ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ, મોદીએ કહ્યું, 'મધર ઑફ ઑલ ડીલ્સ'- ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, ANI
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતવાસીઓને યુરોપિયન યુનિયન સાથે ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ થવા મામલે શુભેચ્છાઓ આપી છે. સાથે જ તેમણે જણાવ્યું કે આનાથી કોને ફાયદો મળશે.
વડા પ્રધાન મોદીએ મંગળવારે ઇન્ડિયા એનર્જી વીક (આઈઈડબલ્યૂ) 2026ના ચોથા સંસ્કરણનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું.
આ દરમ્યાન વડા પ્રધાન મોદીએ કહ્યું કે, "કાલે જ ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે એક બહુ મોટો કરાર થયો છે. દુનિયામાં આની ચર્ચા 'મધર ઑફ ડીલ્સ'ના રૂપમાં થઈ રહી છે."
"આ કરાર ભારતના 140 કરોડ લોકો અને યુરોપિયન યુનિયનના કરોડો લોકો માટે બહુ મોટો અવસર છે. આ દુનિયાનાં બે મોટાં અર્થતંત્રો વચ્ચે તાલમેલનું એક શાનદાર ઉદાહરણ છે."
તેમણે કહ્યું કે, "આ સમજૂતી ગ્લોબલ જીડીપીના લગભગ 25 ટકા અને ગ્લોબલ ટ્રેડના લગભગ એક-તૃતીયાંશ ભાગનું પ્રતિનિધિત્વ કરે છે. આ સમજૂતી ટ્રેડની સાથે-સાથે લોકશાહી અને કાયદાના શાસન પ્રત્યે સંયુક્ત કટિબદ્ધતાને પણ સશક્ત કરે છે."
મોદીએ કહ્યું કે ઈયુ સાથે થયેલા ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ બ્રિટન અને યુરોપિયન મુક્ત વેપાર સંઘ (ઈએપટીએ) સમજૂતીને પણ કૉમ્પ્લિમેન્ટ કરશે.
વડા પ્રધાન મોદીએ કહ્યું કે, "હું ટૅક્સ્ટાઇલ, જેમ્સ ઍન્ડ જ્વેલરી, લેધર ઍન્ડ શૂઝ સેક્ટર્સના સાથીઓને અભિનંદન પાઠવું છું."
ટ્રમ્પે હવે આ દેશ પર ટેરિફ વધારીને 25 ટકા કર્યો

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દક્ષિણ કોરિયાથી આવનારા સામાન પર ટેરિફ વધારીને 25 ટકા કરવાનું એલાન કર્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે આરોપ કર્યો છે કે દક્ષિણ કોરિયા ગત વર્ષે થયેલી વેપાર સમજૂતીને 'યોગ્ય રીતે અમલ'માં નથી મૂકી રહ્યું.
સોશિયલ મીડિયા ટ્રુથ પર એક પોસ્ટમાં ટ્રમ્પે કહ્યું કે કારો, લાકડાનો સામાન, દવા, અને ઉત્પાદનો પર લાગતો ટેરિફ 15 ટકાથી વધારીને 25 ટકા કરી દેવાશે. તેમણે આને 'રેસિપ્રોકલ ટેરિફ' ગણાવ્યો.
જો કોઈ દેશ અમેરિકન સામાન પર વધુ ટેરિફ લાદે છે, તો અમેરિકા પણ એ દેશમાંથી આવતી વસ્તુઓ પર વધુ ટેરિફ લાદશે. આને જ 'રેસિપ્રોકલ ટેરિફ' કહે છે.
ટ્રમ્પનું કહેવું છે કે દક્ષિણ કોરિયાની સંસદે આ સમાધાનને મંજૂરી આપવામાં વિલંબ કર્યો છે, જ્યારે અમેરિકાએ સમાધાન અંતર્ગત પોતાના ટેરિફ ઝડપથી ઘટાડ્યા છે.
તેમજ, દક્ષિણ કોરિયાએ કહ્યું છે કે આ ટેરિફ વધારવાના નિર્ણયની કોઈ આધિકારિક જાણકારી નથી અપાઈ.
સાથે જ દક્ષિણ કોરિયાએ આ મુદ્દે અમેરિકા સાથે તાત્કાલિક વાતચીતની માગ કરી છે.
પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરનો દાવો, આ મામલે બાંગ્લાદેશ દસ દેશો બરોબર

ઇમેજ સ્રોત, Getty Images
પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર મોહમ્મદ યુસુફે બાંગ્લાદેશ અંગે ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ના વલણ પર સવાલ ઉઠાવ્યા છે.
તેમણે કહ્યું કે ન્યૂઝીલૅન્ડ, ઑસ્ટ્રેલિયા, સ્કૉટલૅન્ડ, નેપાળ, નેધરલૅન્ડ્સ, આયર્લૅન્ડ, નામીબિયા, ઝિમ્બાબ્વ, શ્રીલંકા અને અફઘાનિસ્તાન, આ દસ દેશોની સંયુક્ત ક્રિકેટ વ્યૂઅરશિપ કરતાં બાંગ્લાદેશની વ્યૂઅરશિપ વધુ છે.
મોહમ્મદ યુસુફે દાવો કર્યો છે કે આ દસ દેશોની કુલ વ્યૂઅરશિપ '178 મિલિયન' છે, જ્યારે માત્ર બાંગ્લાદેશની વ્યૂઅરશિપ '176 મિલિયન' છે.
તેમણે કહ્યું, "સમગ્ર વિશ્વના દર્શકો પર ટકેલી આ રમત (ક્રિકેટ)માં જો બાંગ્લાદેશની સુરક્ષા સાથે સંકળાયેલી વાજબી ચિંતાઓને નજરઅંદાજ કરાય તો, આવું કરવું એ રમતગમતના મૅનેજમેન્ટ અને તેના નિયમોની નિષ્પક્ષતા સામે ગંભીર સવાલ ઊભા કરે છે."
મોહમ્મદ યુસુફે કહ્યું, "જ્યારે નિર્ણયોમાં સિલેક્ટિવ વલણ અપનાવાયા છે, તો નિષ્પક્ષતા ખતમ થઈ જાય છે. ક્રિકેટને પ્રભાવને આધારે નહીં, બલકે સિદ્ધાંતોને આધારે ચલાવવી જોઈએ."
ગાઝામાં પ્રતિબંધ વિના પ્રવેશ આપવાની વિદેશી પત્રકારોની માગ અંગે ઇઝરાયલી સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

ઇમેજ સ્રોત, Zain JAAFAR / AFP via Getty Images
ઇઝરાયલની સુપ્રીમ કોર્ટે વિદેશી પત્રકારોની એક અપીલની સુનાવણી કરી, જેમાં ગાઝામાં મીડિયાને કોઈ પણ જાતના પ્રતિબંધ વગર પ્રવેશવા દેવાની માગ કરાઈ છે.
હમાસ સાથે સીઝફાયર થયા છતા, ઇઝરાયલી સરકારે આ મહિનાની શરૂઆતમાં સુરક્ષા ખતરાનો હવાલો આપતાં કહ્યું હતું કે ગાઝામાં મીડિયાના પ્રવેશ પરનો પ્રતિબંધ ચાલુ રહેશે.
વિદેશી પ્રેસનું પ્રતિનિધિત્વ કરી રહેલા વકીલે પ્રેસની સ્વતંત્રતા અને જનતાના જાણવાના અધિકારના મહત્ત્વ પર ભાર મૂક્યો.
જોકે, હજુ સુધી આ મામલે કોર્ટનો નિર્ણય ક્યારે આવશે એ સ્પષ્ટ નથી.
વિદેશી પત્રકાર ઇઝરાયલી સૈન્ય સાથે જ ગાઝા જઈ શકે છે, તેમને ગાઝામાં સીમિત અને પ્રતિબંધિત એક્સેસ અપાય છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












