ઉદ્ધવ ઠાકરેની શપથવિધિ : અજિત પવાર જ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય મંત્રી બનશે, આજે શપથ નહીં લે

મહારાષ્ટ્રના રાજકારણમાં સત્તાની રમત હજી આગળ જ ચાલી રહી છે. આજે શિવાજી પાર્કમાં ઉદ્ધવ ઠાકરે મુખ્ય મંત્રીપદે શપથ લેવાના છે ત્યારે અજિત પવાર ફરી નાયબ મુખ્ય મંત્રી બનશે એવા સમાચાર છે.

શિવસેના-કૉંગ્રેસ-એનસીપી ગઠબંધનની સરકાર મહારાષ્ટ્રમાં રચાવા જઈ રહી છે. આજના શપથવિધિ સમારોહમાં અજિત પવાર શપથ લેવાના નથી.

એનસીપીના પ્રવક્તા નવાબ મલિકે બીબીસી મરાઠી સેવાના સંવાદદાતા સંકેત સબનીસને કહ્યું કે અજિત પવાર નજીકના સમયમાં જ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય મંત્રી બનશે.

એમણે કહ્યું, "10 ડિસેમ્બર પછી વિધિમંડળનું અધિવેશન મળશે એ પછી જ આ પ્રક્રિયા પાર પડશે. 3 ડિસેમ્બરે વિશ્વાસમત લેવાશે અને પછી વિધાનસભા અધ્યક્ષની નિમણૂક કરવામાં આવશે."

"એ પછી અજિત પવારની ઉપ મુખ્ય મંત્રીપદે નિમણૂક કરાશે. કેટલાક લોકો અજિત પવાર નારાજ હોવાનું કહે છે પરંતુ તે વાત સાવ ખોટી છે. અજિત પવાર નારાજ નથી. તેઓ જલદી જ રાજ્યના ઉપમુખ્ય મંત્રી બનશે."

અજિત પવારે પણ એમની નારાજગીના અહેવાલોને ફગાવી દીધા હતા.

તેમણે કહ્યું કે હું કાલે પણ નારાજ નહોતો અને આજે પણ નારાજ નથી. મારી નારાજગીની વાતો ખોટી છે.

અગાઉ અજિત પવારે પણ કહ્યું હતું કે આજે ગઠબંધનના દરેક પક્ષમાંથી 2-2 નેતાઓ શપથ લેશે.

જોકે એમણે એમ પણ કહ્યું હતું કે નાયબ મુખ્ય મંત્રી કોણ બનશે એ હજી નક્કી કરવામાં નથી આવ્યું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો