You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
લોકસભા ચૂંટણી 2019 : માયાવતીને વડાં પ્રધાનપદે જોવા માગે છે આ 'ગબ્બર સિંહ'
લોકસભાની 2019ની ચૂંટણી માટે બહુજન સમાજ પાર્ટી અને દક્ષિણ ભારતના સુપર સ્ટાર પવન કલ્યાણની જનસેના પાર્ટી વચ્ચે આંધ્ર પ્રદેશમાં જોડાણ થઈ ગયું છે.
સમાચાર સંસ્થા એએનઆઈને પવન કલ્યાણે જણાવ્યું હતું કે તેઓ માયાવતીને પ્રધાનપદે જોવા માગે છે.
દક્ષિણના સુપર સ્ટાર ચિરંજીવીના નાના ભાઈ પવન કલ્યાણે 2014માં જન સેના પાર્ટી લૉન્ચ કરી હતી. એ વખતે તેમણે ટીડીપી-ભાજપ ગઠબંધન માટે ખૂબ પ્રચાર કર્યો હતો.
ઉલ્લેખનીય છે પવન કલ્યાણની હિટ ફિલ્મ ગબ્બર સિંહ એ બોલીવૂડની દબંગ ફિલ્મની રિમૅક હતી.
ગુજરાત કૉંગ્રેસની વેબસાઇટ હૅક, હાર્દિકની સીડીનો સ્કીન શૉટ દેખાયો
લોકસભાની 2019ની ચૂંટણીની જાહેરાત બાદ વેબસાઇટ હૅકિંગની વધારે એક ઘટના બની છે. ગુજરાત કૉંગ્રેસની વેબસાઇટ હૅક થઈ છે. હૅકરે આ સાઇટ પર હાર્દિક પટેલનો જૂનો વીડિયો પોસ્ટ કરી દીધો છે.
જોકે, વેબસાઇટ હૅક થયાની માહિતી મળતા સાઇટને ડાઉન કરી દેવામાં આવી હતી.
આ અંગે બીબીસીએ કૉંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી સાથે વાત કરતાં તેમણે આ વાત હમણાં જ ધ્યાન પર આવી હોવાનું અને મામલો ઉકેલવા માટે તકનિકી ટીમ કામ કરી રહી હોવાનું કહ્યું હતું.
તેમણે કહ્યું કે આ અંગે ફરિયાદ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ ભાજપની વેબસાઇટ પર હૅક થઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ફ્રાંસે મસૂદ અઝહરની સંપત્તિ જપ્ત કરવાની જાહેરાત કરી
સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં ચીને કરેલા વિરોધ બાદ ફ્રાંસે તેમના દેશમાં મસૂદ અઝહરની સંપત્તિ જપ્ત કરવામાં આવશે એમ કહ્યું છે.
પુલવામા હુમલા માટે જવાબદાર જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં વૈશ્વિક આતંકલવાદી ઘોષિત કરવા માટે ફ્રાંસે પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે ફ્રાંસ મસૂદ અઝહરને મામલે શરુઆતથી જ ભારતના પક્ષમાં રહ્યું છે.
ફ્રાંસ મસૂદ અઝહરનો મુદ્દો યુરોપિયન યુનિયનમાં પણ ઉઠાવશે અને યુરોપિયન યુનિયનના દેશોમાં મસૂદ મસૂદ અઝહરને આતંકવાદ સાથે સંકળાયેલ વ્યકિત તરીકે જાહેર કરવા રજૂઆત કરશે.
સુપ્રીમ કોર્ટે શ્રીસંત પરનો આજીવન પ્રતિબંધ હટાવ્યો
નવભારત ટાઇમ્સના અહેવાલ પ્રમાણે સુપ્રીમ કોર્ટે ભારતીય ક્રિકેટર શાંતાકુમારન શ્રીસંત પરનો આજીવન પ્રતિબંધ હટાવી દીધો છે.
કોર્ટે બીસીસીઆઈને જણાવ્યું કે તેઓ ત્રણ મહિનાની અંદર આ અંગે કોઈ નિર્ણય લે.
જો કે, બીસીસીઆઈ કોઈ નિર્ણય ન આપે ત્યાં સુધી તેઓ રમી શકશે નહીં.
શ્રીસંતે જણાવ્યું હતું, ''સુપ્રીમ કોર્ટે મને એક જીવનરેખા આપી છે. જેનાથી મને ફરી સન્માન મેળવવામાં મદદ મળશે.''
વધુમાં તેમણે જણાવ્યું હતું, ''મેં પ્રૅક્ટિસ ફરી શરૂ કરી દીધી છે અને આશા છે કે જલદી જ ક્રિકેટ રમતો થઈ જઈશ. મેં છ વર્ષ સુધી લાંબી રાહ જોઈ હતી.''
મુંબઈમાં તૂટી પડેલો બ્રિજ કસાબે ઉપયોગમાં લીધો હતો
ગુરુવારે સાંજે મુંબઈમાં છત્રપતિ શિવાજી ટર્મિનસની પાસે એક ફૂટઓવર બ્રીજ તૂટી પડ્યો હતો.
જેમાં 5 લોકોનાં મોત થયાં હતાં જ્યારે 36 લોકો ઘાયલ થયા હતા.
આ બ્રિજ 26/11ના મુંબઈ હુમલા બાદ પણ ચર્ચામાં આવ્યો હતો. મુંબઈમાં હુમલો કરનારા આતંકવાદી કસાબે આ પુલનો ઉપયોગ કર્યો હતો.
ખૂબ જ ટ્રાફિકવાળા વિસ્તારમાં આ પુલ કઈ રીતે તૂટી પડ્યો તેની તપાસના આદેશ આપી દેવાયા છે.
ભાનુશાળીની હત્યા મામલે છબીલ પટેલની ધરપકડ
કચ્છના ભાજપના નેતા જયંતિ ભાનુશાળીની હત્યા મામલે ગુજરાત પોલીસે ગુરુવારે છબીલ પટેલની ધરપકડ કરી છે.
ભાજપના નેતા છબીલ પટેલની ધરપકડ અમદાવાદ ઍરપૉર્ટ પરથી કરવામાં આવી હતી.
તેમના પર આરોપ છે કે તેમણે ભાનુશાળીની હત્યા કરાવી હતી અને હત્યા પહેલાં તેઓ અમેરિકા જતા રહ્યા હતા.
અમેરિકાથી તેઓ જેવા જ અમદાવાદ ઍરપૉર્ટ પર ઊતર્યા કે પોલીસે તેમને અટકાયતમાં લીધા હતા અને બાદમાં તેમની ધરપકડ કરી હતી.
પાક.માં વિઝા વિના ભારતના શ્રદ્ધાળુને પ્રવેશ આપો : ભારત
પુલવામા હુમલો અને બાલાકોટ ઍરસ્ટ્રાઇક બાદ ભારત અને પાકિસ્તાનમાં વધી રહેલા તણાવ વચ્ચે એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.
આ બેઠક કરતારપુર કૉરિડોરને લઈને મળી હતી, જેમાં બંને દેશના અધિકારીઓએ વાતચીત કરી હતી.
જેમાં ભારતે પાકિસ્તાનમાં આવેલા કરતારપુર ગુરુદ્વારા જવા માટે દરરોજ 5,000 શ્રદ્ધાળુઓને પ્રવેશ આપવા માટે મંજૂરી માગી છે.
આ બેઠકમાં પંજાબના ગુરુદાસપુર જિલ્લા અને સરહદની પેલે પાર પાકિસ્તાનમાં આવેલા કરતારપુર સાહેબ વચ્ચે પ્રસ્તાવિત કૉરિડોર ખોલવા પર ચર્ચા થઈ હતી.
સાઉદી અરેબિયાને અમેરિકન સેનેટનો ઝટકો
સાઉદી અરેબિયાએ છેલ્લાં ત્રણ વર્ષોથી યમનમાં અમેરિકાના દમ પર યુદ્ધ ચાલુ રાખ્યું છે.
સંયુક્ત રાષ્ટ્રના એક અનુમાન પ્રમાણે આ યુદ્ધના કારણે 80 લાખ લોકો ભૂખમરાની સ્થિતિનો સામનો કરી રહ્યા છે.
ડોનાલ્ડ ટ્રમ્પના સત્તામાં આવ્યા બાદ સાઉદી પ્રિન્સ સલમાન સાથે તેમના સારા સંબંધો બંધાયા હતા. જે બાદ અમેરિકા આ મામલે ચૂપ રહ્યું હતું.
જોકે, હવે અમેરિકન સેનેટે પ્રસ્તાવ પારિત કરીને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની યમન નીતિઓ અને સાઉદી અરેબિયાને મોટો ઝટકો આપ્યો છે.
અમેરિકન સેનેટે આ યુદ્ધને સમાપ્ત કરવાનો અને ત્યાંથી અમેરિકન સૈનિકો હટાવી લેવાનો પ્રસ્તાવ પારિત કર્યો છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો