You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
માંગણીયારોને રસ્તા પર ઊંઘવું પડે તો પણ વતન પાછા નથી જવું
- લેેખક, ફૈસલ મોહમ્મદ અલી
- પદ, બીબીસી સંવાદદાતા, જૈસલમેરથી
તેમનો દાવો છે કે 'સંગીત તેમના લોહીમાં દોડે છે' પણ એ જ સંગીત અમદખાનની હત્યાનું કારણ બન્યું.
માંગણીયારે યજમાનોના અન્યાય વિરૂદ્ધ અવાજ ઉઠાવ્યો તો તેમના દાણાં- પાણી બંધ થઈ ગયા, અને ત્યારથી તેઓ પોતાના ઘર-બાર છોડીને જ્યાંત્યાં ભટકી રહ્યાં છે.
પહેલા નજીક આવેલા ગામ બલાડમાં સંબંધીઓના ઘરે, અને હવે જૈસલમેર કે જ્યાં તેમને થોડા દિવસો માટે આશરો મળ્યો છે.
તમને આ પણ વાંચવું ગમશે
જક્કેખાન કહે છે કે "અમને પંચાયતે કહ્યું કે લાશને દફનાવી દો, અમે તેના માટે પણ તૈયાર થઈ ગયા હતા પરંતુ તેઓ ન્યાય આપવા તૈયાર ન હતા. અમે પોલીસ પાસે ગયા."
'મામલો દબાવવા પ્રયાસ'
માંગણીયાર પંચો પાસે તેમના ભાઈના કથિત હત્યારાઓ, તંત્ર-પૂજા કરવા વાળા ભોપા રમેશ સુથાર અને તેમના સાથીઓને સજા આપવાની માગણી કરી રહ્યાં હતાં.
પણ ગ્રામજનોની વાતથી તેમને લાગ્યું કે મામલાથી છૂટકારો મેળવવા પ્રયાસ થઈ રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમદખાનના પિતરાઈ ભાઈ બરિયામખાને કહ્યું કે અમે વહીવટી તંત્ર પાસે પાસે ગયા તો ગ્રામજનોએ એટલી હદે નારાજગી વ્યક્ત કરી કે કોઈએ અમારા હાથનું પાણી પણ ન પીધું.
આધેડ ઉંમરના હાકિમખાને કહ્યું હતું, "અમારી પાસે શું રસ્તો હતો. અમારી પાસે કંઈ જ ન હતું. અમારી પાસે તો યજમાનોનો આશરો હતો, તેમની જમીન પર રહીએ છીએ, તેમનું જ આપેલું ભોજન લઈએ છીએ."
હાકિમખાન પૂછે છે, "જો ગ્રામજનો અમારા દાણા-પાણી બંધ કરી દેશે તો અમે કેવી રીતે જીવીશું?"
ગુસ્સાથી ભયભીત
માંગણીયારો સંપૂર્ણપણે યજમાનો પર આશ્રિત હોય છે. તેમના ઉત્સવોમાં ઉત્સાહથી ગીત સંગીત વગાડીને તેમના દ્વારા આપેલા ઇનામના સહારે જીવન વિતાવે છે.
હવે તે માંગણીયાર પોતાને ન્યાય ન મળવાને કારણે ગુસ્સે પણ છે અને ગ્રામજનોની નારાજગીથી ડરેલા છે.
મુસ્લિમ ધર્મ સાથે સીધો નાતો ધરાવતા માંગણીયાર પોતાના હિન્દુ યજમાનોને ત્યાં ગીત સંગીત વગાડે છે.
આ સંબંધ પેઢીઓથી ચાલ્યો આવે છે. રૈન બસેરાના મેદાનમાં પથરાયેલી ચટ્ટાઈ પર બેઠેલા અમારી સાથે વાત કરતા કરતા તેઓ વારંવાર મારી સમક્ષ પ્રાર્થના કરતા રહ્યા,
"અમારા વિશે ગામના લોકોને ન જણાવતા"
"પોસ્ટમૉર્ટમના રિપોર્ટનો ઉલ્લેખ ન કરતા."
કેમ કે આ પહેલી વખત નથી કે દાંતલ ગામમાં કોઈ માંગણીયારની હત્યા કરી દેવામાં આવી હોય.
અમદખાનના ભાઈને કોઈ વ્યક્તિ પોતાની સાથે કામ માટે લઈ ગયો હતો અને ત્યારબાદ તેની લાશ મળી આવી હતી.
પરંતુ ત્યારે પણ ગ્રામજનોએ આ મામલે સમાધાન કરાવી દીધું હતું અને માંગણીયાર માની પણ ગયા હતા.
જક્કેખાન દાવો કરે છે કે આ વખતે પહેલા તો સમાજના કેટલાક યુવાનોએ મામલાને ઇન્ટરનેટના માધ્યમથી સોશિઅલ મીડિયા પર ફેલાવી દીધો હતો.
પછી પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી.
શું છે સમગ્ર મામલો?
પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અમદખાનનું મોત માથામાં ઘા લાગવાને કારણે થયું હતું.
પરિવારે અમને તેમના મોત બાદની જે તસવીર બતાવી તેમાં તેમના શરીર પર ઘાના નિશાનીઓ સ્પષ્ટપણે જોવા મળી રહી હતી.
પોલીસના જણાવ્યા પ્રમાણે 27 સપ્ટેમ્બરના રોજ આયોજિત નવરાત્રિના જાગરણના એક કાર્યક્રમમાં ભોપે રમેશે અમદખાન પાસે એક ખાસ રાગની ફરમાઇશ કરી હતી.
પરંતુ અમદખાનના સૂરથી તેઓ ખુશ ન થયા. ત્યારબાદ કથિત રૂપે અમદખાનને એટલો માર મારવામાં આવ્યો કે તેમનું મોત થઈ ગયું.
ઘટનાથી ડરી ગયેલા માંગણીયાર એવી રીતે ગામમાંથી ભાગી ગયા કે પોતાના પાળેલા પ્રાણીઓ ઘોડા અને બકરીને પણ ભગવાન ભરોસે છોડીને ચાલી નીકળ્યાં.
વહીવટી તંત્ર અને પોલીસની સમજાવટ પર તેઓ કહી રહ્યા છે કે 'રસ્તા પર સૂવું પડે અને મજૂરી કરવી પડે તો પણ અમે પરત નહીં ફરીએ.'
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો