Art of War : એ પુસ્તક જેમાંથી ચીનના અને દુનિયાના નેતા શીખે છે યુદ્ધની કળા

- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
'ધ આર્ટ ઑફ વૉર' એટલે કે યુદ્ધની કળા. લગભગ 2500 વર્ષ પૂર્વે ચીનના સેનાપતિ સુન ત્ઝુએ લખેલું આ પુસ્તક આજે પણ એટલું જ સાંપ્રત છે.
ચીન જ નહીં, વિશ્વભરના સૈન્ય અધિકારીઓ તેમાં આપવામાં આવેલી સલાહને ધ્યાને લે છે અને લગભગ દરેક સૈન્ય લાઇબ્રેરીમાં આ પુસ્તક તમને જોવા મળી જશે.
18મી સદીમાં આ પુસ્તકનો યુરોપિયન તરજૂમો થયો અને તે સૈન્ય કમાન્ડરોમાં લોકપ્રિય બન્યું.
આધુનિક સમયમાં તે સૈન્ય ક્ષેત્ર પૂરતું મર્યાદિત ન રહેતા તેમાં આપવામાં આવેલી સલાહો કૉર્પોરેટર વર્લ્ડમાં, કૂટનીતિમાં, રાજકારણમાં અને રમતવીરો ખેલના મેદાનમાં તેનો ઉપયોગ કરે છે.

કોણ હતા સુન ત્ઝુ?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
સુન ત્ઝુ ઈસુની પાંચ સદી પૂર્વે થઈ ગયા. દંતકથા અનુસાર સુન ત્ઝુએ ચીનના તત્કાલીન શાસક સુન વુના (544-496) સૈન્ય સલાહકાર, સેનાપતિ અને તત્વચિંતક હતા. જેઓ વર્તમાન સમયના શાંઘાઈ અને આજુબાજુના વિસ્તાર ઉપર શાસન કરતા હતા.
એ સમયે ચીનના રાજ્યો પરસ્પર લડતા હતા. માત્ર સૈન્ય જ નહીં, પરંતુ રાજકીય, સાંસ્કૃતિક અને સામાજિક ઊથલપાથલનો એ સમય હતો.
ટેરાકોટા આર્મીના કિન શી હુઆંગે તેમનું એકીકરણ કર્યું અને ચીનના પ્રથમ સમ્રાટ બન્યા. આ સાથે જ 300 વર્ષના આંતરિક ગૃહયુદ્ધનો અંત આવ્યો.
લોહયુગ દરમિયાન સુન ત્ઝુએ તત્વચિંતક કન્ફ્યુસિયસના સમકાલીન હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કેટલાક ઇતિહાસકારોના મતે સુન ત્ઝુ કોઈ મોટું યુદ્ધ લડ્યા ન હતા, પરંત તેનો 'સૈદ્ધાંતિક અભ્યાસ' કર્યો હતો.
એક મત અનુસાર સુન ત્ઝુએ વ્યક્તિ નથી, પરંતુ પરંપરા છે. જેનું જ્ઞાન ગુરુ-શિષ્ય પરંપરાથી આગળ વધતું રહ્યું. દરેક ગુરુ પોતાના શિષ્યને અને શિષ્ય તેના અનુયાયીઓને આ જ્ઞાન આપતા હતા.
આ પુસ્તક 13 પ્રકરણમાં વહેંચાયેલું છે, જોકે દરેક ચૅપ્ટર હેઠળ આવતી વાતો કે શીખામણ એ એક જ વિષય ઉપર નથી અને પરસ્પર સંબંધિત ન હોય તેવી બાબતો પણ એક જ શીર્ષક હેઠળ જોવા મળે છે.
પુસ્તકે તેનું વર્તમાન સ્વરૂપ 11મી સદીમાં ધારણ કર્યું છે. આ પુસ્તક પશ્ચિમી દેશોમાં પહોંચ્યું તે પહેલાં મહદંશે ચીન અને જાપાનમાં પ્રચલિત હતું.
રાજાની ઉપપત્નીઓની હત્યા

ઇમેજ સ્રોત, Reuters
એક પ્રચલિત કહાણી મુજબ સુન ત્ઝુ રાજા વુના દરબારમાં પહોંચ્યા, ત્યારે રાજાએ તેમના કૌશલ્યની પરીક્ષા લેવા કહ્યું, "આ મારી ઉપપત્નીઓ છે, શું તમે તેને તાલીમબદ્ધ કરી શકો?"
સુન ત્ઝુ તૈયાર થઈ ગયા. આ સાથે જ તેમણે શરત મૂકી કે 'હું સેનાપતિ છું એટલે દરેક સત્તા મારી પાસે હોવી જોઈએ.'
રાજાએ તેમની શરત મંજૂર રાખી.
સુન ત્ઝુએ રાજાની ઉપપત્નીઓને 80-80ના બે જૂથમાં વહેંચી દીધી, જેમાં રાજાના પસંદગીની ઉપપત્નીઓને કમાંડર બનાવી, જ્યારે અન્ય 79 ઉપપત્નીઓ ટુકડીની સભ્ય હતી.
ત્યારબાદ 'સાવધાન', 'પીછે મૂડ', 'બાયે મૂડ' જેવા આદેશ આપ્યા. રાજાની ઉપપત્નીઓ આ આદેશ ઉપર અમલ કરવાના બદલે હસતી રહી.
સુન ત્ઝુએ કહ્યું, "બની શકે છે કે જનરલ (ખુદ) દ્વારા આદેશ આપવામાં કોઈ ભૂલ થઈ હોય."
આમ કહીને તેમણે ફરી પસંદગીની ઉપપત્ની તથા અન્યોને આદેશ પર શું કરવું તે સમજાવ્યું. ડ્રમના તાલે ફરી આદેશ ઉપર અમલ કરવાનું કહેવાયું.
ફરી એક વખત કતારબંધ ઊભેલી ઉપપત્નીઓ હસવા લાગી. સુન ત્ઝુએ કુહાડી સાથે પાસે ઊભેલા લોકોને આદેશ કર્યો કે રાજાની પસંદગીની ઉપપત્નીઓની હત્યા કરી દો.
સુન ત્ઝુએ કહ્યું, "જનરલ દ્વારા વ્યવસ્થિત રીતે આદેશ આપવામાં આવ્યો હોય તો પણ જો તેનો બરાબર અમલ ન થાય તો તેના માટે સૈન્ય કમાંડર (પસંદગીની ઉપપત્નીઓ) જવાબદાર છે."
રાજાએ પોતાની ઉપપત્નીઓને બચાવવા દખલ દીધી, પરંતુ સુન ત્ઝુએ તેમની વાત ન માની અને બંનેની હત્યા કરી દેવાઈ.
ત્યારબાદ રાજાની થોડી ઓછી પસંદગીની ઉપપત્નીઓને ટુકડીની કમાંડર બનાવવામાં આવી અને બાકીની 78 ઉપપત્નીઓને સભ્ય બનાવવામાં આવી.
કહેવાય છે કે એ પછી બંને ટુકડીઓએ આદેશનો અમલ કરવામાં કોઈ ભૂલ ન કરી. આથી રાજાએ સુન ત્ઝુની નિમણૂક કરી.
સુન ત્ઝુની સલાહો

