓ પોતાના માટે મોટરસાયકલ ખરીદે છે.
સ્માર્ટફોન રાખે છે. ટીવી જુએ છે. તેમણે કેદીઓનો યુનિફોર્મ પહેરવો પડતો નથી. તેઓ નાનાં એવા ઘરોમાં રહે છે.
જેલમાં રહીને તેમને માત્ર રહેવા માટે જગ્યા મળે છે.
બાકી બધું તેમણે જાતે જ કરવું પડે છે. પોતાનાં ભોજન, પાણી અને આવકની વ્યવસ્થા કેદીઓએ જાતે જ કરવી પડે છે.

એટલે મોટાભાગના કેદીઓ જેલ છોડીને નોકરી કરવા જાય છે.
અહીં હત્યાના ગુના બદલ સજા કાપી રહેલા પુરુષકેદીઓને સરુક્ષાકર્મી તરીકે પણ કામ કરી રહ્યા છે.
જ્યારે અન્ય કેદીઓ ફેકટરી કે મજૂરી કરી રહ્યા છે.
હું એક એવા કેદીને મળી કે જેઓ યોગના શિક્ષક તરીકે કામ કરે છે. તો અન્ય એક કેદી નજીકની એક શાળામાં નિરિક્ષક તરીકે કામ કરે છે.
અહીં એકમાત્ર નિયમ છે. દરેક કેદીએ સાંજે પોતાની હાજરી નોંધાવવી પડે છે.
અહીંના કેદીઓને સાંગાનેરની જેલ જરા પણ જેલ જેવી લાગતી નથી.
માત્ર સાંજના સમયે સરકારે પસંદ કરેલી એક વ્યક્તિ જેલના પ્રવેશદ્વાર પર ઊભી રહીને કેદીઓની હાજરી લે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












