BBC INNOVATORS : કૃત્રિમ ગ્લેશિયરોથી દૂર થઈ શકે છે હિમાલયનું જળ સંકટ?
- લેેખક, શિવાની કોહોક
- પદ, બીબીસી સંવાવદાતા
પૃથ્વી પરના સૌથી ઠંડા સ્થળોમાંથી એક લદ્દાખમાં ચોતરફ થીજી ગયેલા બરફના પહાડ છે, છતાં અહીં ગરમીના દિવસોમાં પાણીની તંગી રહે છે. પણ તેનો ઉકેલ અહીંના સ્થાનિક એન્જિનિયરે શોધી લીધો છે.
11 હજાર ફૂટની ઊંચાઇએ મહત્તમ ઠંડી મધરાતે પડે છે. અહીં શિયાળામાં તાપમાન શૂન્યથી માઇનસ 30° C સેન્ટીગ્રેડ પર પહોંચે છે.
ભારતના ઉત્તર ભાગમાં હિમાલયમાં આવેલા લડાખની પાણીની કટોકટીનો ઉકેલ મેળવવા દસ સ્વયંસેવકો બરફના સ્તૂપ બનાવી રહ્યા છે.
તેમને આશા છે કે વર્ષના પ્રારંભે બરફ ઓગળશે જે ખેતી અને ગામ લોકો માટે પાણીની જરૂરિયાત પૂરી કરશે.
તમને આ પણ વાંચવું ગમશે
આ એન્જિનિયર સોનમ વાંગચુકનું કામ છે.
લદ્દાખ ખીણમાં જ જન્મેલા તેમણે સ્થાનિક લોકોની પાણીની રોજિંદી સમસ્યાનો કાયમી અને આગવો ઉકેલ મેળવવા ઘણા વર્ષો કામ કર્યું છે.
તેમણે કહ્યું, “આપણે એવી આશામાં જીવીએ છીએ કે સમસ્યાઓના ઉકેલ તો ન્યૂ યોર્ક કે નવી દિલ્હીમાંથી જ મળશે. પરંતુ એ સમજી લેવાની જરૂર છે કે એ લોકો અહીં પર્વતોમાં કામ કરવા ક્યારેય આવવાના નથી.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે વધુમાં કહ્યું, “મારું માનવું છે કે પહાડી વિસ્તારનાં લોકોએ તેમની સમસ્યાઓના ઉકેલ જાતે જ ખોળી કાઢવા પડશે.”

ઇમેજ સ્રોત, ROLEX/ STEFAN WALKER
લદ્દાખની ખીણમાં ગ્રામવાસીઓ અતિશય પ્રતિકૂળ પરિસ્થિતિમાં જીવે છે.
અહીં શિયાળાના ચાર મહિના રસ્તા સંપૂર્ણપણે બંધ થઈ જાય છે અને દેશના બાકીના ભાગથી તેમનો સંપર્ક સંપૂર્ણપણે કપાઈ જાય છે.
વાંગચુકના જણાવ્યા પ્રમાણે પર્યાવરણમાં આવતા ફેરફારોની અસર સમસ્યામાં વધારો કરે છે.
તેમણે કહ્યું, “ગ્લોબલ વોર્મિંગને કારણે હિંદુકુશ હિમાલયન પર્વતમાળામાં જળ સંતુલનને નુક્સાન થયું હોવાના સંકેતો મળ્યા છે. ઊંચી સપાટીએ ગ્લેશિયર્સમાં ઘટાડો થઈ રહ્યો છે.”
તેમણે વધુમાં કહ્યું, “વસંત ઋતુમાં પાણીનો જથ્થો ઓછો મળે છે, બીજી તરફ ઉનાળામાં પૂરનો અનુભવ પણ કરીએ છીએ. ખીણમાં પાણીનો પ્રવાહ અનિયમિત થઈ ગયો છે એમ તેઓ સમજાવે છે.”

લદ્દાખ

ઇમેજ સ્રોત, SONAM WANGCHUK
- દરિયાની સપાટીથી 2700 મીટર (8860 ફૂટ)થી 4000 મીટર (13,123 ફૂટ)ની ઊંચાઈએ વસેલા ગામો.
- આશરે ત્રણ લાખ લોકોની વસતી.
- શિયાળામાં શૂન્યની નીચે માઇનસ -30 સે (-22 ° F) પહોંચતું તાપમાન.
- વર્ષે સરેરાશ માત્ર 100 મીમી વરસાદ.
વાંગચુકને ખીણમાં સાથે કામ કરતા એન્જિનિયર પાસેથી પ્રેરણા મળી હતી.
ચેવાંગ નોર્ફેલે 4000 મીટર (13,123 ફૂટ) અને તેથી વધુ ઊંચાઈએ સપાટ કૃત્રિમ હિમનદીઓનું નિર્માણ કર્યું છે. પરંતુ ગ્રામજનો એટલી ઉંચાઈએ પહોંચવાની તૈયારી નથી.
વાંગચુક કહે છે, “આ વિચાર આકાર લઈ રહ્યો હતો, ત્યારે હું એક પુલ પરથી પસાર થઈ રહ્યો હતો.”
તેમણે ઉમેર્યું, “ત્રણ હજાર મીટર (9842 ફીટ)ની આ આખા વિસ્તારની સૌથી ગરમ અને ઓછી સપાટીની ઊંચાઇએ મને બ્રિજની નીચે બરફ જામેલો જોયાનું યાદ આવ્યું. એ મે મહિનો હતો. મેં વિચાર્યું કે સીધો સૂર્યપ્રકાશ બરફને ઓગાળશે પરંતુ જો આપણે તેને સૂર્યથી સુરક્ષિત કરીએ તો અહીં ફેઈમાં બરફનો સંગ્રહ કરી શકીએ.”

ઇમેજ સ્રોત, ROLEX/ STEFAN WALKER
આમ 2013માં તેમણે અને તેમના SECMOL ઑલ્ટરનેટિવ સ્કૂલના વિદ્યાર્થીઓએ બરફના સ્તૂપના નમૂના બનાવવાનું શરૂ કર્યું.
બરફના સ્તૂપ પાછળની ટેક્નોલોજી સાવ સરળ છે. ગ્લેશિયરના પાણીને જમીનના ઊંડા તળ સુધી લઈ જવા હોય ત્યાં શરૂઆતમાં પાઇપને જમીન નીચે બિછાવવામાં આવે છે. પાઇપનો બીજો છેડો ઊભો આગળ વધે છે.
ઊંચાઈ અને ગુરુત્વાકર્ષણ બળના તફાવતને કારણે પાઇપમાં દબાણ વધે છે.
પાણીનો પ્રવાહ ઉપર તરફ વહે છે અને પાઇપના છેડેથી બહાર નીકળતું પાણી ફુવારાની જેમ બહાર ફેંકાય છે.
હળવા દબાણવાળી હવા ધીમેથી પિરામિડ જેવું માળખું બનાવે છે.

ઇમેજ સ્રોત, Getty Images
વાંગચુકે કહ્યું, “અમે શિયાળામાં ન વપરાયેલું પાણી ઠંડું કરી રહ્યા છીએ. આ સ્તૂપ જેવા ભૌમિતિક આકારને કારણે અંતમાં ગરમી શરૂ થાય ત્યાં સુધી ઓગળતું નથી."
ગરમીની શરૂઆતમાં કૃત્રિમ ગ્લેશિયર ઓગળવાનું શરૂ કરે છે અને ટપક સિંચાઈ પદ્ધતિથી ખેતી માટે પાણીનો ઉપયોગ કરી શકાય છે.
તિબેટના ધાર્મિક કારણોથી બનાવાતા સ્તૂપના અર્ધગોળાકાર અથવા શંકુ આકારની ટોચ જાણે બૌદ્ધ સાધુઓના અવશેષોની યાદ અપાવે છે.
વાંગચુક માને છે કે આ તમામ બાબતોથી સ્થાનિકોમાં માલિકીભાવ સંબંધી એક સારી સમજણ ઉજાગર થશે.
ભંડોળ ભેગું કરતા સાધુઓ
એક બરફના સ્તૂપ સાથે કેટલીક પ્રારંભિક સફળતા પછી, 2014માં નજીકના ફીઆંગ મઠનો સમાવેશ થયો. તેઓએ બરફના વીસ સ્તૂપનું નિર્માણ કરવા ટીમને કહ્યું.
આ માટે ક્રાઉડ ફંડિંગ દ્વારા 83 લાખ રૂપિયા જેટલું ભંડોળ એકઠું કરવામાં આવ્યું છે.
આ નાણાંથી 2.3 કિમી પાઇપલાઇન નાખવામાં આવી જેનાથી ગામમાં પાણી પહોંચ્યું.
વાંગચુક દાવો કરે છે કે આ પાઇપલાઇન ખીણમાં ઓછામાં ઓછા બરફના પચાસ સ્તૂપને ટેકો આપી શકે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













