નિર્મલા સીતારમણની સરકારી બૅન્કોમાં 'મેગા-મર્જર'ની જાહેરાત

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે પત્રકાર પરિષદ યોજી અર્થતંત્રને વેગવંતું બનાવવા માટે સરકાર દ્વારા લેવાઈ રહેલાં પગલાંની જાણ કરી. જેમાં સરકારી બૅન્કોના વિલયની જાહેરાત કરાઈ.

સીતારમણની જાહેરાત અનુસાર હવેથી દેશમાં માત્ર 12 જ સરકારી બૅન્કો રહેશે. કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લેતા પંજાબ નેશનલ બૅન્કમાં બે બૅન્કોના વિલયનો નિર્ણય લીધો છે.

સીતારમણે કહ્યું છે કે યુનાઇટેડ બૅન્ક અને ઓરિયેન્ટલ બૅન્ક ઑફ કૉમર્સનું પંજાબ નેશનલ બૅન્ક એટલે પીએનબીમાં વિલય કરવામાં આવશે.

આ ઉપરાંત કેનરા બૅન્ક અને સિન્ડિકેટ બૅન્કનું પણ વિલય કરવામાં આવશે.

આ જ રીતે યુનિયન બૅન્ક, આંધ્ર બૅન્ક અને કૉર્પોરેશન બૅન્કનું પણ વિલય કરવામાં આવશે.

ઇન્ડિયન બૅન્ક અને અલાહાબાદ બૅન્કનું પણ એકબીજા સાથે વિલીનીકરણ કરવામાં આવશે.

કેન્દ્ર સરકારના આ મોટા નિર્ણય બાદ દેશમાં સરકારી બૅન્કની સંખ્યા ઘટીને 12 રહી ગઈ છે.

ઋણ આપવાની ક્ષમતા વધશે

સીતારમણે એવું પણ કહ્યું કે 'બૅન્કોની એનપીએમાં ઘટાડો નોંધાયો છે અને નફો વધ્યો છે. 18માંથી 14 બૅન્ક નફો રળી રહી છે.'

તેમણે 'નીરવ મોદી જેવા કિસ્સા રોકવાનો પ્રયાસ' કરાઈ રહ્યો હોવાનું પણ જણાવ્યું.

તેમણે એવું પણ જણાવ્યું કે સરકારે જે પગલાં લીધાં તેનો અમલ શરૂ કરી દેવાયો છે.

બૅન્કોનાં વિલીનીકરણ અંગે વાત કરતાં સીતારમણે જણાવ્યું કે મોટી બૅન્કો બનવાથી વધારે ઋણ આપવાની ક્ષમતા વધશે.

પંજાબ નેશનલ બૅન્ક, ઓરિયેન્ટલ બૅન્ક ઑફ કૉમર્સ અને યુનાઇટેડ બૅન્કના વિલય બાદ બૅન્ક પાસે 17.95 લાખ કરોડ રૂપિયાનો વેપાર હશે અને તેની 11,437 શાખાઓ હશે.

સીતારમણે એવું પણ જણાવ્યું કે કેનરા બૅન્ક અને સિન્ડિકેટ બૅન્કના વિલય બાદ બૅન્ક પાસે 15.20 લાખ કરોડ રૂપિયાનો વેપાર હશે.

આ દરમિયાન તેમણે દેશની કેટલીય મોટી બૅન્કોના વિલયની જાહેરાત કરી. તેમણે એવું પણ જણાવ્યું કે મોદી સરકાર 5 ટ્રિલિયન ડૉલરનું અર્થતંત્ર બનવાના પ્રયાસો કરી રહી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો