રાજકોટ : 'મારા પતિએ જ મારી દીકરીને મારી નાખી, કેમકે...'

ઇમેજ સ્રોત, Bipin Tankariya
- લેેખક, બિપિન ટંકારિયા
- પદ, બીબીસી ગુજરાતી માટે

“મારો પતિ અવારનવાર કહેતો કે મને કામ મળતું નથી. તારું અને તારી દીકરીનું ભરણપોષણ કઈ રીતે કરીશ. આપણાં સંતાનો થશે તો અનન્યાને કઈ રીતે સાચવીશું? અને મારા પતિએ જ મારી દીકરીને મારી નાખી.”
આ શબ્દો રાજકોટનાં રુકમણી બહેનના છે, તેમના પતિ અમિત શ્રીકાંત ગૌડે અઢી વર્ષની સાવકી દીકરીની હત્યા કરવાનો આરોપ છે.
ત્રણેક દિવસ સુધી બાળકી અને તેના સાવકા પિતાનો પત્તો ન મળતાં બાળકીનાં માતા રુકમણીબહેને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જે બાદ આ મામલો બહાર આવ્યો હતો.

શું છે સમગ્ર મામલો?
રાજકોટ શહેરના રસૂલપરાનો આ કેસ છે, જેમાં સાવકા પિતા પર અઢી વર્ષની બાળકીની હત્યા કરવાના આરોપસર પોલીસે ફરિયાદ દાખલ કરી છે.
એફઆઈઆર પ્રમાણે બાળકીનાં માતા રુકમણીબહેને કહ્યું કે, “અમે મૂળે ઉત્તર પ્રદેશના રહેવાસીએ છીએ અને છેલ્લા ચાર મહિનાથી રાજકોટમાં રહીએ છીએ.”
રુકમણીબહેન કારખાનામાં કામ કરે છે અને તેમના પતિ અમિત ગૌડને કામ મળતું ન હોવાથી તેઓ ઘરે રહેતા હતા.
તેઓ કહે છે કે “અમારાં બંનેનાં આ બીજાં લગ્ન હતાં. મારા પ્રથમ લગ્નજીવન દરમિયાન અનન્યાનો જન્મ થયો હતો. મારો પતિ અવારનવાર કહેતો કે મને કામ મળતું નથી. તારું અને તારી દીકરી અનન્યાનું ભરણપોષણ કઈ રીતે કરીશ. આપણાં સંતાનો થશે તો અનન્યાને કઈ રીતે સાચવીશું.”
આ દરમિયાન રુકમણીબહેનને ગર્ભ રહ્યો અને ત્યાંથી આ પરિવારની કહાણી પલટાઈ ગઈ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રુકમણીબહેન આગળ વાત કરતાં કહે છે કે “અમારા આવનારા બાળકની જાણ થતા અમિતને મારી દીકરી અનન્યા અડચણરૂપ લાગવા લાગી હતી. પાંચ દિવસ પહેલાં મારો ગર્ભપાત થઈ ગયો.”
“ત્યારબાદ હું 6 જાન્યુઆરીએ કારખાનામાં કામ માટે ગઈ હતી, ત્યારે મારી દીકરી અનન્યા અને પતિ અમિત ઘરે હતાં.”

દીકરીની હત્યાની ખબર કઈ રીતે પડી?

ઇમેજ સ્રોત, Bipin Tankariya
રુકમણીબહેન કહે છે કે “એ દિવસે સાંજે પાંચ વાગ્યે એ મારા કારખાના પર આવ્યો. એણે મારા માલિક સલીમભાઈને એ તથા અનન્યા ગોંડલ રોડથી ચાલતાં જતાં હતાં એ દરમિયાન કોઈ કારચાલકે ઠોકર મારતાં અનન્યાને ઈજા થઈ. કારવાળા સારવાર માટે દવાખાને લઈ ગયા પણ હજુ સુધી પરત આવ્યા નથી.”
“ત્યારબાદ રાત્રે આશરે સાડા આઠ વાગ્યે સલીમભાઈ અને બે પોલીસકર્મી અમારા ઘરે આવ્યા હતા. સલીમભાઈએ કહ્યું કે રાજકોટની અલગ-અલગ હૉસ્પિટલમાં તપાસ માટે ગયા પણ ક્યાંય અનન્યા મળી નથી”
જે બાદ પોલીસે ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા, ત્યારે અમિત ત્યાંથી કોઈને જાણ કર્યા વગર ભાગી ગયો હોવાનું સલીમભાઈએ રુકમણીબહેનને જણાવ્યું હતું.

દીકરીનો મૃતદેહ મળ્યો
દીકરી અનન્યા અને પતિ અમિત ઘરે ન આવતાં રુકમણીબહેન સલીમભાઈ સાથે તાલુકા પોલીસસ્ટેશને ફરિયાદ કરવા ગયાં હતાં અને તેમણે દીકરી અને પતિ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.
આ દરમિયાન આઠમી જાન્યુઆરીએ એક અજાણ્યો છોકરાએ આવીને જાણ કરી હતી કે ગોંડલ રોડ પર ખુલ્લા પ્લોટમાંથી બેભાન હાલતમાં બાળક મળ્યું છે. રુકમણીબહેન એ જગ્યાએ ગયાં હતા ત્યાં તેમને અનન્યાનો મૃતદહે મળી આવ્યો હતો.
રુકમણીબહેન કહે છે કે “મારી દીકરીના મોઢા પર લોહીના ડાઘા હતા અને ગરદન પર ઈજાનાં નિશાન હતાં.”
જે બાદ રુકમણીબહેને પતિ વિરુદ્ધ દીકરીની હત્યાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અમિત શ્રીકાંત ગૌડ બાળકીની હત્યાના આરોપમાં અમદાવાદ ધરપકડ કરી હતી.

પોલીસ શું કહે છે?

ઇમેજ સ્રોત, Bipin Tankariya
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ અંગે રાજકોટના ઝોન-1ના નાયબ પોલીસકમિશનર સજનસિંહ પરમારે જણાવ્યું કે, “ખુલ્લા મેદાનમાં બાવળની ઝાડી વચ્ચેથી એક અઢી વર્ષની દીકરીનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ પરનાં નિશાન જોતાં બાળકીની હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું.”
“રસુલપરામાંથી અમિત અને રુકમણીની દીકરી અનન્યા ગુમ થયા હોવાની માહિતી મળી હતી. બાળકીનાં માતાને જાણ કરાતાં તેઓ ત્યાં આવ્યાં અને તેમણે આ પોતાની જ દીકરી હોવાનું જણાવ્યું હતું.”
“તપાસમાં જાણવા મળ્યું છે કે 6 જાન્યુઆરીએ બાળકીના સાવકા પિતા અમિત ગૌડે બાળકીનું માથું દિવાલ પર અથડાવીને મારી નાખી હતી.”
“રુકમણી બહેનની ફરિયાદ આધારે આરોપીની શોધખોળ શરૂ કરાઈ હતી. આરોપી રાજકોટથી ભાગી અમદાવાદથી આગળ પહોંચી ગયો હોવાની જાણ થઈ હતી. તેથી એલસીબી ઝોન 1ને ઍક્ટિવેટ કરીને આરોપીનું પગેરું મેળવીને પડકવામાં આવ્યો હતો.”
પોલીસકમિશનર સજનસિંહ પરમારે કહ્યું હતું કે, “આ ઘટના પાછળનું મુખ્ય કારણ એ હતું કે, રુકમણીબહેનના આ બીજા પતિ છે, અમિતનાં પણ આ બીજાં પત્ની છે. સાથે જ અમિત અવારનવાર તેમનાં પત્ની રુકમણીબહેનનો કહેતો હતો કે અનન્યાનું ભરણપોષણ કઈ રીતે કરીશું. એટલે જ તેણે આ પગલું ભર્યું હોય તેમ લાગે છે.”















