ગુજરાતમાં કોરોનાના નવા વૅરિયન્ટનું આગમન, બૂસ્ટર ડોઝ કેટલો જરૂરી?

ઇમેજ સ્રોત, Getty Images
કોરોના વાઇરસના ઑમિક્રોન સ્ટ્રેઇનના પેટાપ્રકાર એવા JN.1ને વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા તેના ઝડપથી વધી રહેલા ફેલાવાને કારણે ‘વૅરિયન્ટ ઑફ ઇન્ટરેસ્ટ’ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યો છે.
JN.1 વૅરિયન્ટના ભારત, ચીન, સિંગાપોર, યુનાઇટેડ કિંગડમ, અમેરિકા સહિતના દેશોમાં કેસો નોંધાયા છે.
ઇન્ડિયન એક્સપ્રેસ અનુસાર,ગુજરાતમાં JN.1ના 13 ઍક્ટિવ કેસ છે.
નિષ્ણાતો કહી રહ્યા છે કે આ વૅરિયન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે પરંતુ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના જણાવ્યા અનુસાર હાલમાં તેનાથી ખતરો નથી. કોરોના વાઇરસ સામેની બધી ઉપલબ્ધ માન્યતાપ્રાપ્ત રસીઓ જ તેનાથી રક્ષણ આપશે.
પરંતુ તેમણે આરોગ્ય નિષ્ણાતોએ પણ કહ્યું છે કે શિયાળામાં કોરોના સહિત અનેક પ્રકારના ચેપમાં વધારો થઈ શકે છે.
વિશ્વના ઘણા દેશોમાં હાલમાં ફ્લૂ, રેસ્પિરેટરી સિનિક્ટિકલ વાઇરસ અને બાળકોમાં ન્યૂમોનિયાના કેસોમાં ઉછાળો જોવા મળ્યો છે.
કેટલો ચેપી છે JN.1 વૅરિયન્ટ?

ઇમેજ સ્રોત, Getty Images
પ્રખ્યાત વાઇરોલૉજિસ્ટ ડૉ. ટી જેકબ જ્હૉને બીબીસીના સહયોગી પત્રકાર ઇમરાન કુરૈશી સાથે વાત કરતા જણાવ્યું કે, "તે બહુ જીવલેણ નથી પણ તે ખૂબ જ ઝડપથી ફેલાય છે. તે 40થી વધુ દેશોમાં ફેલાયો છે."
"અમે ઓમિક્રોન વિશે જાણીએ છીએ અને તેથી તેના વિશે વધુ આશ્ચર્ય નથી. તે છીંકમાંથી નીકળતા કણોથી હવામાં ફેલાય છે. ઓમિક્રૉનના અન્ય સબ-વૅરિયન્ટની સરખામણીમાં આમાં નાક અને ગળામાંથી નીકળતા પ્રવાહીમાં વાઇરલ લોડ વધારે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
JN.1નાં લક્ષણો શું છે?
ડૉક્ટર દિલીપ માવળંકર ભારતીય જાહેર આરોગ્ય સંસ્થા, ગાંધીનગરના ભૂતપૂર્વ નિયામક છે. તેઓ કહે છે, "આ વૅરિયન્ટનાં લક્ષણો કોવિડ જેવાં જ છે, જેમ કે, ઉધરસ, ખાંસી, શરદી, તાવ આવવો વગેરે. આ સિવાય એ જોવા મળ્યું છે કે આ વૅરિયન્ટ પેટના અવવયોને પણ અસર કરે છે, એટલે દર્દીમાં ઝાડા, ઊલટીના કેસો પણ જોવા મળ્યા છે."
JN.1 વૅરિયન્ટ કેટલો ખતરનાક છે?
ડૉક્ટર માવળંકર કહે છે, "આમ તો આ વૅરિયન્ટ હળવો છે એટલે યુવાનોને થાય તો પણ ગંભીરતાની શક્યતા ઓછી છે. પરંતુ જો વૃદ્ધને કે એને જેને બીજી બીમારીઓ પણ છે અને રોગપ્રતિકારક શક્તિ ઓછી છે, તેમને થાય તો તે ગંભીર થવાની શક્યતાઓ વધુ છે."
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ડૉ. ગગનદીપ કાંગ ક્રિશ્ચિયન મેડિકલ કૉલેજ, વેલ્લોરમાં માઇક્રોબાયૉલૉજીનાં પ્રોફેસર હતાં, તેમણે બીબીસીને કહ્યું, “તે ઇન્ફલ્યુએન્ઝા કરતાં વધુ ખતરનાક છે. વૃદ્ધ લોકો અને અન્ય રોગોથી પીડિત લોકોએ આ વિશે ચિંતા કરવી જોઈએ. જો તમને શ્વસન સંબંધી ચેપ વહેલા થાય છે તો તમારે સાવચેત રહેવાની જરૂર છે."
કેવી સાવચેતી રાખવી જોઈએ?
ડૉક્ટર માવળંકર કહે છે કે, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું જોઈએ, એકબીજાથી દૂર રેહવું, માસ્ક પહેરવું, હાથ ધોતા રહેવું અને ઘરડાં લોકો જેમને આસાનીથી ચેપ લાગી શકે છે તેમનાથી દૂર રહેવું. ખાંસી-શરદી હોય તો બહાર જવાનું ટાળવું.
રસી લેવી જોઈએ કે નહીં?
ડૉક્ટર માવળંકર જણાવે છે કે, “હાલમાં સરકાર તરફથી રસી માટે કોઈ સૂચના આવી નથી.”
“અત્યારે ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ સંશોધન કરી રહી છે કે રસીની આ વૅરિયન્ટ ઉપર કેટલી અસર રહેશે. એક વાર એ ખબર પડે પછી તે નિર્ણય લેશે કે નવી રસીની જરૂર છે અથવા આગળ શું કરવું.”
શું બૂસ્ટર ડોઝ લેવો જોઈએ?
બૂસ્ટર ડોઝ લેવો જરૂરી છે કે કેમ તે પ્રશ્ન પર ડૉ. જૉન કહે છે, "તે જરૂરી નથી."
તેઓ કહે છે, “જોકે, અગાઉના ચેપ અથવા રસીકરણને કારણે જેટલી વધુ રોગપ્રતિકારક શક્તિ વિકસિત થઈ છે, તેટલી જ સુરક્ષાની શક્યતાઓ વધુ હશે. સૌથી સારી બાબત એ છે કે સંપૂર્ણપણે સલામત રસીની ચાવી બૂસ્ટર ડોઝ છે.”
બાકીના વિશ્વની જેમ, અહીં પણ JN.1 વૅરિયન્ટને લક્ષ્ય બનાવતી રસી હજી વિકસિત થઈ નથી.
ડૉ. કાંગે અમેરિકામાં વૃદ્ધો અને અન્ય રોગોથી પીડિત લોકો માટે બનાવવામાં આવેલી મોનોવેલેન્ટ રસીનો ઉલ્લેખ કર્યો.
તેઓ કહે છે, “તેઓ જૂના અને નવા સ્ટ્રેઇન સામે લડવા બાઇવૅલેન્ટ રસીઓ બનાવતા હતા. હવે અમેરિકા જૂના સ્ટ્રેઇન વિશે ચિંતિત નથી, કારણ કે જૂનો સ્ટ્રેઇન અસ્તિત્વમાં નથી.”
તેઓ કહે છે, “નોવોવેક્સ રસી જે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા બનાવે છે. મોનોવેલેન્ટ સ્ટ્રેન માટે આ અપડેટેડ રસી છે. આનાથી અમુક હદે રોગપ્રતિકારક શક્તિ પૂરી પાડવામાં આવે તેવી શક્યતા છે.”
