મુખ્તાર અંસારી : ભાજપના ધારાસભ્યની જ્યારે '500 ગોળીઓ મારીને હત્યા' કરાઈ અને...

મુખ્તાર અંસારી બીબીસી ગુજરાતી

બાંદા જિલ્લા જેલમાં બંધ મુખ્તાર અંસારીને 28 માર્ચે સાંજે રાની દુર્ગાવતી મેડિકલ કૉલેજમાં દાખલ કરવામાં આવ્યા હતા.

મેડિકલ બુલેટિન પ્રમાણે, "63 વર્ષીય મુખ્તાર અંસારીને જેલના સુરક્ષાકર્મીઓએ મેડિકલ કૉલેજના ઇમર્જન્સી વૉર્ડમાં સાંજે 8:45 વાગ્યે ભરતી કર્યા હતા. તેમણે ઊલટીની ફરિયાદ અને બેહોશીની હાલતમાં મેડિકલ કૉલેજમાં લાવવામાં આવ્યા હતા. તેમની નવ ડૉક્ટરોની ટીમ તરફથી તાત્કાલિક સારવાર કરવામાં આવી હતી. જોકે, ઘણા પ્રયત્નો છતાં હૃદયરોગના હુમલાને કારણે તેમનું મૃત્યુ થયું."

ઉત્તર પ્રદેશના બાહુબલી નેતા મુખ્તાર અંસારીની ઑટોપ્સી (પોસ્ટમોર્ટમ) રિપોર્ટમાં મૃત્યુનું કારણ હાર્ટ એટેક દર્શાવવામાં આવ્યું છે.

સમાચાર પત્ર 'હિન્દુસ્તાન ટાઇમ્સ'ના એક અહેવાલ પ્રમાણે ઑટોપ્સી રિપોર્ટમાં ઝેર દેવાની વાત સામે આવી નથી.

ગુરૂવારે સાંજે મુખ્તાર અંસારીના મૃત્યુ પછી તેમા પરિવાર સહિત કેટલાક નેતાઓએ દાવો કર્યો હતો કે તેને ઝેર આપવામા આવ્યું હતું.

અહેવાલ પ્રમાણે રાની દુર્ગાવતી મેડિકલ કૉલેજમા ડૉક્ટરોની એક પેનલે ઑટોપ્સી કરી હતી. આ તે જ હૉસ્પિટલ છે જ્યાં અંસારીએ અંતિમ શ્વાસ લીધો.

ખબર પ્રમાણે જ્યારે ઑટોપ્સી થઈ રહી હતી ત્યારે પરિવારના સભ્યો ત્યાં હાજર હતા અને આખી પ્રક્રિયાની વીડિયોગ્રાફી પણ કરવામાં આવી છે.

ઑટોપ્સી કર્યા પછી ડૉક્ટરોએ વિસેરા સુરક્ષિત રાખ્યા છે, જેને ફૉરેન્સિક તપાસ માટે મોકલવામાં આવશે. જેથી એ વિશે તપાસ કરી શકાય કે અંસારીને ઝેર આપવામા આવ્યુ હતું કે નહીં.

ઑટોપ્સી પછી મુખ્તાર અંસારીના દેહને ભારી સુરક્ષા સાથે તેમના પિતૃક સ્થાન ગાઝીપુર લઈ જવામાં આવ્યો.

અહેવાલ પ્રમાણે ગાઝીપુરનાં મોહમ્મદાબાદના કાલીબાગ કબ્રસ્તાનમાં એક કબર ખોદવામા આવી છે, જ્યાં શનિવારે તેના દેહને દફનાવશે. આ જ કબ્રસ્તાનમાં મુખ્તાર અંસારીનાં માતા-પિતાને પણ દફનાવવામાં આવ્યાં હતાં.

મુખ્તાર અંસારીની ફાઇલ તસવીર

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, મુખ્તાર અંસારીની ફાઇલ તસવીર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સમાચાર પત્ર 'ઇન્ડિયન એક્સપ્રેસ'ના એક અહેવાલ પ્રમાણે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટે શુક્રવારે મૃત્યુની ન્યાયિક તપાસનો આદેશ આપ્યો હતો.

બાંદાના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ભગવાન દાસ ગુપ્તાએ તપાસ કરીને એક મહિનાની અંદર રિપોર્ટ સોંપવા માટે એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ગરિમા સિંહની નિમણૂક કરી છે.

આ સિવાય જેલના નિયમો મુજબ બાંદા જિલ્લા મેજિસ્ટ્રેટ દુર્ગા શક્તિ નાગપાલે પણ ન્યાયિક તપાસના આદેશ આપ્યા છે. આ તપાસ એડિશનલ જિલ્લા મેજિસ્ટ્રેટ રાજેશ કુમાર કરશે.

જોકે મુખ્તાર અંસારીના દિકરા ઉમર અંસારીએ જિલ્લા અધિકારીને પત્ર લખીને એઈમ્સના ડૉક્ટરો દ્વારા ઑટોપ્સી કરાવવાની માંગણી કરી હતી.

ઉમરે દાવો કર્યો હતો કે તેમના પિતાને એક સુનિયોજિત કાવતરાનો શિકાર બનાવવામાં આવ્યા છે અને તેમને સ્થાનિક પ્રશાસન અને મેડિકલ ટીમ પાસેથી ન્યાયની આશા નથી.

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ પ્રમાણે ઉમરે 21 માર્ચના રોજ વકીલો મારફતે બારાબંકી અને બાંદાની કોર્ટને જણાવ્યુ હતું કે તેમના પિતાને ભોજનમાં ધીમું ઝેર ભેળવીને આપવામાં આવે છે.

તેમણે આરોપ લગાવ્યો કે 40 દિવસ પહેલાં પણ આવી રીતે ઝેર આપવાની ઘટના બની હતી, જે કારણે તેમના પિતાના સ્વાસ્થ્ય પર ઘણી અસર પડી હતી.

અહેવાલ પ્રમાણે ઉમરે પત્રમાં લખ્યું કે 26 માર્ચે મારા પિતાની તબિયત બગડી ગઈ હતી અને સવાર ચાર વાગ્યે તેને આઈસીયુમાં ભરતી કરવામા આવ્યા હતા.

ઉમરે આરોપ લગાવ્યો કે મારા પિતાની હાલત ગંભીર હોવા છતાં મને મળવાની પરવાનગી ન આપી,

મોહમ્મદાબાદમાં અંસારી પરિવારના ઘરે મુખ્તાર અંસારીના ભત્રીજા અને સ્થાનિક સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય સુહૈબ અંસારીએ પણ મુખ્તારને ઝેર દેવાનો આરોપ લગાવ્યો છે.

માફિયાથી રાજનેતા બનેલા મુખ્તાર અન્સારીએ પોતાનું વિશાળ સામ્રાજ્ય સ્થાપિત કર્યું હતું અને અનેક રાજકીય પક્ષો સાથે તેના સંબંધો હતા. તેઓ અનેક વિવાદોમાં પણ સામેલ રહ્યા. એક માફિયા તરીકે તેમનો ઉદય કેવી રીતે થયો અને કઈ રીતે તેમણે ઉત્તર પ્રદેશમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કર્યું?

ગાઝીપુરમાં મુખ્તાર અંસારીનો ઉદય

મુખ્તાર અંસારી બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

મુખ્તાર અંસારીનાં રાજકીય અને ગુનાહિત સમીકરણોમાં ગાઝીપુરનું મહત્ત્વ વર્ણવતા વરિષ્ઠ પત્રકાર ઉત્પલ પાઠક કહે છે કે, "80 અને 90ના દાયકામાં ચરમસીમા પર રહેલા બ્રિજેશસિંહ અને મુખ્તારની ઐતિહાસિક ગૅંગવૉર અહીં ગાઝીપુરમાંથી શરૂ થઈ હતી."

નદીની બે ધારા વચ્ચે આવેલા પ્રદેશ એટલે કે દોઆબની ફળદ્રુપ જમીન પર આવેલું ગાઝીપુર ખાસ શહેર છે. રાજકીય રીતે એક લાખથી વધુ ભૂમિહાર વસતી ધરાવતું ગાઝીપુર ઉત્તર પ્રદેશમાં ભૂમિહારોના સૌથી મોટા પૉકેટમાંથી એક માનવામાં આવે છે. કેટલાક જૂના સ્થાનિક પત્રકારો સામાન્ય ભાષામાં ગાઝીપુરને ‘ભૂમિહારનું વૅટિકન’ પણ કહે છે.

દેશના સૌથી પછાત વિસ્તારોમાં આવતા ગાઝીપુરમાં ઉદ્યોગના નામે અહીં કંઈ ખાસ નથી. અફીણનું કામ થાય છે અને હૉકી ખૂબ સારી રીતે રમાય છે.

ગાઝીપુરનો એક મહત્ત્વપૂર્ણ વિરોધાભાસ એ છે કે ગુનેગારો અને પૂર્વાંચલના ગૅંગવોરનું હબ હોવા છતાં, આ જિલ્લામાંથી દર વર્ષે ઘણા યુવકો આઈએએસ-આઈપીએસ પણ બને છે.

પાઠકે કહ્યું હતું કે, "મુખ્તાર અંસારી અને તેમના પરિવારનો રાજકીય પ્રભાવ ગાઝીપુરથી લઈને મઉ, જૌનપુર, બલિયા અને બનારસ સુધી ફેલાયેલો છે. માત્ર 8-10 ટકા મુસલમાનની વસતી ધરાવતા ગાઝીપુરમાં હંમેશાં અંસારી પરિવાર હિન્દુ વોટબૅન્કના આધારે ચૂંટણી જીતતો આવ્યો છે."

ગાઝીપુરના યુસૂફપુર વિસ્તારમાં સ્થિત મુખ્તાર અંસારીના પૈતૃક નિવાસને ‘બડકા ફાટક’ અથવા ‘મોટા દરવાજા’ તરીકે ઓળખવામાં આવે છે.

કસબા જેવા આ નાના શહેરમાં ‘બડકા ફાટક’નું સરનામું બધા જાણે છે.

મુખ્તારને ચૂંટણીમાં જીતાડવામાં હિન્દુઓનો મોટો ફાળો

મુખ્તાર અંસારી અને અફઝલ અંસારી બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, AMAN DWIVEDI

ઇમેજ કૅપ્શન, મુખ્તાર અંસારી અને અફઝલ અંસારી

2021માં જ્યારે બીબીસીએ તેમના પર અહેવાલ લખ્યો હતો ત્યારે મુખ્તાર બાંદા જેલમાં હતા, પરંતુ તેમના મોટા ભાઈ અફઝલ અંસારી અને પુત્ર અબ્બાસ અંસારીએ બીબીસી સાથે વાતચીત કરી હતી.

તેના થોડા જ કલાકોમાં મુખ્તારનાં માતાનું નિધન થઈ ગયું હતું.

મુખ્તાર અંસારીના ઘરની બહારનો ‘મોટો દરવાજો’ દિવસભર મુલાકાતીઓ માટે ખુલ્લો રહે છે.

વરંડામાં પાર્ક કરેલાં મોટાં વાહનોના કાફલાની સામે એક વિશાળ બેઠકમાં સ્થાનિક લોકો અંસારી બંધુઓને મળવા માટે રાહ જોઈ રહ્યા હતા.

