મોદી સામે ચૂંટણી લડવા માગતા તેજ બહાદુર યાદવને સુપ્રીમ કોર્ટે દાદ ન આપી

તેજ બહાદુર યાદવ

ઇમેજ સ્રોત, TEJ BAHADUR YADAV FB

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામેની જેમની ઉમેદવારી ચૂંટણીપંચે રદી કરી છે તે પૂર્વ બીએસએફ સૈનિક તેજ બહાદુર યાદવની પિટિશન સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે.

આ પહેલાં વારાણસીના ચૂંટણી અધિકારીએ તેજ બહાદુરનું ઉમેદવારીપત્રક રદ કરી દીધું હતું.

આ ઉમેદવારી રદ થયા બાદ તેમણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

સુપ્રીમ કોર્ટે દાદ આપવાનો ઇન્કાર કરતાં કહ્યું કે અમને આ પિટિશનમાં કોઈ મેરિટ નથી લાગતું.

તેજ બહાદુરે બે ઉમેદવારીપત્રકો ભર્યાં હતાં. એક 24 એપ્રિલના રોજ અપક્ષ ઉમેદવાર તરીકે અને બીજું 29 એપ્રિલના રોજ સમાજવાદી પક્ષના ઉમેદવાર તરીકે ભર્યું હતું.

જિલ્લા ચૂંટણી અધિકારીએ બંને ઉમેદવારીપત્રકો રદ કરી દીધાં હતાં.

વારાણસી બેઠક પરથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના વર્તમાન સાંસદ છે અને તેઓ આ વખતે આ જ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.

વડા પ્રધાન મોદીએ 26 એપ્રિલના રોજ અહીં ઉમેદવારીપત્રક ભર્યું હતું.

આ બેઠક પર કૉંગ્રેસના અજય રાય અને સમાજવાદી પક્ષના એક વધુ ઉમેદવાર શાલિની યાદવે પણ ઉમેદવારી કરી હતી.

જોકે, પાછળથી સપાએ તેજ બહાદુર યાદવને સમર્થન આપી ઉમેદવાર ઘોષિત કર્યા હતા જે ઉમેદવારી પત્ર રદ થયું હતું.

line

તેજ બહાદુરનું ઉમેદવારીપત્રક રદ થયું

મોદી અને તેજ બહાદુર યાદવ

ઇમેજ સ્રોત, Getty Images

તેજ બહાદુરને 30મી એપ્રિલના રોજ જિલ્લા ચૂંટણી અધિકારીની પ્રથમ નોટિસ મળી.

આ નોટિસમાં કહેવામાં આવ્યું હતું કે સીમા સુરક્ષાદળ(બીએસએફ)માંથી એક ચિઠ્ઠી લઈને આવો કે જેથી જાણ થાય કે તેમને શા માટે કાઢી મૂકવામાં આવ્યા હતા.

નોટિસમાં તેમને જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ 1 મે, 2109 એટલે કે 90 વર્ષ પછી હાજર થવાનું કહ્યું હતું.

બાદમાં તેમને બીજી નોટિસ મળી હતી, જેમાં પ્રથમ નોટિસમાં આપવામાં આવેલી તારીખને 'ક્લેરિકલ મિસ્ટેક' ગણાવવામાં આવી હતી.

બીજી નોટિસમાં તેમને 1 મે, 2019ના રોજ સવારના 11 વાગ્યા સુધીમાં બીએસએફ પાસેથી ચિઠ્ઠી લાવી હાજર થવા કહેવામાં આવ્યું.

જિલ્લા ચૂંટણી અધિકારી અને વારાણસીના રિટર્નિંગ ઓફિસર સુરેન્દ્ર સિંહ દ્વારા આ નોટિસો મોકલવામાં આવી હતી.

નોટિસમાં કહેવામાં આવ્યું હતું કે તેજ બહાદુર યાદવે જ્યારે અપક્ષ ઉમેદવાર તરીકે પોતાનું ફૉર્મ ભર્યું ત્યારે તેમાં પૂછવામાં આવેલા સવાલ - 'શું તમને સરકારી સેવામાં ભ્રષ્ટાચાર અથવા દેશદ્રોહના આરોપમાં ક્યારેય બરતરફ કરવામાં આવ્યા છે?'

આ સવાલના જવાબમાં તેજ બહાદુરે પ્રથમ ફૉર્મમાં 'હા' જવાબ લખ્યો હતો.

જિલ્લા ચૂંટણી અધિકારી અનુસાર તેજ બહાદુરે જ્યારે 29 એપ્રિલના રોજ બીજું ફૉર્મ ભર્યું તો તેની સાથે તેમણે એક સોગંદનામું પણ આપ્યું હતું.

જેમાં તેમણે કહ્યું હતું કે 24 એપ્રિલના રોજ જે ફૉર્મ ભર્યું હતું તેમાં ભૂલથી 'હા' લખાઈ ગયું હતું.

ચૂંટણીપંચના એક અધિકારીનું કહેવું છે કે લોક પ્રતિનિધિત્વના કાયદામાં જોગવાઈ છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારના કોઈ કર્મચારીને તેમની સેવામાંથી કોઈ આરોપસર બરતરફ કરવામાં આવ્યા હોય તો તેઓ પાંચ વર્ષો સુધી ચૂંટણી લડી શકતા નથી.

વારાણસી લોકસભાની બેઠક પરથી કુલ 101 ઉમેદવારીપત્રકો ભરવામાં આવ્યાં છે, જેમાંથી 71ને રદ કરી દેવામાં આવ્યાં છે.

બે વર્ષ પહેલાં બીએસએફના જવાન તેજ બહાદુર યાદવ સમાચારોમાં ચમક્યા હતા.

સોશિયલ મીડિયા પર તેમનો એક વીડિયો વાઇરલ થયો હતો જેમાં તેમણે જવાનોને મળતા ભોજન અંગે ફરિયાદ કરી હતી.

તેમણે પોતાના વીડિયોમાં કૅમ્પમાં રહેતા જવાનોની કઠિન જિંદગી વિશે પણ ચર્ચા કરી હતી.

તેમનો આરોપ હતો કે અધિકારીઓને ફરિયાદ કર્યા બાદ પણ કંઈ નિરાકરણ ન આવતા આ વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવો પડ્યો હતો.

લાઇન
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો