અપહરણ કરાયેલો એ માણસ જે ભોંયરામાંથી 26 વર્ષે જીવતો મળી આવ્યો

    • લેેખક, લુસી ક્લાર્ક- બિલિંગ્સ
    • પદ, બીબીસી ન્યૂઝ

લાપતા થયા પછી એક વ્યક્તિ 26 વર્ષ પછી તેના પાડોશીના ભોંયરામાંથી જીવિત મળી આવી છે.

અલ્જીરિયાના જૅલ્ફામાંથી ઓમર બિન ઓમરાન અલ્જિરિયન સિવિલ વૉર 1990 દરમિયાન લાપતા થઈ ગયો હતો. ત્યારે તેઓ તેમની તરૂણાવસ્થામાં હતા.

45 વર્ષના બિન ઓમરાન તેમના ઘરથી માત્ર 200 મીટર દૂર આવેલી જગ્યાએથી મળી આવ્યા છે.

અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે તેમણે આ સંદર્ભે એક 61 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરી છે. આ વ્યક્તિએ ઓમરાનને કેદી તરીકે રાખ્યા હોય તેવી શંકા છે.

પાડોશીની ધરપકડ

અલ્જિરિયાની સરકાર અને ઇસ્લામવાદી જૂથો વચ્ચે એક દાયકા લાંબા સંઘર્ષના સમયગાળા દરમિયાન બિન ઓમરાન લાપતા થઈ ગયા હતા.

તેમના પરિવારને એવી આશંકા હતી કે તેઓ પણ અશાંતિ દરમિયાન માર્યા ગયેલા અંદાજ બે લાખ લોક અથવા તો અપહૃત થયેલા 20 હજાર લોકોમાં સામેલ હતા.

પરંતુ અહેવાલો અનુસાર તેઓ 12 મેના રોજ ઘાસના ઢગલા નીચે વાડામાંથી મળી આવ્યા હતા.

કોર્ટના એક અધિકારીના જણાવ્યા અનુસાર, સરકારી વકીલની ઑફિસને એક અનામી વ્યક્તિ સામે ફરિયાદ મળી હતી જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે બિન ઓમરાન તેમના એક પાડોશીના ઘરે ઘેટાંના વાડાની અંદર હતા.

તેમણે કહ્યું હતું કે, "આ અહેવાલને પગલે, જનરલ પ્રોસિક્યુટરે નેશનલ જેન્ડરમેરીને ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરવાનો આદેશ આપ્યો અને અધિકારીઓ તપાસ કરવા માટે તેના ઘરે ગયા હતા.”

"12 મેના રોજ સ્થાનિક સમય પ્રમાણે રાત્રે આઠ વાગ્યે 45 વર્ષીય પીડિત ઓમર બિન ઓમરાન તેમના 61 વર્ષીય પાડોશી બીએના ભોંયરામાં મળી આવ્યા હતા."

'જઘન્ય અપરાધ' નો મામલો

અદાલતના અધિકારીએ જણાવ્યું હતું કે આ શંકાસ્પદ વ્યક્તિએ ઘટનાસ્થળેથી ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેને પકડી લેવામાં આવી અને તેની ધરપકડ કરવામાં આવી હતી.

સંબંધિત મંત્રાલયે જણાવ્યું હતું કે તપાસ હજુ પણ ચાલુ છે અને બિન ઓમરાનને તબીબી અને મનોવૈજ્ઞાનિક સારવાર અપાઈ રહી છે.

મંત્રાલયના પ્રવક્તાએ આ અપરાધને ‘જઘન્ય’ ગણાવ્યો છે.

બિન ઓમરાને તેમના બચાવકર્તાઓને કહ્યું હતું કે, તેમણે ઘણીવાર તેમના પરિવારને જોયો હતો. પરંતુ તેમના અપહરણકર્તાએ તેમને એ રીતે બાંધી રાખ્યા હતા કે તેઓ મદદ માટે કોઈની બોલાવી શકે તેમ ન હતા.

2013માં તેમના માતાનું અવસાન થઈ ગયું હતું.