સર્વાઇકલ કૅન્સર : દર્દીઓ માટે વરદાનરૂપ સાબિત થઈ શકે છે આ નવી શોધ

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, અનઘા પાઠક
- પદ, બીબીસી સંવાદદાતા
દિલ્હીસ્થિત ઑલ ઇન્ડિયા મેડિકલ ઇન્સ્ટિટ્યૂટના તબીબોએ સર્વાઇકલ કૅન્સરના દર્દીઓ માટે નવીન પ્રકારના બ્લડ ટેસ્ટની શોધ કરી છે, જેની મદદથી તેમની ઉપર સારવારની અસર થઈ રહી છે કે નહીં, તે બાબત જાણી શકાય છે.
હાલમાં સર્વાઇકલ કૅન્સરની સારવારના મૉનિટરિંગ માટે પરંપરાગત રીતે ટિસ્યૂ બાયૉપ્સી કરવામાં આવે છે. આ ટેસ્ટ મોંઘો અને પીડાદાયક હોય છે.

ઍઇમ્સના તબીબોના રિસર્ચ પેપર પ્રમાણે, આ ટેસ્ટમાં બ્લડ સૅમ્પલ મારફત ટ્યૂમરના કોષોનું વિશ્લેષણ કરવામાં આવે છે.
આ એવી પ્રક્રિયા છે, જે આ બીમારી વિશે શરૂઆતથી જ માહિતી આપવામાં મદદગાર નીવડે છે.
રિસર્ચના ક્લિનિકલ ટ્રાયલનાં તારણોને નેચર ગ્રૂપના જર્નલ 'સાઇન્ટિફિક રિસર્ચ'માં પ્રકાશિત કરવામાં આવ્યાં છે.

સર્વાઇકલ કૅન્સર સર્વિક્સમાં થાય છે, જે ગર્ભાશયને વજાઇના સાથે જોડે છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના અહેવાલ મુજબ, મહિલાઓમાં સામાન્ય રીતે જે પ્રકારનાં કૅન્સર જોવાં મળે છે, તેમાંથી આ ચોથા ક્રમે જોવા મળતું કૅન્સર છે.
ભારતીય મહિલાઓમાં તે બીજા ક્રમે સૌથી વધુ જોવા મળતું કૅન્સર છે. વર્ષ 2022માં સર્વાઇકલ કૅન્સરના દર્દીઓના મામલે ભારત દુનિયાભરમાં બીજા ક્રમે હતું.
સર્વાઇકલ કૅન્સરને થતું અટકાવવા માટે વૅક્સિન ઉપલબ્ધ છે, પરંતુ તે ભારતીય મહિલાઓમાં મૃત્યુ માટેનું મોટું કારણ છે. ભારતમાં દર આઠ મિનિટે સર્વાઇકલ કૅન્સરને કારણે એક વ્યક્તિનું મોત થાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડૉ. મયંકસિંહ આનું કારણ સમજાવતા કહે છે, "ભારતમાં હજુ પણ બહુ થોડાં મહિલાઓને સર્વાઇકલ કૅન્સરની રસી મૂકવામાં આવે છે. એટલે જ સર્વાઇકલ કૅન્સર તથા તેના મૃત્યુદરની બાબતમાં ભારત સૌથી આગળ છે."
ડૉ. મયંકસિંહ કહે છે, "ભારતમાં સર્વાઇકલ કૅન્સરની વૅક્સિન ખૂબ જ સસ્તી છે. એટલે મરીજોને પ્રારંભિક તબક્કામાં તેની જાણ થાય છે, તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે, ભારતમાં સામાન્ય રીતે જ્યારે આ બીમારી ખૂબ જ વકરી જાય, ત્યારે જ લોકો સારવાર લેવા માટે પહોંચતાં હોય છે."

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ સંશોધનનું મહત્ત્વપૂર્ણ તારણ સર્વાઇકલ કૅન્સરના દર્દીઓમાં હ્યુમન પેપિલોમા વાઇરસના (એચપીવી) ડીએનએ લેવલ સાથે જોડાયેલો છે. એચપીવી એવો વાઇરસ છે, જે આ બીમારી માટે કારણભૂત હોય છે.
ડબલ્યૂએચઓના જણાવ્યા મુજબ, સર્વાઇકલ કૅન્સરના 99 ટકા કેસ એચપીવી વાઇરસ સંબંધિત હોય છે. જે જાતીય સંબંધ દરમિયાન મહિલાના શરીરમાં પ્રવેશે છે.
એચવીપીને કારણે વ્યાપક ચેપનાં લક્ષણ જોવાં નથી મળતાં, પરંતુ જ્યારે કોઈ વ્યક્તિને વારંવાર આ વાઇરસનો ચેપ લાગે ત્યારે તે સર્વાઇકલ કૅન્સરનું સ્વરૂપ ધારણ કરે છે.
આ રિસર્ચ સ્ટડીમાં એઇમ્સના તબીબોએ સર્વાઇકલ કૅન્સરના 60 એવા દર્દીઓના લોહીના નમૂના લેવામાં આવ્યા હતા, જેમણે સારવાર શરૂ કરાવડાવી હતી. આ સિવાય 10 સ્વસ્થ મહિલાના લોહીના નમૂના પણ લેવામાં આવ્યા, જેમને કંટ્રોલ ગ્રૂપમાં રાખવામાં આવ્યા.
અભ્યાસમાં માલૂમ પડ્યું કે ઈલાજના ત્રણ મહિના બાદ કૅન્સરના દર્દીઓમાં વાઇરલ ડીએનએની સઘનતાનું સ્તર ઘટીને લગભગ સ્વસ્થ મહિલાઓનાં સ્તર જેટલું થઈ ગયું હતું.
ડૉ. સિંહ કહે છે, "આ અભ્યાસનાં તારણો મહત્ત્વપૂર્ણ છે, કારણ કે સર્વાઇકલ કૅન્સરમાં કોઈ વિશેષ પ્રકારના ઍન્ટિજેન માર્કર હોતા નથી. આથી, ઈલાજ કારગત થઈ રહ્યો છે તેના વિશે માહિતી મળતી નથી. ટ્યૂમરમાં સુધાર થઈ રહ્યો છે કે નહીં, તેના વિશે પણ માહિતી મળતી નથી."
તેઓ કહે છે, "એટલે દર વખતે દર્દીની પરંપરાગત બાયૉપ્સી કરવી પડે છે અને દરેક વખતે તેણે હૉસ્પિટલમાં દાખલ થવું પડે છે. ટ્યૂમરનો નમૂનો લઈને તેની તપાસ કરવી પડે છે. તેમાં સમય લાગે છે. તે મોંઘી છે તથા પેશન્ટને ખૂબ દર્દ પણ થાય છે."
ડૉ. મયંકસિંહના કહેવા પ્રમાણે, નવી તપાસ પદ્ધતિને 'લિક્વિડ બાયૉપ્સી' એવું નામ આપવામાં આવ્યું છે. આ ટેસ્ટ માટે લગભગ રૂ. બે હજાર 500 જેટલો ખર્ચ થશે. નવા પ્રકારના ટેસ્ટને કારણે દર્દીને પ્રમાણમાં ઓછું દરદ થશે, કારણ કે તેનું માત્ર પાંચ મિલી લોહી લેવામાં આવશે.

આ અભ્યાસ સાથે જોડાયેલા તબીબોનું કહેવું છે કે સર્વાઇકલ કૅન્સરના મૉનિટરિંગમાં બ્લડ ટેસ્ટ ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થશે. જોકે, ડૉ. સિંહનું કહેવું છે કે આ પ્રકારની તપાસ માટે ડાયગ્નૉસ્ટિક સુવિધાઓની જરૂર રહે છે, જે ભારતના ગ્રામીણ વિસ્તારોનાં હેલ્થ સેન્ટરોમાં ઉપલબ્ધ નથી હોતી.
ડૉ. મયંકસિંહ કહે છે, "એક વખત કોઈ ટેકનોલૉજીનો વ્યાપ વધે, એટલે તેની પહોંચ પણ સુગમ બને છે."
એઇમ્સના તબીબો સંશોધનના આગામી તબક્કામાં આ ટેસ્ટને વધુ સચોટ બનાવવા ઉપર ધ્યાન આપશે. આ માટે તેઓ સર્વાઇકલ કૅન્સર માટે કારણભૂત વાઇરસ ઉપરાંત તેના મ્યૂટેશનને પણ સામેલ કરવામાં આવશે.
ડૉ. સિંહે બીબીસીને જણાવ્યું કે એઇમ્સમાં બ્લડ ટેસ્ટ શરૂ કરતાં પહેલાં દર્દીઓના વધુ એક સમૂહ ઉપર તેના ક્લિનિકલ પરીક્ષણની જરૂર પડશે.
તેમણે કહ્યું, "દુનિયાભરમાં સર્વાઇકલ કૅન્સર સંબંધિત ત્રણ અલગ-અલગ શોધપત્ર પ્રકાશિત થયા છે. અમે તેમનાં પરિણામ પણ જોયાં છે. એટલે અમને આ ટેસ્ટમાં સંભાવનાઓ દેખાઈ રહી છે."

અનેક અભ્યાસો મુજબ, વૅક્સિન લેવાથી એચપીવી વાઇરસના ચેપને 10 વર્ષ સુધી અટકાવી શકાય છે. જોકે કેટલાક નિષ્ણાતોનું કહેવું છે કે તેની અસર વધુ સમય સુધી પણ રહે છે.
બાળકીઓ જાતીય બાબતમાં સક્રિય થાય, તે પહેલાં જ તેની રસી અપાવવી જરૂરી હોય છે, કારણ કે આ વૅક્સિનની મદદથી ચેપને ફેલાતો અટકાવી શકાય છે, તે વાઇરસથી મુક્તિ નથી અપાવી શકતી.
ડબલ્યૂએચઓના જણાવ્યા પ્રમાણે, એચપીવીનો ચેપ સર્વાઇકલ કૅન્સરનું સ્વરૂપ ધારણ કરે છે, પરંતુ હજુ પણ તે બીમારીનું એવું સ્વરૂપ છે કે જેનો ઈલાજ સૌથી વધુ શક્ય છે. ઍડ્વાન્સ સ્ટેજમાં પણ આ કૅન્સર વિશે જાણ થાય તો પણ યોગ્ય સારવાર અને દેખભાળ દ્વારા તેને નિયંત્રિત કરી શકાય છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે યુનિવર્સલ ઇમ્યૂનાઇઝેશન પ્રોગ્રામ હેઠળ સર્વાઇકલ કૅન્સરની વૅક્સિનને પણ સામેલ કરવા માટે તજવીજ હાથ ધરી છે. આ કાર્યક્રમ હેઠળ બાળકોને મફતમાં રસી આપવામાં આવે છે.
ભારત સરકારે સપ્ટેમ્બર-2022માં એચપીવીની વૅક્સિન સર્વાવૅક લૉન્ચ કરી હતી, જેને ભારતમાં જ વિકસાવાઈ છે.
એ પછી એ જ વર્ષે ભારત સરકારે તમામ રાજ્ય સરકારોને પત્ર લખીને જણાવ્યું હતું કે નવથી લઈને 14 વર્ષની કિશોરીઓને શાળાઓ તથા હેલ્થકેર સેન્ટર મારફત આ રસી આપવામાં આવે.
તબીબો 9થી લઈને 14 વર્ષના કિશોરોને પણ આ વૅક્સિન આપવા પર ભાર મૂકે છે, જેથી કરીને એચપીવીથી તેમનો બચાવ થઈ શકે અને વાઇરસને ફેલાતો અટકાવી શકાય.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












