World Food Day 2021 : ભવિષ્યના એ પાંચ 'સુપર ફૂડ' જે પૃથ્વીને બચાવશે

    • લેેખક, પૉલા મૅકગ્રેથ
    • પદ, હેલ્થ ચેક, બીબીસી વર્લ્ડ સર્વિસ

શું તમે તમે સ્વસ્થ રહેવા માગો છો? અને સાથે પૃથ્વીનું રક્ષણ પણ કરવા માગો છો? તો તેના માટે તમને કહેવામાં આવે કે તમે પ્રાચીન અનાજનું ભોજન લો, શેવાળનું શાક અને થોરનું કચુંબર ખાઓ, તો શું તમે તે પસંદ કરશો?

વિશ્વ ફક્ત ત્રણ પ્રકારનાં અનાજ પર વધારે આધાર રાખી રહ્યું છે. ચોખા, મકાઈ અને ઘઉં. આ ત્રણ અનાજમાંથી જ દુનિયાભરના મનુષ્યો જરૂરી કૅલરીનો 60% ભાગ મેળવી રહ્યા છે.

ભોજન

ઇમેજ સ્રોત, Stacy Michelson/BBC

ઇમેજ કૅપ્શન, વિશ્વ ફક્ત ત્રણ પ્રકારના અનાજ ચોખા, મકાઈ અને ઘઉં પર વધારે આધાર રાખી રહ્યું છે

આ ત્રણમાંથી પૂરતા પ્રમાણમાં કૅલરી મળી જાય છે, પણ જરૂરી અન્ય વિટામિન્સ અને મિનરલ્સ હંમેશાં તેમાંથી મળી રહે તેવું જરૂરી નથી.

એક નવા અહેવાલમાં ભવિષ્યના અનોખા એવા 50 'ફ્યૂચર ફૂડ'ની યાદી આપવામાં આવી છે, જે પૌષ્ટિક છે અને પર્યાવરણને અનુકૂળ પણ છે. તો એવા કયા 'સુપર' ફૂડ છે, જે ભવિષ્યની થાળીમાં જોવા મળશે?

line

મોરિન્ગા

મોરિન્ગા

ઇમેજ સ્રોત, Stacy Michelson/BBC

ઇમેજ કૅપ્શન, મોરિન્ગાને 'ચમત્કારિક ઝાડ' કહેવામાં આવે છે કે જે દુષ્કાળમાં પણ ટકી રહે છે

મોરિન્ગા વૃક્ષને ઘણી વાર 'ચમત્કારિક ઝાડ' કહેવામાં આવે છે. તે બહુ ઝડપથી વિકસે છે અને દુષ્કાળમાં પણ ટકી જાય છે.

દક્ષિણ એશિયાના ઘણા પ્રદેશોમાં તે ઊગે છે અને તેનો ઉપયોગ ઔષધી તરીકે પણ થાય છે.

વર્ષમાં સાત વાર તેના પાન ઉતારી શકાય છે. તેમાં વિટામિન એ અને સી ઉપરાંત કૅલ્શિયમ અને પોટેશિયમ જેવા મિનરલ્સ પણ હોય છે. સૂપમાં પણ તે ઘણી વાર ઉમેરવામાં આવે છે.

ફિલિપાઇન્સ અને ઇન્ડોનેશિયામાં તેની લાંબી સિંગોને કાપીને નાના નાના ટુકડા કરવામાં આવે છે.

તેને કરી અને સૂપમાં ઉપયોગમાં લેવામાં આવે છે.

સિંગમાં રહેલા બીયાં પણ ઓલેઇક એસિડ ધરાવે છે, જેનો સીધો સંબંધ શરીરમાં રહેલા 'ગૂડ' કૉલેસ્ટ્રોલ સાથે છે.

પાંદડાને દળીને પાવડર બનાવી શકાય છે, જેને સ્મૂધી, સૂપ, સૉસ અને ચામાં વાપરી શકાય છે.

બ્રિટિશ ડાયાબિટિક ઍસોસિયેશનના ડાયટિશિયન અને પ્રવક્તા પ્રિયા ટ્યૂ આ વાત સારી રીતે જાણે છે.

તેઓ કહે છે, "અમારા કુટુંબમાં આ ભાવતું ભોજન રહ્યું છે. શ્રીલંકામાં તેને કરીમાં નાખવામાં આવે છે. તમે સિંગને મોઢેથી તોડીને અંદરનો રસ ચૂસી શકો છો."

line

વાકામે

વાનામે

ઇમેજ સ્રોત, Stacy Michelson/BBC

ઇમેજ કૅપ્શન, આખા વર્ષ દરમિયાન વાનામે ખાતર કે જંતુનાશક દવા વગર જ પાકે છે

જાપાનમાં સદીઓથી દરિયા કિનારે ખાવા માટે વાકામે ભાજી ઉગાડાય છે.

વડવાઓના આત્માઓ માટે તેનો પ્રસાદ બનાવવાની પણ પરંપરા છે.

એક જમાનામાં આ ભાજીથી વેરો પણ ભરવામાં આવતો હતો.

હવે ફ્રાન્સ, ન્યૂઝિલૅન્ડ અને આર્જેન્ટિનાના દરિયાકાંઠે પણ તેને ઉગાડવામાં આવે છે. ખાતર કે જંતુનાશક દવા વિના જ આખું વર્ષ વાકામે પાકે છે. તેને ખેંચીને તડકામાં સૂકવવામાં આવે છે.

સૂકાયેલી ભાજી ભાવતો ખારો સ્વાદ ભોજનમાં ઉમેરે છે.

ઓમેગા-3 ફેટ્ટી એસિડ (eicosapentaenoic acid) આમ તો માત્ર શેવાળ ખાતી માછલીમાંથી જ મળે છે, પણ આ એક એવી વનસ્પતિ છે, જેમાંથી પણ તે મળી રહે છે.

પ્રિયા ટ્યૂ કહે છે, "સૌથી સુંવાળી એવી આ ભાજીમાં સારા એવા પ્રમાણમાં fucoidan પણ હોય છે. લોહીનું દબાણ ઓછું કરવા માટે ઉપયોગી એવું આ ફાઇબર છે. તેનાથી લોહી શુદ્ધ રહે છે અને ગાંઠ ન થવા દેવાના લક્ષણ પણ તેનામાં છે. સ્ટર ફ્રાયમાં તે બહુ સારી લાગે છે અને મેં તે હોંગકોંગમાં ખાધી છે."

જોકે તેઓ ચેતવણી પણ આપે છે: "એ ખાસ યાદ રાખવું કે રોજ તે થોડા પ્રમાણમાં જ લેવી. બહુ આયોડિન ના આવે તે માટે તે જરૂરી છે. બીજું દરિયામાંથી હેવી મેટલમાં તેમાં ભળ્યા હોય છે."

line

ફોનિયો

ફોનિયો

ઇમેજ સ્રોત, Stacy Michelson/BBC

ઇમેજ કૅપ્શન, ફોનિયો આફ્રિકામાં પાકતું પ્રાચીન સમયનું કઠોળ છે

આ બહુ પ્રાચીન સમયથી આફ્રિકામાં પાકતું કઠોળ છે. માલીના બામ્બારા લોકો કહે છે કે આનો સ્વાદ એટલો સરસ હોય છે કે ક્યારેય રસોયાને ચિંતા ના થાય.

તેનુ કારણ એ કે તેને રાંધવું બહુ સહેલું છે.

5,000 વર્ષથી ફોનિયો ખાવામાં આવે છે. પ્રાચીન ઇજિપ્તમાં પણ તેને ઉગાડાતું હતું તેવા પુરાવા મળે છે.

તેમાં સફેદ અને કાળી એવી બે જાત છે. બહુ ઓછા વરસાદમાં તે તૈયાર થઈ જાય છે. પશ્ચિમ આફ્રિકાના સૂકા સાહેલ વિસ્તારમાં તે માત્ર 60થી 70 દિવસમાં તૈયાર થઈ જાય છે.

ફોનિયાના દાણા રેતી જેટલા નાના હોય છે. તેના પર અખાદ્ય પદાર્થ લાગ્યો હોય છે તેને પહેલાં દૂર કરવો પડે છે.

મોટા ભાગે તેને હાથેથી સાફ કરવામાં આવે છે, પણ હવે સેનેગલમાં મીલ પણ તૈયાર થઈ છે.

આયર્ન, ઝિન્ક અને મૅગ્નેશિયમથી ભરપુર ફોનિયોનો ઉપયોગ ભાતની જગ્યાએ થઈ શકે છે. તેમાંથી બિયર પણ બની શકે છે.

પ્રિયા ટ્યૂ કહે છે, "આ કઠોળનો સ્વાદ ચાખવાની મને ઘણી ઇચ્છા છે. મને લાગે છે કે તે લોકોને પસંદ પડશે, કેમ કે તે ગ્લુટેન ફ્રી છે.""બીજું કે ઓછા વરસાદમાં પણ તે પાકે છે તેથી ભવિષ્યમાં ગ્લૉબલ વૉર્મિંગમાં તે સારો વિકલ્પ બની શકે છે."

line

નોપાલેસ થોર

નોપાલેસ

ઇમેજ સ્રોત, Stacy Michelson/BBC

ઇમેજ કૅપ્શન, નોપાલેસ ટાઇપ-2 ડાયાબિટીસ ધરાવતા લોકોને મદદરૂપ બની શકે છે

મેક્સિકન ભાણામાં નોપોલેસ થોરના પાંદડાં, ફળ અને ડાળખીઓ અચૂક જોવા મળે. હાથલા થોર પ્રકારનો આ થોર કાચો પણ ખાઈ શકાય છે કે તેને રાંધી પણ શકાય છે. તેનો જ્યૂસ અને જામ પણ બનાવી શકાય છે.

મધ્ય અને દક્ષિણ અમેરિકા, ઑસ્ટ્રેલિયા અને યૂરોપમાં નોપાલેસ થોર સહેલાઇથી ઉગાડી શકાય છે.

કેટલાક ક્લિનિક પ્રયોગો થયા તેમાં જોવા મળ્યું છે કે થોરના ફાઇબરના કારણે ચરબીનો નિકાલ વધારે થઈ શકે છે. જોકે તેના કારણે વજન ઘટે કે કેમ તે હજી સાબિત થયું નથી. અન્ય પ્રયોગોમાં જોવા મળ્યું હતું કે તેના કારણે ટાઇપ-ટુ ડાયાબિટીસ ધરાવતા લોકોના લોહીમાં રહેલી શર્કરા ઘટાડી શકે છે. હેંગઓવરની અસરને પણ તે ઓછી કરી શકે છે.

થોરનો પ્રયોગ કરનારાએ તેની અસરો પણ જાણી લેવી જોઈએ. ઘણા લોકોને તેના કારણે ઝાડા થઈ જાય છે. ઉબકા પણ આવી શકે છે અને પેટ ભારે ભારે પણ લાગી શકે છે.

પ્રિયા ટ્યૂ કહે છે: "આરોગ્યની બાબતમાં કેટલાક રસપ્રદ દાવા થયા છે, પણ એ યાદ રાખવું અગત્યનું છે કે તે હજી સાબિત થયા નથી.""તેની આડઅસરો પણ થાય છે. મને ચિંતા થાય છે કે સ્વાસ્થ્ય માટે આનો ક્રેઝ જાગ્યો છે."

line

બામ્બરા

ખાદ્ય પદાર્થો

ઇમેજ સ્રોત, Stacy Michelson/BBC

ઇમેજ કૅપ્શન, બામ્બરાથી પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન મેળવી શકાય છે

મગફળી કરતા થોડું તેલ ઓછું અને સ્વાદમાં થોડું વધારે ગળ્યું હોય છે. બામ્બરા કઠોળ તરફ પાક નિષ્ણાતોનું ધ્યાન ગયું છે, કેમ કે તેને નબળી જમીનમાં પણ ઊગાડી શકાય છે.

બીજું આ પાક જમીનમાં નાઇટ્રોજનનું 'ફિક્સિંગ' કરીને જમીનને વધારે ફળદ્રુપ બનાવે છે.

આફ્રિકાનું પરંપરાગત બામ્બરા દક્ષિણ થાઇલૅન્ડ અને મલેશિયાના કેટલાક પ્રદેશોમાં પણ પાકે છે. તેને બાફી શકાય છે, શેકી શકાય છે અને દળીને તેનો લોટ પણ બનાવી શકાય છે.

પૂર્વ આફ્રિકામાં તેનો રસ કાઢીને તેમાંથી સૂપ બનાવાય છે. તેને સંપૂર્ણ ખોરાક ગણવામાં આવે છે, કેમ કે તેમાં પ્રોટીન મોટા પ્રમાણમાં છે.

નવી રક્તવાહિનીઓને બનાવવા માટે ઉપયોગી એવા અગત્યના એમીનો એસિડ મેથિઓનાનઇન તૈયાર કરવામાં તે મદદરૂપ થાય છે.

શરીરની પ્રતિકારકશક્તિ માટે ઝિન્કનું પાચન થાય તે જરૂરી છે અને બામ્બરા તેમાં સહાયરૂપ છે.

તેમાં સેલિયમ પણ છે, જે થાઇરોઇડને કાબૂમાં રાખે છે અને રોગપ્રતિકારક શક્તિને પણ વધારે છે.

ટ્યૂ કહે છે, "શાકાહારી અથવા વનસ્પત્યાહારી લોકો માટે આ કઠોળ બહુ ઉપયોગી એવું લાગે છે. વનસ્પતિ આધારિત પ્રોટીન તેમાંથી મળે છે અને તેનો પાક લેવો સહેલો છે તેનાથી પર્યાવરણને ફાયદો છે."

"ભવિષ્યમાં મનુષ્ય માટેના આહારની શું સ્થિતિ હશે તેની સમસ્યા હાલમાં આપણી સામે આવીને ઊભી છે. તે વખતે વધારે સહેલાઈથી ઉગાડી શકાય એવા આ પ્રકારના બહુપયોગી ખાદ્યપદાર્થોની આપણને વધારે જરૂર છે."

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન