કોરોના રસી : ઑક્સફર્ડ યુનિવર્સિટીએ ટ્રાયલ અટકાવી, શું છે કારણ?

ઇમેજ સ્રોત, Getty Images
કોરોના વાઇરસના સંક્રમણને કાબૂમાં લેવા માટે વૅક્સિન વિકસાવવાની કામગીરીને મોટો ધક્કો વાગ્યો છે, કેમ કે એસ્ટ્રાઝેનેકા અને ઑક્સફર્ડ યુનિવર્સિટીને રસીની ટ્રાયલ રોકવાની ફરજ પડી છે.
માનવપરીક્ષણમાં સામેલ એક વ્યક્તિના બીમાર પડ્યા બાદ તેમને આવું પગલું લેવું પડ્યું છે.
એસ્ટ્રાઝેનેકાએ કહ્યું કે આ એક નિત્યક્રમ જેવું છે, કેમ કે પરીક્ષણમાં સામેલ એ વ્યક્તિની બીમારી વિશે હજી સુધી કઈ સમજાઈ નથી રહ્યું.
ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં વૅક્સિનની ટ્રાયલ તરફ આખી દુનિયાની મંડાયેલી છે.
જાણકારોનું માનીએ તો દુનિયાની તમામ વૅક્સિન ટ્રાયલમાં ઑક્સફર્ડ યુનિવર્સિટીની ટ્રાયલ સૌથી આગળ છે.

ઇમેજ સ્રોત, Reuters
અહીં ત્રીજા તબક્કાની વૅક્સિનની ટ્રાયલ થઈ રહી છે અને આશા છે કે બજારમાં સૌથી પહેલાં આવનારી વૅક્સિન ઑક્સફર્ડ યુનિવર્સિટીની જ હશે.
કોરોના વાઇરસની વૅક્સિનની ત્રીજા તબક્કાની ટ્રાયલમાં અંદાજે 30 હજાર લોકો સામેલ છે.
બીબીસીના મેડિકલ એડિટર ફર્ગસ વૉલ્શ અનુસાર આખી દુનિયામાં ચાલી રહેલી ટ્રાયલ અટકાવી દેવાઈ છે અને હવે એક સ્વતંત્ર તપાસ કરાશે, જેમાં સુરક્ષા માપદંડોની સમીક્ષા કરાશે એ પછી નિયામક નક્કી કરશે કે ટ્રાયલ ફરી શરૂ કરવી કે નહીં
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઑક્સફર્ડ યુનિવર્સિટીના પ્રવક્તાએ કહ્યું, "મોટી ટ્રાયલમાં બીમાર થવાની પૂરતી આશંકા હોય છે પણ આને ધ્યાનપૂર્વક ચકાસવા માટે સ્વતંત્ર નિરીક્ષણ આવશ્ય છે."
બીજી વખત એવું થયું છે કે ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં કોરોના વાઇરસની વૅક્સિનની ટ્રાયલને રોકવાની જરૂર સર્જાઈ છે.
મોટી ટ્રાયલમાં આવું ઘટે એ સામાન્ય બાબત છે અને જ્યારે-જ્યારે પણ પરીક્ષણમાં સામેલ કોઈ વ્યક્તિને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવે અને એમની બીમારીનું કારણ તરત જાણી ન શકાય તો ટ્રાયલને રોકી દેવાય છે.
માનવામાં આવે છે કે થોડા દિવસોમાં ટ્રાયલ ફરી શરૂ થશે.

રસી કેવી રીતે બને છે અને કેમ વાર લાગી શકે?

ઇમેજ સ્રોત, EPA
માનવશરીરના લોહીમાં વ્હાઇટ બ્લડ સેલ (શ્વેતકણ) હોય છે, જે રોગપ્રતિકારક તંત્રનો ભાગ હોય છે.
શરીરને નુકસાન પહોંચાડ્યા વિના રસીના માધ્યમથી શરીરમાં બહુ ઓછી માત્રામાં વાઇરસ કે બૅક્ટેરિયા નાખવામાં આવે છે, જ્યારે શરીરનું રક્ષાતંત્ર આ વાઇરસ કે બૅક્ટેરિયાને ઓળખી લે, ત્યારે શરીર તેની સાથે લડવાનું શીખી જાય છે.
બાદમાં જો માણસ એ વાઇરસ કે બૅક્ટેરિયાનો સામનો કરે તો તેને ખબર હોય છે કે તે સંક્રમણથી કેવી રીતે બચે.
દશકોથી વાઇરસથી બચવા માટે જ રસી બની છે તેમાં અસલી વાઇરસનો જ ઉપયોગ કરાય છે.
અછબડા, ખીલ અને ઓરી (એમએમઆર એટલે ચાંદા, ગાલપચોળિયાં, ઓરી)ની રસી બનાવવા માટે આવા નબળા વાઇરસનો ઉપયોગ થાય છે, જે સંક્રમણ ન કરી શકે.
તેમજ ફ્લૂની રસીમાં પણ આ વાઇરસનો જ ઉપયોગ થાય છે.
જોકે કોરોના વાઇરસ મામલે હાલમાં જે નવી રસી બનાવાઈ રહી છે, તેના માટે નવી રીતનો ઉપયોગ થઈ રહ્યો છે અને જેનું હાલ બહુ ઓછું પરીક્ષણ થઈ શક્યું છે.
નવા કોરોના વાઇરસ Sars-CoV-2ના જિનેટિક કોડની હવે વૈજ્ઞાનીઓને ખબર છે અને આપણી પાસે રસી બનાવવા માટે એક આખી રૂપરેખા તૈયાર છે.
રસી બનાવનારા કેટલાક ડૉક્ટરો કોરોના વાઇરસના જિનેટિક કોડના કેટલાક ભાગને લઈને તેનાથી નવી રસી તૈયાર કરવાની કોશિશમાં લાગેલા છે.
આ વાઇરસ પર સંશોધન કરનારા ડૉક્ટરોનું કહેવું છે કે તેઓએ તેની દવા શોધી લીધી છે અને પ્રાણીઓ પર પરીક્ષણ શરૂ કરી દીધું છે. જો વધુ સમુંસૂતરું પાર પડ્યું તો આ વર્ષે જ માણસોમાં પણ તેનું પરીક્ષણ શરૂ થઈ શકે છે.
જો વૈજ્ઞાનિકો એ વાતથી ખુશ હોય કે કોરોના વાઇરસની દવા મળી ગઈ છે, તેમ છતાં મોટાપાયે તેનું ઉત્પાદન શરૂ થવામાં ઘણો સમય લાગશે.
મતલબ કે હકીકતમાં એવું કહી ન શકાય કે આગામી વર્ષથી અગાઉ આ દવા બજારમાં મળવા લાગશે.
માનવામાં આવે છે કે જો કોરોના વાઇરસની રસી બની તો મોટી ઉંમરના લોકોને તે ઓછી અસર કરશે. પરંતુ તેનું કારણ રસી નહીં પણ લોકોની રોગપ્રતિકારક ક્ષમતા છે, કેમ કે મોટી ઉંમર સાથે લોકોની રોગપ્રતિકારક શક્તિ પણ ઓછી થવા લાગે છે.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














