પાંચ રાજયોની મતગણતરી શરુ : આજે આ રીતે લૉન્ચ થશે લોકસભાનું ટ્રેલર

ઇમેજ સ્રોત, Getty Images
દેશનાં પાંચ રાજ્યોમાં આજે વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ આવવાનાં છે. આ પાંચેય રાજ્ય રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, તેલંગણા અને મિઝોરમમાં મતગણનાની તમામ તૈયારીઓ થઈ ગઈ છે. આગામી લોકસભાની ચૂટણી પહેલા આવનારા આ પરિણામોને ટ્રેલર તરીકે જોવામાં આવી રહ્યા છે ત્યારે સૌની નજર એની તરફ મંડાયેલી છે.
આજે સવારના આઠ વાગ્યાથી મતગણતરી શરૂ થશે.
આ પહેલાં આવેલા એક્સિટ પોલમાં રાજસ્થાનમાં કૉંગ્રેસને ભાજપ કરતાં વધારે બેઠકો મળવાનું અનુમાન કરવામાં આવ્યું છે.
મધ્ય પ્રદેશની ચૂંટણીના આવેલા એક્સિટ પોલમાં ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ થવાની શક્યતા દર્શાવાઈ છે.
જ્યારે છત્તીસગઢમાં પણ એક્સિટ પોલના હિસાબે ત્રિશંકુ વિધાનસભા થવાની શક્યતા છે. જોકે, હવે સૌની નજર પરિણામો પર છે.

મધ્ય પ્રદેશની પરિસ્થિતિ શું છે?
મધ્ય પ્રદેશમાં મતગણનાની તમામ પ્રકિયાનું રેકૉર્ડિંગ કરવામાં આવશે. અહીં મતગણનાની પ્રક્રિયા 306 રૂમમાં થશે.
મતગણનાની વાત કરવામાં આવે તો અહીં 14,600 લોકો આ પ્રક્રિયામાં જોડાયેલા છે. અહીં પોસ્ટલ બૅલટ્સથી મતગણનાની શરૂઆત થશે.
ત્યારબાદ અડધા કલાક બાદ ઈવીએમના મતની ગણતરી હાથ ધરવામાં આવશે. દરેક ફેઝની ગણતરી માટે એક કાઉન્ટિંગ એજન્ટની નિમણૂક કરવામાં આવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમના દ્વારા તૈયાર કરેલી ડેટા શીટ સર્ક્યુલેશન એજન્ટને સોંપવામાં આવશે.

તમે આ વાંચ્યું કે નહીં?


રાજસ્થાનમાં કેવી હશે મતગણના?

ઇમેજ સ્રોત, Getty Images
રાજસ્થાનમાં 200માંથી 199 બેઠકો માટે મતદાન થયું હતું. અહીંની રામગઢની બેઠકને બીએસપી ઉમેદવારનાં મૃત્યુ બાદ રદ કરી દેવામાં આવી હતી.
મુખ્ય ચૂંટણી કમિશનર આનંદ કુમારે જણાવ્યું હતું કે મતગણના ચોક્કસ રીતે થાય તે માટે સીસીટીવી કૅમેરા ગોઠવવામાં આવ્યા છે.
રાજસ્થાનમાં મુખ્ય પક્ષ ભાજપ અને કોંગ્રેસ બન્ને બહુમતી મળશે એવો દાવો કરી રહ્યા છે.
અહીં સત્તાપક્ષનાં મુખ્ય મંત્રી વસુંધરા રાજે, ભૂતપૂર્વ મુખ્ય મંત્રી અશોક ગહેલોત, સચિન પાયલટ, સી. પી. જોશી, ગીરીરાજ વ્યાસ અને મહાદેવ સિંઘ ખાંડેલાનું ભવિષ્ય મતપેટીઓમાં કેદ છે.

છત્તીસગઢમાં શું છે સ્થિતિ?
છત્તીસગઢમાં 1269 ઉમેદવારોનું ભાગ્ય મેતપેટીઓમાં કેદ છે. જેનો આજે ફેંસલો થશે.
જો અહીંની રાજકીય પરિસ્થિતિની વાત કરવામાં આવે તો ઘણા જાણીતા ચહેરાઓ મેદાનમાં છે.
જેમાં રાજ્યના ભાજપના મુખ્ય મંત્રી રમણ સિંહની સામે કોંગ્રેસનાં ઉમેદવાર કરુણા શુક્લા છે. કરુણા શુક્લા ભૂતપૂર્વ મુખ્ય મંત્રી અટલ બિહારી વાજપેયીનાં ભત્રીજી છે.
આ ચૂંટણીમાં અન્ય એક જાણીતો ચહેરો ભૂતપૂર્વ મુખ્ય મંત્રી અજીત જોગીનો છે.
તેમના જનતા કોંગ્રેસ છત્તીસગઢ પક્ષ અને બીએસીપીનું ગઠબંધન છે. રાજ્યની ઘણી બેઠકો પર તેમણે પોતાના ઉમેદવારો ઉતાર્યા હતા.
મહત્ત્વની વાત એ પણ છે કે આ વખતે રાજ્યમાં સૌથી વધુ 76 ટકા મતદાન થયું છે.

તેલંગણા અને મિઝોરમની સ્થિતિ શું છે?
તેલંગણામાં 43 જગ્યાઓએ મતગણતરીના માટેનાં કેન્દ્રો બનાવવામાં આવ્યાં છે.
અહીં ઈવીએમને ત્રણ સ્તરીય સુરક્ષા હેઠળ મૂકવામાં આવ્યાં છે. અહીં કુલ 73.2 ટકા મતદાન નોંધાયું હતું.
મિઝોરમમાં ગત 28 નવેમ્બરના રોજ મતદાન પૂર્ણ થયું હતું. અહીં મતગણના માટે 13 કેન્દ્રો બનાવવામાં આવ્યાં છે.
આ તમામ મતગણના પર નજર રાખવા માટે સુપરવાઇઝર, ઑબ્ઝર્વર અને માઇક્રો-ઑબ્ઝર્વરને નિયુક્ત કરવામાં આવ્યા છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












