ભારત પોતાનો ડિજિટલ રૂપિયો કેમ લાવવા માગે છે?
બજેટમાં ક્રિપ્ટોકરન્સી માટે કેન્દ્ર સરકારની નીતિની જાહેરાતની રાહ જોવાઈ રહી હતી, ત્યારે બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે ડિજિટલ રૂપિયા અંગે જાહેરાત કરી હતી.
તેમણે કહ્યું કે, "ચાલુ નાણાકીય વર્ષથી દેશની મધ્યસ્થ બૅન્ક રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા દ્વારા બ્લૉક-ચેઇન તથા અન્ય ટેકનૉલૉજીનો ઉપયોગ કરીને ડિજિટલ રૂપિયો બહાર પાડવામાં આવશે, જેનાથી દેશના અર્થતંત્રને બળ મળશે."

ઇમેજ સ્રોત, Getty Images
તેમણે વધુમાં કહ્યું, "વર્ચ્યુઅલ ડિજિટલ ઍસેટના (બિટકૉઇન તથા અન્ય કરન્સી) વેચાણ ઉપરથી થતી આવક ઉપર 30 ટકા કર લાગશે."
"તેને ભેટ આપવા ઉપર પણ ટૅકસ લાગશે. ડિજિટલ ઍસેટના વેચાણમાંથી થતાં નુકસાનને માત્ર વર્ચ્યુઅલ ડિજિટલ ઍસેટથી થયેલા નુકસાન સામે ઍડજસ્ટ કરી શકાશે."

નિષ્ણાતોનું શું માનવું છે?

ઇમેજ સ્રોત, Getty Images
બૅન્ક બજાર ડૉટકૉમના સીઈઓ આદિલ શેટ્ટીએ ડિજિટલ કરન્સીના એલાન પર બીબીસીને કહ્યું, "અત્યાર સુધી અમેરિકાએ પણ પોતાનું સીબીસી લૉન્ચ કર્યું નથી. સીબીસી લૉન્ચનો મતલબ કે ભારત બ્લૉકચેન અને કમ ઑપરેશનલ કૉસ્ટનો લાભ ઉઠાવીને સેન્ટલમૅન્ટમાં તેજી લાવવા માગે છે. આને વધુ સમજવા માટે આપણે તેની માહિતીની રાહ જોવી જોઈએ."
ડિજિટલ કરન્સી લાવવાના પ્રસ્તાવથી સાથે જ બજેટમાં ક્રિપ્ટોકરન્સીની કમાણી પર 30 ટકા ટૅક્સની જાહેરાત કરાઈ છે.
ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથે વાતચીતમાં પ્રાઇમસ પાર્ટનર્સ-ડિજિટલ કરન્સીના મૅનેજિંગ ડાયરેક્ટર શ્રવણ શેટ્ટીએ કહ્યું કે બ્લૉકચેન-બેસ્ડ ડિજિટલ કરન્સી લાવવા અને વર્ચ્યુઅલ ડિજિટલ ઍસેટને ટૅક્સ નેટ હેઠળ 30 ટકાના દરે લાવવાથી ક્રિપ્ટોકરન્સી સૅક્ટરમાં સટ્ટાબાજી ઓછી થશે. તેનાથી અર્થવ્યવસ્થાને ડિજિટલ કરન્સીનો લાભ એક સંરચનાત્મક ઢાંચામાં મળશે.
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ ચીન પણ આ પ્રકારની જાહેરાત કરી ચૂક્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images
હજારો કરોડ રૂપિયાના મૂલ્યની ક્રિપ્ટોકરન્સી ભારતમાં ઊભી થઈ છે ત્યારે તેના નિયંત્રણ માટે સમર્થકો માગણી કરી રહ્યા છે, જ્યારે વિરોધ કરનારા કહે છે કે ક્રિપ્ટોકરન્સીને મંજૂરી મળશે તો અર્થતંત્ર ડામાડોળ થઈ જશે.
ક્રિપ્ટોકરન્સીના વિરોધ વચ્ચે તેના સમર્થકો કહે છે કે તેને કાયદેસર કરવાનો સમય પાકી ગયો છે. પરંતુ તે પહેલાં ક્રિપ્ટો વિશે જનતામાં પાયાની જાગૃતિ લાવવી જરૂરી છે એમ વિરોધીઓ કહે છે.
વૈશ્વિક અર્થતંત્રમાં કોઈ સંપત્તિની કિંમત તેના મૂલ્યને કારણે અથવા તેની ગેરન્ટીને કારણે નક્કી થતું હોય છે. દાખલા તરીકે રિયલ ઍસ્ટેટમાં જમીન અને તેના પર થયેલા બાંધકામને સ્થાયી મિલકત ગણીને તેનું મૂલ્ય નક્કી થાય છે.
ભારતની ચલણી નોટ પર રિઝર્વ બૅન્કના ગવર્નરની સહી સાથે "હું ધારકને ---- રૂપિયા ચૂકવવા વચન આપું છું" એવી ગેરન્ટી છપાયેલી હોય છે. જેટલા રૂપિયાની નોટ હોય તેટલી તેનું મૂલ્ય ગણાય. તેની સામે ક્રિપ્ટોકરન્સીમાં આવી રીતે કોઈએ ગેરન્ટી આપેલી હોતી નથી. આમ છતાં તેને એક ઍસેટ - સંપત્તિ ગણવામાં આવે છે.
સરકાર અને આરબીઆઈને સમસ્યાનું મૂળ આમાં રહેલું લાગે છે.
બ્લૂમબર્ગે ચાઇનાલિસીસ રિપોર્ટને ટાંકીને જણાવ્યું છે કે જુલાઈ 2020થી જૂન 2021 સુધીમાં ભારત સહિત મધ્ય અને દક્ષિણ એશિયામાં 572.5 અબજ ડૉલર (42,35,000 કરોડ રૂપિયા)નું રોકાણ થયું છે. આ સમયગાળામાં થયેલા કુલ ક્રિપ્ટો રોકાણમાં આ માત્ર 1.4 ટકા જેટલું છે.
જીડીપી પ્રમાણે ભારતનું અર્થતંત્ર અત્યારે વિશ્વમાં પાંચમા નંબરે ગણાય છે.
2021-22નું ભારતનું બજેટ 34,83,236 કરોડ રૂપિયાનું હતું. ચાઇનાલિસીસના રિપોર્ટ પ્રમાણે આ નાણાકીય વર્ષમાં ભારતમાં ક્રિપ્ટોનું બજાર 641 ટકા વધી ગયું છે.
રૉઇટર્સના એક અહેવાલમાં જણાવ્યા અનુસાર માર્ચ 2021 સુધીમાં ભારતમાં ક્રિપ્ટોમાં રોકાણ કરનારા લોકોની સંખ્યા 80 લાખને વટાવી ગઈ હતી.
રૉઇટરે બિટબિન્સ નામની ક્રિપ્ટો વૅબસાઇટના સીઈઓ સાથે વાતચીત કરી હતી. 2021ના વર્ષમાં ક્રિપ્ટો બજારના વિકાસ વિશે વાત કરતાં તેમણે કહ્યું હતું કે તેમના બિટબિન્સના રજિસ્ટર્ડ યૂઝર્સ અને રોકાણકારોની સંખ્યામાં 30 ગણો વધારો થયો હતો. અન્ય ક્રિપ્ટો વૅબસાઇટ્સે પણ જણાવ્યું હતું કે તેમના કામકાજમાં ખાસ્સો વધારો થયો છે.
ભારતમાં ક્રિપ્ટોની બજાર સતત આગળ વધી રહી છે, પરંતુ ભારત સરકારે તેના વિશે પોતાનો અભિગમ હજી સ્પષ્ટ કર્યો નથી. તેના પર પ્રતિબંધ પણ નથી અને કોઈ નિયંત્રણ પણ નથી, પરંતુ સરકારમાં ક્રિપ્ટોની બાબતમાં આક્રમક વલણ હોવાનું જોવા મળે છે.

ભારતમાં ક્રિપ્ટોકરન્સી

ઇમેજ સ્રોત, Getty Images
ભારતમાં બૅન્કિંગ અને નાણા બજારની મુખ્ય નિયંત્રિક સંસ્થા આરબીઆઈએ 2013માં ચેતવણી આપી હતી કે ક્રિપ્ટોકરન્સીના જોખમોથી અને તેની કાયદેસરતાથી જનતાએ સાવધાન રહેવું જોઈએ.
ત્યારથી જ આરબીઆઈમાં ક્રિપ્ટો વિરુદ્ધ વલણ રહ્યું હોય તેવું જોવા મળ્યું છે. આરબીઆઈએ હાલના સમયમાં ક્રિપ્ટોકરન્સી પર સંપૂર્ણ પ્રતિબંધની પણ માગણી કરેલી છે.
ઇકોનૉમિક્સ ટાઇમ્સના જણાવ્યા અનુસાર આરબીઆઈ ગવર્નર શશિકાંત દાસે હાલમાં જ કહ્યું હતું કે, "આર્થિક અને નાણાકીય સ્થિરતાની રીતે આરબીઆઈ માટે ક્રિપ્ટોકરન્સી જોખમકારક છે".
2018માં આરબીઆઈએ બૅન્કોને જણાવ્યું હતું કે ગ્રાહકોના ક્રિપ્ટોકરન્સીના ટ્રાન્ઝેક્શન ના કરવા. ક્રિપ્ટોમાં કોઈ રોકાણ હોય તો તેને વેચી નાખવા માટે જણાવી દેવાયું હતું. જોકે માર્ચ 2020માં આ મનાઈને સુપ્રીમ કોર્ટે હઠાવી દીધી હતી.
ક્રિપ્ટોકરન્સીના ભાવોમાં સતત ફેરફાર થતો રહે છે. ઇકોનૉમિક્સ ટાઇમ્સે હાલમાં જ એક લેખમાં જણાવ્યું હતું કે ઘણા દેશોની મધ્યસ્થ બૅન્કોની જેમ જ આરબીઆઈ પણ ક્રિપ્ટોકરન્સીને માન્યતા આપવા માગતી નથી, કેમ કે તેના કારણે બૅન્કિંગ સિસ્ટમ અને દેશનું અર્થતંત્ર અસ્થિર થઈ શકે છે.
ચેન્નાઈસ્થિત સીએ એસ. ભાસ્કરન કહે છે કે ક્રિપ્ટો એક ચલણ છે કે રોકાણ એટલે કે મિલકત છે તે અંગે સ્પષ્ટતા નથી.
"તેને ચલણ ગણવું હોય તો આરબીઆઈની માન્યતા જોઈએ. ભારતમાં એવી કોઈ માન્યતા અપાઈ નથી. તેથી ક્રિપ્ટોકરન્સીમાં નફો થાય તેને કેવી રીતે આવકવેરામાં ગણવો તેની મૂંઝવણ છે. તેથી ક્રિપ્ટોને મિલકત અથવા રોકાણ તરીકે ગણવું જરૂરી છે."
"આવક વેરા ધારા અનુસાર મુક્તિ ના હોય તે સિવાયની બધી આવક પર વેરો લાગે છે અને તેના આધારે જ હાલમાં ક્રિપ્ટોકરન્સીની આવકને ગણીને તેના પર વેરો ગણવામાં આવે છે."
"કોઈ વ્યક્તિ ક્રિપ્ટોકરન્સીમાં ટ્રેડિંગ કરે તો તેને વેપારી આવક ગણવામાં આવે છે. વ્યક્તિ તેમાં રોકાણ કરતી હોય તો તેના પરની આવકને કૅપિટલ ગેઇન ગણવામાં આવે છે."

"ક્રિપ્ટોને મંજૂરીથી અર્થતંત્ર ડામાડોળ થશે"

ઇમેજ સ્રોત, Getty Images
વિરોધીઓને લાગે છે કે માત્ર નિયમો લાવી દેવાથી ક્રિપ્ટો માર્કેટમાં સ્થિરતા આવશે નહીં. તેમના દાવો છે કે ક્રિપ્ટોકરન્સીને માન્યતા અપાશે તો તેનાથી અર્થતંત્ર ડામાડોળ થઈ જશે.
તામિલનાડુની એક ઉચ્ચ કક્ષાની નાણાકીય સમિતિના સભ્ય કહે છે, "રાષ્ટ્રીય સરકાર બહાર પાડતી હોય તેને જ ચલણ તરીકે સ્વીકારી શકાય. બીજી કોઈ સંસ્થા તેને સંભાળતી હોય તેને ઍસેટ જ ગણવી પડે."
"સરકાર પાસે ચલણનો અધિકાર છે તે અર્થતંત્રને સ્થિર રાખનારું સૌથી મોટું પરિબળ છે. ક્રિપ્ટોકરન્સીમાં આવું કોઈ નિયંત્રણ રહેતું નથી અને તેથી જ સરકારો તેના માટે સાવધાની રાખી રહી છે."
"આપણે ડૉલરમાં રોકાણ કરીએ ત્યારે ખબર હોય છે ડૉલર અમેરિકાએ છાપ્યો છે. પણ ક્રિપ્ટોકરન્સી કોની તે કોઈને ખબર નથી. અમેરિકન ડૉલરની કોઈ સમસ્યા હોય તો ફેડરલ રિઝર્વને ફરિયાદ કરી શકાય. ક્રિપ્ટોકરન્સીમાં કોને જઈને ફરિયાદ કરવાની?"
"દેશોની મધ્યસ્થ બૅન્ક ચલણમાં કેટલી નોટો છે તેની વિગતો જાહેર કરતી હોય છે. દાખલા તરીકે વ્યાજના દરો વધે ત્યારે આપણે સમજીએ કે ચલણમાંથી નાણું ઓછું કરવાની કોશિશ છે."
"ક્રિપ્ટોમાં આવું કશું ચાલતું નથી. ક્રિપ્ટો વિશે કોઈ ધારણા બાંધી શકાય તેમ ના હોય ત્યારે તેના પર કેવી રીતે વિશ્વાસ મૂકી શકાય અને તેને કેવી રીતે બૅન્કિંગમાં લાવી શકાય?" આવો સવાલ પણ તેઓ પૂછે છે.

ઇમેજ સ્રોત, Getty Images
તેઓ વધુમાં જણાવે છે કે "સ્થાયી મિલકતો પર બૅન્કો ધિરાણ આપે છે. ક્રિપ્ટો જેવી અસ્થિર બાબતને માન્યતા મળે તો બૅન્કિંગ સેક્ટર મુશ્કેલીમાં મુકાઈ જશે."
"ક્રિપ્ટોને ઍસેટ ગણી શકાય તેમ નથી એવું આરબીઆઈ માનતી હોવાનું લાગે છે. એક વાર તેને ઍસેટ ગણવામાં આવે તો તેમાં પછી વ્યવહાર પણ થઈ શકે."
"પરંતુ તે પછી તેના પર નિયંત્રણ કરી શકાશે નહીં. તેની કિમતની બાબતમાં કોઈ પારદર્શિતા નહીં હોય અને તેના કારણે અર્થતંત્ર થંભી જશે."
"આ બહુ જોખમી છે, શિક્ષિત વ્યક્તિ પણ તેને બરાબર સમજી શકતી નથી"

'ભારતમાં શેરબજાર તથા વાયદા બજારમાં રોકાણમાં પૂરતું નિયંત્રણ'
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
એવીસી આર્ટ્સ ઍન્ડ સાયન્સ કૉલેજના વાણિજ્ય વિભાગના પ્રોફેસર એમ. મથિવનન કહે છે, "ઘણા દેશોમાં લોકો ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરે છે. ભારતમાં પણ તેને મંજૂરી મળશે તો લોકો તેને જુગારની જેમ જોશે. શિક્ષિત લોકો પણ ક્રિપ્ટોને સારી રીતે સમજી શકતા નથી."
તેઓ કહે છે, "જોકે સમયની માગ છે એટલે ભારતે ક્રિપ્ટોકરન્સી સ્વીકારવી પડશે. તેનો નકાર થઈ શકે તેમ નથી, પણ માત્ર 10ટકાથી 15ટકા લોકોને જ તેનો ફાયદો થવાનો છે."
"તેની સામે બાકીના 90 ટકા લોકોને અસર થઈ શકે છે. નકલી ફોન આવે છે અને બૅન્કિંગના નામે છેતરપિડીં થાય છે તેનું પણ વિચારો."
"લોકોમાં જાગૃતિ જ નથી અને ફેક કૉલ આવે તેમાં પોતાના કેવાયસી આપી દે છે, ત્યારે તે લોકો ક્રિપ્ટો જેવી બાબતને કેવી રીતે સમજી શકશે?"
મથિવનન કહે છે, "શેર બજાર તથા વાયદા બજારમાં રોકાણમાં પૂરતું નિયંત્રણ છે અને તેના પર દેખરેખ રાખવામાં આવે છે. ભારતમાં તે લાંબા સમયથી છે, તેમ છતાં ભારતમાં તેના વિશે સૌને પૂરતી જાગૃતિ નથી."
"તો પછી લોકો ક્રિપ્ટોને સમજી શકશે તેવી અપેક્ષા કેવી રીતે રાખી શકીએ? મારી દૃષ્ટિએ તેના પર પ્રતિબંધ મૂકવો જોઈએ. પરંતુ વૈશ્વિક અર્થતંત્રમાં ભારત સાથે રહેવા માગતું હોય અને તે માટે ક્રિપ્ટોને મંજૂરી આપવાની હોય તો પછી તેના માટે પૂરતી જાગૃતિ ફેલાવવાની જરૂર છે."


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













