કોરોના વાઇરસ : શું રસી જ મહામારીને ખતમ કરવાનો એકમાત્ર ઉપાય છે?
- લેેખક, મારિયો ફૉન્ટૅન વેલા અને પેદ્રો ગુલૉન તોસિયો
- પદ, ધ કન્વર્ઝેશનમાંથી
ડિસેમ્બર 2020માં સાર્સ-કોવ-2ની પ્રથમ રસીને મંજૂરી આપવામાં આવી હતી.
દુનિયાભરમાં ચાલતા રસીકરણ અભિયાનનું વિશ્લેષણ કરતા એ સમજી શકાયું છે કે રસી ઘણી પ્રભાવી છે.
કોરોના વાઇરસના નવા વૅરિયન્ટ આવ્યા છતાં રસીની અસરકારકતા ટકી રહી છે અને ખાસ કરીને કોરોના વાઇરસથી પ્રભાવિત વ્યક્તિઓમાં ગંભીર રૂપથી બીમાર થવા અને હૉસ્પિટલમાં દાખલ થવા અથવા આઈસીયુમાં દાખલ થવા અને મૃત્યુની શક્યતાઓને ઘટાડવામાં મદદ મળી છે.

ઇમેજ સ્રોત, Getty Images
આ શાનદાર પરિણામને કારણે એવી ધારણા બંધાઈ રહી છે કે હાલની પરિસ્થિતિમાંથી બહાર નીકળવામાં રસી જ જાહેરઆરોગ્યનું આધારભૂત સાધન અને રસીની પાછળનું વિજ્ઞાન જ આ ઉપલબ્ધિ માટે બચાવની એક રીત છે.
મહામારીના વિશ્લેષણનું માળખું અને જાહેરઆરોગ્યની અવધારણામાં ઊંડાણનો અભાવ છે. મહામારીની પાછળનું મૂળ સમજવામાં રહેલી ખામીથી પણ આ વાત ઉજાગર થાય છે.
19 સદીના પૅથૉલૉજિસ્ટ રૂડૉલ્ફ વિરચાઉએ કહ્યું હતું કે, "આરોગ્યવિજ્ઞાન એક સામાજિક વિજ્ઞાન છે અને રાજકારણ વ્યાપક સ્તરનું આરોગ્યવિજ્ઞાન છે."
એવી જ રીતે, વિશ્લેષણ કરતી વખતે આપણે માત્ર આરોગ્યનાં પાસાંઓને જ ધ્યાનમાં ન લેવાં જોઈએ.

રોગચાળો અને બીમારીઓ ફાટી નીકળવાનું ઐતિહાસિક પાસું

ઇમેજ સ્રોત, Getty Images
જો સંક્રામક રોગોનો ઇતિહાસ જોઈએ તો એ વાતાવરણમાં આપણી આજુબાજુ જીવાણુઓ વગર જીવનની કલ્પના કરવી મુશ્કેલ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
છેલ્લાં 30 વર્ષમાં સંક્રામક રોગોનો આપણે વારંવાર સામનો કરવો પડ્યો છે, આ દરમિયાન રોગચાળા વ્યાપક રીતે જોવા મળ્યા છે.
આનો અર્થ એ થયો કે વૈશ્વિક સ્તરે જોઈએ તો કૅન્સર અને હૃદયની બીમારીઓને કારણે મૃત્યુનું પ્રમાણ વધારે છે, પરંતુ નવા સંક્રામક રોગ જે મહામારીમાં પરિવર્તિત થઈ શકે, એવા રોગોની શક્યતા વચ્ચે આપણે જીવીએ છીએ.

રોગચાળાના કારણ પાછળનું મૂળ જાણવું જરૂરી

ઇમેજ સ્રોત, Andriy Onufriyenko
આ પ્રકારના રોગચાળા પશુઓમાંથી મનુષ્યમાં પ્રવેશ કરતા જીવાણુઓને કારણે ફેલાય છે.
એટલે માત્ર કોરોના મહામારી પાછળ રહેલા સાર્સ કોવ-2 પર ધ્યાન કેન્દ્રિત કરવાથી આપણી સમસ્યાનો ઉકેલ નહીં આવે, કારણ કે આપણે હજી એ નથી સમજી શકતા કે વારંવાર રોગચાળા ફેલાવા પાછળ શું કારણ છે અને તેની સમાજ પર શું અસર પડે છે.
આનાથી નવા સંક્રામક રોગોના રિસર્ચના કેન્દ્રમાં ઇકૉસિસ્ટમને થયેલા નુકસાન અને પશુઓની સાથે વધી રહેલી ક્રિયાપ્રતિક્રિયાને મૂકવામાં આવ્યા છે.
આરોગ્ય ક્ષેત્રે ઊભી થતી સમસ્યાઓના ઉકેલ વિશે વાત કરતા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પણ વન હેલ્થ (એટલે કે મનુષ્યો, પશુઓ અને ઇકૉસિસ્ટમના આરોગ્યનું સંકલન)ની વિભાવનાને માન્યતા આપી છે.

મહામારીની ઉત્પત્તિ પાછળનાં કારણો

ઇમેજ સ્રોત, Getty Images
રોગચાળા વિશેના વિજ્ઞાન એપિડેમિયોલૉજીનો મુખ્ય ઉદ્દેશ્ય એ કારકોની શોધ કરવાનો છે જે આપણા આરોગ્યને કાં તો સુધારે છે અથવા બગાડે છે.
આ કારકો અલગઅલગ સ્તરે કામ કરે છે, કેટલાક માત્ર ખાસ પ્રકારનાં લક્ષણો પર જ અસર કરે છે, પરંતુ કેટલાક એવા હોય છે જે આરોગ્યતંત્ર જેવા માળખાકીય પક્ષો સાથે જોડાયેલા હોય છે, જેમ કે રહેઠાણનું સ્થળ અથવા આર્થિક અને રાજકીય તંત્ર.
સંશોધકો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ મુજબ આ બધા "આરોગ્યના સામાજિક કારકો" છે.
આને ઘણી વખત એક નદીની જેમ દર્શાવવામાં આવે છે જેમાં વ્યક્તિગત કારકો સૌથી નીચે અને ઉત્પત્તિનાં કારકો સૌથી ઉપર આવે છે.
આ નદીમાં ઉપર મૂકવામાં આવેલા કારકોની અસર નીચે આવતા કારકો પર થાય છે.

1. પશુમાંથી મનુષ્યમાં જીવાણુના પ્રવેશની ઘટનાઓ વધી રહી છે

ઇમેજ સ્રોત, Andriy Onufriyenko
મનુષ્યો, પૅથોજેન્સ અને જૈવવિવિધતા વચ્ચેના નાજુક સંતુલન પર પશુઓમાંથી મનુષ્યોમાં જીવાણુઓ પ્રવેશવાની ઘટનાઓ થતી હોય છે.
આમાંથી કોઈ એક કડી જૈવવિવિધતામાં ફેરફાર લાવે લાવે છે, તો પરિણામ માત્ર પ્રારંભિક અસર સુધી સીમિત નથી રહેતું.
આનાથી અજ્ઞાત પૅથોજન્સ સાથે સંપર્કની પરિસ્થિતિ સર્જાઈ શકે છે.
મનુષ્યોની કેટલીક ગતિવિધિઓ આ પ્રક્રિયાની સાથે સંકળાયેલી મનાય છે, તેમનાં મૂળ સંસાધનોના નિર્માણ અથવા નિકાસ- જેના પરિણામસ્વરૂપે જમીનના ઉપયોગમાં આવતા પરિવર્તન, વનવિનાશ અથવા સૂક્ષ્મ પર્યાવરણમાં ફેરફાર વગેરે જૈવવિવિધતાના સંતુલનને બદલી નાખે છે.

2. ઝડપથી ફેલાતા રોગ

ઇમેજ સ્રોત, NurPhoto
હવાઈયાત્રાનો વ્યાપ વધતા દુનિયાના એક ખૂણે પશુમાંથી મનુષ્યમાં જીવાણુના પ્રવેશની ઘટનાથી સંક્રમણ આંતરરાષ્ટ્રીય સ્તરે ઝડપથી ફેલાય છે.
સંક્રમણ જેટલી ઝડપથી ફેલાય છે તેટલી ઝડપી જાહેર આરોગ્યસેવાઓની વ્યવસ્થા નથી હોતી.
આ ઉપરાંત અવરજવરનાં કેટલાંક મૉડલની પર્યાવરણ પર અસર થાય છે જે જૈવવિવિધતાના સંતુલનમાં પરિવર્તન માટે કારણભૂત બની શકે છે.

3. રોગચાળાની અસમાન અસર

ઇમેજ સ્રોત, DeFodi Images
પહેલાં તો દુનિયાના અગ્રણી નેતાઓએ સહકારિતાનું એવું માળખું સ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો કે મહામારીએ બધા પર એકસરખી અસર કરી છે.
જોકે જલદી જ દુનિયાના અલગઅલગ ભાગોમાંથી સામે આવી રહેલા પુરાવાથી 'બધા પર એકસરખી અસર'નું માળખું ખોટું સાબિત થયું.
કોરોનાની પ્રથમ લહેર પૂરી થઈ પછી સર્વેલન્સ સિસ્ટમને આધારે એ સામે આવ્યું કે સંક્રમણનો ખતરો સામાજિક માળખામાં ઉપરથી નીચે આવીએ તેમતેમ વધતો ગયો, કારણ કે એવી નોકરીઓ જ્યાં કાર્યસ્થળની પરિસ્થિતિ બહુ સારી ન હોય અને શારીરિક રૂપે હાજર રહેવાની જરૂર હોય અથવા રહેઠાણ એવું હોય કે જ્યાં આઇસોલેશન મુશ્કેલ હોય, ત્યાં સંક્રમણનો ખતરો વધી જાય છે.
આ ઉપરાંત, સમાજમાં જુદાંજુદાં સ્તરે કોવિડ-19થી મરવાનો ખતરો પણ અલગઅલગ હોય છે.
આ જૂથો જે સમાજમાં અસમાનતાનો સામનો કરે છે તેમાં રોગચાળાનો પ્રસાર વધારે થાય છે.

'સિન્ડેમિક'

ઇમેજ સ્રોત, Hindustan Times
ડાયાબિટીઝ અને ઓબેસિટી જેવી આરોગ્ય સમસ્યાઓથી પીડાતા લોકોમાં રોગચાળાની અસમાન અસરો જોવા મળી હતી, કારણ કે તેમને ચેપ લાગવાની સંભાવના વધારે જોવા મળી હતી.
પહેલેથી અન્ય રોગથી પીડિત વ્યક્તિ પર મહામારીની અસરને "સિન્ડેમિક" કહેવાય છે.
કૉમર્શિયલ વૅક્સિનની સફળતાને જોતાં એવું કહેવામાં આવ્યું કે સ્થાપિત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો કે મહામારીનું એકમાત્ર સમાધાન રસી જ છે.
જોકે, જો આપણે આ પરિસ્થિતિની પાછળનાં કારણોના મૂળની વાત કરીએ તો એમ કહી શકાય કે વૅક્સિન તેમાંથી એકનું પણ સમાધાન નથી.
મહામારી માત્ર વાઇરસ સંબંધિત ઘટના નથી, પરંતુ સામાજિક ઘટના પણ છે જેને મનુષ્યની ગતિવિધિઓ અને સમાજની રચના આકાર આપે છે.
એટલે ભવિષ્યમાં આ અસરને ઓછી કરવા આપણે દરેક નવા જીવાણુ માટે વૅક્સિન વિકસાવવા પર જ ધ્યાન કેન્દ્રિત ન કરી શકીએ, પરંતુ રોગચાળો ફરી ઉદ્ભવે, ઝડપથી ફેલાય તેની શક્યતાઓ અને દુનિયાની વસતીમાં તેની અસમાન અસરને ઘટાડવા માટે જરૂરી પગલાં લેવાની જરૂર છે.
આ કોઈ વિભાજન નથી પણ આપણને મહામારીનાં કારણોનાં મૂળ પર ધ્યાન કેન્દ્રિત કરીને લાંબા ગાળાની રણનીતિ અને સંસાધનોની જરૂર છે. જોકે તેનાં પરિણામ તરત સામે નહીં આવે.
સામાજિક બાબતો પર કેન્દ્રિત જાહેર આરોગ્યતંત્ર માત્ર રસીકરણ અભિયાન સુધી સીમિત ન હોઈ શકે, પરંતુ અહીં નવાનવા રોગોની ઉત્પત્તિ અને સમાજ પર તેની અસમાન અસરને પણ સમજવું જરૂરી છે.
આ રીતે વ્યાપક આરોગ્ય સંબંધિત આરોગ્યના સમાધાન માટે સાચા અર્થમાં જાહેર આરોગ્ય તંત્રની વાત કરવી જોઈએ.
(મારિયો ફૉન્ટૅન વેલા યુનિવર્સિટી ઑફ અલકાલામાં પબ્લિક હેલ્થ અને એપિડેમિયોલૉજીમાં પીએચ.ડી.ના ઉમેદવાર છે અને પેદ્રો ગુલૉન તોસિયો યુનિવર્સિટી ઑફ અલકાલામાં આસિસ્ટન્ટ પ્રોફેસર છે. )



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













