You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
BBC TOP NEWS : ટ્રાન્સજેન્ડર પત્રકાર અપ્સરા રેડ્ડી બન્યાં મહિલા કૉંગ્રેસ પ્રમુખ
જાણીતા ટ્રાન્સજેન્ડર પત્રકાર અને એક્ટિવિસ્ટ અપ્સરા રેડ્ડીને ઑલ ઇન્ડિયા મહિલા કૉંગ્રેસના પ્રમુખ તરીકે નિમવામાં આવ્યાં છે.
કૉંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવેલા ટ્ટીટ મુજબ આ માહિતી જાણવા મળી છે.
134 વર્ષ જૂના કૉંગ્રેસ પક્ષમાં સૌ પ્રથમ વાર કોઈ ટ્રાન્સજેન્ડરને આ હોદ્દા પર નિમણુક આપવામાં આવી છે.
અપ્સરા રેડ્ડીને રાષ્ટ્રીય જનરલ સેક્રેટરી તરીકે ઑલ ઇન્ડિયા મહિલા કૉંગ્રેસનો હવાલો સોંપવામાં આવ્યો છે.
કૉંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ એમની નિમણુક કરી છે.
ઑલ ઇન્ડિયા મહિલા કૉંગ્રેસે પણ વિમેન પોઝિટીવના હેશટેગ સાથે એમને આવકારતી ટ્ટીટ કરી હતી.
પૂર્વ પત્રકાર અપ્સરા રેડ્ડીએ અગાઉ 2016માં એઆઇડીએમકેથી રાજકારણમાં પ્રવેશ કર્યો હતો.
અપ્સરા રેડ્ડીની નિમણુક ટ્ટિટર પર ટ્રેન્ડ થઈ છે અને અનેક લોકો એને આવકારી રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અયોધ્યામાં બાબરી-રામ જન્મભૂમિ કેસમાં પાંચ જજોની બંધારણીય બૅન્ચ
અયોધ્યામાં બાબરી મસ્જિદ-રામ જન્મભૂમિ વિવાદમાં સુપ્રીમ કોર્ટે પાંચ જજોની બંધારણીય બૅન્ચની રચના કરી છે.
ચીફ જસ્ટિસ રંજન ગોગોઈના અધ્યક્ષપદે આ બૅન્ચ કેસની સુનાવણી 10 તારીખથી શરુ કરશે.
આ બંધારણીય બૅન્ચમાં જસ્ટિસ શરદ અરવિંદ બોરડે,. જસ્ટિસ રમન, જસ્ટિસ ઉદય લલિત અને જસ્ટિસ ધનંજય વાય. ચંદ્રચૂડ સામેલ છે.
આ બેંચ 2010માં અલાહાબાદ હાઇકોર્ટે આપેલા ચુકાદા અંગે થયેલી 14 પિટિશનની સુનાવણી કરશે.
અગાઉ અદાલતે કેસની ઝડપી સુનાવણીની માગ કરતી પિટિશન ફગાવી દીધી હતી.
સુપ્રીમ કોર્ટે અગાઉ કહ્યું હતું કે 10 તારીખથી આ કેસમાં આગળના તમામ આદેશ નવગઠિત બૅન્ચ જ કરશે.
સર્વણોને અનામત : મોદીની દાનત પર હાર્દિકને શંકા
કેન્દ્રની કૅબિનેટે આર્થિક પછાત સવર્ણોને અનામત આપવા માટે દર્શાવેલી મંજૂરી મામલે પાટીદાર અનામત આંદોલ સમિતિના નેતા હાર્દિક પટેલે આશંકા વ્યક્ત કરી છે.
હાર્દિક પટેલે ટ્વીટ કરીને જણાવ્યું, "જો દાનતમાં પ્રામાણિક્તા હોત તો આર્થિક આધાર પર સવર્ણોને અનામત આપતા પહેલા મોદીજી બંધારણમાં સંશોધન કરાવત."
"બંધારણમાં સામાજિક તેમજ શૈક્ષણિક પછાત સાથે આર્થિક પછાતને પણ અનામતનો આધાર બનાવ્યો હોત તો સમજી શકાયું હોત કે મોદીજી ગરીબ સવર્ણને અનામત અને ન્યાય આપવા માગે છે."
મહત્ત્વપૂર્ણ છે કે ન્યૂઝ એજન્સી પીટીઆઈએ સૂત્રોને ટાંકતા આપેલાં અહેવાલ મુજબ, કેન્દ્રની મોદી સરકારે આર્થિક રીતે પછાત સર્વણો માટે 10 ટકા અનામતની જોગવાઈને મંજૂરી આપી દીધી છે.
ન્યૂઝ એજન્સી પીટીઆઈએ સૂત્રોને ટાંકતા આપેલાં અહેવાલ મુજબ, કેન્દ્રની મોદી સરકારે આર્થિક રીતે પછાત સર્વણો માટે 10 ટકા અનામતની જોગવાઈને મંજૂરી આપી દીધી છે.
અહેવાલો મુજબ આ અનામત સર્વણોના એવા વર્ગને મળશે જે આર્થિક રીતે પછાત છે.
આજથી બે દિવસ માટે ભારત બંધનું એલાન
'સેન્ટર ઑફ ઇન્ડિયન ટ્રેડ યુનિયન્સ' (સીઆઈટીયુ) દ્વારા આજથી બે દિવસ માટે ભારત બંધનું એલાન અપાયું છે. મોદી સરકારની કથિત 'મજૂરવિરોધી, લોકવિરોધી અને રાષ્ટ્રવિરોધી નીતિઓ'ના વિરોધના ભાગરૂપે આ બંધનું એલાન અપાયું છે.
બંધમાં 'ઑલ ઇન્ડિયા કિસાન સભા', 'આદિવાસી અધિકાર રાષ્ટ્રીય મંચ', ભૂમિ અધિકાર આંદોલન' ઉપરાંત કેટલાય સરકારી સંઘોએ સુઆઈટીયુને આ બંધ દરમિયાન સમર્થન જાહેર કર્યું છે.
બંધ દરમિયાન ખાસ કરીને દેશના ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તા રોકો, રેલ રોકો, ધરણા-પ્રદર્શન જેવા કાર્યક્રમો આપવાની ચેતવણી અપાઈ છે.
પત્રકારો સાથેની વાચતીમાં સીઆઈટીયુએ આરોપ લગાવ્યો છે કે મોદી સરકારની નીતિ ટ્રૅડ યુનિયનના વિરોધમાં રહી છે.
ઇસ્લામ અને સાઉદી છોડનારી યુવતી પરત નહીં મોકલાવાય
થાઇલૅન્ડ પોલીસે જણાવ્યું છે કે પોતાના ઘરેથી ભાગીને આવેલી સાઉદી અરેબીયાની એક યુવતીને તેમના ઘરવાળાઓ પાસે ડિપૉર્ટ કરવામાં નહીં આવે.
આ પહેલાં થાઇ ઇમિગ્રૅશન અધિકારીઓએ 18 વર્ષની રહાફ મોહમ્મદ અલ-કુનુનને કુવૈતમાં હાજર તેમના કુટુંબીજનો પાસે મોકલવાનો પ્રયાસ કર્યો હતો.
જોકે, હવે અધિકારીઓનું કહેવું છે કે યુવતીની સુરક્ષાને ધ્યાનમાં લેતા તેને સાઉદી અરેબિયા પરત નહીં મોકલવામાં આવે.
યુવતીને આશંકા છે કે જો તેને સાઉદી અરેબીયા પરત મોકલવામાં આવશે તો કુટુંબીજનો તેની હત્યા કરી નાખશે.
યુવતીના મતે તેણે ઇસ્લામ ત્યજી દીધો છે અને એટલે જ તેના ઘરવાળા તેની હત્યા કરી શકે એમ છે.
ઉલ્લેખનીય છે કે સાઉદી અરેબીયામાં રહેતા પોતાના પરિવાર સાથે કુવૈત ગયેલી રહાફ ઑસ્ટ્રેલિયા ભાગી છૂટવા માગતી હતી.
બે દિવસ પહેલાં તેમણે કુવૈતથી ઑસ્ટ્રેલિયા માટેની ફ્લાઇટ લીધી હતી. બૅંગકૉકથી તે ઑસ્ટ્રેલિયા જવાની હતી.
કિમ જોંગ ઉન ચીનની મુલાકાતે
ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન ચીનના રાષ્ટ્રપતિ શિ જિનપિંગના આમંત્રણને પગલે ચીન પહોંચ્યા છે. ઉત્તર કોરિયાના મીડિયાએ આ વાતની પુષ્ટિ કરી છે.
આ પહેલાં સોમવાર સવારે એવી અટકળો વહેતી થઈ હતી કે ખાસ ટ્રેન મારફતે કિમ ચીન જઈ રહ્યા છે.
કિમ પોતાનાં પત્ની રિ સોલ-જુ સાથે ચીનમાં 7 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી સુધી રોકાશે એવું ઉત્તર કોરિયાની સમાચાર સંસ્થા કેસીએનએ દ્વારા જણાવાયું છે.
કિમ અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ટ ટ્રમ્પ વચ્ચેની બીજી મુલાકાત માટે ચાલી રહેલી વાટાઘાટની વાતો વચ્ચે આ મુલાકાત યોજાઈ છે.
મહત્ત્વપૂર્ણ છે કે કિમ અને ટ્રમ્પ વચ્ચે ગત વર્ષે જૂન મહિનામાં પ્રથમ મુલાકાત યોજાઈ હતી.
અલ્પેશ ઠાકોરને કૉંગ્રેસમાં 'અવગણના' અને 'છેતરાયા'ની લાગણી
ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરે દાવો કર્યો છે કે તેમનો સમાજ 'અવગણના' અને 'છેતરાવા'ની લાગણી અનુભવી રહ્યો છે.
કોઈનું પણ નામ લીધા વગર અલ્પેશે કહ્યું કે ગુજરાત કૉંગ્રેસમાં કેટલાક 'નબળા નેતા'ઓના નિયંત્રણમાં છે.
અલ્પેશે એવું પણ કહ્યું કે પક્ષના કેટલાક નેતાઓ તેમને અને તેમના ઠાકોર સમુદાયને 'દબાવવા' પ્રયાસ કરે છે, જેને પગલે હવે તેઓ 'લડાયક'ની માફક રાજકારણ રમશે.
ઠાકોરના આ નિવેદનની તત્કાલ પ્રતિક્રિયા આપતા જણાવ્યું ભાજપે જણાવ્યું છે કે કૉંગ્રેસના નાખુશ ધારાસભ્યોનું ભાજપમાં સ્વાગત છે.
ઠાકોરના નિવેદનને પગલે નીતિન પટેલે જણાવ્યું, "કૉંગ્રેસના જે ધારાસભ્યો તેમના લોકોને સારી રીતે સેવા કરવા માગતા હોય એમનું ભાજપમાં સ્વાગત છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો