‘ગુજરાત સરકારે સત્તાનો દુરુપયોગ કર્યો’, બિલકીસબાનો કેસમાં સુપ્રીમ કોર્ટે શું કહ્યું?

ઇમેજ સ્રોત, GETTY IMAGES
સુપ્રીમ કોર્ટે બિલકીસબાનો સાથે બળાત્કાર અને તેમના પરિવારજનોની હત્યાના 11 દોષિતોની સજામાફી આપીને છોડી મૂકવાના ગુજરાત સરકારના નિર્ણયને રદ કરી દીધો છે. ગુજરાત સરકારે વર્ષ 2022માં આ દોષિતોને સજામાંથી મુક્તિ આપીને છોડી મૂક્યા હતા.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે ગુજરાત સરકાર પાસે સજામાં મુક્તિ આપવાનો અને આ મામલામાં કોઈ નિર્ણય લેવાનો અધિકાર નહોતો. સુપ્રીમ કોર્ટે આ મામલે મહારાષ્ટ્ર સરકારને યોગ્ય ગણાવી.
જસ્ટિસ બી. વી. નાગરત્ના અને ઉજ્જલ ભુયને કહ્યું કે મે 2022માં ગુજરાત સરકારે દોષિતોને સજામાં મુક્તિ આપીને તથ્યોની ઉપેક્ષા કરી હતી. તમામ દોષિતોને બે અઠવાડિયાંમાં જ જેલતંત્ર સમક્ષ હાજર થવા કહેવાયું છે.
ગુજરાતમાં 2002માં થયેલાં રમખાણોમાં બિલકીસબાનો સાથે ગૅંગરેપ અને તેમના પરિવારના સાત સભ્યોની હત્યાના દોષિતોની મુક્તિના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારાયો હતો.
આ અરજી પર સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે જસ્ટિસ બી. વી. નાગારત્ના અને જસ્ટિસ ઉજ્જલ ભુયનની પીઠે ગત વર્ષે 12 ઑક્ટોબરના રોજ નિર્ણય અનામત રાખ્યો હતો.
ગુજરાત સરકારે વર્ષ 2022માં સ્વતંત્રતા દિન નિમિત્તે આજીવન કેદની સજા કાપી રહેલા તમામ 11 દોષિતોને છોડી મૂક્યા હતા. જે બાદ સમગ્ર દેશમાં વ્યાપક વિવાદ થયો હતો.
સુપ્રીમ કોર્ટે શું કહ્યું?

ઇમેજ સ્રોત, ANI
બિલકીસબાનોના દોષિતોની સજામાફીનો નિર્ણય રદ કરતાં સુપ્રીમ કોર્ટની બેન્ચે સજામાફીના નિર્ણય માટે ગુજરાત સરકારની યોગ્યતા અંગે પોતાના નિર્ણયમાં કહ્યું કે, “ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 432ના ઉદ્દેશ પ્રમાણે સજામાફીનો નિર્ણયનો અધિકાર એ સરકાર પાસે હોય છે જ્યાં કેસ ચાલ્યો હોય અને સજા થઈ હોય. અહીં ભાર જ્યાં ગુનો બન્યો હોય કે જ્યાં ગુનેગારો સજા કાપી રહ્યા હોય એ સ્થળ પર નથી મૂકાયો.”
જસ્ટિસ નાગરત્નાએ નિર્ણયમાં કહ્યું કે, “આ જોગવાઈમાં જે રાજ્યમાં કેસ ટ્રાન્સફર કરાયો હોય એ પણ સામેલ છે. માત્ર આ આધાર પર જ સજામાફીનો હુકમ રદ કરવાને પાત્ર છે. આ નિર્ણય કરવા માટે ગુજરાત સરકારની યોગ્યતા આ મામલામાં ખૂબ મહત્ત્વપૂર્ણ છે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
“પરંતુ અહીં જ આ સમગ્ર મુદ્દાનો અંત થતો નથી. ગુજરાત સરકારે વર્ષ 2022ના સુપ્રીમ કોર્ટના આદેશ સંદર્ભે સજામાફીની અરજી પર વિચાર કરવાનો જ હતો. જોકે, સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય જે અરજી સંદર્ભે આવ્યો હતો, તેમાં ઘણા મહત્ત્વના મુદ્દા છુપાવાયા હતા. દોષિત રાધેશ્યામ શાહની રિટ અરજીમાં બૉમ્બે હાઈકોર્ટનો અગાઉનો નિર્ણય, મુખ્ય જજનો મત સામેલ નહોતો કરાયો. તેમજ અરજીમાં ગેરમાર્ગે દોરનારાં નિવેદનો કરાયાં હતાં. તેથી આ નિર્ણય રદબાતલ છે.”
સજામાફીનો આ નિર્ણય કાયદેસર હતો કે કેમ એ પ્રશ્ન અંગે સ્પષ્ટતા કરતાં જસ્ટિસ નાગરત્નાએ કહ્યું કે, “આ બાબતમાં ગુજરાત સરકારે તેની પાસે નહોતી એ સત્તાનો ઉપયોગ કરી સત્તાનો દુરુપયોગ કર્યો છે. આ એક એવો ક્લાસિક કેસ હતો જેમાં સુપ્રીમ કોર્ટનો નિર્ણય સજામાફીના નિર્ણય થકી કાયદાના શાસનનું ઉલ્લંઘન કર્યું છે. આ બાબતને લઈને પણ સજામાફીનો નિર્ણય રદ થવાને પાત્ર હતો.”
દોષિતોને અપાઈ સજામાફી

ઇમેજ સ્રોત, ANI
ગુજરાત સરકારની માફી નીતિ અંતર્ગત 15 ઑગસ્ટ 2022ના રોજ જસવંત નાઈ, ગોવિંદ નાઈ, શૈલેશ ભટ્ટ, રાધેશ્યામ શાહ, વિપિનચંદ્ર જોશી, કેશરભાઈ વોહાણિયા, પ્રદીપ મોરઢિયા, બકાભાઈ વોહાણિયા, રાજુભાઈ સોની, મિતેશ ભટ્ટ અને રમેશ ચંદાનાને છોડી મૂકાયા હતા.
મુંબઈમાં સીબીઆઈની એક ખાસ અદાલતે બિલકીસબાનો સાથે ગૅંગરેપ અને તેમના પરિવારના સાત સભ્યોની હત્યાના આરોપમાં વર્ષ 2008માં 11 દોષિતોને જનમટીપની સજા સંભળાવી હતી. બૉમ્બે હાઈકોર્ટે પણ આ સજા પર મહોર મારી હતી.
આ મામલામાં તમામ દોષિતો 15 વર્ષ કરતાં વધુ સમય સુધી સજા કાપી ચૂક્યા હતા. આ આધારે દોષિતો પૈકી એક રાધેશ્યામ શાહે સજામાં રાહતની અરજી કરી હતી.
દોષિતોની મુક્તિ બાદ ગુજરાત સરકારના અધિક મુખ્ય સચિવ (ગૃહ) રાજકુમારે જણાવ્યું હતું કે જેલમાં “14 વર્ષ પૂરાં થવાં” અને બીજાં કારણો જેમ કે, “ઉંમર, ગુનાની પ્રકૃતિ, જેલમાં વ્યવહાર વગેરે” આધારે સજામાં છૂટની અરજી પર વિચાર કરાયો.
જનમટીપની કેટલાં વર્ષની હોય?

ઇમેજ સ્રોત, HINDUSTAN TIMES
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
હકીકતમાં જનમટીપની સજા મળી હોય તેવા કેદીને ઓછામાં ઓછાં 14 વર્ષ જેલમાં વીતાવવાં પડે છે. 14 વર્ષ બાદ તેમની ફાઇલને ફરી એકવાર રીવ્યૂ કરવામાં આવે છે. ઉંમર, અપરાધની પ્રકૃતિ, જેલમાં વ્યવહાર વગેરે પરિબળોને આધારે તેમની સજા ઘટાડી શકાય છે.
જો સરકારને એવું લાગે કે કેદીએ તેના ગુના પ્રમાણેની સજા ભોગવી લીધી છે તો તેને છોડી પણ શકાય છે. ઘણી વાર કેદીને ગંભીર બીમાર હોવાના આધાર પર પણ છોડી મૂકવામાં આવે છે. પરંતુ તે ફરજિયાત નથી.
ઘણી વાર સજાને આજીવન ચાલુ રાખવામાં આવે છે. આ જોગવાઈ હેઠળ સામાન્ય રીતે નાના ગુનાના આરોપમાં બંધ કેદીઓને છોડવામાં આવે છે. સંગીન અપરાધોના ગુનેગારોને સામાન્ય રીતે છોડવામાં આવતા નથી.
નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને ગત વર્ષે આ મામલે સજામાફી અંગે વિચારણા કરવા કહ્યું હતું અને સરકારે એક કમિટીની રચના કરી હતી. પંચમહાલના કલેક્ટર સુજલ માયાત્રા આ પૅનલના અધ્યક્ષ હતા.
માયાત્રાએ જ જણાવ્યું હતું કે કેદીઓને માફી આપવાની માગ પર વિચાર કરવા માટે બનેલી સમિતિએ સર્વસંમતિથી તેમને છોડી મૂક્યા. રાજ્ય સરકારને ભલામણ મોકલાઈ અને તે બાદ દોષિતોની મુક્તિ માટેના આદેશ મળ્યા.
ગુજરાત સરકારના આ નિર્ણયની ટીકા થઈ હતી. કેટલાંક રાજકીય દળો, સામાજિક કાર્યકર્તા અને પત્રકારોએ આ નિર્ણય પર સવાલ ઉઠાવ્યા હતા.
શું હતો સમગ્ર મામલો?

ઇમેજ સ્રોત, GETTY IMAGES
2002નાં ગુજરાત રમખાણો દરમિયાન અમદાવાદ નજીકના રણધિકપુર ગામમાં ટોળાએ પાંચ મહિનાનાં ગર્ભવતી બિલકીસબાનો પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો.
તેમની ત્રણ વર્ષની પુત્રી સાલેહાની પણ નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી.
એ વખતે બિલકીસની ઉંમર લગભગ 20 વર્ષની હતી.
બળાત્કાર ગુજારાયા બાદ અધમૂઈ હાલતમાં છોડી દેવાયેલાં બિલકીસ જેમતેમ કરીને નજીકની ટેકરી પર પહોંચ્યાં હતાં અને પોતાનો જીવ બચાવ્યો હતો.
આ ઘટના બાદ કેટલાક પોલીસકર્મીઓ દ્વારા બિલકીસને ડરાવવા તેમજ પુરાવાને નષ્ટ કરવાના પણ પ્રયાસ કરાયા હતા.
તેમના પરિવારજનોના મૃતદેહો પોસ્ટમૉર્ટમ કરાયા વગર દફનાવી દેવાયા હતા.
બિલકીસની તપાસ કરનારા તબીબે તેમનો બળાત્કાર ન થયો હોવાનું જણાવ્યું હતું અને આ મામલે બિલકીસને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળી હતી.
આમ છતાં બિલકીસની લડાઈ ચાલુ રહી હતી અને તેમણે હુમલાખોરોને ઓળખી કાઢ્યા હતા.
સુપ્રીમ કોર્ટે આ મામલો સીબીઆઇને સોંપ્યા બાદ 2004માં કેસમાં પ્રથમ ધરપકડ કરાઈ હતી.
રાષ્ટ્રીય માનવાધિકાર આયોગની મદદથી બિલકીસનો કેસ મહારાષ્ટ્રમાં ટ્રાન્સફર કરાયો હતો અને આરોપીઓને સજા સંભળાવાઈ હતી.
ગુજરાતની અદાલતો ન્યાય આપી શકશે નહીં એવી બિલકીસની અરજી એ વખતે સુપ્રીમ કોર્ટે માન્ય રાખી હતી.
ન્યાય માટેની 17 વર્ષની લડાઈમાં બિલકીસ અને તેમના પતિ યાકુબ રસૂલને પાંચ સંતાનો સાથે દસ ઘર બદલવાં પડ્યાં હતાં.
2017માં બીબીસીનાં ગીતા પાંડે સાથેની વાતચીતમાં બિલકીસે કહ્યું હતું, "પોલીસ અને તંત્રે હંમેશાં હુમલાખોરોનો સાથ આપ્યો છે. ગુજરાતમાં પણ અમે અમારું મોં ઢાંકીને રહીએ છીએ. અમે કોઈને પણ અમારું સરનામું આપતાં નથી."
આજે બિલકીસનાં બાળકોમાં મોટી પુત્રી હાજરા, બીજી પુત્રી ફાતિમા અને પુત્ર યાસીન તેમજ નાની પુત્રી સાલેહાનો સમાવેશ થાય છે.
આંખોની સામે હત્યા કરી દેવાયેલી પોતાની પુત્રીના નામ પરથી બિલકીસે સૌથી નાની પુત્રીનું નામ સાલેહા રાખ્યું છે.
સમાચાર સંસ્થા પીટીઆઈ અનુસાર 21 જાન્યુઆરી 2008ના મુંબઈની વિશેષ સીબીઆઈ અદાલતે ગૅંગરેપ અને બિલકીસબાનોના સાત પરિવારજનોની હત્યાના આરોપમાં 11 લોકોને દોષિત ઠેરવ્યા હતા અને તેમને આજીવન કારાવાસની સજા સંભળાવવામાં આવી હતી. બૉમ્બે હાઈકોર્ટે સજાને યથાવત્ રાખી હતી.
સુપ્રીમ કોર્ટે વળતર ચૂકવવાનો આદેશ કર્યો
અગાઉ એપ્રિલ 2019માં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને બિલકીસબાનોને વળતર પેટે રૂ. 50 લાખ ચૂકવવાનો આદેશ આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપક ગુપ્તાની ખંડપીઠે આ વચગાળાનો નિર્દેશ આપ્યો હતો
કોર્ટે બિલકીસબાનોને સરકારી નોકરી અને નિયમાનુસાર તેમના માટે રહેઠાણની વ્યવસ્થા કરવા પણ સૂચન કર્યું હતું.
બિલકીસે કહ્યું હતું કે આ ચુકાદાથી મહિલા અને નાગરિક તરીકેની તેમની ગરિમા પુનઃસ્થાપિત થઈ હતી.
ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટને સૂચિત કર્યું હતું કે દોષિત અધિકારીઓ કે જેમણે 'બિલકીસ સામૂહિક બળાત્કાર મામલે' પુરાવા સાથે ચેડાં કરવાનો પ્રયાસ કર્યો હતો, એમાંથી ઘણાના પેન્શનના લાભ પરત લઈ લેવાયા છે.














