ત્રણ મકાન અને ત્રણ રિક્ષાવાળો ભિખારી, સ્વિફ્ટમાં ફરતો અને વ્યાજે પૈસા આપતો

ઇમેજ સ્રોત, Sameer Khan/BBC
- લેેખક, સમીર ખાન
- પદ, બીબીસી માટે, ઇન્દોરથી
લાકડાનાં પાટિયાં પર બૅરિંગ્સ લગાવેલી નાનકડી ગાડી, પીઠ પર થેલો અને હાથમાં જૂતાં લઈને, રસ્તાઓ પર ભીખ માગતા માંગીલાલ દૂરથી જોતાં સામાન્ય ભિખારી જેવા જ લાગતા હતા.
પરંતુ જ્યારે ઇન્દોરના સરાફા બજારમાં છેલ્લાં ઘણા વર્ષોથી ભીખ માંગી રહેલી આ વ્યક્તિની હકીકત બહાર આવી ત્યારે ઘણા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા.
મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના ભિક્ષાવૃત્તિ નાબૂદી અભિયાનના ભાગરૂપે જ્યારે માંગીલાલને બચાવી લેવામાં આવ્યા, ત્યારે ખબર પડી કે 60 વર્ષીય માંગીલાલ ભીખ માગીને દરરોજ 500થી 1000 રૂપિયા કમાતા હતા. પરંતુ આશ્ચર્યજનક વાત આ નથી, પણ કંઈક બીજું છે.
નૉડલ ઑફિસર દિનેશ મિશ્રાએ જણાવ્યું કે, "17 જાન્યુઆરીએ બચાવટીમને માહિતી મળી હતી કે એક રક્તપિત્તનો દર્દી છે જે દર અઠવાડિયે અહીં ભીખ માગવા આવે છે."
ત્રણ ઘર અને ઑટો-કારનો માલિક

ઇમેજ સ્રોત, Sameer Khan/BBC
દિનેશ મિશ્રાએ જણાવ્યું કે જ્યારે માહિતી એકત્રિત કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે ભીખ માગનાર આ વ્યક્તિનું નામ માંગીલાલ હતું, જેના ઇન્દોરમાં ત્રણ પાક્કાં મકાન છે.
આમાંથી એક ઘર ત્રણ માળનું છે, જ્યારે બીજાં બે એક માળનાં છે. તેમની પાસે ત્રણ ઑટો-રિક્ષાઓ છે જે ભાડે ચાલે છે. એ સિવાય મારુતિ ડિઝાયર કાર પણ છે, જેનો તેઓ મુસાફરી માટે ઉપયોગ કરે છે.
માંગીલાલે જણાવ્યું તેમ તેઓ 2021-2022 થી ભીખ માંગે છે, પરંતુ તેઓ સરાફા બજારમાં વ્યાજ પર પૈસા પણ ઉધાર આપે છે. હાલમાં, તેઓ ચારથી પાંચ લાખ રૂપિયા વ્યાજથી કમાઈ રહ્યા છે.
માંગીલાલના રૅસ્ક્યૂ પછી, તેમને ઉજ્જૈનના રક્તપિત્તના દર્દીઓ માટેના આશ્રમમાં મૂકવામાં આવ્યા છે, અને તેમના વિશે વધુ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. એક રિપોર્ટ તૈયાર કરીને ઇન્દોર કલેક્ટરને સુપરત કરવામાં આવશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઘરની વાત કરીએ તો માંગીલાલ પાસે ઇન્દોરના ભગતસિંહનગરમાં 16 બાય 45 ફૂટનું ત્રણ માળનું ઘર છે. તેમની પાસે શિવનગરમાં 600 ચોરસ ફૂટનું ઘર અને અલવાસમાં 10 બાય 20 ફૂટનું એક રૂમનું ઘર છે.
અલવાસમાં રહેલું ઘર તેમને સરકાર દ્વારા અને રેડ ક્રોસની મદદથી અપંગતાના આધારે આપવામાં આવ્યું હતું. માંગીલાલ અપરિણિત છે અને શિવનગરમાં તેમનાં માતા અને બે ભત્રીજાઓ સાથે રહે છે, જ્યારે તેના બે ભાઈઓ અલગ રહે છે.
પાડોશીઓએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, Sameer Khan/BBC
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભગતસિંહનગરમાં માંગીલાલની બાજુમાં રહેતા શાંતાબાઈએ જણાવ્યું કે ત્યાંનું ત્રણ માળનું ઘર તેમનું છે અને તેઓ છેલ્લા કેટલાંક વર્ષોથી ભીખ માંગી રહ્યા છે.
તેઓ ઘરના ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતા હતા. સ્થાનિક મીડિયાએ માંગીલાલના ઘરની મુલાકાત લીધી અને કુલર, રેફ્રિજરેટર, ટીવી, પલંગ, ગેસ સ્ટવ અને બે ગૅસ સિલિન્ડર સહિતની વસ્તુઓ મળી આવી હતી.
ઇન્દોરમાં ભીખ માંગવા પર પ્રતિબંધ છે, અને વહીવટી તંત્ર આવું કરનારાઓ સામે કાર્યવાહી કરવાનું વચન આપે છે. અહીં પુનર્વસનકેન્દ્રો પણ સ્થાપિત કરવામાં આવ્યાં છે, જ્યાં ભિખારીઓનું પુનર્વસન કરવામાં આવે છે અને તેમને ભીખ માંગવાનું બંધ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.
ઇન્દોરમાં ભિક્ષુ પુનર્વસન કેન્દ્ર ચલાવતાં રૂપાલી જૈને જણાવ્યું હતું કે, "માંગીલાલને પહેલાં પણ રૅસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. તેઓ રક્તપિત્તના દર્દી છે, આથી તેમને રક્તપિત્તકેન્દ્રમાં રાખવામાં આવ્યા હતા. જ્યારે તેમનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે તેઓ પહેલાં મિસ્ત્રીનું કામ કરતા હતા અને ત્યારથી તેમની પાસે એક ઘર હતું."
રૂપાલી જૈને કહ્યું, "તેમનો એક ભાઈ પણ છે, પરંતુ તે સમયે રક્તપિત્તને કારણે તેમને પરિવાર છોડવો પડ્યો હતો. રક્તપિત્તને કારણે માંગીલાલની આંગળીઓ અને પગના અંગૂઠાને નુકસાન થયું હતું. ત્યારબાદ તેઓ બે વર્ષ સુધી ક્યાંય ભીખ માગતા જોવા મળ્યા ન હતા. પરંતુ પછી તેમણે ફરીથી ભીખ માંગવાનું શરૂ કર્યું."
તેમણે કહ્યું કે ઝુંબેશ દરમિયાન ઘણા એવા લોકો પણ મળી આવ્યા હતા જેઓ તેમના આખા પરિવાર સાથે દરરોજ લગભગ વીસ હજાર રૂપિયાની ભીખ માંગતા હતા.
ઇન્દોરમાં કેવા પ્રકારનું અભિયાન ચાલી રહ્યું છે?
ઇન્દોરમાં છેલ્લાં ચાર વર્ષ દરમિયાન 5500 લોકોને ભીખ માગવાથી મુક્ત કરીને પુનર્વસન કરવામાં આવ્યું છે, જેમાં 900 બાળકોનો પણ સમાવેશ થાય છે.
ઇન્દોરમાં ભિક્ષુઓ માટેનું એક પુનર્વસનકેન્દ્ર 63 લોકોનું પુનર્વસન કરી રહ્યું છે જેઓ અગાઉ ભિખારી તરીકે કામ કરતા હતા. આ કેન્દ્રમાં આવતા ભિક્ષુઓની પરિવારો મુલાકાત પણ લે છે. પરંતુ જ્યાં સુધી તેમનું પુનર્વસન પૂર્ણ ન થાય ત્યાં સુધી તેમને તેમના પરિવારોમાં પાછા મોકલવામાં આવતા નથી.
અહીં લાવવામાં આવેલા ઘણા લોકો ભીખ માગતા હતા અને ડ્રગ્સનો ઉપયોગ કરતા હતા. ઇન્દોરના 27 વર્ષીય નીરજ ભાર્ગવને પણ એક મહિના પહેલાં આ રીતે બચાવી લેવામાં આવ્યા હતા.
નીરજનાં બહેન અનુરાધાએ બીબીસીને જણાવ્યું હતું કે તેઓ આખરે તેમના ભાઈને જોઈને ખુશ છે. કારણ કે તે પહેલાં તો ઓળખી પણ નહોતો શકતો. જ્યારે તે સંપૂર્ણપણે સ્વસ્થ થઈ જશે ત્યારે અનુરાધા તેમને ઘરે લઈ જશે.
ઇન્દોરના રહેવાસી 27 વર્ષીય રવિ યાદવને પણ લગભગ એક વર્ષ પહેલા અહીં લાવવામાં આવ્યા હતા. પુનર્વસનકેન્દ્રમાં આવ્યા પછી, તેમણે દેવતાઓની મૂર્તિઓ કોતરવાનું શીખી લીધું છે.
રવિએ બીબીસીને જણાવ્યું કે તે અહીં કામ કરીને દર મહિને નવ હજાર રૂપિયા કમાય છે. સંપૂર્ણ સ્વસ્થ થયા પછી, તેઓ ઘરે પાછા ફરવા માગે છે અને તેના પરિવાર સાથે રહેવા માગે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