ઇમેજ સ્રોત, Facebook/IAF
જો તમારો શત્રુ વાતેવાતે ઉશ્કેરાઈ જતો હોય, તો તેને વાતેવાતે ચીડવો. અમેરિકા અને ચીનના ટ્રૅડવૉર દરમિયાન ચીને અવારનવાર આ યુક્તિનો પ્રયોગ કર્યો છે.
દરેક યુદ્ધએ ઠગાઈ, દગા, છેતરપિંડી અને ખોટી વાત ગળે ઉતારવાની કળા છે.
16 ડિસેમ્બર 1971ના દિવસે ભારતીય સેનાના મેજર જનરલ જે.એફ.આર. જેકોબ ઢાકામાં તત્કાલીન પૂર્વ પાકિસ્તાનના સૈન્ય વડા એ.એ.કે. નિયાઝીને મળવા ગયા અને કહ્યું કે, 'મારી સેના ઢાકાની બહાર ઊભી છે, જો તમે સરન્ડર નહીં કરો તો હું તમારા સૈનિકોની કે તમારા પરિવારજનોની સલામતીની જવાબદારી નહીં લઈ શકું.'
એ સમયે ઢાકાનું રક્ષણ કરવા માટે પાકિસ્તાન પાસે 26 હજાર કરતાં વધુ સૈનિક હતા, જ્યારે ભારતના ત્રણેક હજાર સૈનિક ઢાકાની બહાર હતા, એ પણ 30 કિલોમીટર દૂર.
આમ છતાં મેજર જનરલ જેકોબ પોતાની વાત જનરલ નિયાઝીને ગળે ઉતારવામાં સફળ રહ્યા.
એ દિવસે સાંજે જનરલ નિયાઝીએ ભારતના લેફ્ટનન્ટ જનરલ જગજિતસિંઘ અરોડા સમક્ષ આત્મસમર્પણ કરી દીધું.
ભારત અને પાકિસ્તાન વચ્ચેના 13 દિવસના યુદ્ધનો અંત આવ્યો અને વિશ્વના નકશા ઉપર 'બાંગ્લાદેશ' નામના રાષ્ટ્રનો જન્મ થયો.
મચેલા રહો. આની પાછળનો વિચાર એ છે કે જો આયોજન અને સંકલન બરાબર હોય તો કોઈપણ વ્યક્તિ સૈનિક બની શકે છે. આ વાત કોઈપણ દેશના તાલીમબદ્ધ સૈન્યને લાગુ પડે છે.
સુન ત્ઝુ એક વાત વારંવાર કહે છે કે રથ ઉપર બેસીને આવે તે હીરો નથી, પરંતુ દરેક સૈનિક પોતે હીરોછે અને તેણે યુદ્ધના મેદાનમાં પોતાનું શૌર્ય દેખાડવાનું છે.
દુશ્મનની સાથે લડ્યા વિના તેને તોડી પાડવામાં જ સર્વોચ્ચ કાબેલિયત રહેલી છે.
જો તમે ખુદને અને દુશ્મનને જાણતા હો તો પરાજયના જોખમ વિના તેની સાથે 100 યુદ્ધ પણ લડી શકો છો
તમે દુશ્મનની સામે હો અને તેનું ધ્યાન તમારી ઉપર હોય ત્યારે બીજી દિશામાંથી હુમલો કરવો. દુશ્મનને વિચારતો રાખો તે તમને કળી ન શકવો જોઈએ. આને માટે જાસૂસ, આંતરિક વિરોધના સમાચાર જે કોઈ માધ્યમનો ઉપયોગ કરવો પડે, કરવો જોઈએ.
કેવા પ્રકારના ભૌગોલિક વાતાવરણમાં કેવી રીતે લડાઈ લડવી, સૈન્ય ટુકડીની ગોઠવણ કરવી, જાસૂસોનો ઉપયોગ કેવી રીતે કરવો, યુદ્ધ ઉપર ઋતુ કેવી રીતે અસર કરી શકે છે, જેવી માહિતી આપી છે.
વર્ષ 1971માં તત્કાલીન વડા પ્રધાન ઇંદિરા ગાંધી એપ્રિલ મહિનામાં જ પાકિસ્તાન સાથે યુદ્ધ છેડી દેવા માગતાં હતાં, પરંતુ તત્કાલીન જનરલ સામ માણેકશાએ કહ્યું કે ડિસેમ્બરનો મહિનો અને ઠંડી ભારત માટે વધુ યોગ્ય રહેશે, એ પહેલાંની પરિસ્થિતિ ભારતીય સૈનિકો માટે અનુકૂળ નહીં હોય.
સુન ત્ઝુના લખાણ એ ઉદાહરણ કરતાં માનસિકતા કેળવવા માટે વધારે છે.
વ્યક્તિ એવી જ સ્થિતિમાં ન મુકાય તેવું પણ બને, પરંતુ વાંચનારમાં વિચારશક્તિ કેળવાય છે, જેના આધારે તે ઉકેલ શોધી શકે છે.
જેમ, પાંચ અલગ-અલગ રંગ હોય, તો પણ તેમાંથી અનેક રંગ બનાવી શકાય છે. તેમ આ વાચનાર અલગ ઉકેલ શોધી શકે છે.
કેટલાક ઇતિહાસકારોના મતે, પહેલાં ચીનના આંતરિક યુદ્ધોમાં નૈતિકતાનું સ્તર જળવાતું હતું, પરંતુ સુન ત્ઝુ માટે જીતવું જ મહત્ત્વપૂર્ણ હતું અને તેના માટે તે કોઈ પણ સ્તરે જવાની વાત કહે છે.
તે પોતાના રાજ્યની જનતા વિશે ચિંતા વ્યક્ત કરે છે, પરંતુ તે પાડોશી દેશની જનતા વિશે ચિંતિત નથી.
સુન ત્ઝુ માટે પોતાના સૈનિકો અને જનતાએ જણસ કે સાધન માત્ર છે.
સાંપ્રત સમયમાં સુન ત્ઝુ

ઇમેજ સ્રોત, Getty Images
માર્ક મૅનેલ્લીએ તેમના પુસ્તક 'સુન ત્ઝુ ઍન્ડ ધ મૉર્ડન આર્ટ ઑફ મૉર્ડન વૉરફેર'માં પ્રાચીન પુસ્તકનું સાંપ્રત સમય મુજબ નિરુપણ કર્યું છે.
ચીનના ઇતિહાસમાં સુન ત્ઝુનું મહત્ત્વ અને 21મી સદીનું સુપરપાવર બનવા માટેની તેની મહત્ત્વકાંક્ષાને સમજવા માટે આ પુસ્તકને સમજવું જરૂરી છે.
વર્તમાન સમયમાં પણ ચીનના વિદ્વાનો 'આર્ટ ઑફ વૉર'નો વ્યાપક ઉપયોગ કરે છે, જે ચીનની વ્યૂહરચના તથા ચીનના નેતાઓને વ્યૂહરચના ઘડવામાં મદદ કરે છે.
અમેરિકાના ગૃહયુદ્ધ દરમિયાન, માઓની લૉંગ માર્ચ દરમિયાન, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અને ઇરાકના યુદ્ધ દરમિયાન પણ 'આર્ટ ઑફ વૉર'માં આપવામાં આવેલી યુક્તિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
માત્ર પરંપરાગત સેના જ નહીં, પરંતુ સરકાર સામે લડતાં બળવાખોરો પણ આ પુસ્તકને અનુસરે છે. ભારતના નક્સલવાદીઓ અને IRA તેના ઉદાહરણ છે.

એક વાત આ પણ...

ઇમેજ સ્રોત, Getty Images
સુન ત્ઝુએ માત્ર યુદ્ધ સમયે શું કરવું, તેની જ વાતો નથી કહી, પરંતુ યુદ્ધને કેવી રીતે ટાળવું તેની વાત પણ કહી છે.
તે કહે છે, "સરકારે ગુસ્સામાં સેનાને કૂચના આદેશ ન આપવા જોઈએ. સૈન્ય અધિકારીઓએ ક્રોધાવેશમાં આવી જઈને યુદ્ધ માટે ઉશ્કેરણી ન કરવી જોઈએ. જો લાભ થાય તેમ હોય તો જ આ પગલું લેવું જોઈએ, નહીંતર તેને ટાળવું જોઈએ."
"ગુસ્સો ખુશીમાં અને ક્રોધ આનંદમાં ફેરવાઈ શકે છે, પરંતુ એક વખત નાશ પામેલું રાષ્ટ્ર ફરી બેઠું નથી થઈ શકતું અને એક વખત મૃત્યુ પામેલા ફરી જીવિત નથી થઈ શકતા."
(સલાહ સાથે આપવામાં આવેલાં સમજણ માટેનાં ઉદાહરણ માત્ર.)



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












