Delhi Election : કેજરીવાલને સ્મૃતિ ઈરાનીએ કહ્યા મહિલાવિરોધી, પાંચ વાગ્યા સુધી 44.52 ટકા મતદાન

ન્યૂઝ એજન્સી એ.એન.આઈ.ના રિપોર્ટ મુજબ, સાંજે પાંચ વાગ્યા સુધી દિલ્હીમાં 44.52 ટકા જેટલું મતદાન થયું હતું.

હાલમાં દિલ્હીમાં આમ આદમી પાર્ટીના (આપ) અરવિંદ કેજરીવાલની સરકાર છે.

અલકા લાંબા તમાચો મારવા ધસી ગયાં

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસના ઉમેદવાર અલકા લાંબા એક આપ સમર્થકને તમાચો મારવા ધસી ગયાંની ઘટના બની છે.

મૂળ કૉંગ્રેસના અને આપમાંથી પાછા કૉંગ્રેસમાં પરત ફરેલા અલકા લાંબા અને આપ સમર્થક વચ્ચે મજનુ કા ટીલા મતદાનમથકે અલકા લાંબાના પુત્ર પરની કથિત ટિપ્પણી બાબતે બોલાચાલીની ઘટના બની છે.

આ મામલે આપના નેતા સંજયસિંહે ચૂંટણીપંચને ફરિયાદ કરાશે તેમ કહ્યું છે.

દિલ્હી વિધાનસભાની ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે. સી.એ.એ. વિરુદ્ધ આંદોલનના ગઢ સમાન શાહીનબાગ વિસ્તારમાં વહેલી સવારથી જ મતદારોએ બહાર નીકળીને વોટિંગ કર્યું હતું.

70 બેઠકો ધરાવતી દિલ્હીની વર્તમાન વિધાનસભાની મુદ્દત 22 ફેબ્રુઆરી, 2020એ પૂર્ણ થાય છે.

ગત ચૂંટણીમાં દિલ્હી વિધાનસભાની 70 બેઠકમાંથી આમ આદમી પાર્ટીને 67 બેઠક મળી હતી અને ભાજપને માત્ર ત્રણ બેઠક મળી હતી. જ્યારે કૉંગ્રેસ ખાતું પણ ખોલાવી શકી નહોતી.

આમ આદમી પાર્ટીએ ગત પાંચ વર્ષમાં કરેલાં વિકાસકાર્યોને પ્રચારનો મુદ્દો બનાવ્યો હતો.

'મહિલાવિરોધી કેજરીવાલ'

દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે 'પુરુષો સાથે ચર્ચા કરીને વોટ આપવા' મહિલાઓને અપીલ કરી હતી.

કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ #મહિલાવિરોધી કેજરીવાલ સાથે એ ટ્વીટના જવાબમાં લખ્યું, 'શું તમે મહિલાઓને એટલી પણ સક્ષમ નથી સમજતાં કે તે જાતે નક્કી કરી શકે કે કોને મત આપવો?'

તેના જવાબમાં કેજરીવાલે લખ્યું, 'દિલ્હીની મહિલાઓએ કોને મત આપવો તે નક્કી કરી લીધું છે. આ વખતે મહિલાઓએ જ પરિવારના મત અંગે નિર્ણય લીધો છે. કારણ કે તેમણે ઘર ચલાવવાનું હોય છે.'

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરીને દિલ્હીની જનતાને 'વિશ્વની સર્વશ્રેષ્ઠ રાજધાની' માટે તથા 'જૂઠાણાં અને વોટબૅન્કના રાજકારણથી મુક્તિ' અપાવવા મતદાન કરવા અપીલ કરી હતી.

જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુવાનોને રેકર્ડ મતદાન કરવા અપીલ કરી હતી.

મૂળ દિલ્હીનાં અભિનેત્રી તાપસી પન્નુએ મતદાન બાદ પરિવાર સાથેની તસવીર ટ્વિટર ઉપર પોસ્ટ કરી, તેમણે લખ્યું, 'પન્નુ પરિવારે મતદાન કર્યું, તમે? '

અભિનેત્રી કોંકણા સેન શર્માએ દિલ્હીવાસીઓને શાણપણપૂર્વક નફરતની વિરુદ્ધ મતદાન કરવા અપીલ કરી હતી.

કેજરીવાલ સહિતના નેતાઓએ મતદાન કર્યું

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ તેમનાં માતા-પિતાના આશીર્વાદ લઈને મતદાન કરવા પહોંચ્યા હતા અને સપરિવાર વોટિંગ કર્યું હતું.

મતદાન બાદ તેમણે પત્રકારો સાથે વાતચીત કરી હતી અને આમ આદમી પાર્ટી ફરી સત્તા ઉપર આવશે, તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમનાં પત્ની સવિતા સાથે ડૉ. રાજેન્દ્ર પ્રસાદ કેન્દ્રીય વિદ્યાલયમાં મતદાન કર્યું હતું.

કૉંગ્રેસનાં વચગાળાનાં અધ્યક્ષા સોનિયા ગાંધી ઉપરાંત કૉંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ તેમના પતિ રૉબર્ટ તથા પુત્ર રેહાન સાથે મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

આ સિવાય પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહે પત્ની ગુરુશરણ સાથે નવી દિલ્હી મતક્ષેત્રના ધારાસભ્યને ચૂંટવા વોટિંગ કર્યું હતું.

ભાજપના માર્ગદર્શક મંડળના લાલકૃષ્ણ અડવાણીએ તેમનાં પુત્રી પ્રતિભા સાથે વોટિંગ કર્યું હતું.

શાહીનબાગ : ચૂંટણીનો મુદ્દો

હાલમાં નાગરિકતા સંશોધન કાયદાને લઈને દિલ્હીના શાહીનબાગમાં મહિલાઓ દ્વારા વિરોધપ્રદર્શન ચાલી રહ્યું છે.

શાહીનબાગ પણ આ ચૂંટણીનો એક મુદ્દો બન્યો છે. ભાજપ અને આમ આદમી પાર્ટીએ શાહીનબાગને લઈને એકબીજા પર આરોપ લગાવ્યા હતા.

શાહીનબાગ વિસ્તાર ઓખલા બેઠક હેઠળ આવે છે. અહીં અમાનતુલ્લાહ ખાન (આપ), બ્રહ્માસિંહ (ભાજપ) તથા પરવેઝ હાશ્મી (કૉંગ્રેસ) વચ્ચે ત્રિકોણીય મુકાબલો છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શાહીનબાગ મામલે એક નિવેદન આપ્યું હતું કે શાહીનબાગનો વિરોધ એક સંયોગ નહીં પણ પ્રયોગ છે.

દિલ્હીના નિર્ણાયક મતદારો

ચૂંટણીપંચના 2019ની લોકસભાની ચૂંટણીના ડેટા અનુસાર દિલ્હીમાં કુલ 1.43 કરોડ મતદારો છે.

રાજ્યમાં પૂર્વાંચલી, પંજાબી અને મુસ્લિમોની વસતી સૂચક છે અને ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડમાં મૂળ ધરાવતા પૂર્વાંચલી મતદારોની સંખ્યાં 25-30 ટકા જેટલી છે.

'ઇન્ડિયા ટુડે'ના અહેવાલ અનુસાર એક સમયે પૂર્વાંચલીઓ કૉંગ્રસના સમર્થકો ગણાતા હતા. શીલા દીક્ષિત જ્યારે રાજ્યનાં મુખ્ય મંત્રી હતાં ત્યારે તેમણે પૂર્વાંચલી નેતાઓને મહત્ત્વનાં પદો આપ્યાં હતાં.

એ વખતે ભાજપ સવર્ણોનો પક્ષ ગણાતો હતો પણ સામાજિક કાર્યકર અણ્ણા હઝારેની આગેવાનીમાં ભ્રષ્ટાચારવિરોધી આંદોલન થયું અને વર્ષ 2013માં અરવિંદ કેજરીવાલનો ઉદય થયો.

જેને પગલે પૂર્વાંચલીઓ કૉંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટી તરફ ઢળી ગયા.

અરવિંદ કેજરીવાલની આગેવાનીમાં દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ બે વખત સરકાર બનાવી. 'આપ'ની પ્રથમ સરકાર માત્ર 49 દિવસ જ ટકી શકી હતી.

આ પૂર્વાંચલી મતદારો દિલ્હીમાં 25 બેઠકો પર નિર્ણાયક બની શકે એમ છે.

એનો એક અર્થ એવો પણ થાય કે જો તેઓ સામૂહિક રૂપે કોઈ એક પક્ષ તરફ ઢળે તો બહુમતી માટે જોઈતી બેઠકોમાંથી બે તૃતીયાંશ બેઠક પર તેઓ નિર્ણાયક બની શકે.

તો આદર્શનગર, બદરપુર, બુરાડી, કુંડલી, કરાવલનગર, કિરાડી, લક્ષ્મીનગર, મુસ્તફાબાદ, પડપડગંજ, પાલમ, ત્રિલોકપુરી, સંગમવિહાર, ઉત્તમનગર અને વિકાસપુરીમાં પૂર્વાંચલી મતદારોની નિર્ણાયક વસતી છે.

દિલ્હીમાં પંજાબી મતદારો 35 ટકા છે. જોકે, તેઓ શહેરમાં છુટાછવાયા છે. આમ છતાં તેઓ 28-30 બેઠક પર પ્રભાવ પાડી શકે છે.

દિલ્હી વિધાનસભાની લગભગ 20 એવી બેઠકો છે, જે લગભગ 20 ટકા પંજાબી મતદારો ધરાવે છે.

વર્ષ 2011ની વસતીગણતરી અનુસાર દિલ્હીમાં કુલ 12-13 ટકા મુસ્લિમ છે અને એટલા જ ટકા મુસ્લિમ મતદારો પણ છે.

આ મુસ્લિમ મતદારો વિધાનસભાની 10 બેઠકો પર નિર્ણાયક સાબિત થઈ શકે છે.

દિલ્હી વિધાનસભાની પાંચ બેઠક પર મુસ્લિમ મતદારોની સંખ્યા 40 ટકા કરતાં વધારે છે. આ બેઠકોમાં ચાંદની ચોક, મટિયા મહેલ, બલ્લીમારાં, ઓખલા અને સીલમપુરનો સમાવેશ થાય છે.

નોંધનીય છે કે આમાંથી મોટા ભાગની બેઠકો પર નાગરિકતા સંશોધન કાયદાના વિરુદ્ધમાં મોટા પ્રમાણમાં પ્રદર્શનો યોજાયાં હતાં.

આ બેઠકો પર સંબંધિત કાયદો અને એ બાદની ઘટનાઓ પ્રભાવ પાડી શકે એમ છે.

ઉપરાંત મુસ્તફાબાદ, બદરપુર, સીમાપુરી, શહદરા અને રિઠાલા બેઠક પર મુસ્લિમોની વસતી 30થી 40 ટકા જેટલી છે.

તો રાજૌરી ગાર્ડન, હરિનગર, કાલ્કાજી અને શહદરા બેઠકો પર શીખોની બહુમતી છે અને સમગ્ર રાજ્યમાં 15થી 18 બેઠક પર શીખો નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે.

ગત વિધાનસભા ચૂંટણીમાં દિલ્હીના અંદાજે 50 ટકા હિંદુ મતદારોએ આમ આદમી પાર્ટીને મત આપ્યા હતા.

દિલ્હીમાં ચૂંટણીપ્રચાર અને વિવાદ

ઉલ્લેખનીય છે કે દિલ્હીના શાહીનબાગમાં નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં 16 ડિસેમ્બરથી પ્રદર્શન ચાલી રહ્યું છે.

દિલ્હીના શાહીનબાગમાં નાગરિકતા સંશોધન કાયદાના થઈ રહેલા વિરોધ પર ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે 'દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ શાહીનબાગમાં બિરયાની ખવડાવી રહ્યા છે.'

આ મામલે ચૂંટણીપંચે યોગી આદિત્યનાથને કારણદર્શક નોટિસ પણ પાઠવી હતી.

તો ચૂંટણીપ્રચાર દરમિયાન વિવાદિત ભાષણ મામલે ચૂંટણીપંચે ભાજપના નેતા અનુરાગ ઠાકુર, પરવેશ વર્મા અને કપિલ મિશ્રાને પણ નોટિસ પાઠવી હતી અને થોડા દિવસ માટે પ્રચાર પર રોક લગાવી દીધી હતી.

પરવેશ વર્માએ દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલને 'આતંકવાદી' કહ્યા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો