You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Ind Vs Pak : પાકિસ્તાનના હારિસ રઉફ સાથે બોલાચાલી બાદ અભિષેક શર્માએ શું નક્કી કર્યું હતું, મૅચમાં કયા પાંચ વિવાદ થયા?
એશિયા કપ 2025 ના સુપર-4 મૅચમાં ભારતે પાકિસ્તાનને છ વિકેટથી હરાવ્યું હતું.
અભિષેક શર્માની 74 રનની ઇનિંગની મદદથી ભારતે પાકિસ્તાન દ્વારા આપવામાં આવેલા 172 રનના લક્ષ્યને માત્ર 18.5 ઓવરમાં જ હાંસલ કરી લીધો હતો.
જોકે, ગ્રૂપ સ્ટેજ મૅચની જેમ, આ વખતે પણ ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓએ મૅચ પછી હાથ મિલાવ્યા ન હતા.
વધુમાં,પાકિસ્તાનના ઓપનર સાહિબજાદે ફરહાનના અડધી સદી ફટકાર્યા પછીની ઉજવણીએ ઘણી ચર્ચા જગાવી. કૉંગ્રેસ સહિત અનેક વિપક્ષી પક્ષોએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર આ ઘટના વિશે પોસ્ટ કરી હતી. આવી કેટલીક મોમેન્ટ્સને આ કારણે આ મૅચ ચર્ચાસ્પદ રહી હતી.
સાહિબજાદા ફરહાનના સેલિબ્રેશન પર વિવાદ
એશિયા કપ 2025 ની સુપર-4 મૅચમાં પાકિસ્તાનના ઓપનર સાહિબજાદા ફરહાને ભારત સામે પોતાની અડધી સદીની ઉજવણી કરી હતી જેને કારણે વિવાદ સર્જાયો હતો.
તેણે અક્ષર પટેલના બૉલ પર સિક્સર ફટકારીને 34 બૉલમાં પોતાની અડધી સદી પૂર્ણ કરી અને "ગન ફાયરિંગ" ની શૈલીમાં ઉજવણી કરી હતી.
સામાન્ય રીતે અડધી સદી ફટકારનાર બૅટ્સમૅન ઉજવણી કરે જ છે, પરંતુ ફરહાનની ઉજવણીએ એક નવો વિવાદ ઊભો કર્યો હતો.
ભારત અને પાકિસ્તાન વચ્ચેના તાજેતરના તણાવને ધ્યાનમાં રાખીને, પ્રશ્ન એ ઊભો થાય છે કે ફરહાન તેના "ફાયરિંગ સેલિબ્રેશન" દ્વારા કોને નિશાન બનાવી રહ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ફરહાનના 'ફાયરિંગ સેલિબ્રેશન' પર ચર્ચા હવે વધુ તીવ્ર બની છે. આ વિવાદમાં વિપક્ષે પણ સરકાર અને બીસીસીઆઈ પર નિશાન સાધ્યું છે.
કૉંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે ઍક્સ પર પોસ્ટ કરીને લખ્યું, "શાબાશ મોદીજી! આ બધું જોવાનું બાકી હતું. શું આ જ કારણ છે કે તેઓ ક્રિકેટ રમી રહ્યા છે? તેમણે આવું કરવાની હિંમત કેવી રીતે કરી? નરેન્દ્ર મોદી એક નબળા વડા પ્રધાન છે."
શિવસેના (UBT) રાજ્યસભા સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, "BCCI, MHA અને મનસુખ માંડવિયાને અભિનંદન. મને આશા છે કે આ ફોટા તમને સંતુષ્ટ કરશે અને બંને દેશો વચ્ચે ઑલિમ્પિક ભાવનાને અસર કરશે નહીં. આ ચિંતાજનક છે, પરંતુ લોહીના કિંમતે પૈસા કમાવવામાં વ્યસ્ત લોકો માટે નહીં."
અભિષેક શર્મા અને હારિસ રઉફ વચ્ચે અણબનાવ
આ મૅચ દરમિયાન અભિષેક શર્મા અને હારિસ રઉફ વચ્ચે બોલાચાલી થઈ હતી. રઉફની ઓવરના છેલ્લા બૉલ પર ગિલે ચોગ્ગો ફટકાર્યો હતો. ત્યાર બાદ અભિષેક અને હારિસ રઉફ વચ્ચે બોલાચાલી થઈ હતી. બન્ને એકબીજા સામે ખૂબજ ઉગ્ર વર્તન કરતા જોવા મળ્યા હતા.
દુબઈ ઇન્ટરનૅશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે એશિયા કપ 2025ની સુપર ફોર મૅચમાં પાકિસ્તાને ભારતને 172 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.
આ લક્ષ્યાંકને હાંસલ કરવા માટે શુભમન ગિલ અને અભિષેક શર્માએ મેદાન પર તોફાની બૅટિંગ કરી હતી અને પાકિસ્તાની બૉલરોને મુંઝવણમાં મૂકી દીધા હતા.
આ દરમ્યાન એક પળ એવી પણ આવી જેમાં અભિષેક શર્મા અને હારિસ રઉફ વચ્ચે બોલાચાલી થઈ ગઈ હતી.
રઉફની ઓવરના છેલ્લા બૉલ પર ગિલે ચોગ્ગો ફટકાર્યો. ત્યાર બાદ ગિલ અને રઉફ વચ્ચે બોલાચાલી થઈ હતી.
જેમાં અભિષેકે દરમ્યાનગીરી કરી હતી. જે બાદ અભિષેક અને રઉફ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને અમ્પાયરે દરમ્યાનગીરી કરવી પડી હતી.
મૅચ બાદ અભિષેક શર્માએ જણાવ્યું કે તેમણે અને શુભમન ગિલે શું કહ્યું, "આજે મેં ઘણું બધું સરળ રાખ્યું હતું. તેઓ કોઈપણ કારણ વિના મારી સામે આવ્યા તે મને ગમ્યું ન હતું. તેનો જવાબ હું મારા બેટથી આપી શકતો હતો અને તેના કારણે મારી ટીમને જીત મળશે તેવું મારા મગજમાં ચાલી રહ્યું હતું. મારી ટીમ માટે કંઈક કરવું હતું."
શુભમન ગિલ સાથે બેટિંગ કરવા વિશે તેમણે કહ્યું, 'અમે લોકો શાળામાં ભણતા હતા ત્યારથી એકબીજા સાથે રમીએ છીએ. અમે એકબીજાની કંપનીને માણીએ છીએ. અમે જે રીતે શરૂઆત કરી અને પછી થયું કે આ રીતે રમીશું. અમે અમારી ભાગીદારીની શરૂઆત કરી. નસીબથી અમે કરી દેખાડ્યું. જે રીતે શુભમન ગિલ બેટિંગ કરી રહ્યા હતો તે જોઈને અમને મજા આવી."
પહેલા બૉલે બાઉન્ડ્રી કે સિક્સર મારવા વિશે કહ્યું, "તે ટીમ માટે જરૂરી હોય છે. આ રીતે જો કોઈ રમતું હોય તો તેને કૅપ્ટન અને કોચનું સમર્થન મળે છે. મને પણ ટીમ તરફથી સમર્થન મળે છે. તેઓ મને જે ઇન્ટેન્ટ દેખાડવા માટે કહે છે તેના માટે હું આકરી પ્રેક્ટિસ કરું છું."
હારિસ રઉફના 'હાવભાવ', પાકિસ્તાની સંરક્ષણ પ્રધાનની ટિપ્પણી
સોશિયલ મીડિયા પર ભારતીય અને પાકિસ્તાની ટીમોની સરખામણી વચ્ચે, પાકિસ્તાની બૉલર હારિસ રઉફનો એક ફોટો વાયરલ થયો જેમાં તે છ અને શૂન્યનો સંકેત આપતા જોવા મળે છે.
આ તસવીર પર પાકિસ્તાનના કેન્દ્રીય મંત્રી ખ્વાજા આસિફે લખ્યું, "હારિસ રઉફે સાચો જવાબ આપ્યો. ક્રિકેટ મૅચો થતી રહે છે, પરંતુ ભારત 6/0 ને અંત સુધી ભૂલશે નહીં અને દુનિયા પણ તેને યાદ રાખશે."
રઉફ પાકિસ્તાનના દાવા તરફ ઇશારો કરી રહ્યા હતા કે તેમણે 'ઑપરેશન સિંદૂર' દરમિયાન ભારતીય લડાકુ વિમાનોને તોડી પાડ્યાં હતાં.
ઇશ્તિયાક અહેમદ નામના એક યુઝરે લખ્યું, "ભારત યુદ્ધ લડવામાં અને અમે ક્રિકેટ રમવા સક્ષમ નથી. ટૂંકમાં આ સટીક ટિપ્પણી છે."
ભારત સામે ફરી એક વાર હાર બાદ એક્સ પર પાકિસ્તાની ચાહકોએ PCB ચેરમેન મોહસીન નકવીની આકરી ટીકા કરી અને ફરી એકવાર તેમના રાજીનામાની માંગ કરી હતી.
સૂર્યા અને સલમાને બીજીવાર હાથ ન મિલાવ્યા
ભારતના કૅપ્ટન સૂર્યકુમાર યાદવે ફરી એકવાર પાકિસ્તાનના કૅપ્ટન સલમાન અલી આગા સાથે હાથ મિલાવ્યા ન હતા.
બંને કૅપ્ટને ગ્રૂપ સ્ટેજની મૅચ દરમિયાન પણ હાથ નહોતા મિલાવ્યા, જેના પછી પાકિસ્તાની ટીમે મૅચ પછીની પ્રેસ કૉન્ફરન્સમાં આવવાની ના પાડી દીધી હતી.
એશિયા કપ: ભારતીય કૅપ્ટન સૂર્યકુમારે ફરી એકવાર પાકિસ્તાનના કૅપ્ટન સલમાન સાથે હાથ મિલાવવાનું ટાળ્યું હતું.
બંનેએ એકબીજા સામે જોવાનું પણ ટાળ્યું હતું. આ બીજી વખત છે કે જ્યારે બંને કૅપ્ટનોએ ટુર્નામેન્ટમાં હાથ મિલાવ્યા નથી.
ભારતનું આ વલણ પહેલગામ આતંકી હુમલા સાથે જોડાયેલું છે. જેમાં 22 એપ્રિલના રોજ આતંકીઓ દ્વારા 26 પ્રવાસીઓને મારી નાખવામાં આવ્યા હતા.
મૅચ પછી પણ બંને ટીમોના ખેલાડીઓએ હાથ મિલાવ્યા ન હતા.
મૅચના સમાપન બાદ કૅપ્ટન સૂર્યકુમાર યાદવે પત્રકારો સાથે વાત કરતા કહ્યું, "મને લાગે છે કે જીવનમાં કેટલીક બાબતો રમતગમતની ભાવનાથી આગળ હોય છે. મેં પ્રેઝન્ટેશનમાં પણ આ વાત કહી છે. અમે પહેલગામ આતંકી હુમલાના તમામ પીડિતો સાથે ઊભા છીએ."
ફખર ઝમાનનું આઉટ થવું અને અસહમત થવું
ફખર ઝમાનને હાર્દિક પંડ્યાએ 15 રન બનાવીને આઉટ કર્યા ત્યારે પહેલો વિવાદ ફક્ત 2.3 ઓવરમાં જ થયો હતો.
ઝમાન સારા ફોર્મમાં હતા અને શરૂઆતની ઓવરોમાં જસપ્રીત બુમરાહ અને હાર્દિક સામે રન બનાવી રહ્યા હતો.
પરંતુ ફખર ઝમાન હાર્દિકના બૉલ પર શોટ રમતા સંજુ સેમસનના હાથે કેચ આઉટ થયા અને થર્ડ અમ્પાયર રુચિરા પલ્લીયાગુરુગેએ તેને આઉટ જાહેર કર્યા હતા.
મેદાન પરના અમ્પાયરે પણ તેને આઉટ જાહેર કર્યા, પરંતુ તેણે ત્રીજા અમ્પાયરને તપાસ કરવા વિનંતી કરી.
રિપ્લેમાં સેમસનના ગ્લોવ્સમાં પડતા પહેલા બોલ જમીન પર અથડાતો દેખાતો હતો. ત્રીજા અમ્પાયરે નિર્ણય લેવામાં થોડો સમય લીધો.
પલ્લીયાગુરુગે સંમત થયા કે કેચ સાચો હતો કારણ કે તેની આંગળીઓ બોલની નીચે હતી, પરંતુ ફખર ઝમાન અસંમત જણાતા હતા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન