Budget 2022 : નિર્મલા સીતારમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહના ગુજરાતને શું આપ્યું?

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે નાણાકીય વર્ષ 2022-'23નું બજેટ રજૂ કર્યું હતું. જેમાં વ્યક્તિગત પ્રત્યક્ષ કરવ્યવસ્થામાં કોઈ ફેરફાર નથી કર્યો.

બજેટના ભાષણમાં ગુજરાત સંબંધિત કેટલીક જાહેરાતો કરી હતી, જે પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે રાજ્ય તથા નાગરિકોને અસર કરશે.

અપેક્ષા હતી કે પંજાબ તથા ઉત્તર પ્રદેશની ચૂંટણીને ધ્યાને રાખીને 'મોટી જાહેરાત' કરવામાં આવશે, પરંતુ એવું બન્યું ન હતું.

'અર્થતંત્રનું બૅરોમીટર' મનાતા શૅરબજારમાં બજેટ પહેલાં અને ભાષણ પૂરું થયું ત્યાર સુધી તેજી જોવા મળી હતી.

બજાર 'ગૅપ-અપ ઑપનિંગ' સાથે ખુલ્યું હતું, પરંતુ એ પછી તેમાં કડાકો બોલી ગયો હતો અને ગઇકાલની બંધ સપાટીથી પણ નીચે ઊતરી ગયો હતો. જોકે એ પછી નવી લેવાલી આવી હતી, જોકે તરત જ નવી લેવાલી આવી હતી અને બજાર 120 કરતાં વધુ પૉઇન્ટ ચઢ્યું હતું.

ગુજરાતને શું મળ્યું?

ગાંધીનગર પાસે ગિફ્ટ સિટી ખાતે ઇન્ટરનેશનલ ફાયનાન્સિયલ સર્વિસિઝ સેન્ટરને આંતરરાષ્ટ્રીય હબ બનાવવા માટે પ્રતિબદ્ધ છે.

આ માટે ઍરક્રાફ્ટ લિઝિંગ કંપનીઓને કૅપિટલ ગેઇન્સમાંથી કર મુક્તિ, વિદેશી લીઝ દાતાઓને આપવામાં આવેલા લીઝ ભાડામાં ટેક્સ હોલી ડે, જે વિદેશી ફંડ આઈએફએસસી ખાતે આવવા માગતું હોય તેમને કરરાહતો તથા વિદેશી બૅન્કોના રોકાણ એકમોને પણ રાહતોની જાહેરાત કરી છે.

ગિફ્ટ સિટી ખાતે પરસ્પરના આંતરરાષ્ટ્રીય ન્યાયક્ષેત્રના વિવાદોના ઉકેલ માટે આંતરરાષ્ટ્રીય લવાદ કેન્દ્ર ઊભું કરવામાં આવશે. ગિફ્ટ સિટી ખાતે ફાયનાન્સિયલ મૅનેજમૅન્ટ, ફિનટેક, સાયન્સ, ટેકનૉલૉજી, એન્જિનિયરિંગ તથા ગણિતના આંતરરાષ્ટ્રીય કોર્સ શરૂ કરવાને છૂટ અપાશે અને તેને સ્થાનિક જોગવાઈઓથી છૂટ અપાશે.

ભારત દ્વારા હૉંગકૉંગ ઇન્ટરનેશનલ કન્વેન્શનને માન્યતા પ્રદાન કરવામાં આવી છે. ગુજરાતના અલંગ ખાતેના લગભગ 90 જેટલા જહાજ ભાંગતા યાર્ડે તેનું સર્ટિફિકેશન મેળવી લીધું છે. હવે યુરોપ તથા જાપાનના વધુ અને વધુ જહાજો ભાંગવા માટે અલંગ આવે તે માટે પ્રયાસ કરવામાં આવશે.

સરકાર 2024માં હાલની 45 લાખ લાઇટ ડિસ્પપ્લેસમેન્ટ ટનની ક્ષમતાને વધારીને બમણી કરવા ધારે છે. તેનાથી રોજગારની દોઢ લાખ તકો ઊભી થશે.

દમણગંગા-પંજાલ, પાર-તાપી-નનર્મદા સહિત અલગ-અલગ પાંચ નદીઓના જોડાણના ડિટેઇલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ ફાઇનલ થઈ ગયા છે. લાભાર્થીઓ વચ્ચે સહમતી સધાશે એટલે કેન્દ્ર સરકાર દ્વારા પ્રોજેક્ટને હાથ ધરવા માટે સહાય કરવામાં આવશે.

અન્ય કેટલીક ગુજરાત સંબંધિત જાહેરાતો

  • સ્ટીલના ભંગારની (સ્ટેનલેસ સ્ટીલ, તેના મિશ્રણો તથા સામાન્ય લોખંડ) પરની આયાત ડ્યૂટી 7.5 ટકા લાગશે. આને કારણે લોખંડના વધતા જતા ભાવોથી નાના અને મધ્યમ ઉદ્યોગોને રાહત મળશે. આ છૂટ માર્ચ-2022 સુધી લંબાવવામાં આવી.
  • માનવનિર્મિત ટેકસ્ટાઇલમાં પૉલિસ્ટરની જેમ જ પાંચ ટકાનો કર લાગશે.
  • ઉજ્જવલા યોજનાને વધુ એક કરોડ ઘર સુધી વિસ્તારવામાં આવશે.
  • આગામી ત્રણ વર્ષ દરમિયાન દેશના વધુ 100 જિલ્લાઓમાં પાઇપલાઇનથી ગૅસ પૂરો પાડવામાં આવશે.
  • ઇમરજન્સી ક્રૅડિટલાઇન ગૅરન્ટી સ્કીમનું કુલ કવચ રૂ. પાંચ લાખ કરોડ વિસ્તારવામાં આવ્યું છે. જેનાથી લગભગ એક કરોડ 30 લાખ લઘુ અને મધ્યમ એકમોને મદદ મળશે. આ યોજનાને માર્ચ-2023 સુધી વિસ્તારવામાં આવી છે.
  • અલગ-અલગ વપરાશ માટે ડ્રૉન એઝ અ સર્વિસને પ્રોત્સાહન આપવા માટે દરેક રાજ્યો તથા આઈટીઆઈમાં ડ્રોનને લગતા અભ્યાસક્રમો શરૂ કરવામાં આવશે.
  • આર્થિક રીતે ગરીબ લોકો માટે 80 લાખ નવા ઘરનું નિર્માણ કરવામાં આવશે, જેના માટે રૂ. 48 હજાર કરોડની ફાળવણી.
  • ચાલુ વર્ષે ત્રણ કરોડ 80 લાખ લોકોને રૂ. 60 હજાર કરોડની ફાળવણી.
  • શિડ્યુલ્ડ કૉમર્શિયલ બૅન્ક દ્વારા દેશના 75 જિલ્લામાં ડિજિટલ બૅન્કિંગ યુનિટ શરૂ કરવામાં આવશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો