બે વર્ષની કેદ બાદ નિર્દોષ છૂટેલા કાંતિલાલે રૂ. 10 હજાર કરોડનો દાવો કયા કારણે કર્યો?

ઇમેજ સ્રોત, SHURAIH NIYAZI/BBC
- લેેખક, શુરૈહ નિયાઝી
- પદ, બીબીસી હિંદી માટે, ભોપાલથી
મધ્યપ્રદેશના રતલામ જિલ્લા ન્યાયાલય 10 જાન્યુઆરીના રોજ એક એવા મામલાની સુનાવણી કરવા જઈ રહ્યું છે, જેમાં માગવામાં આવેલ વળતરની રકમ અંગે ચર્ચા થઈ રહી છે. વળતર તરીકે મગાયેલ રકમ પણ આશ્ચર્ય જન્માવે તેટલી એટલે કે દસ હજાર છ કરોડ બે લાખ રૂપિયાની છે.
હા, તમે બિલકુલ સાચું વાંચ્યું. દસ હજાર છ કરોડ બે લાખ રૂપિયા.
આ રકમ ગૅંગરેપના એક મામલા માટે મગાઈ છે જેમાં કાંતિલાલસિંહને બે વર્ષ સુધી જેલમાં રહેવું પડ્યું પરંતુ બાદમાં કોર્ટે તેમને તમામ આરોપોથી મુક્ત કર્યા હતા.
પરંતુ કાંતિલાલ માટે આ કેસ ત્યાં જ ખતમ નથી થયો. તેમણે કોર્ટ સમક્ષ અરજી કરી છે કે ‘જેલમાં રહેવાના કારણે તેમને થયેલ નુકસાન માટે તેમને વળતર અપાવાય.’
કાતિલાલે છ કરોડ રૂપિયા તમામ બીજા નુકસાન માટે માગ્યા છે, જ્યારે દસ હજાર કરોડની ભારે રકમ ‘જેલમાં વિતાવેલ 666 દિવસ સુધી શારીરિક સુખથી વંચિત રહેવા બદલે’ મગાઈ છે.
આદિવાસી સમુદાયના કાંતિલાલે કોર્ટમાં પોતાના વકીલ વિજયસિંહ યાદવ મારફતે અરજી દાખલ કરી છે.
વળતર સંબંધિત અરજીઓમાં કોર્ટ ફી પણ ભરવાની હોય છે, પરંતુ ‘વિશેષ જોગવાઈઓ અંતર્ગત’ કાંતિલાલે ફી માફી માટે પણ અરજી કરી છે.


કાંતિલાલે શું કહ્યું?
કાંતિલાલસિંહ ઉર્ફે કાંતુ રતલામથી લગભગ 25 કિલોમિટર દૂર સ્થિત ઘોડાખેડાના રહેવાસી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કાંતુએ જણાવ્યું, “મને આ કેસમાં કારણ વગર ફસાવાયો હતો, હું નિર્દોષ હતો. મારે બે વર્ષ સુધી જેલમાં રહેવું પડ્યું. મારી આખી જિંદગી બદલાઈ ગઈ. મારે ઘણા પ્રકારની યંત્રણાનો સામનો કરવો પડ્યો. મારે તેનું વળતર જોઈએ.”
આગળ કાંતિલાલનું કહેવું છે કે ન માત્ર તેમને, પરંતુ તેમના સમગ્ર પરિવારને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે.
તેઓ જણાવે છે કે, “પરિવાર પાસે ભોજન માટે પણ કશું નહોતું.” તેમની ગેરહાજરીમાં તેઓ ‘બેઘર થઈ ગયા, બાળકોનું ભણતર છૂટી ગયું.’
કાંતિલાલ ધરપકડ પહેલાં મજૂરી કરીને પોતાના પરિવારનું ભરણપોષણ કરતા હતા. તેમનો એવો પણ દાવો છે કે જેલમાંથી છૂટ્યા બાદ પણ તેમને કોઈ કામ આપવા તૈયાર નથી. તેનું કારણે તેમના પર અગાઉ કરાયેલ ‘ગંભીર આરોપ’ છે.
કાંતિલાલના પરિવારમાં તેમનાં માતા અને પત્ની સિવાય ત્રણ બાળકો પણ છે. તેમનાં એક બહેન અને તેમનું બાળક પણ તેમની સાથે જ રહે છે. કાંતિલાલ પ્રમાણે તેમના ભરણપોષણની પણ જવાબદારી તેમના પર જ હતી.

વકીલના આરોપ

ઇમેજ સ્રોત, SHURAIH NIYAZI/BBC
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
દસ હજાર કરોડના વળતરના સવાલ પર કાંતિલાલના વકીલ વિજયસિંહ યાદવે કહ્યું કે માનવજીવનની કોઈ કિંમત નક્કી ન કરી શકાય.
તેમણે કહ્યું, “ખોટા કેસના કારણે વ્યક્તિનું જીવન બરબાદ થઈ જાય છે. તેમના પરિવારે જાતભાતની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પરંતુ કોઈને કંઈ ફેર નથી પડતો. તેથી એ જરૂરી છે કે આવી વ્યક્તિને આ મુશ્કેલી બદલ યોગ્ય વળતર મળે.”
યાદવનો એવો પણ આરોપ છે કે, “જે મહિલાએ કાંતિલાલ પર આરોપ કર્યો હતો, તેમણે પોતાના અધિકારોનો દુરુપયોગ કર્યો.”
તેઓ એ પણ સંદેશ આપવા માગે છે કે ગરીબોના પણ અધિકાર હોય છે અને પોલીસ તેમને જ્યારે ઇચ્છે ત્યારે કારણ વગર ફસાવી ન શકે.
વિજયસિંહ યાદવ કહે છે કે, “બે વર્ષ સુધી જેલમાં રહીને કાંતિલાલ દોષમુક્ત થઈ ગયા પરંતુ તેમના જીવનની જે પીડા છે કે એ અલગ રીતે કહીએ તો એક ગરીબને જેલમાંથી બહાર આવ્યા બાદ જે તકલીફમાંથી પસાર થવું પડે છે તેની પણ લોકોને ખબર પડવી જોઈએ.”
કાંતિલાલ પર ગૅંગરેપનો આરોપ જાન્યુઆરી 2018માં લગાવાયો હતો. આ આરોપ સંપૂર્ણપણે ખોટો હતો.
વકીલ યાદવનું કહેવું છે કે આ મામલામાં જે વાત સામે આવી છે, તેના પરથી ખબર પડી છે કે મહિલાના પતિએ અંગત કારણોને લીધે આરોપ લગાવ્યા હતા. તેમણે જણાવ્યું કે મહિલા છ મહિના સુધી પોતાના ઘરે પાછાં નહોતાં ફર્યાં. પરંતુ આ દરમિયાન તેમના ગુમ થવાની ફરિયાદ પણ નોંધાવાઈ નહોતી.

કઈ બાબતો અંગે મગાયું વળતર?

ઇમેજ સ્રોત, SHURAIH NIYAZI/BBC
કાંતિલાલને કોર્ટે 20 ઑક્ટોબર 2022ના રોજ તમામ આરોપોથી દોષમુક્ત કરી દીધા. આ દરમિયાન તેઓ પૂરા 666 દિવસ જેલમાં રહ્યા.
કાંતિલાલે વકીલ મારફતે જે વળતર માગ્યું છે તેમાં તેમણે અલગ અલગ પરેશાની માટે અલગ અલગ વળતર માગ્યું છે.
- ક્ષતિપૂર્તિની માગ વાળી અરજીમાં એક કરોડ રૂપિયા વ્યવસાયમાં નુકસાન આજીવનમાં ઉત્પાદક વર્ષોની હાનિ માટે માગ્યા છે
- એક કરોડ રૂપિયા પ્રતિષ્ઠામાં નુકસાન માટે મગાયા છે
- એક કરોડ રૂપિયા શારીરિક અને માનસિક પીડા માટે માગ્યા છે
- એક કરોડ રૂપિયા પારિવારિક જીવનના નુકસાન માટે અને એક કરોડ રૂપિયા શિક્ષણ અને કારકિર્દીની પ્રગતિની તકોના નુકસાન માટે મગાયા છે
- આ સિવાય બે લાખ રૂપિયા કોર્ટમાં કેસ લડવા માટે માગ્યા છે
- સૌથી વધુ દસ હજાર કરોડ રૂપિયાનું વળતર ભગવાન પાસેથી માણસને મળેલા ‘શારીરિક સુખના ઉપહાર’થી વંચિત રહેવા બદલ મગાયું છે
વકીલ વિજયસિંહ યાદવે જણાવ્યું, “કાંતિલાલ ઘણા ગરીબ છે અને તેમનો કેસ મફતમાં પોતાની સંસ્થા ‘જય કુલદેવી ફાઉન્ડેશન’ મારફતે લડી રહ્યા છે.”
તેમના વકીલનો આરોપ છે કે આ પ્રકારના મામલા સતત વધી રહ્યા છે, જેમાં પુરુષોને ખોટા આરોપમાં ફસાવી દેવાય છે અને ‘પોલીસ તપાસ વગર કામ કરે છે. જે રોકાવું જઈએ.’
ભોપાલના વરિષ્ઠ વકીલ સિદ્ધાર્થ ગુપ્તાનું કહેવું છે કે પોલીસવિભાગમાં ‘લૉ ઍન્ડ ઑર્ડર વિંગ અને વિવેચના વિંગ અલગ અલગ હોય એ જરૂરિયાત છે.’
પ્રકાશસિંહ વિરુદ્ધ યુનિયન ઑફ ઇન્ડિયા મામલામાં 11 જાન્યુઆરી 2007ના એક નિર્ણયમાં કોર્ટે એ માન્યું છે કે, ‘ઉપરોક્ત બંને વિંગ અલગ-અલગ હોવી જોઈએ જેથી લોકોને આવા મામલામાં જેલમાં સબડવું ન પડે.’
સિદ્ધાર્થ ગુપ્તાએ આગળ કહ્યું, “આવું થતું નથી તેથી નિર્દોષ લોકોને જેલમાં રહેવું પડ્યું હોય એવા મામલા સામે આવે છે.”
ગુપ્તા અનુસાર, મધ્યપ્રદેશમાં 2012માં ગ્વાલિયર અને ભોપાલમાં આ માળખું પાઇલટ પ્રોજેક્ટ તરીકે લાગુ કરાયું હતું પરંતુ તે બાદ કંઈ ન થયું.
આ મામલે પોલીસ અધિકારીઓએ કોઈ પણ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.














