You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શું ભારે વરસાદ અને દુષ્કાળ ભારતનું હવામાન ભયાનક હોવાનું સૂચવે છે?
- લેેખક, રિયાલિટી ચેક ટીમ
- પદ, બીબીસી ન્યૂઝ
શું ભારતનું હવામાન ભયાનક બની રહ્યું છે? મુંબઈમાં દાયકાનો સૌથી ભારે વરસાદ પડ્યો છે. ત્યારે રિયાલિટી ચેકની ટીમે એક નજર કરી ભારતના ભયાનક બની રહેલા વાતાવરણ પર.
છેલ્લાં કેટલાક અઠવાડિયાઓથી ભારતની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં ભારે વરસાદ પડ્યો છે. જ્યારે દેશનાં અન્ય રાજ્યોમાં અનેક સ્થળે દુષ્કાળની સ્થિતિ સર્જાઈ છે.
આવી પરિસ્થિતિમાં સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે એક દેશમાં આ રીતે ભયાનક વાતાવરણની અલગ અલગ સ્થિતિ કેમ સામાન્ય બનતી જઈ રહી છે?
આ મામલે રિયાલિટી ચેકની ટીમે કેટલાક સમયગાળા દરમિયાનનાં પૂર અને દુષ્કાળના આંકડા એકત્રિત કર્યા અને એ જાણવાનો પ્રયાસ કર્યો કે આ પૅટર્ન કેવી રીતે ઉદ્ભવી રહી છે.
વરસાદ
ભારતની પાણીની જરૂરિયાત સંપૂર્ણપણે વાર્ષિક વરસાદ પર આધારિત છે.
દેશમાં અલગ અલગ જગ્યાએ વરસાદ અલગ અલગ સમયે પડે છે. જો તે વહેલો કે મોડો પડે, તો ખેડૂતો માટે તકલીફ ઊભી થાય છે.
જો તે સામાન્ય કરતાં વધારે વરસે છે તો વિનાશ લઈને આવે છે. હાલના દિવસોમાં જ મુંબઈ વરસાદથી ખૂબ જ ખરાબ રીતે પ્રભાવિત થયું છે.
મુંબઈમાં ભારે વરસાદ બાદ આવેલા પૂરના કારણે 30 લોકોનાં મૃત્યુ થયાં છે. શહેરના અધિકારીઓ કહે છે કે શહેરનું બાંધકામ એવું નથી કે જેનાથી તે અતિભારે વરસાદનો સામનો કરી શકે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પણ શું આ પૅટર્ન લાંબા ગાળાની છે? 36 સ્થળોના વાતાવરણના વાર્ષિક આંકડા પર નજર કરીએ કે જે ચોમાસામાં પડતા વરસાદ પર નજર રાખે છે તો તેનાથી કોઈ સ્પષ્ટ પૅટર્ન જોવા મળતી નથી.
હા, વરસાદના સ્તરની કોઈ આગાહી થઈ શકતી નથી, પરંતુ વર્ષ 2002થી ચોમાસામાં પડતા વરસાદમાં કોઈ ખાસ વધારો નોંધાયો નથી.
આ પૂરમાં 16 હજાર લોકોના જીવ લેવાયા હતા. આ પહેલાંના દાયકામાં 67 વખત પૂર નોંધાયું હતું કે જેમાં 13,600 લોકોનો ભોગ લેવાયો હતો.
એક દાયકામાં પૂર વધ્યા બાદ એ કહી શકાતું નથી કે બે દાયકામાં પણ પૂરની તિવ્રતા કે સંખ્યા વધશે જ.
દુષ્કાળની શું છે સ્થિતિ?
એક તરફ જ્યાં મુંબઈએ ભારે વરસાદ અને પૂરનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે દેશના બીજા ઘણા વિસ્તાર છે કે જે શુષ્ક તાપમાનનો સામનો કરી રહ્યા છે.
તામિલનાડુની રાજધાની ચેન્નાઈ મોડા વરસાદના કારણે જળસંકટનો સામનો કરી રહ્યું છે. આખા ભારતમાં હિટવેવની સ્થિતિ જોવા મળી રહી છે.
કેટલીક જગ્યાએ જૂન મહિનામાં પણ તાપમાન 45 ડિગ્રીને પાર કરી ગયું હતું. એવું અનુમાન છે કે ભારતનો 44% ભાગ દુષ્કાળની ઝપેટમાં છે. આ આંકડો ગત વર્ષ કરતા 10% વધારે છે.
હિટવેવ ત્યારે કહેવાય છે કે જ્યારે કોઈ વિસ્તારમાં બે દિવસ સુધી તાપમાન સામાન્ય કરતાં 4.5 ડિગ્રી સેલ્સિયસ વધારે રહે છે.
વર્ષ 1980થી 1999 સુધીમાં 213 વખત હિટવેવની સ્થિતિ સર્જાઈ હતી. જ્યારે વર્ષ 2000થી 2018 વચ્ચે આશરે 1400 વખત હિટવેવની સ્થિતિ સર્જાઈ હતી.
વર્ષ 2017 અને 2018ની વચ્ચે ગરમી અને ઠંડીમાં ખૂબ વધારો જોવા મળ્યો છે.
આંતરરાષ્ટ્રીય સંશોધકોની એક ટીમ દ્વારા કરવામાં આવેલા એક સંશોધનમાં એવું અનુમાન લગાવવામાં આવ્યું કે 2100 સુધીમાં ભારતની 70% વસતીને ભયાનક ગરમી અને ભેજના કારણે ખતરો હશે.
શું યોગ્ય યોજનાથી પૂરને રોકી શકાય?
વરસાદને કારણે પડતી મુશ્કેલીઓનો સામનો કરતા શહેરના ઉદાહરણ તરીકે મુંબઈને જોઈ શકાય છે.
વર્ષ 2005માં મુંબઈમાં પૂરના કારણે 900 લોકોનાં મૃત્યુ થયાં હતાં. ત્યારે પાણીના નિકાલ માટે 8 સ્ટેશન બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે, તેમાંથી બે હજુ પણ બનવાના બાકી છે.
શહેરનો મોટાભાગનો વિસ્તાર દરિયાઈ જમીન પર બન્યો છે. કેટલાક લોકોનો આરોપ છે કે વરસાદનો સામનો કરવા માટે શહેરનું બાંધકામ સારી રીતે કરવામાં આવ્યું નથી.
કેટલીક પરિસ્થિતિમાં પૂરના કારણે જમા થયેલું પાણી દરિયામાં અને શહેરની મિઠી નદીમાં પહોંચી જાય છે. પરંતુ આ પાણી અટકી જાય છે જ્યારે ભારે વરસાદની સાથે સમુદ્રમાં ભરતી આવે છે.
નદી અને સમુદ્રમાં ફેંકાતા કચરાને કારણે પણ તેમની ક્ષમતામાં ઘટાડો આવી જાય છે. શહેરની ડ્રેનેજ સિસ્ટમને સુધારવા માટે 1993માં કામ શરૂ થયું હતું. પરંતુ સમીક્ષકોનું કહેવું છે કે પૂરતી કામગીરી થઈ નથી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો