લોકસભા ચૂંટણી Phase6 : યૂપી-બિહારથી આગળ દિલ્હી, બંગાળમાં બમ્પર મતદાન

લોકસભાની ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં સાત રાજ્યોમાં સાંજે છ વાગ્યા સુધીમાં 59.7 ટકા મતદાન થયું.

સૌથી વધુ મતદાન પશ્ચિમ બંગાળમાં થયું. સાંજે છ વાગ્યા સુધીમાં અહીં 80.31 ટકા મતદાન થયું.

તો ઝારખંડ, મધ્ય પ્રદેશ અને હરીયાણામાં પણ 60 ટકાથી વધુ મતદાન થયું. ઝારખંડમાં 64.46 ટકા, હરીયાણામાં 62.14 ટકા અને મધ્ય પ્રદેશમાં 60.12 ટકા મતદાન થયું.

રાજધાની દિલ્હીમાં 55. 44 ટકા મતદાન થયું તો ઉત્તર પ્રદેશમાં 50.82 ટકા અને બિહારમાં 55. 04 ટકા મતદારોએ મતદાન કર્યું.

પશ્ચિમ બંગાળમાં હિંસા વચ્ચે મતદાન

પશ્ચિમ બંગાળમાં 8 બેઠકો પર મતદાન યોજાઈ અને આ બધા વચ્ચે હિંસાના સમાચારો આવ્યા.

પશ્ચિમ બંગાળમાં ભાજપના ઉમેદવારની કાર પર હુમલાનો બનાવ બન્યો. ભાજપે આના માટે તૃણમુલ કૉંગ્રેસને જવાબદાર ઠેરવી છે.

ભાજપનાં ઉમેદવાર ભારતી ઘોષની કાર પર આ કથિત હુમલો કરાયો છે.

ઉલ્લેખનીય છે કે મતદાનના એક દિવસ અગાઉ ભાજપના એક કાર્યકર મૃત હાલતમાં મળી આવ્યા હતા.

ભાજપના નેતા કૈલાશ વિજવર્ગીયે આના માટે ટીએમસીને જવાબદાર ઠેરવી છે.

તેમણે કહ્યું કે ટીએમસીના કાર્યકરોએ ઘરમાં ઘૂસીને આ હત્યા કરી છે. ભાજપના કાર્યકરનો મૃતદેહ મળ્યા બાદ આ વિસ્તારમાં તણાવ વધી ગયો છે.

જોકે, તૃણમૂલ કૉંગ્રેસનું કહેવું છે કે આ મૃત્યુ સાથે તેમનો કોઈ સંબંધ નથી.

મૃત્યુ પામનાર કાર્યકરનું નામ રમણ સિંહ છે.

આ દરમિયાન ભાજપના અન્ય બે કાર્યકર અનંતા ગુચૈત અને રંજિત મોતી પર પણ ગોળીબારની ઘટના ઘટી.

પ્રિયંકા ગાંધીએ કર્યું મતદાન અને ક્યાંક ઈવીએમ ખોટકાયાંની ફરિયાદ

લોકસભાની ચૂંટણીમાં છઠ્ઠા તબક્કાના મતદાનમાં કેટલાંક સ્થળોએ ઈવીએમમાં સમસ્યાઓ બહાર આવી.

સમાજવાદી પાર્ટીએ દાવો કર્યો કે આઝમગઢ લોકસભા ક્ષેત્રની ગોપાલપુર વિધાનસભામાં બૂથ 20 અને 21માં ઈવીએમ કામ નહતા કરી રહ્યાં.

આ ઉપરાંત દિલ્હીમાંથી પણ ઈવીએમ ખરાબ હોવાની ફરિયાદો મળી.

સમાચાર સંસ્થા પીટીઆઈ મુજબ મટિયામહેલ વિસ્તારના આદર્શ ગુપ્તાએ દાવો કર્યો કે મતદાન કેન્દ્ર 84, 84 અને 86માં ઈવીએમ લાંબો સમય સુધી ખરાબ રહ્યાં.

માલવીયનગરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સોમનાથ ભારતીએ પણ આરોપ લગાવ્યો કે બૂથ ક્રમાંક 116,117 અને 122 પર ઈવીએમ કામ નહોતાં કરી રહ્યાં.

આ સાથે કૉંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા અને તેમના પતિ રૉબર્ટ વાડ્રાએ મતદાન કર્યુ હતું.

મતદાન પછી પ્રિયંકાએ કહ્યું, "આ ખૂબ જ મહત્ત્વનું મતદાન છે કેમ કે અમે દેશ માટે લોકશાહીને બચાવવા માટે લડી રહ્યાં છીએ અને મે એ વિચારીને જ મત આપ્યો છે. "

એમણે કહ્યું કે ભાજપ આ ચૂંટણી ખરાબ રીતે હારે છે. લોકોમાં ગુસ્સો અને નારાજગી છે અને તે મતદાન દ્વારા સામે આવશે.

પ્રિયંકાએ દાવો કર્યો કે ઉત્તર પ્રદેશમાં લોકોનો ગુસ્સો સ્પષ્ટ રીતે અનુભવી શકાય એમ છે.

યુનાઇટેડ પ્રૉગ્રેસિલ અલાયન્સના ચૅયરપર્સન સોનિયા ગાંધીએ પણ મતદાન કર્યું હતું. એમની સાથે દિલ્હીના પૂર્વ મુખ્ય મંત્રી શીલા દીક્ષિત પણ જોડાયાં હતાં.

સીપીઆઈના વરિષ્ઠ નેતા પ્રકાશ કરાતે સંચાર ભવન મતદાન મથક પર મતદાન કર્યું.

રાહુલ ગાંધીએ કહ્યું નફરત સામે પ્રેમ જીતશે

કૉંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ મતદાન કર્યા પછી પત્રકારોને કહ્યું કે આ ચૂંટણી નોટબંધી, ખેડૂતોની સમસ્યાઓ, ગબ્બર સિંહ ટૅક્સ અને રફાલના ભષ્ટ્રાચાર પર લડવામાં આવી રહી છે.

તેમણે કહ્યું, "નરેન્દ્ર મોદીએ પ્રચારમાં નફરતનો ઉપયોગ કર્યો અને અમે પ્રેમનો. મને ખાતરી છે કે પ્રેમની જીત થશે."

મતદારોમાં ઉત્સાહ ઓછો

લોકસભાની ચૂંટણીમાં છઠ્ઠા તબક્કાના મતદાનમાં સવારના ત્રણ કલાકમાં નબળો પ્રતિસાદ મળ્યો હતો.

આમ આદમી પાર્ટીનાં પૂર્વ દિલ્હીનાં ઉમેદવાર આતિષી અને દિલ્હી ભાજપના ચીફ મનોજ તિવારીએ મતદાન કર્યું.

આ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અને દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે લોકોને મતદાન કરવા માટે અપીલ કરી.

અરવિદ કેજરીવાલે ટ્વીટ કરીને કામ કરનારને મત આપવા અને નફરત ફેલાવનારને મત ન આપવા અપીલ કરી.

સુલતાપુરમાં મેનકા ગાંધી અને ગઠબંધન ઉમેદવાર વચ્ચે બોલાચાલી

લોકસભાની ચૂંટણીના છઠ્ઠા તબક્કાના મતદાનમાં લોકસભાની સુલતાનપુરથી બેઠક પરથી ભાજપનાં ઉમેદવાર મેનકા ગાંધી અને સપા-બસપા ગઠબંધનના ઉમેદવાર સોનુ સિંહ વચ્ચે બોલાચાલીની ઘટના બની.

મેનકા ગાંધીએ સોનુ સિંહના સમર્થકો મતદાતાઓને ધમકી આપતા હોવાની વાત કરી.

આ મુદ્દે મેનકા ગાંધી અને સોનુ સિંહ વચ્ચે સામાન્ય બોલાચાલી પણ થઈ.

આ ઉપરાંત દિલ્હીના નાયબ મુખ્ય મંત્રી મનીષ સિસોદિયાએ પાંડવનગરથી મતદાન કર્યુ.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિદે પણ રાષ્ટ્રપતિ ભવનમાં મતદાન કર્યુ.

હરિયાણાના મુખ્ય મંત્રી મનોહરલાલ ખટ્ટરે કરનાલ મતદાન મથક પરથી મતદાન કર્યુ.

દિલ્હીના પૂર્વ મુખ્ય મંત્રી અને કૉંગ્રેસના ઉમેદવાર શીલા દીક્ષિતે પણ મતદાન કર્યુ.

વિરાટ કોહલી, ગંભીર અને પ્રજ્ઞા સિંહ ઠાકુરે મતદાન કર્યું

ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલીએ ગુરૂગ્રામમાં પિનક્રેસ્ટ સ્કૂલમાં મતદાન કર્યુ.

ઇસ્ટ દિલ્હી બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને પૂર્વ કિક્રેટર ગૌતમ ગંભીરે રાજિન્દર નગર બૂથ પરથી મતદાન કર્યુ. ગંભીરની સામે કૉંગ્રેસના અરવિન્દર સિંઘ લવલી અને આપનાં આતિષી ઉમેદવાર છે.

ભોપાલ લોકસભા બેઠકના ભાજપનાં ઉમેદવાર પ્રજ્ઞા સિંહ ઠાકુરે પણ મતદાન કર્યુ. એમની સામે કૉંગ્રેસના દિગ્વિજય સિંહ ઉમેદવાર છે.

કઈ-કઈ વીઆઈપી સીટો પર મતદાન

રવિવારે કુલ 59 બેઠકો પર મતદાન થયું. જેમાં ઉત્તર પ્રદેશની 14, હરીયાણાની 10, બિહારની આઠ, પશ્ચિમ બંગાળની આઠ, મધ્ય પ્રદેશની આઠ, દિલ્હીની સાત તથા ઝારખંડની ચાર બેઠકો સામેલ છે.

વર્ષ 2014માં આ 59 બેઠકોમાંથી ભાજપ 45 બેઠકો જીત્યો હતો, એ સિવાય તૃણમુલ કૉંગ્રેસ પાર્ટી આઠ બેઠકો જીતી હતી. જ્યારે સમાજવાદી પાર્ટી એક બેઠક જીતી હતી.

દેશની રાજધાની દિલ્હીની વાત કરીએ તો અહીં આ વખતે દિગ્ગજ નેતાઓની સાથે જાણીતા ખેલાડી ચહેરાઓને પણ ભાજપ-કૉંગ્રેસે મેદાનમાં ઉતાર્યા છે. આ ઉપરાંત આમ આદમી પાર્ટીના પ્રદર્શન પર સૌની નજર રહેશે.

વર્ષ 2014માં અહીંની તમામ સાત બેઠકો પર ભાજપનો વિજય થયો હતો. દિલ્હીની સાત બેઠકોના 164 ઉમેદવારનું ભાવિ આજે નક્કી થઈ જશે.

આ વખતે ચૂંટણીજંગમાં શીલા દીક્ષિત, બૉક્સર વિજેંદર સિંહ, ગૌતમ ગંભીર, આતિશી, અજય માકન જેવાં દિગ્ગજ નેતા મેદાનમાં છે.

આ ઉપરાંત ઉત્તર પ્રદેશ તથા બિહારની કેટલીક બેઠકો પણ દિગ્ગજ નેતાઓના કારણે ચર્ચામાં રહેશે.

ઉત્તર પ્રદેશની આઝમગઢ બેઠક પર સમાજવાદી પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવ સામે ભાજપના ઉમેદવાર દિનેશ યાદવ છે અને કેન્દ્રીય મંત્રી રહેલાં મેનકા ગાંધી સુલ્તાનપુર બેઠકથી ચૂંટણીજંગમાં છે.

કેન્દ્રીય મંત્રી રાધામોહન સિંહ બિહારમાં પૂર્વ ચંપારણથી ચૂંટણી લડી રહ્યા છે. તેઓ પાંચ વખત સાંસદ રહી ચૂક્યા છે.

તમે આ વાંચ્યું કે નહીં?

મધ્ય પ્રદેશની આઠ લોકસભા બેઠકોમાંથી ભોપાલ બેઠક પર સૌથી રસપ્રદ મુકાબલો રહેશે. ગુના, ગ્વાલિયર અને વિદિશામાં પણ મજબૂત ટક્કર જોવા મળી શકે છે.

ભોપાલ બેઠક માટેનો જંગ રસપ્રદ ગણાય છે કારણકે મૂળે ભારતીય જનતા પાર્ટીની બેઠક રહી છે. પણ અહીંથી કૉંગ્રેસ દિગ્વિજય સિંહને ઉતાર્યા છે કે જેઓ વર્ષો બાદ ચૂંટણી લડી રહ્યા છે. છેલ્લે તેઓ 2006માં ચૂંટણી લડ્યા હતા.

દિગ્વિજય ચૂંટણી લડી રહ્યા હોવાથી કૉંગ્રેસને ઘણી આશાઓ છે તો સામે ભાજપે આ જ બેઠક પરથી સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને ઉતારીને કૉંગ્રેસની ચિંતા વધારી દીધી છે.

વર્ષ 1989થી ભાજપનો દબદબો ધરાવતી ભોપાલ બેઠક પર બન્ને પક્ષો માટે પડકારજનક સ્થિતિ છે. સાધ્વી પ્રજ્ઞાએ ચૂંટણીના 25 દિવસ પહેલાં જ પ્રચારકાર્ય શરૂ કર્યું હતું.

રાજનગરથી ચૂંટણી લડવું દિગ્વિજય સિંહ માટે કદાચ સરળ રહ્યું હોત પણ ભોપાલ બેઠક પરથી તેઓ ચૂંટણી લડી રહ્યા હોવાથી હવે મુકાબલો રસપ્રદ થઈ ગયો છે.

ગુના બેઠક દેશની આઝાદીના સમયથી જ સિંધિયા પરિવારનો ગઢ રહી છે. આ બેઠક પર ચાર વખત ભાજપ અને નવ વખત કૉંગ્રેસના ઉમેદવાર જીત્યા છે. એક વખત આ બેઠક જનસંઘના ભાગે ગઈ હતી.

આ બેઠક પર વિજયારાજે સિંધિયા, માધવરાવ સિંધિયા અને જ્યોતિરાદિત્ય સિંધિયા સતત જીતતાં આવ્યાં છે.

માધવરાવ સિંધિયાના મૃત્યુ બાદ ગુના બેઠક પર વર્ષ 2002માં ઉપચૂંટણી થઈ, ત્યારથી અહીં જ્યોતિરાદિત્ય સિંધિયા જ જીતે છે.

જોકે આ વખતે ભાજપે રણનીતિ બદલીને આ બેઠક પરથી સિંધિયા પરિવારના નજીકના ગણાતા કે. પી. યાદવને ઉમેદવાર જાહેર કર્યા છે.

ગઈ લોકસભાની ચૂંટણીમાં જ્યોતિરાદિત્ય એક લાખ 20 હજાર મતોની સરસાઈથી જીત્યા હતા.

આ બેઠક પર તેમના પરિવારનું વર્ચસ્વ છે પણ સામા પક્ષે ઉમેદવાર તરીકે યાદવ તેમને પડકારી શકે છે કે કેમ એ જોવું રહેશે.

વર્તમાન કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમરે 2014ની ચૂંટણીમાં ગ્વાલિયર બેઠક કૉંગ્રેસના અશોક સિંહ પાસેથી આંચકી લીધી હતી.

પરંતુ, આ વખતે ભાજપે તેમના બદલે ગ્વાલિયરથી મેયર વિવેક શેઝ્વાલકરને ટિકિટ આપી છે.

અશોક સિંહ આ વખતે ફરીથી કૉંગ્રેસ તરફથી મેદાનમાં ઊતર્યા છે. યશોધરા રાજે સિંધિયા પણ આ બેઠક પરથી ભાજપના સાંસદ રહી ચૂક્યાં છે.

વિદિશા બેઠક પર ભાજપનાં મોટાં નામો ચૂંટણી લડી ચૂક્યાં છે અને સાંસદ પણ રહ્યાં છે.

જેમાં પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી, સુષમા સ્વરાજ અને પૂર્વ મુખ્ય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ મુખ્ય નામો છે.

ચાર દસકાથી ભાજપનો ગઢ મનાતી આ બેઠક પરથી લડવાની સુષમા સ્વરાજના ના પાડ્યા બાદ શિવરાજસિંહ ચૌહાણનાં પત્નીને ટિકિટ મળવાની શક્યતાઓ હતી. પરંતુ, ભાજપે રમાકાંત ભાર્ગવને અહીંથી ઉમેદવાર જાહેર કર્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો