You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પિરિયડ્સ મોડાં આવવાં અથવા ન આવવાનાં આઠ કારણો
સંતાન પેદા કરવાની વય હોવા છતાં મહિલાના પિરિયડ્સ (માસિકચક્ર) બંધ થઈ જાય તો આવી સ્થિતિને એમોનોરિયા કહેવાય છે. માસિકચક્ર ચૂકી જવાનું સૌથી જાણીતું કારણ ગર્ભાવસ્થા જ છે, પરંતુ બીજાં કારણોથી પણ પિરિયડ વિલંબિત અથવા મિસ થઈ શકે છે.
સામાન્ય રીતે પ્રજનન વયની મહિલાઓને દર 28 દિવસે માસિકચક્ર આવે છે. જોકે, તેમાં ઘણી વખત લાંબા કે ટૂંકા ચક્ર હોય છે જે 24થી 35 દિવસના હોઈ શકે.
ક્યારેક ક્યારેક માસિકચક્ર ચૂકી જવાય તેને ગંભીર સમસ્યા ગણવામાં આવતું નથી. પરંતુ વારંવાર આવી તકલીફ હોય તો તે બીજી સમસ્યાઓનો સંકેત હોઈ શકે છે.
ગાયનેકોલૉજિસ્ટ ડૉ. અમીરા અલ્કોર્ડિન માર્ટિનેઝે બીબીસીને જણાવ્યું કે, "તમારે તમારી જાતને જાણવી પડશે અને શરીર કઈ રીતે કામ કરે છે તે સમજવું પડશે. જેથી તમને ખબર પડે કે શું ગરબડ છે. દરેક મહિલા અલગ હોય છે; કોઈ બે મહિલાઓ સમાન નથી હોતી."
યુકેની નૅશનલ હેલ્થ સર્વિસ (એનએચએસ)ની ભલામણ છે કે તમને સતત ત્રણ મહિના સુધી માસિકચક્ર આવતું ન હોય અને તમે ગર્ભવતી ન હોવ, અથવા 45 વર્ષની ઉંમર પહેલાં તમારા પિરિયડ્સ બંધ થઈ જાય તો તમારા ડૉક્ટરની સલાહ લો.
અમેરિકામાં મેયો ક્લિનિક એવી છોકરીઓને પણ તબીબી સલાહ લેવાની ભલામણ કરે છે જેમને 15 વર્ષની ઉંમર સુધીમાં માસિકચક્ર શરૂ નથી થયું.
બંને સંસ્થાઓ અનુસાર ગર્ભાવસ્થા સિવાય મહિલાઓને એમેનોરિયા થવા માટે આઠ કારણો હોઈ શકે છે.
તણાવની માસિક પર અસર
ડૉ. અમીરા અલ્કોર્ડિન માર્ટિનેઝ કહે છે કે, "તણાવ અથવા સ્ટ્રેસ એ આપણા યુગમાં સૌથી મોટું કારણ અને વાસ્તવિક રોગચાળો છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તણાવ એડ્રેનાલિન જેવા હોર્મોન્સના ઉત્પાદનને ઉત્તેજિત કરે છે, જે ખતરનાક પરિસ્થિતિઓમાં શરીરને રક્ષણાત્મક તંત્ર તરીકે સતર્કતાની સ્થિતિમાં મૂકે છે.
આ હોર્મોન્સના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી માસિકચક્રમાં વિક્ષેપ પડી શકે છે, માસિકચક્ર લાંબા અથવા ટૂંકા બને છે, માસિકચક્ર ચૂકી જાય છે અથવા તે વધુ પીડાદાયક બને છે.
કેટલાક કિસ્સામાં તે મહિલાઓને ચાર અઠવાડિયાંના સામાન્ય ચક્રમાં બે માસિકચક્રનો અનુભવ કરાવી શકે છે.
જો તણાવ એ માસિકચક્ર મોડા થવાનું અથવા ચૂકી જવાનું કારણ હોય, તો નિયમિત કસરત અથવા શ્વાસ લેવાની ટેકનિક વાપરવા એનએચએસ ભલામણ કરે છે.
જો તેનાથી ફાયદો ન થાય તો કૉગ્નિટિવ બિહેવિયરલ થેરેપી (સીબીટી)ની મદદથી તમે સ્ટ્રેસ અને ચિંતા (ઍન્કઝાયટી)નો સારી રીતે સામનો કરી શકો છો.
અતિશય અથવા અચાનક વજનમાં ઘટાડો
કેલરીનું સેવન મોટા પ્રમાણમાં ઘટાડવામાં આવે તો શરીર ઓવ્યુલેશન માટે જરૂરી હોર્મોન્સ ઉત્પન્ન કરવાનું બંધ કરી શકે છે.
રજિસ્ટર્ડ ન્યુટ્રિશનિસ્ટ ઓછા વજનવાળા દર્દીઓને તંદુરસ્ત વજન જાળવવામાં મદદ કરી શકે. આ એવા પુખ્તવયના લોકો હોય છે જેમનો બીએમઆઈ 18.5થી ઓછો હોય છે.
ખાવાને લગતી વિકૃતિ જેમ કે મંદાગ્નિ (ઍનોરેક્સિયા)ના કારણે વજન ઘટે છે અને તેમાં સામાન્ય રીતે મનોચિકિત્સકની મદદ લેવાની જરૂર પડે છે.
વધારે પડતું વજન અથવા સ્થૂળતા
વધારે વજન હોય તો શરીર વધારે પડતું એસ્ટ્રોજન પેદા કરી શકે છે, જે મહિલાની પ્રજનન પ્રણાલીને નિયંત્રિત કરતા હોર્મોન્સ પૈકીનું એક છે.
એસ્ટ્રોજનના સ્તરમાં વધારો માસિક સ્રાવની ફ્રિકવન્સીને અસર કરી શકે છે અને કેટલાક કિસ્સામાં માસિકચક્ર સંપૂર્ણપણે બંધ થઈ શકે છે.
જે મહિલાઓનું વજન વધારે છે અથવા જેમનો BMI 30 કરતા વધુ છે, તેમને તંદુરસ્ત વજન પ્રાપ્ત કરવામાં સહાય માટે ડૉકટરો ઘણીવાર ન્યુટ્રીશનિસ્ટ પાસે જવા સલાહ આપે છે.
આકરી શારીરિક કસરત
આકરી કસરતની શારીરિક અસર પણ માસિક સ્રાવને નિયંત્રિત કરતા હોર્મોન્સ પર અસર કરી શકે છે. શરીરમાંથી વધુ પડતી ચરબીનો લૉસ જાય તો તે ઓવ્યુલેશનને અટકાવી શકે છે.
વ્યાવસાયિક ઍથ્લીટ્સને રમતગમતના તબીબી નિષ્ણાતો સલાહ આપી શકે છે કે તેઓ પ્રદર્શનને યોગ્ય તીવ્રતા પર કેવી રીતે રાખી શકે.
સ્પોર્ટ્સ ડૉકટરો સલાહ આપી શકે છે કે તેમણે પોતાના પ્રદર્શનને યોગ્ય ઇન્ટેન્સિટી પર કેવી રીતે રાખવું.
પૉલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ (PCOS)
પૉલિસિસ્ટિક અંડાશયમાં મોટી સંખ્યામાં ફૉલિકલ્સ હોય છે જે અવિકસિત કોથળીઓ હોય છે જેમાં ઈંડાં વૃદ્ધિ કરે છે. આવી સ્થિતિ ધરાવતી મહિલાઓમાં કોથળીઓ ઘણીવાર ઈંડાં રિલિઝ કરવામાં અસમર્થ હોય છે, અને તેથી ઓવ્યુલેશન થતું નથી.
NHSનો અંદાજ છે કે યુકેમાં દર 10માંથી એક મહિલાને PCOS અસર કરે છે. 33 ટકા કિસ્સાઓમાં તે માસિક સ્રાવ મિસ થવા માટે જવાબદાર છે.
અંડાશયની કામગીરીને પૉલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ (PCOS) અસર કરે છે અને ઓવ્યુલેશનને અટકાવી શકે છે.
મેનોપોઝ અથવા પ્રિમેચ્યોર મેનોપોઝ
ગર્ભાવસ્થા અને સ્તનપાનની સાથે સાથે મેનોપોઝ એ પણ એમેનોરિયાના કુદરતી કારણોમાંનું એક છે.
મહિલાઓ જેમ જેમ મેનોપોઝની નજીક આવે છે, તેમ તેમ તેમનામાં એસ્ટ્રોજનનો સ્તર ઘટવા લાગે છે અને ઓવ્યુલેશન ઓછું નિયમિત બને છે.
મેનોપોઝનો તબક્કો સામાન્ય રીતે 45 થી 55 વર્ષની ઉંમર વચ્ચે આવે છે.
જોકે, તબીબી અભ્યાસોનો અંદાજ છે કે દર 100 માંથી એક મહિલા 40 વર્ષની ઉંમર પહેલાં મેનોપોઝનો અનુભવ કરે છે, આ સ્થિતિને પ્રિમેચ્યૉર મેનોપોઝ અથવા પ્રિમેચ્યૉર ઓવેરિયન ફેલ્યર તરીકે ઓળખવામાં આવે છે.
ગર્ભનિરોધક સાધનોની માસિક પર શું અસર થાય
બર્થ કન્ટ્રોલની કેટલીક ગોળીઓ, ઇન્જેક્શન, ઇમ્પ્લાન્ટ અને ગર્ભાશય અંદરનાં ઉપકરણો પણ એમેનોરિયાનું કારણ બની શકે છે.
મોઢા વાટે લેવાતી ગર્ભનિરોધક ગોળીઓ બંધ કર્યા પછી પણ શરીરને ફરીથી નિયમિતપણે ઓવ્યુલેટ થવામાં થોડો સમય લાગી શકે છે.
અન્ય તબીબી પરિસ્થિતિ અને લાંબા ગાળાની દવાઓ
ડાયાબિટીસ અથવા હાઇપરથાઇરોઇડિઝમ કે પછી હાઇપોથાઇરોડિઝમ જેવી હોર્મોનલ સમસ્યાઓના પરિણામે પણ માસિક સ્રાવને અસર થઈ શકે છે.
મેયો ક્લિનિક અનુસાર એમેનોરિયા ચોક્કસ દવાઓથી પણ થઈ શકે, જેમ કે ઍન્ટિસાયકોટિક્સ, કીમોથેરાપી, ઍન્ટીડિપ્રેસન્ટ્સ અને હાઈ બ્લડ પ્રેશર અને એલર્જીની સારવાર.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન