ગુલાબ વાવાઝોડું : ગુજરાત તરફ આગળ વધી રહેલી સિસ્ટમ ફરીથી વાવાઝોડું બનશે?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

બંગાળની ખાડીમાં સર્જાયેલું 'ગુલાબ' વાવાઝોડું ઓડિશા અને આંધ્રપ્રદેશને પ્રભાવિત કર્યા બાદ અરબ સાગર તરફ આગળ વધી રહ્યું છે. અલબત્ત, વાવાઝોડું નબળું પડી ગયું છે પણ ગુજરાત તરફ આગળ વધી રહેલી સિસ્ટમને લીધે રાજ્યમાં ઠેરઠર વરસાદ પડી રહ્યો છે.

ગુજરાતના વિવિધ વિસ્તારોમાં મંગળવારે બપોર બાદથી વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદને પગલે કેટલાક રસ્તાઓ બંધ થઈ ગયા છે. આ સાથે જ અનેક ડૅમોના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે.

રાજ્યભરમાં હજી વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.

આ દરમિયાન હવામાન વિભાગે આગાહી કરી છે કે સૌરાષ્ટ્ર અને કચ્છ પર પહોંચ્યા બાદ આ સિસ્ટમ ફરીથી તીવ્ર બની શકે છે. તો કેટલાક એવા પણ અહેવાલો છે કે આ સિસ્ટમ ફરીથી વાવાઝોડાનું રૂપ લઈ શકે છે.

ગુલાબ વાવાઝોડાની સિસ્ટમ નબળી પડીને હવે ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે અને આ સિસ્ટમ હજુ પણ નબળી પડી શકે છે, પરંતુ તે અરબ સાગર પાસે પહોંચીને ફરીથી તીવ્ર બને એવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના એક અહેવાલમાં જણાવ્યું છે કે આ સિસ્ટમ છત્તીસગઢ, તેલંગણા, મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી થઈને અરબ સાગર તરફ આગળ વધી રહી છે. આ દરમિયાન તે ફરીથી વાવાઝોડું બની શકે છે.

અહેવાલ મુજબ 24 કલાકમાં સિસ્ટમ વરાળ ભેગી કરીને તારીખ 1 ઑક્ટોબરે ઓમાન તરફ આગળ વધી શકે છે.

જો નવું વાવાઝોડું સર્જાશે, તો તેને 'શાહીન' નામ આપવામાં આવશે. આ નામ કતાર દ્વારા આપવામાં આવ્યું છે.

ગુલાબ વાવાઝોડાની ગુજરાત પર અસર

'ગુલાબ' બંગાળની ખાડીમાં સર્જાયું અને સપ્ટેમ્બર મહિનામાં બંગાળની ખાડીમાં આટલી ઝડપે વાવાઝોડું સર્જાય, એ ભાગ્યે જ બનતી ઘટના છે.

હવામાન વિભાગે પહેલાંથી જ જણાવી દીધું હતું કે બંગાળની ખાડીમાં સર્જાયેલું 'ગુલાબ' વાવાઝોડું આંધ્ર પ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયાકિનારાની વચ્ચે ત્રાટક્યા બાદ નબળું પડી જશે.

એ બાદ તે ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. હાલ નબળી પડેલી સિસ્ટમ અરબ સાગર તરફ આગળ વધી રહી છે અને તેને પગલે ગુજરાતમાં ઠેરઠેર વરસાદ પડી રહ્યો છે.

નોંધનીય છે કે વાવાઝોડાના કારણે ગુજરાતમાં બેથી ત્રણ દિવસ સુધી અનેક સ્થળોએ અતિભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરાઈ હતી.

'સ્કાયમેટવૅધર'ના જણાવ્યા અનુસાર ભારે ગતિથી ઉત્તર-પૂર્વ અરબ સાગર ઉપર એક વાવાઝોડું સર્જાઈ શકે છે અને આ ચક્રવાત ગુલાબનું 'સિક્વલ' હશે.

પશ્ચિમ તરફ આગળ વધી રહેલી 'ગુલાબ'ની સિસ્ટમ સૌરાષ્ટ્ર અને ખંભાતના અખાડ ઉપર દબાણ સર્જી રહી છે. જેને પગલે રાજ્યમાં ઠેરઠેર ભારે વરસાદ પડી રહ્યો છે.

સૌરાષ્ટ્રમાં કેટલાય ડૅમ ઓવરફ્લૉ થવા આવ્યા છે અને ભારે વરસાદને પગલે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ ચેતવણી અપાઈ છે.

ફરીથી વાવાઝોડું કેમ બની શકે છે?

હિન્દુસ્તાન ટાઇમ્સ સાથે વાત કરતાં આઈએમડીમાં ઇનચાર્જ ઑફ સાઇક્લોન સુનિતા દેવીએ જણાવ્યું કે, ભલે સંભાવના ઓછી હોય પણ આપણે ફરી ચક્રવાત બનવાની સંભાવનાને નકારી શકતાં નથી.

લૉ પ્રેશર સિસ્ટમ તરીકે તે મહારાષ્ટ્ર અને ગુજરાતને પાર કરશે. અરબી સમુદ્રમાંથી ભેજ આવવાના કારણે સિસ્ટમમાં ફરીથી સક્રિય થશે.

લૉ-પ્રેશર સિસ્ટમની ઝડપી તીવ્રતાને નકારી શકાય નહીં કારણ કે સમુદ્ર અને વાતાવરણીય પરિસ્થિતિઓ અનુકૂળ છે. ચક્રવાત અથવા ડિપ્રેશન અરબ સાગરના ઉત્તર ભાગ તરફ આગળ વધશે.

હાલની સ્થિતિ પ્રમાણે તે ગુજરાત, સૌરાષ્ટ્ર કે કચ્છના વિસ્તારોને કોઈ અસર નહીં કરે તેવી શક્યતા છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો