You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાસપોર્ટ વિવાદ : કમળ ખરેખર ભારતનું રાષ્ટ્રીય ફૂલ છે?
ભારતીય વિદેશમંત્રાલયે નવા ભારતીય પાસપોર્ટો પર કમળના નિશાન અંગે સ્પષ્ટતા આપતાં કમળને દેશનું રાષ્ટ્રીય ફૂલ ગણાવ્યું છે.
પાસપોર્ટ પર કમળનો મુદ્દો બુધવારે લોકસભામાં પણ ઉઠાવાયો, જ્યાં કૉંગ્રેસના સાંસદ એમ. કે. રાઘવને આને 'ભગવાકરણ' તરફનું વધુ એક પગલું ગણાવ્યું અને સરકારને સવાલ પૂછ્યો.
આ બાદ વિદેશમંત્રાલયે સ્પષ્ટતા કરી છે પણ શું કમળ ખરેખર ભારતનું રાષ્ટ્રીય ફૂલ છે?
ગુરુવારે વિદેશમંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે પત્રકારપરિષદમાં આ અંગે સ્પષ્ટતા કરી હતી.
તેમણે કહ્યું, "મને લાગ્યું કે કદાચ સ્પષ્ટીકરણ આવી ગયું છે... નહીં? જુઓ... મેં પણ રિપોર્ટ જોયા છે. આ જે સિમ્બૉલ છે.. એ સિમ્બૉલ શો છે? આ સિમ્બૉલ આપણા રાષ્ટ્રીય ફૂલનો છે અને તે વિકસિત સુરક્ષા ફીચરનો ભાગ છે."
"નકલી પાસપોર્ટની જાણકારી મેળવવા માટે આવું કરવામાં આવ્યું છે...અને આ અમે જણાવવા નહોતા ઇચ્છતા પણ સવાલ પૂછાયો તો અમારે જણાવવું પડ્યું."
"આ જે સુરક્ષા-ફીચર છે, નવાં સુરક્ષા-ફીચર છે. આ ઇન્ટરનેશનલ સિવિલ ઍવિએશન ઑર્ગેનાઇઝેશન (ICAO)ના દિશાનિર્દેશો અનુસાર જ લાગુ કરાયાં છે. હું એ પણ જણાવી દઉં કે કમળ ઉપરાંત પણ અલગઅલગ રાષ્ટ્રીયપ્રતીકો છે, જેનો વારાફરતી ઉપયોગ કરવામાં આવશે. "
"જેમ કે એક વાઘનો સિમ્બૉલ છે. હાલમાં કમળ છે તો આગામી મહિને કંઈ બીજું આવશે અને એ બાદ બીજું કઈ આવશે...આ બધાં પ્રતીકો કોઈ નિશ્ચિત ક્રમ વગર આવતાં રહેશે. "
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"આમાં એ બધાં જ પ્રતીકો છે, જે ભારત સાથે જોડાયેલાં છે. જેમ કે રાષ્ટ્રીય ફૂલ હોઈ શકે છે. રાષ્ટ્રીય પશુ હોઈ શકે છે."
રવીશ કુમારે જે સ્પષ્ટતા આપી છે એ રીતે કમળ ભારતનું રાષ્ટ્રીય ફૂલ છે.
એનસીઆઈઆરટી, યુજીસી અને ભારત સરકાર સંલગ્ન વેબસાઇટ પર આવું જ જણાવાયું છે પણ આ અંગે કોઈ ખાસ સ્પષ્ટતા નથી.
આ વર્ષે જ જુલાઈ મહિનામાં બિજુ જનતા દળના પ્રસન્ન આચાર્યએ આ અંગે ત્રણ સવાલ પૂછ્યા હતા.
- ભારતનું રાષ્ટ્રીય પ્રાણી, પક્ષી અને ફૂલ કયાં છે?
- આ સંબંધમાં ભારત સરકાર કે કોઈ અન્ય સક્ષમ સત્તામંડળ દ્વારા કોઈ અધિસૂચના જાહેર કરવામાં આવી છે?
- જો હા, તો અધિસૂચનાનું વિવરણ શુ છે?
- જો નહીં, તો યુજીસી, એનસીઆઈઆરટી અને ભારત સરકાર પૉર્ટલ કઈ જોગવાઈ અંતર્ગત રાષ્ટ્રીય પશુ, પક્ષી અને ફૂલનાં નામ પ્રકાશિત કરી રહ્યાં છે.
આના જવાબમાં ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે કહ્યું, "પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તનમંત્રાલય દ્વારા અપાયેલી જાણકારી અનુસાર 'વાઘ' અને 'મોર' અનુક્રમે રાષ્ટ્રીય પ્રાણી અને રાષ્ટ્રીય પક્ષના રૂપે અધિસૂચિત કરાયેલાં છે."
"જોકે, રાષ્ટ્રીય ફૂલના સંબંધમાં પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તનમંત્રાલય દ્વારા આવી કોઈ અધિસૂચના જાહેર કરવામાં આવી નથી. રાષ્ટ્રીય ફૂલ અંગે સંબંધિત સંગઠનો પાસેથી જાણકારી એકત્ર કરાઈ રહી છે અને સદન સમક્ષ રજૂ કરી દેવાશે. "
વર્ષ 2017માં કેટલાક અખબારી અહેવાલોમાં આરટીઆઈ ઍક્ટિવિસ્ટ અને વિદ્યાર્થિની ઐશ્વર્યા પરાશર દ્વારા પર્યાવરણ અને વનમંત્રાલયના અંતર્ગત આવતા બૉટનિકલ સર્વે ઑફ ઇન્ડિયાને પૂછવામાં આવ્યું હતું કે કમળને ભારતનું રાષ્ટ્રીય ફૂલ જાહેર કરવામાં આવ્યું છે?
આના જવાબમાં જણાવાયું છે કે બૉટનિકલ સર્વે ઑફ ઇન્ડિયામાં ક્યારેય કમળને રાષ્ટ્રીય ફૂલ જાહેર કરવામાં આવ્યું નથી.
ભારત સરકાર સાથે સંલગ્ન વેબસાઇટ knowindia.gov.in પર કમળને ભારતનું રાષ્ટ્રીય પુષ્પ દર્શાવાયું છે. શાળાનાં પુસ્તકોમાં પણ કમળને ભારતનું રાષ્ટ્રીય ફૂલ દર્શાવાયું છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો