ઑસ્ટ્રેલિયા દાવાનળ : કરોડો વન્યજીવોના મૃત્યુ થયાં છે ત્યારે 10,000 ઊંટોની હત્યાનો નિર્ણય કેમ લેવાયો?

દાવાનળમાં કરોડોની સંખ્યા વન્યજીવો મોતને ભેટ્યા હોવાના સમાચાર છે ત્યારે ઑસ્ટ્રેલિયાના વહીવટી તંત્રે કુદરતી આપત્તિ બાદ જાતે હજારોની સંખ્યામાં ઊંટોને ગોળીએ દેવાનો નિર્ણય લીધો છે.

અહેવાલ અનુસાર વહીવટી તંત્રે ઊંટો દ્વારા વધુ પડતું પાણી પીવાઈ રહ્યું હોવાનું કારણ આગળ ધરીને આ નિર્ણય લીધો છે.

ઑસ્ટ્રેલિયાની સરકાર દ્વારા 10 હજાર ઊંટોને મારવાના આ પાંચ દિવસીય અભિયાન માટે હેલિકૉપ્ટરોની ટુકડી કામે લગાવાશે.

મૂળ ઑસ્ટ્રેલિયન પ્રજાતિના સ્થાનિક વહીવટી વિસ્તાર, અનન્ગુ પિત્જાત્જતજરા યન્કુનીત્જત્જરા (APY)નાં કારોબારી બોર્ડ સભ્ય મારિટા બેકરે જણાવ્યું હતું :

"આ ઊંટોના સમૂહો સ્થાનિકો માટે મુસીબતરૂપ સાબિત થઈ રહ્યા છે."

તેમણે વધુમાં જણાવ્યું કે, "અમે આ ઊંટોના કારણે ખૂબ જ અસહજ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છીએ. તેમજ અસ્વસ્થ અનુભવી રહ્યા છીએ."

"ઊંટો અમારા વિસ્તારમાં આવીને વાડા તોડી રહ્યા છે, અમારાં ઘરોને ઘેરીને અમારી એસીમાંથી પાણી પીવાનો પ્રયત્ન કર્યા કરે છે."

ઑસ્ટ્રેલિયામાં દાવાનળની આપત્તિ

નવેમ્બર મહિનાથી દાવાનળની આપત્તિથી પીડાઈ રહેલા ઑસ્ટ્રેલિયા દ્વારા હજારોની સંખ્યામાં ઊંટોને મોતને ઘાટ ઉતારવાનો નિર્ણય લઈને બધાને આશ્ચર્યચકિત કરી મૂક્યા છે.

નોંધનીય છે કે દાવાનળમાં અત્યાર સુધી 12 કરતાં વધારે લોકોએ જીવ ગુમાવ્યા છે.

તેમજ યુનિવર્સિટી ઑફ સીડનીના સંશોધકો પ્રમાણે આ કુદરતી આફતને કારણે 480 મિલિયન પ્રાણીઓ મૃત્યુ પામ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો