ફિક્સ્ડ ડિપૉઝિટ સિવાય રોકાણના અન્ય રસ્તા કયા છે, એ ચાર વિકલ્પો જે વધુ વળતર આપી શકે

ઇમેજ સ્રોત, Getty Images
ઘણા લોકો નવા વર્ષમાં પોતાનું સ્વાસ્થ્ય જાળવવાનો સંકલ્પ કરે છે તેમ તેઓ નાણાકીય શિસ્તના પાલન અને યોગ્ય રોકાણ કરવાનો વિચાર પણ કરે છે.
ઘણા લોકો ફિક્સ્ડ ડિપૉઝિટ (એફડી) અથવા ટર્મ ડિપૉઝિટને રોકાણનો સલામત વિકલ્પ માને છે. બચત ખાતામાંથી પૈસા ઉપાડીને એફડી કરવાનું વલણ તાજેતરમાં વધી રહ્યું છે.
ભારતીય રિઝર્વ બૅન્કના ડેટા અનુસાર, કુલ બૅન્ક ડિપૉઝિટમાં એફડીનો હિસ્સો બે વર્ષના ઉચ્ચતમ સ્તરે પહોંચીને 62 ટકા સુધી થઈ ગયો છે. પ્રસ્તુત આંકડા 2025ના સપ્ટેમ્બર ત્રિમાસિકના છે.
માર્ચ-2023માં તે હિસ્સો 57 ટકા હતો. સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન બચત ખાતાઓનો હિસ્સો 33 ટકાથી ઘટીને 29 ટકા થઈ ગયો હતો.
એફડીમાં રોકાણ કરવાનું એક કારણ, બચત ખાતાની સરખામણીએ તેનો વધુ વ્યાજ દર છે. મોટાભાગની બૅન્કો બચત ખાતામાં જમા રકમ પર ફક્ત બેથી ત્રણ ટકા વ્યાજ આપે છે, જ્યારે એફડીમાં વ્યાજનો દર છથી આઠ ટકા સુધીનો હોય છે.
વધુ વ્યાજ દર ઉપરાંત એફડીમાં રોકાણ કરવાનું બીજું કારણ સલામતી છે, પરંતુ ઘણી બૅન્કો દ્વારા એફડી પર ચૂકવવામાં આવતું વ્યાજ ફુગાવાના વર્તમાન દર કરતાં પણ ઓછું હોય છે, એ તમે જાણો છો?
એફડીમાં રોકાણ કરીને આપણે ઘણીવાર આપણી બચતનું મૂલ્ય ઘટાડીએ છીએ. લોકો એફડીમાં રોકાણ કરે છે અને માને છે કે તેમને ચોક્કસ સમયગાળા પછી પૈસા એકસાથે મળશે, પરંતુ માર્કેટમાં બીજા ઘણા વિકલ્પો છે, જે વધારે વળતર આપી શકે છે.
બજારમાં યોજનાબદ્ધ રીતે રોકાણ કરવાથી મળતા વળતર અને એફડીમાંથી મળતા વળતર વચ્ચે મોટો તફાવત છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઓછા જોખમ અને ઊંચા વળતરવાળા રોકાણ વિકલ્પો ક્યા છે? આવો જાણીએ.
ઇન્ડેક્સ ફંડ

ઇમેજ સ્રોત, Getty Images
મ્યુચ્યુઅલ ફંડના નાણાનું રોકાણ વિવિધ કંપનીઓના શેરમાં કરવામાં આવે છે તેમ ઇન્ડેક્સ ફંડના નાણું રોકાણ પણ શેરમાં કરવામાં આવે છે. ફરક એટલો છે કે મ્યુચ્યુઅલ ફંડની માફક ઇન્ડેક્સ ફંડ્સમાં ફંડ મૅનેજર હોતા નથી. એટલે કે આ ફંડ્સ દ્વારા કરવામાં આવતું રોકાણ ઑટોમેટેડ રોકાણ હોય છે.
મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા ફંડ મૅનેજરની દેખરેખ હેઠળ રોકાણ કરવામાં આવે છે. તેનો ઉદ્દેશ માર્કેટમાં પ્રવર્તમાન દર કરતાં વધુ વળતર મેળવવાનો હોય છે, પરંતુ ઇન્ડેક્સ ફંડ્સનો ઉદ્દેશ સુસંગત અને સલામત વળતર મેળવવાનો હોય છે.
ચાલો, સેન્સેક્સ-30નું ઉદાહરણ જોઈએ. નીચેના ચાર્ટમાં 30 લિસ્ટેડ કંપનીઓ અને તેમનું વેઇટેજ આપવામાં આવ્યું છે.
આ ચાર્ટમાં રિલાયન્સ માટે 13.36 ટકા વેઇટેજ અને એચડીએફસી માટે 9.65 ટકા વેઇટેજ આપવામાં આવ્યું છે.
તેથી તમે ઇન્ડેક્સ ફંડ્સમાં રોકાણ કરશો ત્યારે તમારી બચતના 13.36 ટકા રિલાયન્સમાં અને 9.65 ટકા એચડીએફસીમાં રોકવામાં આવશે. તેનો અર્થ એ થયો કે તમારા નાણાનું રોકાણ કંપનીઓના વેઇટેજ અનુસાર કરવામાં આવશે.
હવે કોઈ કંપની તેની પોઝિશન છોડશે અને તેનું નામ આ લિસ્ટમાંથી નીકળી જશે ત્યારે એ કંપનીમાંનું તમારું રોકાણ પાછું ખેંચી લેવામાં આવશે અને તેનું રોકાણ સ્થાન ગુમાવનારી કંપનીનું સ્થાન જે કંપનીએ લીધું છે તેમાં કરવામાં આવશે.
સેન્સેક્સ-30 એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ ઇન્ડેક્સ છે. તેથી તેમાં ફક્ત નફો આપતી કંપનીઓને જ સ્થાન મળે છે. સેન્સેક્સ-30માં છેલ્લાં 10 વર્ષમાં 250 ટકાનો વધારો થયો છે. એ કારણે આ ફંડ્સમાં રોકાણ કરતા લોકોની સંખ્યામાં પણ વધારો થયો છે.
ઇન્ડેક્સ ફંડ્સમાં વિવિધ સૂચકાંકો હોય છે. બૅન્કિંગ, આઇટી, ગોલ્ડ અને રિઅલ એસ્ટેટ જેવા પ્રત્યેક સેક્ટર માટે ઇન્ડેક્સ ફંડ માર્કેટમાં ઉપલબ્ધ છે.
ઍક્સચેન્જ ટ્રેડેડ ફંડ

ઇમેજ સ્રોત, Getty Images
ઍક્સચેન્જ ટ્રેડેડ ફંડ પણ ઇન્ડેક્સ ફંડ જેવું જ છે. આ ફંડ દ્વારા તમે વિવિધ કંપનીઓ અને સેક્ટરમાં રોકાણ કરી શકો છો, પરંતુ આ બન્ને ફંડ વચ્ચે થોડો તફાવત છે.
- ઍક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ સિલેક્ટેડ ઇન્ડેક્સની નજીક હોય છે. તેથી આ મુદ્દાના સંદર્ભમાં ઇન્ડેક્સ ફંડ્સ કરતાં ઍક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ બહેતર હોય છે.
- ઇન્ડેક્સ ફંડ્સથી વિપરીત, ઍક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સમાં સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનનો (એસઆઈપી) વિકલ્પ નથી હોતો.
- તમે ઍક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ દ્વારા તમે યુનિટ્સ ખરીદી શકો છો. એટલે કે ઍક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સમાંથી તમારે જેટલાં યુનિટ્સ ખરીદવા હોય તેટલી જ રકમ આપવામાં આવે છે. આ ફંડમાં યુનિટની ન્યૂનતમ કિંમત ઇન્ડેક્સના આધારે નક્કી થાય છે.
- ઇન્ડેક્સ ફંડ્સમાં તમે કોઈપણ રકમનું રોકાણ કરી શકો છો. તમે જે કંપનીના, જેટલા યુનિટ્સ ખરીદવા ઇચ્છતા હોય તેટલા ખરીદીને રોકાણ કરી શકો છો. ઇન્ડેક્સ ફંડ્સના યુનિટની શરૂઆત રૂ. 500થી થાય છે.
- ઇન્ડેક્સ ફંડ્સના યુનિટનું વેચાણ દિવસ દરમિયાન ગમે ત્યારે કરી શકાય છે. અલબત, ઍક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સમાં આવું નથી. તેમાં યુનિટ્સની ખરીદી અને વેચાણ ક્લોઝિંગ ટાઇમે જ કરી શકાય છે.
ડિબેન્ચર મ્યુચ્યુઅલ ફંડ્સ

ઇમેજ સ્રોત, Getty Images
ડિબેન્ચર મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરવા માટે ફંડ મૅનેજરની નિમણૂક કરવામાં આવે છે. એ ફંડ મૅનેજર ફંડના નાણાં વડે વિવિધ બૉન્ડ ખરીદે છે અને તે બૉન્ડ્સ પર મળેલું વ્યાજ તમને વળતર તરીકે આપવામાં આવે છે.
બીજા શબ્દોમાં કહીએ તો આ લોન જેવો વ્યવહાર છે, એવું કહી શકાય. આ ફંડમાં ફંડ મૅનેજરની ભૂમિકા મહત્ત્વપૂર્ણ હોય છે, કારણ કે વિવિધ સેક્ટર્સમાં બૉન્ડનું જે વ્યાજ ચૂકવવામાં આવે છે તેમાં મોટો ફરક હોય છે.
આપણે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ અને ડિબેન્ચર મ્યુચ્યુઅલ ફંડની સરખામણી કરીએ તો તેમાંથી મળતું વળતર ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ કરતાં ઓછું હોય છે. અલબત, જોખમ પણ ઓછું હોય છે. ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં જોખમ વધારે હોય છે. જોકે, ડિબેન્ચર મ્યુચ્યુઅલ ફંડમાંથી મળતું વળતર એફડી કરતાં હંમેશાં વધારે હોય છે.
ગિલ્ટ મ્યુચ્યુઅલ ફંડ

ઇમેજ સ્રોત, Getty Images
ડેબિટ મ્યુચ્યુઅલ ફંડ માટે તુલનાત્મક વિકલ્પ ગિલ્ટ મ્યુચ્યુઅલ ફંડ છે. તેની વિશેષતા એ છે કે તેમાં કરવામાં આવેલું રોકાણ ફક્ત સરકારી બૉન્ડ્સમાં જ કરવામાં આવે છે.
રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકાર આ બૉન્ડ્સ પર નિયમિત વ્યાજ ચૂકવે છે. તેથી આ ફંડમાં જોખમની સંભાવના ખૂબ ઓછી છે.
સેબીના નિયમ અનુસાર, ગિલ્ટ ફંડના પોર્ટફોલિયોમાંના 80 ટકા નાણાંનું રોકાણ સરકારી બૉન્ડમાં કરવું જરૂરી છે. એફડીની સરખામણીએ ગિલ્ટ મ્યુચ્યુઅલ ફંડ્સ પણ સારું વળતર આપે છે.
(સ્પષ્ટતાઃ આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારીના હેતુસર છે, નાણાકીય સલાહ નથી. વાચકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ રોકાણના કોઈ પણ નિર્ણય લેતા પહેલાં પોતાના નાણાકીય સલાહકારની મદદ લે.)
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