ડૉ. ગગનદીપ કાંગ કહે છે, “સામાન્ય રીતે જો તમે સ્વસ્થ હોવ અને રસી લીધી હોય તો પછી પણ તમને ચેપ લાગ્યો હોય તો બીજી રસીનો ફાયદો થશે નહીં. આ રસી માત્ર એવા લોકોને જ લાભ કરશે જેઓ વધુ જોખમી છે. આવા લોકોમાં વૃદ્ધોનો સમાવેશ થાય છે. બૂસ્ટર ડોઝ માત્ર થોડા મહિનાઓ માટે રક્ષણ કરી શકે છે.”
બીમાર થનારામાં 30 ટકા લોકોએ રસી નહીં લેનારા

ઇમેજ સ્રોત, Getty Images
ડૉક્ટર અનીશ તિરુવનંતપુરમ મેડિકલ કૉલેજ હૉસ્પિટલમાં કૉમ્યુનિટી મેડિસિનના ઍસોસિએટ પ્રોફેસર છે.
તેમણે કહ્યું, “કેરળની 70 ટકા વસ્તીને ઓછામાં ઓછી એક વાર રસી આપવામાં આવી છે. જેમણે રસી લીધી નથી તેઓ કુલ વસ્તીના માત્ર ત્રણ ટકા છે. પરંતુ હાલમાં ચેપગ્રસ્ત લોકોમાંથી 30 ટકા લોકો આ ત્રણ ટકામાંથી છે.
તેમણે કહ્યું, “તે સ્પષ્ટ છે કે લોકોએ અગાઉ જે રસી લીધી હતી તે હજુ પણ કામ કરી રહી છે. આઈસીએમઆરના અભ્યાસ મુજબ રસી મૃત્યુને રોકવામાં અસરકારક છે અને જો વધુ બે ડોઝ આપવામાં આવે તો જીવન બચાવી શકાય છે પણ અમારી પાસે પુરાવા નથી કે વધુ ડોઝ રક્ષણ કરશે કે નહીં.”
વાઇરસથી સંક્રમિત લોકોમાં બનેલી એન્ટિબૉડીઝ અકબંધ રહેશે કે કેમ તે પ્રશ્ન પર તેમણે કહ્યું, “એવું છે કે જો તમારી પાસે મુખ્ય દરવાજાની ચાવી હોય પણ ઘરના અન્ય દરવાજાની ચાવી ન હોય. મોટા ભાગના રોગોમાં પણ એવું જ થાય છે. કોવિડ એ એક મહામારી છે. જો તમે રસી લીધી હોય તો પણ વૅરિયન્ટ બચી નીકળવાનો રસ્તો વિકસાવી લે છે. જેએન.1 સાથે પણ આવું થઈ શકે છે. જ્યાં સુધી આપણે જાણીએ છીએ કોવિડ વાઇરસ ઉંમર અને રોગ સાથે અલગ રીતે વર્તે છે.”
સરકાર કેટલી સજ્જ?
ડૉક્ટર માવળંકર જણાવે છે કે, "સરકારે આ વૅરિયન્ટ સામે લડવા માટે જરૂરી તમામ આધારરૂપ વ્યવસ્થા તૈયાર કરી છે. અત્યારે મૉક ડ્રીલ ચાલી રહી છે જેથી ડૉક્ટરો અને અન્ય સહાયક તંત્ર જરૂર પડ્યે લડવા માટે સંપૂર્ણપણે તૈયાર થઈ રહ્યાં છે."
તેઓ વધુમાં સમજાવે છે કે, જેમ જેમ નવા વૅરિયન્ટ આવતા જાય છે તેમ-તેમ તે હળવા થતા જાય છે. પરંતુ એવું જરૂરી નથી કે બધા જ વૅરિયન્ટ હલકા જ રહેશે. 2019 જેવું તરખાટ મચાવનાર વાઇરસ આવવાની શક્યતા હંમેશાં રહેલી છે. પરંતુ આજે તફાવત એ છે કે, સરકાર આવી લડત માટે મજબૂત સ્વાસ્થ્ય સિસ્ટમ સાથે સજ્જ છે."














