સરકાર ‘સેક્યુલર’ શબ્દને બંધારણમાંથી હટાવી શકે?

    • લેેખક, સર્વપ્રિયા સાંગવાન
    • પદ, બીબીસી સંવાદદાતા

કેન્દ્રના રાજ્યકક્ષાના પ્રધાન અનંતકુમાર હેગડેએ વ્યક્ત કરેલી ઈચ્છા અનુસાર દેશના બંધારણમાંથી 'સેક્યુલર' શબ્દ હટાવી શકાય?

અનંતકુમાર હેગડેએ કર્ણાટકના કોપ્પલ જિલ્લામાં રવિવારે બ્રાહ્મણ યુવા પરિષદના કાર્યક્રમમાં ભાષણ આપ્યું હતું.

'સેક્યુલરિઝમ' એટલે કે બિનસાંપ્રદાયિકતાના વિચારને તેમણે એ ભાષણમાં નિશાન બનાવ્યો હતો.

તેમણે કહ્યું હતું, ''સેક્યુલર શબ્દ બંધારણમાં છે એટલે તમારે તેને માનવો પડશે, એવું કેટલાક લોકો કહે છે. અમે તેનો આદર કરીશું, પણ આગામી સમયમાં એ બદલાશે."

"બંધારણમાં અગાઉ પણ ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. હવે અમે આવ્યા છીએ અને અમે બંધારણ બદલવા આવ્યા છીએ.''

અનંતકુમાર હેગડેએ એમ પણ કહ્યું હતું, ''બિનસાંપ્રદાયિકતાવાદીઓમાં નવો રિવાજ શરૂ થયો છે."

"કોઈ એમ કહે કે એ મુસ્લિમ છે, ખ્રિસ્તી છે, લિંગાયત છે કે હિંદુ છે તો હું ખુશ થઈશ કારણ કે પોતે ક્યાંથી આવ્યો છે તેની તેને ખબર છે."

"અલબત, જે ખુદને સેક્યુલર ગણાવે છે એમને શું કહેવું એ હું નથી જાણતો. આ લોકો એવા હોય છે જેમને તેમના મા-બાપની ખબર નથી હોતી.''

44 વર્ષ જૂના કેસનું ઉદાહરણ

બંધારણમાં અત્યાર સુધીમાં 100થી વધારે ફેરફાર કરવામાં આવ્યા છે પણ બંધારણની મૂળ પ્રસ્તાવના બદલવાનો સંસદને અધિકાર છે ખરો?

આ સવાલ 1973માં પહેલીવાર સુપ્રીમ કોર્ટ સમક્ષ આવ્યો હતો.

વડા ન્યાયમૂર્તિ એમ. એસ. સિકરીના વડપણ હેઠળની 13 ન્યાયમૂર્તિઓની ખંડપીઠે આ મામલે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો.

એ કેસ હતોઃ કેશવનંદા ભારતી વિરુદ્ધ સ્ટેટ ઓફ કેરળ. આ કેસની સુનાવણી 68 દિવસ સુધી ચાલી હતી.

બંધારણની કલમ ક્રમાંક 368ની જોગવાઈ અનુસાર સંસદ બંધારણમાં સંશોધન કરી શકે છે.

એ સંશોધનની મર્યાદા શું છે?

આ કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં થઈ ત્યારે ન્યાયમૂર્તિઓએ અલગ-અલગ અભિપ્રાય વ્યક્ત કર્યો હતો.

અલબત, સાત ન્યાયમૂર્તિઓએ બહુમતીથી એવો ચુકાદો આપ્યો હતો કે સંસદ બંધારણમાં સંશોધન જરૂર કરી શકે પણ બંધારણના મૂળ ઢાંચાને બદલી શકાય નહીં.

બંધારણમાંનું કોઈ પણ સંશોધન પ્રસ્તાવનાની ભાવના વિરુદ્ધનું હોવું ન જોઈએ.

આ કેસ ઐતિહાસિક ગણાય છે કારણ કે તેમાં બંધારણને સર્વોપરી ગણવામાં આવ્યું છે.

ન્યાયિક સમીક્ષા, ધર્મનિરપેક્ષતા, સ્વતંત્ર ચૂંટણી વ્યવસ્થા અને લોકતંત્રને બંધારણનો મૂળ ઢાંચો ગણાવવામાં આવ્યું હતું.

એ સાથે સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે સંસદની સત્તા બંધારણના મૂળ ઢાંચામાં ફેરફાર કરી શકતી નથી.

બંધારણની પ્રસ્તાવના તેનો આત્મા છે અને આખું બંધારણ તેના પર આધારિત છે.

ધર્મનિરપેક્ષતા અને બંધારણ

બંધારણની પ્રસ્તાવનામાં અત્યાર સુધીમાં એકવાર 1976માં ફેરફાર કરવામાં આવ્યો હતો.

એ ફેરફારમાં 'સેક્યુલર' અને 'સોશિયાલિસ્ટ' શબ્દોને સામેલ કરવામાં આવ્યા હતા.

જોકે, પ્રસ્તાવનામાં ધર્મનિરપેક્ષતાની ભાવના તો એ પહેલાંથી જ સામેલ હતી.

પ્રસ્તાવનામાં દેશના તમામ નાગરિકોને વિચાર, અભિવ્યક્તિ, શ્રદ્ધા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા તથા સમાનતાના અધિકાર સ્પષ્ટ રીતે આપવામાં આવ્યા છે.

1976માં કરવામાં આવેલા 42મા સંશોધનમાં 'સેક્યુલર' શબ્દ ઉમેરીને તેને સ્પષ્ટ કરવામાં આવ્યા હતા.

બંધારણના ઢાંચાને નબળો પાડવાનો પ્રયાસ

ઈંદિરા ગાંધી સરકારે 1971માં વિજય પછી બંધારણમાં કેટલાક એવા ફેરફાર કર્યા હતા જેને કારણે સંસદને અમર્યાદ સત્તા મળી હતી.

એ ફેરફારોમાં અદાલતોના આદેશો અને ચુકાદાઓની ન્યાયિક સમીક્ષાની શક્તિ સુદ્ધાંને ખતમ કરી નાખવામાં આવી હતી.

એ પછી 1973માં કેશવનંદા ભારતી કેસમાં સુપ્રીમ કોર્ટે 703 પાનાનો ચુકાદો આપ્યો હતો.

એ ચુકાદામાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે સંસદની સત્તા અનિયંત્રિત નથી.

એ પછી વાજપેઈ સરકારે પણ 1998માં બંધારણની સમીક્ષા માટે એક સમિતિની રચના કરી હતી.

એ પગલું બંધારણના મૂળ ઢાંચાને પ્રભાવિત કરવાનો અને ધર્મનિરપેક્ષતા તથા અનામતને ખતમ કરવાનો પ્રયાસ હોવાની ચર્ચા એ સમયે ઉદભવી હતી.

અલબત, તત્કાલીન ગૃહ પ્રધાન લાલકૃષ્ણ અડવાણીએ એ સમયે એક લાંબો લેખ લખ્યો હતો.

એ લેખમાં કેશવનંદા ભારતી કેસનો ઉલ્લેખ કરીને તેમણે લખ્યું હતું કે સેક્યુલરિઝમ ભારતની સંસ્કૃતિ સાથે સંકળાયેલું છે.

કેશવનંદા ભારતી કેસમાં સરકાર તરફથી સંસદની અમર્યાદ સત્તાની તરફેણમાં વકીલ એચ. એમ. સીરવઈએ દલીલ કરી હતી.

એચ. એમ. સીરવઈએ તેમના પુસ્તકમાં સ્વીકાર્યું હતું કે બંધારણના મૂળ ઢાંચાને યથાવત રાખવાનો સુપ્રીમ કોર્ટનો ચુકાદો યોગ્ય હતો.

ઉપ-રાષ્ટ્રપતિએ શું કહ્યું?

ઉપ-રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ રાષ્ટ્રીય અલ્પસંખ્યક આયોગમાં તાજેતરમાં ભાષણ આપ્યું હતું.

એ ભાષણમાં તેમણે જણાવ્યું હતું કે બંધારણમાં જોગવાઈ છે એટલે જ ભારત સેક્યુલર નથી, ભારત સેક્યુલર છે, કારણ કે સેક્યુલરિઝમ આપણા ડીએનએમાં છે.

મે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો