મનીષ સિસોદિયાની ધરપકડ કયા આરોપ હેઠળ થઈ છે? શું આખો મામલો?

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશને દિલ્હીના નાયબ મુખ્ય મંત્રી મનીષ સિસોદિયાની ધરપકડ કરી છે.

મનીષ સિસોદિયાની ધરપકડ બાદ સીબીઆઈએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે દિલ્હીની દારૂની નીતિના પાલનમાં ગેરરીતિઓની તપાસ દરમિયાન સિસોદિયાની ધરપકડ કરવામાં આવી છે.

સીબીઆઈ દિલ્હીની દારૂની નીતિમાં કથિત કૌભાંડના આરોપોની તપાસ કરી રહી છે. સિસોદિયાને સોમવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

મનીષ સિસોદિયા વિરુદ્ધ ઘણા મહિનાઓથી તપાસ ચાલી રહી હતી. રવિવારે સીબીઆઈએ તેમને પૂછપરછ માટે બોલાવ્યા હતા.

સીબીઆઈ ઑફિસ જતા પહેલાં જ મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે આજે તેમની ધરપકડ થઈ શકે છે.

લાઈવ લૉના ટ્વીટ અનુસાર દિલ્હીના નાયબ મુખ્ય મંત્રી મનીષ સિસોદિયાની કથિત દિલ્હી લિકર પૉલિસી કૌભાંડ કેસમાં સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહે મનીષ સિસોદિયાની ધરપકડને તાનાશાહીની ટોચ ગણાવી છે.

આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહે ટ્વિટર પર લખ્યું, "સિસોદિયાની ધરપકડ તાનાશાહીની ટોચ છે. મોદીજી, તમે એક સારા વ્યક્તિ અને શ્રેષ્ઠ શિક્ષણમંત્રીની ધરપકડ કરીને સારું કર્યું નથી, ભગવાન પણ તમને માફ નહીં કરે. મોદીજી, એક દિવસ તમારી તાનાશાહી ચોક્કસ ખતમ થશે."

ભાજપ કાર્યકર્તા કપિલ મિશ્રાએ ટ્વીટ કરતા લખ્યું છે, 'મનીષ સિસોદિયાને દારૂના કારણે બરબાદ થયેલા પરિવારોની માતાઓ અને બહેનોની હાય લાગી છે.'

'હું શરૂઆતથી જ કહેતો આવ્યો છું કે કેજરીવાલ, મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન જેલમાં જશે, તેમાંથી બે તો જેલમાં જઈ ચૂક્યા છે, હવે નંબર કેજરીવાલનો છે.'

બીજી તરફ આમ આદમી પાર્ટીએ સિસોદિયાની ધરપકડને લોકશાહી માટે કાળો દિવસ ગણાવ્યો છે.

એક ટ્વિટમાં 'આપ' પાર્ટીએ કહ્યું, "લોકશાહી માટે કાળો દિવસ! કરોડો બાળકોના ભવિષ્યને ઘડનાર વિશ્વના શ્રેષ્ઠ શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાની ભાજપની સીબીઆઈએ એક નકલી કેસમાં ધરપકડ કરી છે. રાજકીય દુશ્મનાવટના કારણે ભાજપે આ ધરપકડ કરી છે."

આમ આદમી પાર્ટીના પ્રવક્તા રાઘવ ચડ્ઢાએ ટ્વીટ કરીને લખ્યું છે, 'જેલનાં તાળાં તૂટશે, મનીષ સિસોદિયા છૂટશે'

મનીષ સિસોદિયાએ તપાસમાં સહકાર નથી આપ્યો એટલે ધરપકડ થઈ: સીબીઆઈ

સીબીઆઈએ તેમના નિવેદનમાં કહ્યું છે કે વર્ષ 2021-22 માટે બનાવવામાં આવેલી એક્સાઈઝ પૉલિસીમાં અનિયમિતતાના સંબંધમાં દિલ્હીના નાયબ મુખ્ય મંત્રી મનીષ સિસોદિયા અને અન્ય 14 લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો.

સીબીઆઈના જણાવ્યા અનુસાર, આ કેસમાં 25 ડિસેમ્બર, 2022ના રોજ મુંબઈસ્થિત કંપનીના સીઈઓ સહિત 6 લોકો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી અને આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.

સીબીઆઈએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે સિસોદિયાને 19 ફેબ્રુઆરી, 2023ના રોજ તપાસમાં સામેલ થવા માટે નોટિસ આપવામાં આવી હતી.

સીબીઆઈએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે મનીષ સિસોદિયાએ પોતાની વ્યસ્તતાને ટાંકીને એક સપ્તાહનો સમય લીધો હતો. તેમની માગણી સ્વીકારીને 26 ફેબ્રુઆરીએ તપાસમાં જોડાવા માટે નોટિસ આપવામાં આવી હતી.

સીબીઆઈએ કહ્યું છે કે તેમણે રવિવારે પૂછપરછ દરમિયાન સિસોદિયાને પૂછેલા પ્રશ્નોના જવાબ આપ્યા ન હતા.

સીબીઆઈનું કહેવું છે કે તપાસ દરમિયાન એવા પુરાવા એકત્ર કરવામાં આવ્યા હતા, જે તેમની સંડોવણી સાબિત કરે છે. સિસોદિયા આ સાથે જોડાયેલા સવાલોના જવાબ આપી શક્યા ન હતા.

સીબીઆઈનું કહેવું છે કે સિસોદિયાએ તપાસમાં સહકાર આપ્યો ન હતો, તેથી તેમની ધરપકડ કરવામાં આવી.

"ભાજપ ડરેલો છે"

આમ આદમી પાર્ટી વતી પ્રેસ કૉન્ફરન્સ કરતા પાર્ટીના ધારાસભ્ય આતિશીએ કહ્યું કે, આમ આદમી પાર્ટી મનીષ સિસોદિયાની ધરપકડથી ડરશે નહીં.

આતિશીએ કહ્યું કે ભાજપ આમ આદમી પાર્ટીથી ડરે છે, તેથી જ સિસોદિયાની ધરપકડ કરવામાં આવી છે.

આતિશીએ કહ્યું, "CBIએ મનીષ સિસોદિયાની ધરપકડ કરી છે. સિસોદિયાએ પોતે કહ્યું હતું કે આજે તેમની ધરપકડ કરવામાં આવશે. મનીષ સિસોદિયા એ શિક્ષણમંત્રી છે જેમણે છેલ્લા આઠ વર્ષમાં દિલ્હીની સરકારી શાળાઓની કાયાપલટ કરી છે. મનીષ સિસોદિયાએ દિલ્હીના 20 લાખ ગરીબ બાળકોને સારું ભવિષ્ય આપ્યું છે."

આતિશીએ કહ્યું, "આજે ભાજપ કહી રહી છે કે મનીષ સિસોદિયાએ 10,000 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું છે, અમે પૂછવા માંગીએ છીએ કે આ 10,000 કરોડ રૂપિયાનું કૌભાંડ ક્યાં છે. શું આ પૈસા મનીષના ઘરે કે કોઈ સંબંધીના ઘરેથી મળી આવ્યા છે કે તેની કોઈ મિલકત મળી છે?"

તેમણે કહ્યું, "ભાજપ સીબીઆઈ અને ઈડીનો ઉપયોગ કરીને આમ આદમી પાર્ટીને ખતમ કરવા માંગે છે. પણ અમે ગભરાઈશું નહિ."

તેમણે કહ્યું, "આ મનીષ સિસોદિયા આવનારા સમયમાં દેશના શિક્ષણમંત્રી બનશે, આ આમ આદમી પાર્ટી આવનારા સમયમાં આ તાનાશાહીનો અંત લાવશે."

શું હતી દિલ્હીની નવી શરાબનીતિ?

ફાઇનાન્સિયલ ઍક્સપ્રેસના એક અહેવાલ અનુસાર નવી પૉલિસી અંતર્ગત દિલ્હી સરકારે પોતાની જાતને શરાબના વ્યવસાયથી બહાર કરી દીધી હતી.

આ નીતિના અમલ સાથે જ દિલ્હીમાં શરાબની સરકારી દુકાનો બંધ કરી દેવાઈ હતી અને શરાબવેચાણ માટે ખાનગી પાર્ટીઓને લાઇસન્સ જારી કરાયાં હતાં. આ સિવાય દિલ્હીમાં શરાબ પીવાની કાનૂની ઉંમર 25 વર્ષથી ઘટાડીને 21 કરી દેવાઈ હતી.

નવી શરાબનીતિનો હેતુ સરકારની આવક વધારવાનો, સારો ગ્રાહક અનુભવ આપવાનો, શરાબમાફીયાની અસર ખતમ કરવાનો અને દારૂની કાળા બજારી બંધ કરાવવાનો હોવાનું જણાવાયું હતું.

આ પૉલિસી નવેમ્બર 2021થી અમલી બની હતી.

દિલ્હી સરકારના દાવા અનુસાર આ નવી નીતિના અમલીકરણથી સરકારની આવકમાં 27 ટકાનો વધારો થયો હતો, જે 8,900 કરોડ રૂપિયા બરોબર હતો.

આ પૉલિસીને વધુ આકર્ષક બનાવવા માટે સરકારે લાઇસન્સધારકોને શરાબની કિંમત નક્કી કરવાની સ્વતંત્રતા આપી હતી, જેમાં MRPમાં ભારે ડિસ્કાઉન્ટ આપવાની શક્યતા વધી ગઈ હતી. તમામ દુકાનો વહેલી સવારના ત્રણ વાગ્યા સુધી ચાલુ રાખી શકાય તેવી પરવાનગી અપાઈ હતી. તેમજ હોમ ડિલિવરી માટેની સુવિધા પણ ઊભી કરાઈ હતી.

ઉપરાજ્યપાલના આરોપો અને ચીફ સેક્રેટરીનો રિપોર્ટ

આ વર્ષે જુલાઈ માસમાં દિલ્હીના ઉપરાજ્યપાલ વિનયકુમાર સક્સેનાએ નવી શરાબનીતિ મામલે CBI તપાસની ભલામણ કરી હતી.

તેમણે દિલ્હીના ચીફ સેક્રેટરી નરેશકુમારને અધિકારીઓએ આ નવી નીતિના નિર્માણ મામલે કરેલ યોગદાન, સુધારા અને તેના અમલીકરણ બાબતે રિપોર્ટ તૈયાર કરવા કહ્યું હતું.

કુમારે પોતાના રિપોર્ટમાં નોંધ્યું કે દિલ્હીની શરાબનીતિમાં બદલાવ ઉપરાજ્યપાલની મંજૂરી વગર કરાયું છે, જેનાથી શરાબના ખાનગી વેપારીઓને 'ખોટી રીતે ફાયદો' કરાયો હતો.

કુમારે આ નીતિ અંગે ઘણા પ્રક્રિયાસંબંધિત ત્રુટીઓ ગણાવી હતી. આ નીતિ અંતર્ગત કોરોનાના કારણે 144.36 કરોડ રૂપિયાની લાઇસન્સ ફીમાં છૂટ અપાઈ હતી.

જેના માટે ઉપરાજ્યપાલની મંજૂરી લેવાઈ નહોતી. પ્રતિ બિયર 50 રૂપિયાની ઇમ્પૉર્ટ પાસ ફી માફ કરાઈ હતી. જેના કારણે સરકારને ભારે નુકસાન થયું છે. અને સામેની તરફે લાઇસન્સધારકોને ભારે ફાયદો થયો છે.

દિલ્હી એક્સાઇઝ રુલ્સ, 2010 અને ટ્રાન્ઝેક્શ ઑફ બિઝનેસ રુલ્સ, 1993 અંતર્ગત આમાં કોઈ પણ પ્રકારના ફેરફાર માટે ઉપરાજ્યપાલ અને કૅબિનેટની મંજૂરી લેવી આવશ્યક છે.

જો એવું ન કરવામાં આવે તો આ બદલાવ ગેરકાયદેસર ઠરે છે. આ કારણે જ દિલ્હી પોલીસનો ઇકૉનૉમિક ઑફેસન્સ વિંગ અને સીબીઆઈએ આ સમગ્ર મામલે તપાસ આદરી છે.

નોંધનીય છે કે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે આ કાર્યવાહીની ટીકા કરી હતી અને ટ્વિટર પર લખ્યું હતું કે, "વિશ્વના શ્રેષ્ટ શિક્ષામંત્રી જાહેર કરાયેલ એવા મનીષ સિસોદિયાના ઘરે સીબીઆઈ દરોડો પાડવા માટે પહોંચી છે."

"તેમને ઉપરથી આદેશ છે કે આમની હેરાનગરતિ કરવામાં આવે. પહેલાં પણ આવા દરોડા પાડી ચૂક્યા છે. પરંતુ કંઈ નહોતું મળ્યું. અત્યારે પણ કંઈ જ નહીં મળે. અડચણો આવશે, પરંતુ અમે નહીં રોકાઈએ."

નવી નીતિ લાવવા પાછળનાં કારણો

ઉપમુખ્ય મંત્રી મનીષ સિસોદિયાએ જે-તે સમયે નવી આબકારી નીતિ લાવવા પાછળ મુખ્યત્વે બે કારણો જણાવ્યાં હતાં. પ્રથમ શરાબમાફિયા પર નિયંત્રણ મેળવવું અને બીજું સરકારની આવક વધારવા માટે.

સાથે જ તેમણે એ વાત પર પણ ભાર મૂક્યું કે શરાબની દુકાનોનું વિસ્તાર અનુસાર સમાન વિતરણ થવું જોઈએ, ગ્રાહકો માટે શરાબ ખરીદવાની પ્રવૃત્તિ સુવિધાજનક હોવી જોઈએ.

તેમણે કહ્યું કે, આબકારી નીતિમાં ફેરફાર કરીને આ તમામ ફૅક્ટરોને હઠાવવામાં આવ્યા છે. આ ફૅક્ટરોને કારણે જ શરાબમાફિયા પોતાની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવતા હતા.

મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે, "અમુક મહિના પહેલાં આબકારીવિભાગમાં દિલ્હીમાં શરાબ ખરીદવા અને વેચવાની સિસ્ટમ, રેવન્યૂ લિકેજને ઠીક કરવા માટે એક વિશેષજ્ઞ સમિતિ બનાવવામાં આવી હતી. સમિતિએ રિપોર્ટમાં જનતાની ભલામણો માગી હતી. લગભગ 14,700 ભલામણો આવી હતી."

"આ અંગે મુખ્ય મંત્રી દ્વારા ભલામણો કરવા અંગે મંત્રીઓના સમૂહની નિમણૂક કરાઈ હતી. આ ભલામણોને કૅબિનેટે મંજૂરી આપી દીધી હતી."

આ સાથે જ તેમણ શરાબની દુકાનોએ સમાનવિતરણ પર પણ જોર આપ્યું હતું. જોકે, ઉપરાજ્યપાલના આરોપો બાદ દિલ્હી સરકારે આ નવી નીતિમાંથી પીછેહઠ કરી હતી.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો