વડા પ્રધાન મોદીએ લીલી ઝંડી આપી એ 'ગંગાવિલાસ'માં શું છે ખાસ?

ગંગાવિલાસ

ઇમેજ સ્રોત, PIB

આજે 13 જાન્યુઆરીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી વિશ્વના સૌથી લાંબા કૂઝ 'ગંગાવિલાસ'ને લીલી ઝંડી આપી છે.

ગંગાવિલાસ ક્રૂઝ વારાણસીના રવિદાસઘાટથી રવાના થશે અને બિહાર-બંગાળના રસ્તે બાંગ્લાદેશ થઈને આસામના દિબ્રુગઢ પહોંચશે.

આ આખી યાત્રા કુલ 51 દિવસની રહેશે.

આ યાત્રી જહાજ ભારત અને બાંગ્લાદેશની 27 રિવર સિસ્ટમ અને સાત નદીઓ- ગંગા, ભાગીરથી, મેઘના, હુગલી, જમુના, પદ્મા અને બ્રહ્મપુત્રાથી પસાર થશે. આ યાત્રામાં 50 પર્યટનસ્થળને સાંકળી લેવાશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું કહેવું છે કે ગંગાવિલાસ આપણાં સાંસ્કૃતિક મૂળ સાથે જોડવાનો અને ભારતની વિવિધતાનાં ખૂબસૂરત પાસાંની ખોજ કરવાનો એક અનોખો અવસર આપે છે.

ક્રૂઝની યાત્રા શરૂ થતા પહેલા બિહારમાં તેનો વિરોધ થવા લાગ્યો છે.

બિહારમાં સત્તાધારી જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ લલનસિંહે આરોપ લગાવ્યો કે ગંગાવિલાસ ક્રૂઝ ચલાવવું એ લોકોના પૈસાની લૂંટ છે.

જોકે કેન્દ્ર સરકારે ગંગાવિલાસ ક્રૂઝનો જોરશોરથી પ્રચાર કરી રહી છે અને વિશ્વસ્તરીય સુવિધાનો દાવો કરી રહી છે.

બીબીસી

ક્રૂઝની વિશેષતા શું છે?

ગંગાવિલાસ

અગાઉ 11 જાન્યુઆરીએ 56 કલાકની યાત્રા બાદ ઉત્તરપ્રદેશના બલિયાથી આ ક્રૂઝ વારાણસી પહોંચ્યું હતું.

આ ક્રૂઝ ભારતના આર્ટ હિસ્ટોરિયન ડૉ. અન્નપૂર્ણા ગર્રીમાલાએ ડિઝાઇન કર્યું છે.

આ વિશેષ ક્રૂઝ કોલકાતા પાસે એક શિપયાર્ડમાં તૈયાર થયેલું છે. ક્રૂઝ 2020માં તૈયાર થઈ ગયું હતું, પણ કોરોનાને લીધે ઉદઘાટન થયું નહોતું.

આ ક્રૂઝમાં તમામ સુખસુવિધા રાખવામાં આવી છે.

62.5 મીટર લાંબા, 12.8 મીટર પહોળા અને 1.35 મીટર ઊંડા આ ત્રણ માળના ક્રૂઝમાં કુલ 18 સૂટ એટલે કે લક્ઝરી રૂમ છે.

રૂમમાં કનવર્ટિબલ બેડ, ફ્રેન્ચ બાલકની, ઍર કંડીશનર, સોફા, એલઈડી ટીવી, સ્મોક એલારામ, અટેચ બાથરૂમ જેવી તમામ સુવિધા છે.

ક્રૂઝ પર જીમ, સ્પા, આઉટડોર ઑબ્ઝર્વેશન ડેટ, નીજી બટલર સેવા અને યાત્રાળુ માટે વિશેષ સંગીત, સાંસ્કૃતિક કાર્યક્રમની સુવિધા છે.

ક્રૂઝનું ઇન્ટિરિયર દેશની સંસ્કૃતિ અને હેરિટેજને ધ્યાનમાં રાખવીને ડિઝાઇન કરાયું છે.

બીબીસી
ગંગાવિલાસ

13 જાન્યુઆરી વારાણસીથી રવાના થઈને 51 દિવસ બાદ આ ક્રૂઝ પહેલી માર્ચે આસામના દિબ્રુગઢ પહોંચશે.

આ ભારતનાં પાંચ રાજ્યો- ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, આસામની સાથે બાંગ્લાદેશથી પસાર થશે. ક્રૂઝ બાંગ્લાદેશમાં 15 દિવસ રોકાશે.

યાત્રાળુ આખી યાત્રા દરમિયાન અલગઅલગ રાજ્યોનાં કુલ 50 ટૂરિસ્ટ સ્પૉટનો આનંદ માણી શકશે.

બીબીસી
બીબીસી