You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ફારૂક અબ્દુલ્લાહ વિશે અમિત શાહે કેમ વારંવાર ચોખવટ કરવી પડી?
લોકસભામાં જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કરવા, જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ અને રાજ્યમાં આરક્ષણ અંગેના બિલ પર ચર્ચા મંગળવારે સોશિયલ મીડિયા પર છવાયેલી રહી.
આ ચર્ચા વચ્ચે ગૃહમંત્રી અમિત શાહે અનેક વખત સ્પષ્ટતા આપી કે ફારૂક અબ્દુલ્લાહને નજરકેદ કરવામાં નથી આવ્યા.
જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ ફારૂક અબ્દુલ્લાહ શ્રીનગરના સંસદસભ્ય છે અને આ ચર્ચામાં તેઓ સામેલ નહોતા થયા.
રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના નેતા સુપ્રિયા સુલેએ ચર્ચામાં ભાગ લેતા કહ્યું કે :
"ફારૂક અબ્દુલ્લાહને લોકસભામાં તેમની બાજુની બેઠક આપવામાં આવી છે અને આજે તેઓ હાજર નથી એટલે 'કાશ્મીરના અવાજ' વગર આ ચર્ચા અધૂરી રહી જશે."
તેમણે પીડીપી નેતા મહેબૂબા મુફ્તી અને નેશનલ કૉન્ફરન્સ નેતા ઓમર અબ્દુલ્લા વિશે પણ ચિંતા જાહેર કરી હતી.
એ સિવાય કૉંગ્રેસના નેતા શશિ થરૂરે પણ ચર્ચામાં ફારૂક અબ્દુલ્લાહના સામેલ ન થવાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી ત્યારે પણ અમિત શાહે ફરી ચોખવટ કરી હતી.
અમિત શાહે કહ્યું, "હું ચોથી વખત કહું છું અને મારી પાસે 10 વખત એ કહેવાનું ધૈર્ય છે કે ફારૂક અબ્દુલ્લાહને નજરકેદ કરવામાં નથી આવ્યા કે પછી તેમની અટકાયત નથી કરવામાં આવી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"જો તેમની તબિયત ઠીક ન હોય તો તેમને હૉસ્પિટલ લઈ જવાશે. સંસદ નિશ્ચિત રહે."
'સંસદમાં ખોટી માહિતી આપી'
ફારૂક અબ્દુલ્લાહે સમાચાર એજન્સી એએનઆઈને કહ્યું:
"ગૃહ મંત્રીએ સંસદમાં ખોટી માહિતી આપી છે કે હું નજરકેદ નથી અને મારી પોતાની મરજીથી ઘરે રહ્યો છું. હું આવું કેમ કરૂં?"
"જ્યારે મારું રાજ્ય સળગી રહ્યું હોય, જ્યારે મારા લોકોનું જેલમાં દમન થઈ રહ્યું હોય, ત્યારે હું આવું કરૂં? આ એ ભારત નથી, જેના ઉપર મને વિશ્વાસ બેસે."
"મારું ભારત બધા માટે ધર્મનિરપેક્ષ છે, ભલે તમારો ધર્મ કોઈ પણ હોય, કોઈ પણ વિસ્તાર હોય."
ફારૂક અબ્દુલ્લાહે કહ્યું, "જ્યારે દરવાજા ખુલશે અને અમારા લોકો બહાર આવશે, અમે લડીશું, અમે કોર્ટમાં જઈશું."
"અમે બંદૂક ચલાવનાર નથી કે પછી અમે પથ્થર કે ગ્રેનેડ ફેંકનાર નથી, અમે સમસ્યાનું શાંતિપૂર્ણ સમાધાન શોધવામાં માનીએ છીએ."
"તેઓ અમારી હત્યા કરવા માગે છે અને હું તૈયાર છું."
સોમવારે અમિત શાહે રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કરવા વિશે જાહેરાત કરી તે પહેલાં રાજ્યમાં સુરક્ષા વધારવામાં આવી હતી અને કર્ફ્યૂ પણ લાદવામાં આવ્યો હતો.
જમ્મુ-કાશ્મીરના બે ભૂતપૂર્વ મુખ્ય મંત્રીઓ પીડીપીનાં મહેબૂબા મુફ્તી અને નેશનલ કૉન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાહને નજરકેદ કરવાના સમાચાર આવ્યા હતા.
ફારૂક અબ્દુલ્લાહે કહ્યું કે તેમના પુત્ર ઓમર અબ્દુલ્લાહ જેલમાં છે.
'જમ્મુ-કાશ્મીરમાં માત્ર ત્રણ પરિવારોનો જ વિકાસ થયો'
એક અન્ય સંસદસભ્યના ભાષણે લોકસભાની ચર્ચામાં સૌનું ધ્યાન ખેચ્યું, ટ્વિટર પર #JamyangTseringNamgyal અને #Ladakh ટ્રૅન્ડ થવા લાગ્યું હતું.
જામયાંગ સેરિંગ નામગ્યાલ લદ્દાખના ભાજપ સંસદસભ્ય અને 2019ની લોકસભા ચૂંટણીમાં તેઓ જીતીને લોકસભા પહોંચ્યા છે.
તેમણે લોકસભાની ચર્ચામાં ભાગ લેતા ભાષણ આપ્યું, જેની સોશિયલ મીડિયા પર ચર્ચા છે.
લદ્દાખના ભાજપ સંસદસભ્ય જામયાંગ સેરિંગ નામગ્યાલે લોકસભાની ચર્ચામાં ભાગ લેતા કહ્યું,
"આજે લદ્દાખનો ઉલ્લેખ કરનાર લોકોએ લદ્દાખને ક્યારેય અપનાવ્યું નથી."
"કેન્દ્રશાસિત પ્રદેશની અમારી માગ જૂની છે, પણ કોઈએ ધ્યાન નહોતું આપ્યું. હું કારગિલથી ચૂંટાઈને આવ્યો હતો અને ત્યાંના લોકોએ કેન્દ્રશાસિત પ્રદેશ માટે વોટ આપ્યા હતા."
"આ નિર્ણયથી બે પરિવારો સિવાય કોઈની રોજી-રોટી નહીં છીનવાય."
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટર પર જામયાંગ સેરિંગના ભાષણની પ્રશંસા કરી.
મોદીએ કરી પ્રશંસા
વડા પ્રધાને લખ્યું," લદ્દાખના સંસદસભ્ય જામયાંગ સેરિંગ નામગ્યાલે લોકસભામાં ખૂબ સરસ ભાષણ આપ્યું. તેમણે લદ્દાખના લોકોની આશાને સદનની સામે મૂકી."
અમિત શાહે રજૂ કરેલા બિલમાં જમ્મુ-કાશ્મીરના બે ટુકડા કરી લદ્દાખને એક અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાની જોગવાઈ છે.
બીજો ભાગ જમ્મુ-કાશ્મીરનો હશે જેને પણ કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો છે.
નામગ્યાલે કહ્યું," યૂપીએએ 2011માં કાશ્મીરને કેન્દ્રીય યુનિવર્સિટી આપી હતી અને જમ્મુએ લડત લડીને કેન્દ્રીય યુનિવર્સિટી લીધી."
"હું વિદ્યાર્થી નેતા હતો, અમે પણ લદ્દાખમાં સેન્ટ્રલ યુનિવર્સિટીની માગ કરી હતી, પણ અમને ન મળી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમને હાલમાં યુનિવર્સિટી આપી."
તેમણે પોતાના ભાષણ બાદ 'ભારત માતા કી જય'ના નારા પણ લગાવ્યા અને તેમણે કહ્યું લદ્દાખ અને કારગિલના લોકો ભારત સાથે રહેવા માગે છે અને તેઓ મોદી સરકારના નિર્ણયથી ખુશ છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો