માછલીના વીર્યમાંથી બનાવેલાં ઇન્જેક્શન આ લોકો ચહેરા પર કેમ લગાવે છે, તેનાથી શું થાય?

- લેેખક, રુથ ક્લેગ
- પદ, સ્વાસ્થ્ય સંવાદદાતા
ટ્રાઉટ નામની માછલીના શુક્રાણુ તમારા ચહેરા પર ઇન્જેક્ટ કરવામાં આવે છે ત્યારે કેવું લાગે છે, એવું હું કોઈને એક પત્રકાર તરીકેની મારી વર્ષોની કારકિર્દીમાં ક્યારેય પૂછીશ એવું વિચાર્યું ન હતું.
એબી ઇંગ્લૅન્ડના સાઉથ માન્ચેસ્ટરના એક નાના ઍસ્થેટિક્સ ક્લિનિકમાં એક મોટી, કાળી ગાદીવાળી ખુરશી પર સૂઈ રહ્યાં છે.
તેમના ગાલમાં એક નાનું કેન્યુલા કાળજીપૂર્વક ઇન્સર્ટ કરવામાં આવે છે ત્યારે તેઓ ધ્રૂજી ઉઠે છે અને બૂમ પાડે છે, "આઉચ, આઉચ."
મારે સ્પષ્ટ કરવું જોઈએ કે 29 વર્ષનાં એબી ખરેખર ટ્રાઉટ સ્પર્મ (ટ્રાઉટ નામની માછલીના શુક્રાણુ)નો ડોઝ લઈ રહ્યાં નથી.
એબીના ચહેરાની નીચેના ભાગમાં પૉલિન્યુક્લિયોટાઇડ્સ તરીકે ઓળખાતાં ડીએનએના નાના ટુકડાઓ ઇન્જેક્ટ કરવામાં આવી રહ્યા છે, જે ટ્રાઉટ અથવા સેલ્મોન માછલીના શુક્રાણુમાંથી તારવવામાં આવ્યા છે.
'ફિલર્સ હવે લગભગ ખતમ'

ઇમેજ સ્રોત, EPA-EFE/REX/Shutterstock
શા માટે? વેલ, રસપ્રદ વાત એ છે કે આપણું ડીએનએ માછલીના શુક્રાણુ જેવું જ છે.
તેથી, એબીનું શરીર માછલીના ડીએનએના આ નાના તાંતણાઓને માત્ર આવકારશે નહીં, પરંતુ તેની ત્વચાના કોષો પણ સક્રિય થશે. તે વધુ કૉલેજન અને ઇલાસ્ટિન પણ ઉત્પન્ન કરશે. કૉલેજન અને ઇલાસ્ટિન બે પ્રોટીન છે તથા તે આપણી ત્વચાની માળખાકીય અખંડિતતા જાળવી રાખવા માટે મહત્ત્વપૂર્ણ છે.
એબીનો ઉદ્દેશ તેમની ત્વચાને તાજગી આપવાનો, તેને સ્વસ્થ રાખવાનો, ડાઘ તથા રતાશ ઘટાડવાનો અને વર્ષોથી તેઓ જે ખીલ સાથે જીવી રહ્યાં છે તેની સારવાર કરવાનો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એબી સમજાવે છે, "હું ફક્ત સમસ્યાગ્રસ્ત વિસ્તારમાં કામ કરાવવા ઇચ્છું છું."
પૉલિન્યુક્લિયોટાઇડ્સને ત્વચા સંભાળનો મોટો "ચમત્કાર" ગણાવવામાં આવી રહ્યાં છે અને ઘણી સેલિબ્રિટીઓએ તેમના "સેલ્મોન સ્પર્મ ફેસિયલ" વિશે નિખાલસતાથી વાત કરી પછી તે ઝડપભેર લોકપ્રિય બની રહ્યું છે.
બ્રિટિશ પૉપ ગાયિકા અને ગીતકાર ચાર્લી ઍક્સિએસે આ વર્ષની શરૂઆતમાં તેમના 90 લાખ ઇન્સ્ટાગ્રામ ફૉલોઅર્સને જણાવ્યું હતું કે "ફિલર્સ ખતમ થઈ ગયાં હોય એવું લાગે છે." હવે તેઓ પૉલિન્યુક્લિયોટાઇડ્સ લઈ રહ્યાં છે, જે "ડીપ વિટામિન્સ જેવાં" છે.
અમેરિકન મીડિયા પર્સનાલિટી કિમ અને ક્લો કાર્દાશિયન પણ તેના ઉત્સાહી ચાહકો હોવાના અહેવાલ છે. જીમી કિમેલ લાઇવ કાર્યક્રમના તાજેતરના એક એપિસોડમાં ત્વચા સંભાળની દિનચર્યા વિશે પૂછવામાં આવ્યું ત્યારે અમેરિકન અભિનેત્રી જૅનિફર ઍનિસ્ટને પૂછ્યું હતું, "શું મારી ત્વચા સેલ્મોન જેવી સુંદર નથી?"
'બેન્જામિન બટન જેવી સ્થિતિ'

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સવાલ એ છે કે શરૂઆત શંકાસ્પદ હોવા છતાં પૉલિન્યુક્લિયોટાઇડ્સ સ્કિનકૅર ક્ષેત્રે ખરેખર પરિવર્તન લાવી રહ્યાં છે?
ઍસ્થેટિક્સ કંપની ડર્માફૉક્સ માટે કામ કરતાં સુઝાન મૅન્સફિલ્ડ મને કહે છે, "આપણે બેન્જામિન બટન જેવી ક્ષણનો અનુભવ કરી રહ્યા છે."
સુઝાન 2008ની ફિલ્મ 'ધ ક્યુરિયસ કેસ ઑફ બેન્જામિન બટન'નો સંદર્ભ આપે છે. તે ફિલ્મમાં બ્રિટ પિટે એક એવા માણસની ભૂમિકા ભજવી હતી. જેની ત્વચા વૃદ્ધાવસ્થામાં નાના બાળક જેવી થઈ જાય છે.
સુઝાન મૅન્સફિલ્ડના જણાવ્યાં મુજબ, આવી અસર ખૂબ જ અસંભવિત છે અને કદાચ થોડી ચિંતાજનક પણ હશે રીજનરેટિવ સ્કિનકૅરની બાબતમાં પૉલિન્યુક્લિયોટાઇડ્સ નવી કેડી જરૂર કંડારી રહ્યાં છે.
રીસર્ચ અને ક્લિનિકલ ટ્રાયલ્સનું નાનું પણ વધતું જતું પ્રમાણ સૂચવે છે કે પૉલિન્યુક્લિયોટાઇડ્સ ઇન્જેક્ટ કરવાથી ત્વચાનો કાયાકલ્પ કરી શકાય છે. પૉલિન્યુક્લિયોટાઇડ્સ ત્વચાને સ્વસ્થ બનાવે છે એટલું જ નહીં, પરંતુ ત્વચા પરની ઝીણી કરચલીઓ અને ડાઘને પણ ઘટાડે છે.
તેઓ કહે છે, "ઍસ્થિટિક્સ ઇન્ડસ્ટ્રીમાં તેનો ઉપયોગ કરીને અમે જે કરી રહ્યાં છીએ તે બધું આપણું શરીર જે પહેલાંથી કરી રહ્યું છે તેમાં સુધારો કરી રહ્યું છે. તેથી આ ખૂબ જ ખાસ છે."
જોકે, તે બહુ ખર્ચાળ છે.
પૉલિન્યુક્લિયોટાઇડ્સનાં ઇન્જેક્શનના સિંગલ સેશનનો ખર્ચ 200થી 500 પાઉન્ડ સુધીનો હોઈ શકે છે અને તમારે કેટલાંક અઠવાડિયામાં એવું ત્રણ વખત કરાવવું જોઈએ, એવી ભલામણ કરવામાં આવે છે.
એ પછી લૂકને જાળવી રાખવા માટે દર છથી નવ મહિને ટૉપ-અપ કરાવવાની સલાહ ક્લિનિક્સ આપે છે.
જાણકારોએ આપી ચેતવણી

આપણે ઍસ્થેટિક્સ ક્લિનિક પર પાછા ફરીએ. અહીં એબીની સારવાર લગભગ પૂર્ણ થઈ ગઈ છે.
ઍસ્થેટિક્સ નર્સ પ્રૅક્ટિશનર ને સ્કિન એચડી ક્લિનિકનાં માલિક હૅલેના ડંક એબીને ખાતરી આપે છે, "હવે ફક્ત એક એરિયા બાકી રહ્યો છે."
હૅલેના ડંકના જણાવ્યાં મુજબ, પૉલિન્યુક્લિયોટાઇડ્સની લોકપ્રિયતામાં છેલ્લા 18 મહિનામાં જોરદાર વધારો થયો છે.
તેઓ કહે છે, "મારા ગ્રાહકોને ખરેખર મોટો ફરક દેખાય છે. તેમની ત્વચા વધુ હાઇડ્રેટેડ, સ્વસ્થ, યુવા લાગે છે. બાકીના અડધા લોકોને આટલો મોટો ફરક દેખાતો નથી, પરંતુ તેમની ત્વચા વધુ ચુસ્ત અને તાજી લાગે છે."
આ ક્લિનિકની ત્રણ તબક્કાની સારવારના ભાગરૂપે એબીની આંખો હેઠળના વિસ્તારમાં ઇન્જેક્શન પહેલાં આપી દેવાયું છે અને તેના પરિણામથી એબી ખરેખર ખુશ છે.
એબીને પૉલિન્યુક્લિયોટાઇડ્સનાં ઘણાં નાનાં ઇન્જેક્શનો આપવામાં આવ્યાં છે. એ "ખૂબ પીડાદાયક પ્રક્રિયા" હતી, પરંતુ એબી જણાવે છે કે તેનાથી તેની આંખો હેઠળનાં ડાર્ક સર્કલ્સને ઘટાડવામાં મદદ મળી છે.
આ સારવાર સંબંધે વધુને વધુ અભ્યાસ થઈ રહ્યા છે. એ અભ્યાસો પ્રસ્તુત સારવારને સલામત અને અસરકારક માને છે, તેમ છતાં તે પ્રમાણમાં હજુ નવી છે અને તેના પ્રચારને કારણે વિજ્ઞાન પાછળ રહી જાય એવી શક્યતા હોવાની ચેતવણી કેટલાક નિષ્ણાતો આપી રહ્યા છે.
ઑસ્ટ્રેલિયાના બ્રિસ્બેન સ્થિત કન્સલ્ટન્ટ ત્વચારોગ વિજ્ઞાની ડૉ. જોન પેગ્લિયારો જણાવે છે કે ન્યુક્લિયોટાઇડ્સ આપણા શરીરમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે એ આપણે જાણીએ છીએ. તે આપણા શરીરમાં ડીએનએના બિલ્ડીંગ બ્લૉક્સ છે, પરંતુ "સેલ્મોન ડીએનએને નાના ટુકડાઓમાં કાપીને" આપણા ચહેરા પર ઇન્જેક્ટ કરવાથી તે આપણા ખુદના ન્યુક્લિયોટાઇડ્સની જેમ જ કામ કરશે?
તેઓ કહે છે, "આપણી પાસે સારો, મજબૂત ડેટા નથી. એક તબીબી નિષ્ણાત તરીકે મારી પ્રૅક્ટિસમાં તેનો ઉપયોગ શરૂ કરતાં પહેલાં તેની સલામતી તથા અસરકારકતા દર્શાવતાં થોડાં વર્ષોના વિશ્વસનીય અભ્યાસનાં તારણો જોવા ઇચ્છું છું. આપણે હજુ ત્યાં સુધી પહોંચ્યા નથી."
'મેં આવું કેમ કર્યું?'

ઇમેજ સ્રોત, Charlotte Bickley
શાર્લોટ બિકલી પૉલિન્યુક્લિયોટાઇડ્સના વિશ્વમાં પોતાના પ્રવેશને "સેલ્મોન-ગેટ" તરીકે વર્ણવે છે.
ન્યૂ યૉર્કનાં આ 31 વર્ષીય મહિલાએ ગયા વર્ષે તેમનાં લગ્નના થોડા સમય પહેલાં જ "વેડિંગ ગ્લો-અપ"ના ભાગરૂપે આવી સારવાર કરાવી હતી.
જોકે, એ સારવારને કારણે શાર્લોટને સ્કિન ઇન્ફૅક્શન, બળતરા થયાં હતાં અને તેની આંખોની નીચેનાં કાળાં કુંડાળાં ઘાટાં થયાં હતાં.
શાર્લોટ કહે છે, "હું જે ઇચ્છતી હતી તેનાથી તદ્દન વિપરીત પરિણામ મને મળ્યું હતું. મેં એ ડૉક્ટર પર વિશ્વાસ કર્યો હતો, પરંતુ હું તેનાથી ભયભીત થઈ ગઈ."
શાર્લોટ માને છે કે તેમની આંખો નીચે ખૂબ ઉંડાણપૂર્વક ઇન્જેક્શન આપવામાં આવ્યાં હોવાને કારણે નકારાત્મક પરિણામ આવ્યું હતું. લાલાશ, સોજો અને ઉઝરડા જેવી તેની કામચલાઉ આડઅસરો હોઈ શકે છે.
કેટલાક કિસ્સાઓમાં લોકોને ઍલર્જિક રિઍક્શન થઈ શકે છે અથવા પૉલિન્યુક્લિયોટાઇડ્સ યોગ્ય રીતે ઇન્જેક્ટ કરવામાં ન આવે તો ત્વચાનાં રંગદ્રવ્ય અને ઇન્ફૅક્શન જેવું લાંબા ગાળાનું જોખમ સર્જાઈ શકે છે.
સમગ્ર યુનાઇટેડ કિંગ્ડમમાં પૉલિન્યુક્લિયોટાઇડ્સનો ઉપયોગ વ્યાપકપણે થાય છે. તે મેડિસિન હેલ્થ એન્ડ રેગ્યુલેટરી ઑથોરિટી (એમએચઆરએ)માં તબીબી ઉપકરણ તરીકે રજિસ્ટર્ડ છે, પરંતુ દવાઓની માફક નિયંત્રિત નથી.
અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ ઍડમિનિસ્ટ્રેશન દ્વારા તેને મંજૂરી આપવામાં આવી નથી.
શાર્લોટ કહે છે, "હું એવું વિચારતી રહી હતી કે મેં આ શા માટે કર્યું હતું? મારા ચહેરામાં કશી ગડબડ થાય છે ત્યારે હું તેને હાયપરફિક્સેટ કરું છું."
સમસ્યાના નિવારણ માટે શાર્લોટે હજારો પાઉન્ડનાં મેડિકલ બિલ્સ ચૂકવ્યાં છે, પરંતુ દસ મહિના પછી પણ તેમની આંખો નીચે કેટલાક ડાઘ યથાવત્ છે.
શાર્લોટ કહે છે, "હું મારા ચહેરા પર ફરી ક્યારેય સેલ્મોન ડીએનએ ઇન્જેક્ટ નહીં કરાવું. ક્યારેય નહીં."
કૉસ્મેટિક ઉદ્યોગના વધુ સારી રીતે નિયમન માટે ઝુંબેશ ચલાવતી અને યુનાઇટેડ કિંગ્ડમ સરકાર માન્ય રજિસ્ટર ઑફ ક્લિનિક સંસ્થા સેવ ફેસનાં ડિરેક્ટર ઍશ્ટન કૉલિન્સનું કહેવું છે કે તબીબી તાલીમ પામેલા પ્રોફેશનલ્શ દ્વારા કરવામાં આવે ત્યારે પૉલિન્યૂક્લિયોટાઇડ્સને સામાન્ય રીતે એક સલામત ઇલાજ માનવામાં આવે છે. તેમાં ઉપયોગમાં લેવાતાં પૉલિન્યુક્લિયોટાઇડ્સની બ્રાન્ડ પ્રતિષ્ઠિત કંપનીની હોય છે.
"અલબત, હવે માર્કેટમાં એવી પ્રોડક્ટ્સ જોવા મળી રહી છે, જેનું યોગ્ય રીતે પરીક્ષણ કરવામાં આવ્યું નથી. એ ચિંતાનો વિષય છે," એમ ઍશ્ટન કૉલિન્સ કહે છે.
બ્રિટિશ કૉલેજ ઑફ ઍસ્થેટિક મેડિસિનના પ્રેસિડેન્ટ ડૉ. સૉફી શૉટર તેમની સાથે સમંત થાય છે.
તેઓ કહે છે, "ચુસ્ત પરીક્ષણ ન કરવામાં આવ્યું હોય તેવી પ્રોડક્ટ્સનો ઉપયોગ નિયમનના અભાવે કોઈ પણ કરી શકે છે. તે એક વાસ્તવિક મુદ્દો છે."
પૉલિન્યુક્લિયોટાઇડ્સની અસરકારકતા કેટલી?

ઇમેજ સ્રોત, Getty Images
ડૉ. સૉફી શૉટર કહે છે, "તે મારી શૅલ્ફ પર, મારા ટૂલબૉક્સમાં છે. કુદરતી દેખાવ ઇચ્છતા તથા એ માટે નાણાં ખર્ચવા ઇચ્છતા ગ્રાહકોને હું તે ચોક્કસ ઑફર કરું છું."
તેઓ ઉમેરે છે, "એક સારવાર તરીકે પૉલિન્યુક્લિયોટાઇડ્સ રામબાણ ઇલાજ નથી. બીજી ઘણી બધી સારવાર છે, જે સમાન કામ કરી શકે છે અને એ માટે વધારે ડેટા પણ ઉપલબ્ધ છે."
બધા માટે કામ કરે એવી કોઈ સારવાર નથી, એમ જણાવતાં તેઓ ભારપૂર્વક કહે છે, "આપણે બધા અલગ અલગ બાબતોનો પ્રતિભાવ અલગ અલગ રીતે આપીએ છીએ. તે કાયમ અનુમાનિત હોતો નથી."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