બેઠકમાં પૂર્વ કૉંગ્રેસ અધ્યક્ષ ડૉક્ટર મુખ્તાર અહમદ અંસારીથી લઈને પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી સુધીના તમામ રાજકીય ચહેરાઓ અને પરિવારમાં મૃત્યુ પામેલા પૂર્વજોની તસવીરો લગાવવામાં આવી હતી.

નાના ભાઈ મુખ્તાર વિશે વાત કરતાં અફઝાલ જણાવ્યું હતું કે, "મુખ્તાર મારાથી દસ વર્ષ નાના છે. શાળા પૂરી કર્યા પછી તે અહીં ગાઝીપુરની કૉલેજમાં ભણતા હતા."

"તે કૉલેજમાં રાજપૂત-ભૂમિહારોનું વર્ચસ્વ હતું. ત્યાં તેમણે સાધુ સિંહ નામના છોકરા સાથે મિત્રતા કરી હતી."

"તેની સાથે મિત્રતા કરવા માટે તેઓ તેમની અંગત દુશ્મનાવટમાં સામેલ થઈ ગયા અને કેટલીક નિંદાનો સામનો કરવો પડ્યો હતો."

સાંસદ અફઝાલ અંસારીએ કહ્યું હતું કે, "તેમની (મુખ્તાર) સાથે આખા પરિવારને બદનક્ષીનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ મુખ્તાર સામેના આ તમામ કેસ રાજકીય રીતે પ્રેરિત છે."

"તે 15 વર્ષથી વધુ સમયથી જેલમાં છે. જો તેમણે ખરેખર કંઈ ખોટું કર્યું હોય, તો પછી પોલીસ તમારી છે, સરકાર તમારી છે, સીબીઆઈ તમારી છે, હજુ સુધી એક પણ ગુનો કેમ સાબિત થયો નથી?"

મુખ્તારના રાજકીય પ્રભાવ વિશે વાત કરતાં તેઓ ઉમેર્યું હતું કે, "મુખ્તાર મઉથી ચૂંટણી લડતા અને જીતતા હતા."

"રાજકીય રીતે મુખ્તારનો દરજ્જો અમારા કરતા મોટો છે. તેમનું ગ્લેમર ખૂબ વધારે છે."

"આજે અમે ગાઝીપુરની બહાર ગમે ત્યાં જઈએ છીએ, ત્યારે લોકો અમને તેમના નામથી ઓળખે છે."

અફઝાલ અંસારીએ કહ્યું હતું કે, "ગાઝીપુરના માત્ર 8 ટકા મુસ્લિમો જ અમને જીતાડી શકતા નથી, અહીંના હિંદુઓ અમને જીતાડે છે."

"છેવટે, અમે પણ દરેક સુખ-દુખમાં તેમની સાથે ઊભા રહીએ છીએ, આ બધા અમારા પોતાના લોકો છે, તેથી જ અમને તેમના મત પર વિશ્વાસ રહે છે."

ભાજપના ધારાસભ્યની '500 ગોળીઓ મારીને હત્યા' કરાઈ અને મુખ્તાર અંસારીનું નામ ખૂલ્યું

મુખ્તાર અંસારી બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

1985થી અંસારી પરિવાર પાસે રહેલી ગાઝીપુરની મોહમ્મદાબાદ વિધાનસભા બેઠક 17 વર્ષ પછી 2002ની ચૂંટણીમાં તેમની પાસેથી ભાજપના કૃષ્ણાનંદ રાયે છીનવી લીધી હતી. જોકે તેઓ ધારાસભ્ય તરીકે પોતાનો કાર્યકાળ પૂર્ણ કરી શક્યા નહીં, ત્રણ વર્ષ પછી તેમની હત્યા કરી દેવામાં આવી હતી.

પૂર્વાંચલમાં આગની જેમ ફેલાયેલા આ હત્યાકાંડના સમાચારને કવર કરનારા વરિષ્ઠ પત્રકાર પવન સિંહ કહે છે કે, "તેઓ એક કાર્યક્રમનું ઉદ્ઘાટન કરીને પાછા આવી રહ્યા હતા, ત્યારે જ તેમની બુલેટ પ્રૂફ ટાટા સૂમો ગાડીને ચારેબાજુથી ઘેરી લેવામાં આવી હતી અને તેની પર આડેધડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. હુમલા માટે સ્પૉટ એવો માર્ગ પસંદ કરવામાં આવ્યો હતો, જ્યાંથી ગાડી ડાબે-જમણે વાળવાનો કોઈ સ્કૉપ ન હતો."

"કૃષ્ણાનંદ સાથે અન્ય છ લોકો પણ ગાડીમાં હતા. એકે-47થી અંદાજે 500 ગોળીઓ ચલાવવામાં આવી, સાતેસાત લોકો માર્યા ગયા હતા."

આ હત્યાકાંડને કવર કરનારા બીજા વરિષ્ઠ પત્રકાર ઉત્પલ પાઠક વધુમાં કહે છે કે, "કોઈ પણ પૂરબિયા (પૂર્વ યુપીના સ્થાનિક)તમને કહેશે કે આ 500 ગોળીઓ મારવા માટે નહીં, પરંતુ સંદેશ આપવા માટે ચલાવવામાં આવી હતી. હત્યારાઓ વર્ચસ્વનો સંદેશ આપવા માગતા હતા કે જુઓ તમારા વિધાનસભા વિસ્તારમાં તમારી જાતિ પ્રભુત્વવાળા વિસ્તારમાં તમારા ગઢમાં, તમારા કથિત ‘સેફ ઝોન’ માં ઘૂસીને તમને મારી નાખ્યા છે."

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, "ગાઝીપુરની પોતાની જૂની પારિવારિક બેઠક ગુમાવ્યા બાદ મુખ્તાર અંસારી નારાજ થયા હતા. કૃષ્ણાનંદ હત્યાકાંડ સમયે જેલમાં બંધ હોવા છતાં મુખ્તાર અંસારીનું આ હત્યાકાંડમાં નામ આવ્યું હતું."

આ હત્યાકાંડના બીજા એક પ્રભાવ વિશે વર્ણવતા પવન કહે છે કે, "ગાઝીપુરના સાંસદ અને વર્તમાન સરકારમાં મંત્રી મનોજ સિન્હાનું આખું રાજકારણ આ હત્યાકાંડ બાદ મજબૂત રીતે ઊભું થયું હતું. મનોજ આ મામલામાં મુખ્તાર વિરુદ્ધ સાક્ષી છે. કૃષ્ણાનંદ ભૂમિહાર હતા અને તેમના પિતરાઈ ભાઈ સિન્હાએ ‘તેમને ન્યાય અપાવવા માટે ડર્યા વિના સંઘર્ષ કર્યો’ એવા એકમાત્ર નેતા તરીકે તેમના માટે મત માગીને ઘણી ચૂંટણીઓ જીતી છે."

હત્યાના કેસમાં સજા થઈ

મુખ્તાર અંસારી બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, અફઝાલ અંસારી

માફિયાથી રાજનેતા બનેલા ઉત્તર પ્રદેશના પૂર્વાંચલમાં મઊથી પાંચ વખત ધારાસભ્ય ચૂંટાયા હતા.

ગત વર્ષે એપ્રિલમાં મુખ્તાર અંસારીને ભાજપના ધારાસભ્ય કૃષ્ણાનંદ રાયની હત્યાના કેસમાં 10 વર્ષની સજા ફરમાવવામાં આવી હતી.

ગાઝીપુર જિલ્લાના મુહમ્મદાબાદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાહિત ઇતિહાસ અનુસાર, મુખ્તાર અંસારી પર કુલ 65 કેસ નોંધાયેલા હતા.

મુખ્તાર અંસારી પર વર્ષ 1996માં વિશ્વ હિંદુ પરિષદના પદાધિકારી અને કોલસાવેપારી નંદકિશોર રૂંગટાના અપહરણ અને ભાજપના ધારાસભ્ય કૃષ્ણાનંદ રાયની હત્યામાં સામેલ થવાના કેસ નોંધાયો હતો. વર્ષ 2005માં કૃષ્ણાનંદ રાયની હત્યા કરી દેવાઈ હતી અને એ વખતે જેલમાં બંધ હોવા છતાં મુખ્તાર અંસારીનું નામ આ હત્યા કેસમાં નોંધવામાં આવ્યું હતું.

બે અન્ય કેસમાં મળી હતી સજા

મુખ્તાર અંસારી બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, MAIL TODAY

ગત કેટલાંક વર્ષોમાં અંસારી પરિવાર ચર્ચામાં રહ્યો છે. મઊમાં અંસારીની કેટલીક કથિત ગેરકાયદે સંપત્તિ ધ્વસ્ત કરવામાં આવી હતી.

સપ્ટેમ્બર 2022માં અલાહાબાદ હાઈકોર્ટની લખનૌ બૅન્ચે મુખ્તાર અંસારીને એક જેલરને ધમકાવવાના મામલે સાત વર્ષની સજા સંભળાવી હતી. આ મામલો 2003 નો છે.

ત્યાર બાદ 1999ના એક મામલે ગૅંગસ્ટર ઍક્ટ હેઠળ તેમને પાંચ વર્ષની સશ્રમ જેલની સજા મળી હતી અને 50 હજાર રૂપિયાનો દંડ પણ થયો હતો.

જુલાઈ 2022માં મુખ્તાર અંસારીનાં પત્ની અફસા અંસારી અને તેમના પુત્ર અબ્બાસ અંસારીને ફરાર જાહેર કરવામાં આવ્યાં હતાં.

ઑગસ્ટ 2022માં લખનૌ વિકાસ પ્રાધિકરણે અફઝાલ અંસારીના ઘરને તોડી પાડ્યું હતું. આરોપ હતો કે આ ઘર ગેરકાયદેસર રીતે બનાવાયું હતું.

તેમની સામે 65થી વધુ કેસ ચાલી રહ્યા હતા. એક સમયે તેમની સામે મકોકા (મહારાષ્ટ્ર કંટ્રોલ ઑફ ઑર્ગેનાઇઝ્ડ ક્રાઇમ ઍક્ટ) અને ગૅન્ગસ્ટર ઍક્ટ અંતર્ગત 30થી વધુ કેસ દાખલ કરવામાં આવ્યા હતા.

દાદા સ્વતંત્રતા સેનાની અને નાના શહીદ

મુખ્તાર અંસારી બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, EMPICS

બીબીસી સંવાદદાતા પ્રિયંકા દુબેના અહેવાલ અનુસાર ગાઝીપુરના ‘પ્રથમ રાજકીય પરિવાર’ તરીકે ઓળખાતા અંસારી પરિવારમાં આ જિલ્લા અને તેની સાથે જોડાયેલા અનેક વિરોધાભાસની ઝલક સ્પષ્ટ દેખાય છે.

ઉદાહરણ તરીકે છેલ્લાં 15 વર્ષોથી જેલમાં બંધ મુખ્તાર અંસારીના દાદા દેશની આઝાદીના સંઘર્ષોમાં ગાંધીજીનો સાથ આપનારા નેતા તરીકે ઓળખાય છે અને 1926-27માં કૉંગ્રેસના અધ્યક્ષ રહેલા ડૉક્ટર મુખ્તાર અહમદ અંસારી હતા.

મુખ્તાર અંસારીના નાના બ્રિગેડિયર મોહમ્મદ ઉસ્માનને 1947ના યુદ્ધમાં તેમની શહાદત બદલ મહાવીર ચક્રથી નવાઝવામાં આવ્યા હતા.

ગાઝીપુરમાં સારી છબિ ધરાવતા અને સામ્યવાદી બૅકગ્રાઉન્ડમાંથી આવતા મુખ્તારના પિતા સુભાનઉલ્લા અંસારી સ્થાનિક રાજનીતિમાં સક્રિય હતા. ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી સંબંધમાં મુખ્તાર અંસારીના કાકા છે.

મુખ્તારના મોટા ભાઈ અફઝાલ અંસારી ગાઝીપુરના મોહમ્મદાબાદ વિધાનસભાથી સતત 5 વખત (1985થી 1996 સુધી) ધારાસભ્ય રહી ચૂક્યા છે અને 2004માં ગાઝીપુરથી જ સાંસદની ચૂંટણી પણ જીતી ચૂક્યા છે.

મુખ્તારના બીજા ભાઈ સિબકાતુલ્લા અંસારી પણ 2007 અને 2012ની ચૂંટણીમાં મોહમ્મદાબાદથી જ ધારાસભ્ય રહી ચૂક્યા છે.

મુખ્તાર અંસારીને બે પુત્ર છે. તેમના મોટા પુત્ર અબ્બાસ અંસારી શૉટ-ગન શૂટિંગમાં ચૅમ્પિયન રહી ચૂક્યા છે.

2017ની ચૂંટણીમાં મઉ જિલ્લાની જ ઘોસી વિધાનસભા બેઠકથી અબ્બાસે બસપાની ટિકિટ પર પોતાની પહેલી ચૂંટણી લડી હતી અને 7 હજાર મતોથી હારી ગયા હતા.

જીવના જોખમની વાત કહી હતી

મુખ્તાર અંસારી બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, અફઝાલ અંસારી, અબ્બાસ અંસારી અને ઉમર અંસારી

ગયા વર્ષે મુખ્તાર અંસારીના પુત્ર ઉમર અંસારીએ પોતાના પિતાના જીવને જોખમ હોવાની આશંકા વ્યક્ત કરી હતી અને સુપ્રીમ કોર્ટમાં આ અંગે અરજી કરી હતી.

અદાલતમાં કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે મુખ્તાર અંસારીને ભરોસાપાત્ર જાણકારી મળી હતી કે તેમના જીવને ભારે જોખમ છે અને તેમને બાંદા જેલમાં મારી નાખવાનું કાવતરું ચાલી રહ્યું છે.

મુખ્તાર અંસારીને ખંડણીના એક મામલામાં પંજાબમાં રૂપનગર જેલમાં 2019થી રાખવામાં આવ્યા હતા.

વર્ષ 2021માં તેમને ઉત્તર પ્રદેશની પોલીસ બાંદા લઈને આવી હતી.

કૉંગ્રેસે તેમના મૃત્યુ પર સવાલ ઊઠાવ્યા છે.

કૉંગ્રેસ નેતા સુરેન્દ્ર રાજપૂતે કહ્યું કે, "મુખ્તાર અંસારીએ કેટલાક દિવસો પહેલાં આરોપ લગાવ્યો હતો કે તેમને ધીમું ઝેર આપવામાં આવી રહ્યું છે. અને આજે વહીવટીતંત્ર કહી રહ્યું છે કે તેમનું હાર્ટ ઍટેકથી મૃત્યુ થયું છે. આ બાબતની ઉચ્ચસ્તરીય તપાસ થવી જોઈએ. હાઈકોર્ટના સિટિંગ જજની નિગરાનીમાં તપાસ થવી જોઈએ જેથી લોકોને ખબર પડે કે જેલમાં શું ચાલી રહ્યું છે?"

સમાજવાદી પાર્ટીના નેતાઓએ પણ મુખ્તાર અંસારીના મૃત્યુ પર દુ:ખ વ્યક્ત કર્યું છે. સમાજવાદી પાર્ટી નેતા અમીક જામેઈએ આ મામલે વિસ્તૃત તપાસની માગ કરી છે.