You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
TOP NEWS : હવે ભારત મુસ્લિમોનો દેશ નથી રહ્યો - મહેબૂબા મુફતી
જમ્મુ-કાશ્મીરનાં પૂર્વમુખ્ય મંત્રી મહેબૂબા મુફ્તીની દીકરી સના ઇલ્તજા જાવેદે નાગરિક્તા (સંશોધન) વિધેયક પર કેબિનેટની મોહર પર નારાજગી વ્યક્ત કરી છે.
જનસત્તાના સમાચાર અનુસાર પોતાની માતાનું ટ્વિટર હૅન્ડલ ચલાવી રહેલાં સના મુફ્તીએ કહ્યું કે આ સંકેત છે કે ભાજપની આગેવાનીવાળી કેન્દ્ર સરકારના શાસનમાં ભારત મુસ્લિમોનો દેશ રહ્યો નથી.
સના મુફ્તીએ મહેબૂબાના ટ્વિટર પર લખ્યું ભારત-મુસ્લિમોનો દેશ નથી. (India - No country for Muslims)
જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હઠાવ્યાના નિર્ણય પછી મહેબૂબાની અટકાયત કરવામાં આવી છે.
નાગરિક્તા સંશોધન વિધેયકને બુધવારે કેન્દ્રીય મંત્રીમંડળે પસાર કર્યું હતું. આ વિધેયકને આગામી અઠવાડિયે લોકસભામાં રજૂ કરવામાં આવી શકે છે.
'ગુજરાલની સલાહ માની હોત તો84નાં તોફાનો ન થયાં હોત'
અમર ઉજાલાના અહેવાલ અનુસાર પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંઘે કહ્યું કે 1984ના શીખવિરોધી તોફાનોને રોકી શકાયાં હોત, જો તે સમયના ગૃહમંત્રી નરસિમ્હા રાવે ઇંદ્રકુમાર ગુજરાલની સલાહ માની હોત તો.
તેઓ બુધવારે દિલ્હીમાં પૂર્વવડા પ્રધાન આઈકે ગુજરાલની 100મી જયંતીના પ્રસંગે એક કાર્યક્રમમાં બોલી રહ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડૉ. મનમોહન સિંઘે કહ્યું, "1984નાં તોફાનો દરમિયાન ગુજરાલ તે સમયના ગૃહમંત્રી નરસિમ્હા રાવને મળવા ગયા અને તેમને કહ્યું કે સ્થિતિ ઘણી નાજુક છે સરકાર જલ્દી સૈન્યને બોલાવી લે તે યોગ્ય રહેશે."
"જો તે સલાહ માની લીધી હોત તો 1984માં થયેલા નરસંહારને રોકી શકાયો હતો."
'નાગરિકતા સંશોધન બિલ ભારતને ઇઝરાયલ બનાવી દેશે'
નાગરિકતા સંશોધન બિલને બુધવારના રોજ કેન્દ્રીય મંત્રીમંડળે સ્વીકૃતિ આપી દીધી છે અને હવે આશા છે કે આ બિલને આગામી અઠવાડિયે સંસદમાં રજૂ કરવામાં આવશે. જોકે, વિપક્ષ આ બિલનો વિરોધ કરે છે.
NDTVના અહેવાલ પ્રમાણે AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ આ બિલ મામલે મોદી સરકાર પર સવાલ ઉઠાવ્યા છે.
તેમણે કહ્યું, "નાગરિકતા સંશોધન બિલ લાવવાનો એવો ઉદ્દેશ છે કે ભારતને એક ધર્મ આધારિત દેશ બનાવી દેવામાં આવે."
"ભારત અને ઇઝરાયલમાં હવે કોઈ ફેર નહીં રહે. બંધારણમાં ધર્મના આધારે નાગરિકતાની કોઈ વાત નથી."
તેમણે એવો સવાલ પણ પૂછ્યો કે જો કોઈ વ્યક્તિ નાસ્તિક હશે તો મોદી સરકાર શું કરશે?
ઓવૈસીએ ઉમેર્યું, "કાયદાની મજાક ઉડાવ્યા બાદ આખી દુનિયા આપણી મજાક ઉડાવશે."
"ભાજપ સરકાર ભારતના મુસ્લિમોને સંદેશ આપવા માગે છે કે તમે પ્રથમ દરજ્જાના નહીં, પણ બીજા દરજ્જાના નાગરિક છો."
DPS કેસમાં CEO, પૂર્વ ટ્રસ્ટી અને પ્રિન્સિપાલને મળ્યા જામીન
ડીપીએસ ઇસ્ટ શાળાના કેસમાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટે કેલોરેક્સ ગ્રૂપનાં સીઇઓ મંજુલા પૂજા શ્રોફ, ડીપીએસ ઇસ્ટના પૂર્વ ટ્રસ્ટી હિતેન વસંત અને પૂર્વ પ્રિન્સિપાલ અનિતા દુઆને પણ અગોતરા જામીન આપવામાં આવ્યા છે.
આ તમામ લોકો પર ફ્રોજરી અને ખોટા દસ્તાવેજો રજૂ કરવાનો આરોપ છે.
અમદાવાદ મિરરના અહેવાલ અનુસાર અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં પોલીસે ઍફિડેવિટ જમા કરવાવા માટે 6 ડિસેમ્બર સુધીનો સમય માગ્યો હોવાના કારણે કોર્ટે અગોતરા જામીન મંજૂર કર્યા હતા.
દક્ષિણ ભારતના સ્વામી નિત્યાનંદે ખોલેલા 'સર્વાજ્ઞપીઠમ' આશ્રમમાં બાળકોને ગોંધી રાખ્યાનો આક્ષએપ થયો હતો. એ કેસમાં આશ્રમના બે સંચાલિકાની ધરપકડ કરવામાં આવી છે.
આશ્રમ પર બાળકોને ગોંધી રાખીને બાળમજૂરી કરાવવાનો અને ધમકી આપવાનો ગુનો દાખલ કરવામાં આવેલો છે.
આ ઘટના પછી નિત્યાનંદના સર્વાજ્ઞપીઠમ આશ્રમને ડીપીએસ સ્કૂલની જમીન લીઝ પર કેવી રીતે આપવામાં આવી તે અંગે તંત્ર હરકતમાં આવ્યું હતું. જેની તપાસમાં શાળા પાસે અનેક કાયદાકીય મંજૂરીઓનો અભાવ હતો.
મંજુલા શ્રોફ અને હિતેન વસંત પર સીબીએસઈ આગળ ખોટું 'નો-ઑબ્જેક્શન સર્ટિફિકેટ' રજૂ કરી મંજૂરી મેળવવાનો આરોપ હતો અને ગુનો દાખલ થયો છે.
સરકાર ડુંગળી ખરીદી રહી છે - નાણામંત્રી
કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે સરકાર ડુંગળીના વધતાં ભાવને નિયંત્રણમાં રાખવા માટે ઘણાં ઉપાયો લાગૂ કરી રહી છે.
લોકસભામાં ડુંગળીના સંકટ પર વિસ્તૃત જવાબ આપતાં નાણામંત્રીએ કહ્યું કે ડુંગળીની નિકાસને અટકાવી દેવામાં આવી છે અને દુનિયાના વિવિધ દેશોમાંથી એક લાખ મેટ્રિક ટન ડુંગળીને ખરીદવામાં આ રહી છે.
સાથે જ અલગ-અલગ રાજ્યોમાં ભંડારોમાં જમા રહેલી ડુંગળીઓને અછતના વિસ્તારોમાં પહોંચાડવામાં આવી રહ્યા છે.
તેમણે કહ્યું કે આ વર્ષે ડુંગળીની ઉત્પાદનનો વિસ્તાર ઓછો થવાના કારણે ઉત્પાદનમાં ઉણપ આવી છે.
ચર્ચા દરમિયાન એક સંસદ સભ્યએ ટીકા પર નાણામંત્રીએ મજાક કરતાં કહ્યું કે તે ડુંગળી ખાતી નથી.
તેમણે કહ્યું, "હું આટલી લસણ, ડુંગળી ખાતી નથી. એટલા ચિંતા ન કરો. હું એવા પરિવારમાંથી આવું છું, જ્યાં ડુંગળીનો અર્થ રાખતા નથી."
52 વર્ષના આધેડે તેમની 5 વર્ષની ભત્રીજીની છેડતી કરી, ધરપકડ કરાઈ
ઇન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલા અહેવાલ અનુસાર પોરબંદરમાં 50 વર્ષીય આધેડે પાંચ વર્ષની બાળકીની છેડતી કરી હતી. તે તેમની દૂરની ભત્રીજી છે. પોલીસે તેમની ધરપકડ કરી હતી.
પોલીસના કહેવા પ્રમાણે સોમવારે વૃદ્ધ બાળકીને પોતાના ઘરમાં લઈ ગયા હતા અને તેને 'ખોટી રીતે સ્પર્શ' કર્યો હતો. છોકરીની માતાએ પોરબંદર સિટી વિસ્તારમાં ફરિયાદ નોંધાવી હતી.
છોકરીની માતાએ જણાવ્યું હતું કે હું બહાર ગઈ હતી. જ્યારે સોમવારે પરત આવી ત્યારે મારા પડોશીએ જણાવ્યું કે સાંજના સમયે મારી દીકરી તેમના કાકાના ઘરે હતી.
પડોશીએ વધુમાં જણાવ્યું કે તેમણે આરોપીને અડપલાં કરતા જોયા હતા.
માતાએ જ્યારે છોકરીને પૂછ્યું ત્યારે છોકરીએ કહ્યું, "સાંજે વૃદ્ધે મને ચૉકલેટ આપવાની લાલચે ઘરે બોલાવી હતી. અને મારી છાતીના ભાગને સ્પર્શ કર્યો હતો."
પોલીસ દ્વારા માતાની ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરાઈ છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો