અમેરિકાનો દાવો, ઈરાનનાં બારુદી સુરંગો પાથરતાં 16 જહાજ નષ્ટ કર્યાં - ન્યૂઝ અપડેટ

બીબીસી ગુજરાતી ભારત કતાર ઈરાન ઈઝરાયલ અમેરિકા

ઇમેજ સ્રોત, CENTCOM/Handout via REUTERS

ઇમેજ કૅપ્શન, અમેરિકાએ ઈરાનના જહાજો તોડી પાડવાનો દાવો કર્યો છે.
વાંચવાનો સમય: 2 મિનિટ

અમેરિકાએ દાવો કર્યો છે કે તેણે હોર્મુઝની સામુદ્રધુની નજીક બારુદી સુરંગો પાથરતાં 16 જહાજોને નષ્ટ કરી દીધાં છે.

અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (સેંટકૉમ)એ પણ એક વીડિયો જારી કર્યો છે, જેમાં આ જહાજ પર હુમલો થતો જોવા મળે છે.

આ અગાઉ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકન દળોએ સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાં ઊભેલાં 10 જહાજો પર હુમલો કર્યો છે.

આ ઘટનાક્રમ એવા સમયે થયો છે જ્યારે અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધના કારણે સમુદ્રી રસ્તા પર જહાજોની આવ-જાને મોટી અસર પડી છે.

આ સમુદ્રી રસ્તો દુનિયામાં ઑઇલના પરિવહન માટે સૌથી મહત્ત્વના રસ્તા પૈકી એક છે.

કતારથી 1000 ભારતીયો સ્વદેશ પરત આવ્યા

બીબીસી ગુજરાતી ભારત કતાર ઈરાન ઈઝરાયલ અમેરિકા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કતારથી ફ્લાઈટ દ્વારા ભારતીયોને સ્વદેશ પાછા લાવવામાં આવ્યા છે.

મધ્યપૂર્વમાં સંઘર્ષનું વાતાવરણ છે ત્યારે ઘણા ભારતીયો જોખમથી બચવા માટે સ્વદેશ પરત આવી રહ્યા છે.

કતારસ્થિત ભારતીય દૂતાવાસે જણાવ્યું કે લગભગ 1000થી વધારે ભારતીયો કતારથી દિલ્હી, મુંબઈ અને કોચી પરત આવ્યા છે. સાઉદી અરેબિયામાં સાલવા બૉર્ડર પર ભારતીયોને 96 કલાકના ટ્રાન્ઝિટ વિઝા આપવામાં આવી રહ્યા છે. ભારતીય દૂતાવાસે 24/7 કન્ટ્રોલ રૂમ શરૂ કર્યો છે.

ભારતીય દૂતાવાસે જણાવ્યું કે 10મી માર્ચે કતાર ઍરવેઝની ફ્લાઇટોથી લગભગ 1000 ભારતીયોએ નવી દિલ્હી, મુંબઈ અને કોચીની ઉડાન ભરી હતી. તાજેતરમાં ભારતની બાસ્કેટ બૉલ ટીમ પણ કતારમાં ફસાઈ ગઈ હતી, જેને ફ્લાઇટથી સાઉદી અરેબિયા લઈ જવાઈ હતી અને ત્યાંથી ભારત પહોંચી ગઈ છે.

ઈરાનમાં નવા સુપ્રીમ લીડરની વરણી પછી ભારતે પહેલી વખત ઈરાન સાથે વાત કરી

બીબીસી ગુજરાતી ભારત કતાર ઈરાન ઈઝરાયલ અમેરિકા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતીય વિદેશમંત્રી એસ જયશંકરે ઈરાનના વિદેશમંત્રી સાથે વાત કરી છે.

ભારતના વિદેશમંત્રી એસ જયશંકરે મંગળવારે ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાગચી સાથે ફોન પર વાતચીત કરી છે. મધ્યપૂર્વમાં શરૂ થયેલા સંઘર્ષ પછી બંને નેતા વચ્ચે આ ત્રીજી વાતચીત છે.

મોજતબા ખામેનેઈને ઈરાને નવા સુપ્રીમ લીડર તરીકે નિયુક્ત કર્યા છે. આ દરમિયાન હોર્મુઝની સામુદ્રધુનીમાં ઑઇલનો પુરવઠો લગભગ અટકી ગયો છે અને અનેક દેશોનો ચિંતા વધી ગઈ છે.

ઈરાન ઉપરાંત એસ જયશંકરે જર્મનીના વિદેશમંત્રી યોગન વાદેફૂએ અને દક્ષિણ કોરિયાના વિદેશમંત્રી યોગ યન સાથે પણ વાતચીત કરી હતી અને મધ્યપૂર્વમાં ઝડપથી બદલાઈ રહેલી સ્થિતિ વિશે ચર્ચા કરી હતી.

ઈરાનમાં મોજતબા ખામેનેઈને નવા સુપ્રીમ લીડર જાહેર કરાયા પછી બંને દેશોના વિદેશમંત્રી વચ્ચે આ પહેલી વાતચીત હતી. યુદ્ધની શરૂઆતમાં જ અમેરિકા અને ઇઝરાયલના હુમલામાં તેમના પિતા આયતુલ્લાહ અલી ખામેનેઈ માર્યા ગયા હતા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન