મોટી વયે શરૂ થયેલી ટૂંકી કારકિર્દીમાં દિલીપ દોશી છવાઈ ગયા હતા, એક ગુજરાતી ક્રિકેટરની કહાણી

    • લેેખક, તુષાર ત્રિવેદી
    • પદ, બીબીસી ગુજરાતી માટે

દિલીપ દોશી એક એવા ગુજરાતી ક્રિકેટર અને વિદેશી ધરતી પર રમવાનો બહોળો અનુભવ પરંતુ પર્યાપ્ત તક મળી નહીં. આમ છતાં દિલીપ દોશીએ જે પણ તક મળી તેનો બંને હાથે લાભ લઈ લીધો અને 32 વર્ષની વયે ટેસ્ટ કારકિર્દીની શરૂઆત કરવા છતાં તેઓ એટલા પ્રભાવશાળી રહ્યા કે આજે પણ તેમના પ્રદર્શનને યાદ કરાય છે.

સોમવારે સાંજે લંડનમાં ભારતના આ એક અત્યંત પ્રભાવશાળી ક્રિકેટરનું નિધન થયું. આ સાથે ભારતના એક અનોખા સ્પિન યુગનો અંત આવ્યો.

વર્તુળમાં દિલીપભાઈ તરીકે જાણીતા આ લેફ્ટ આર્મ સ્પિનર 1980ના દાયકાની શરૂઆતમાં ભારતીય બૉલિંગ લાઇનનો મુખ્ય ભાગ બની ગયા હતા. એક તરફ બિશનસિંઘ બેદી, એરાપલ્લી પ્રસન્ના, ભાગવત ચંદ્રશેખર અને શ્રીનિવાસ વેંકટરાઘવન જેવા મહાન સ્પિનર્સના યુગનો અંત આવી રહ્યો હતો અને બીજી તરફ કપિલદેવ સહિતના ઝડપી બૉલરના યુગનો પ્રારંભ થઈ રહ્યો હતો.

તે સમયે એવી સ્થિતિ હતી કે ભારતને સ્પિનરની ખોટ પડવા લાગી હતી. હજી અનિલ કુંબલે, હરભજનસિંઘ અને રવિચંદ્રન અશ્વિનના આગમનને વાર હતી ત્યારે ટીમમાં એવા સ્પિનરની જરૂર હતી જે ચાર મહાન સ્પિનરનો વારસો આગળ ધપાવી શકે. એવામાં ઇંગ્લૅન્ડમાં નિયમિતપણે કાઉન્ટી ક્રિકેટ રમતા અને સફળ રહેતા દિલીપ દોશી પર પસંદગીકારોની નજર પડી અને તેમણે આવેલી તક કે પડકાર ઝીલી લીધો.

દિલીપ દોશી અને કપિલદેવની જોડી

તે સમયમાં ભલે ભારત પાસે ઉમદા સ્પિનર રહેતા હતા પરંતુ ટીમને જે સફળતા અને ખાસ કરીને વિદેશી ધરતી પર જરૂરી એવી સફળતા કપિલદેવ અને દિલીપ દોશીની જોડીએ અપાવી છે.

તેમાંની એક યાદગાર ટેસ્ટ એટલે 1981ના ફેબ્રુઆરીની મેલબૉર્ન ટેસ્ટ. આ મૅચ અગાઉ ભારત સિરીઝમાં 0-1થી પાછળ હતું અને સિરીઝ બચાવવા માટે ભારતે મેલબૉર્ન ટેસ્ટ જીતવી જરૂરી હતી. તેવામાં દોશીએ પ્રથમ દાવમાં પાંચ વિકેટ ઝડપી અને બીજા દાવમાં બે વિકેટ તેમના ભાગે આવી.

કપિલદેવે એ ટેસ્ટના અંતિમ દિવસે તરખાટ મચાવ્યો તે અગાઉ ભારતની જીતનો પાયો દોશી અને કરસન ઘાવરીએ નાખ્યો હતો. 143 રનના સામાન્ય (એ વખતની ઓસ્ટ્રેલિયન ટીમને જોતાં) લાગે તેવા ટારગેટ સામે રમવા આવેલી કાંગારું ટીમની પહેલી બે વિકેટ તો કરસન ઘાવરીએ બે બૉલમાં ખેરવી દીધી પરંતુ ખતરનાક બની રહેલા ગ્રીમ વૂડને સ્ટમ્પ કરાવવાની ચતુરાઈ દોશીએ દાખવી હતી અને પછી કપિલદેવ ત્રાટક્યા અને જે બન્યું તે ઇતિહાસ છે.

આ તો દિલીપ દોશી અને કપિલદેવની પેસ-સ્પિન જોડીની સફળતાનું એક માત્ર ઉદાહરણ છે.

આ મૅચના લગભગ દોઢ દાયકા બાદ એક વાર તેમની સાથે મુલાકાત થઈ ત્યારે દિલીપભાઈએ એક સરસ હકીકત રજૂ કરી હતી. તેમનું કહેવું હતું કે કપિલદેવ અને તેમણે મળીને ભારત માટે કેટલી વિકેટ લીધી છે તેની ગણતરી કરવામાં આવે તો અન્ય તમામ પાછળ રહી જાય.

ઉમદા ક્રિકેટર અને ઉમદા વ્યક્તિ

દિલીપ દોશી ઉમદા ક્રિકેટરની સાથે સાથે ઉમદા વ્યક્તિ પણ હતા. તેઓ પરિસ્થિતિથી જરાય વિચલિત થતા ન હતા અને એકધારી બૉલિંગ કરી શકતા હતા. આખરે જીવનના યુવાનીનાં વર્ષો તેમણે ટેસ્ટ ટીમમાં પ્રવેશ માટે વીતાવ્યાં હતાં એટલે તેમનામાં ધીરજ તો ચોક્કસ હતી અને એ જ ધીરજ તેમને બૉલિંગ કરતી વખતે પણ કામ લાગતી હતી.

તેમની સાથે અને સામે ઘણી વાર રમી ચૂકેલા ક્રિકેટ ઇતિહાસના સર્વકાલીન મહાન કેરેબિયન ઑલરાઉન્ડર ગૅરી સોબર્સ પણ રાજકોટમાં જન્મેલા આ સ્પિનરથી પ્રભાવિત હતા. સોબર્સ કહેતા કે, "દિલીપમાં ક્રિકેટનું એટલું બધું જ્ઞાન છે કે જેઓ પ્રોફેશનલ ક્રિકેટમાં આવવા માગતા હોય તેમણે દિલીપ દોશીની મદદ લેવી જોઈએ. તેઓ વિશ્વભરમાં એટલું બધું ક્રિકેટ રમ્યા છે કે સ્પિન બૉલિંગની કલા વિશે તેનાથી બહેતર કોઈ નથી જે તમને સમજાવી શકે."

દિલીપ દોશીના પરમ મિત્ર અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનના નિરંજન શાહ પણ આ પ્રસંગે વ્યથિત થઈ ગયા છે. તેમણે પોતાના મિત્રને અંજલિ આપતાં કહ્યું હતું કે, "દિલીપ એક મહાન ક્રિકેટર તો હતા જ પરંતુ સાથે સાથે એક ઉમદા વ્યક્તિ હતા. તેમની હાજરીથી જ તમારામાં સકારાત્મક ઊર્જા આવી જતી હતી."

દિલીપ દોશી કઈ રીતે નસીબના બળિયા હતા?

હવે તેમની કારકિર્દી પર આવીએ તો...ભારતમાં કે સમગ્ર ક્રિકેટ જગતમાં અત્યારે ક્રિકેટરો પાસે કરારો કરીને અલગ-અલગ ટીમોમાં રમવાની તકો ઉપલબ્ધ છે પરંતુ અગાઉ આ બાબત એટલી સામાન્ય ન હતી ત્યારે સૌરાષ્ટ્રના રાજકોટમાં જન્મેલા દિલીપ દોશીએ છેક 1968માં બંગાળ માટે રમવાનું પસંદ કર્યું.

એ જમાનામાં પણ અથવા તો તે અગાઉ પણ ક્રિકેટર આ રીતે પોતાના જન્મસ્થળને બદલે અન્ય રાજ્યોમાં જઈને રમતા હતા પરંતુ તેમાંના મોટા ભાગનાએ કારકિર્દીનો પ્રારંભ તો પોતાના રાજ્યમાંથી જ કર્યો હતો અને ત્યાર બાદ અન્ય ટીમ માટે રમ્યા હતા. આમ છતાં છેલ્લા દાયકાઓથી દિલીપ દોશી મૂળ તો ગુજરાતી અને સૌરાષ્ટ્રના જ રહ્યા હતા.

દિલીપ દોશી તેમની ટેસ્ટ કારકિર્દી સમાપ્ત થયા બાદ સૌરાષ્ટ્ર માટે કેટલીક રણજી ટ્રૉફી અને ફર્સ્ટ ક્લાસ મૅચમાં રમ્યા હતા પરંતુ તે સિવાય એક ક્રિકેટર તરીકે તેમનો સૌરાષ્ટ્ર સાથે ખાસ નાતો રહ્યો ન હતો.

1960ના દાયકાના અંત ભાગમાં તેઓ કોલકાતા ચાલ્યા ગયા અને ત્યાંથી બંગાળ માટે રણજી ટ્રૉફી તથા ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ મૅચમાં રમવાનું શરૂ કર્યું હતું.

ભારતીય ક્રિકેટમાં મહાન ગણાતા સ્પિનર્સ એરાપલ્લી પ્રસન્ના, બિશનસિંઘ બેદી, ભાગવત ચંદ્રશેખર અને વેંકટરાઘવનને કારણે ઘણા સ્પિનર્સને ટેસ્ટ રમવાની તક મળી ન હતી કેમ કે આ સ્પિનર્સ સુપરસ્ટાર્સ હતા અને કોઈ પસંદગીકાર એકાદ મૅચ માટે પણ તેમને ટીમમાંથી બાકાત રાખીને અન્ય સ્પિનરને સ્થાન આપવાની હિંમત કરી શકતો ન હતો જેને કારણે ઘણા સ્પિનર એવા છે જેમને ટેસ્ટ રમવાની તક મળી નહીં અથવા તો મળી ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું.

રાજિન્દરસિંઘ ગોયલ કે પદ્માકર શિવાલકર અને ગુજરાતના લેફ્ટ આર્મ સ્પિનર અશોક જોશી તો આટલા બધા સફળ હોવા છતાં તેમને ક્યારેય ટેસ્ટ રમવાની તક જ સાંપડી ન હતી જેમની સરખામણીએ દિલીપ દોશી નસીબદાર રહ્યા કે તેમને ભલે 32 વર્ષની વયે પણ કમસે કમ ટેસ્ટ રમવાની તક તો સાંપડી હતી.

ભારતીય ટેસ્ટ ટીમની સફળતામાં સિંહફાળો

દિલીપ દોશીને મદ્રાસ (હવે ચેન્નાઈ)ના ચેપોક ખાતે પહેલી ટેસ્ટ રમવાની તક મળી જેમાં તેમણે પહેલી જ ઇનિંગ્સમાં ઑસ્ટ્રેલિયાની છ વિકેટ ખેરવી દીધી. આટલા પ્રભાવશાળી પ્રારંભ બાદ દિલીપ દોશી તેમની 33 ટેસ્ટની કારકિર્દીમાં લગભગ દરેક ટેસ્ટમાં સફળ રહ્યા હતા. ખાસ વાત તો એ હતી કે ભારતની પ્રખ્યાત સ્પિન ત્રિપુટી કે સ્પિન ચોકડી બાદ કોઈ સ્પિનર્સ (કુંબલે કે હરભજન કે અશ્વિન-જાડેજા)ને બાદ કરતાં આવી સફળતા કોઈને સાંપડી નથી અથવા તો જે સમયે દિલીપ દોશીએ કારકિર્દીનો પ્રારંભ કર્યો ત્યારે કોઈને આવી સફળતાની કલ્પના પણ ન હતી.

દિલીપ દોશી જેટલું ભારતમાં રમ્યા છે તેટલું જ અથવા તો તેના કરતાં વધારે ઇંગ્લૅૅન્ડમાં કાઉન્ટી ક્રિકેટમાં રમ્યા છે અને એ વારસો તેમના પુત્ર નયન દોશીએ પણ જાળવી રાખ્યો હતો. દિલીપ દોશીએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 898 વિકેટ ખેરવી હતી.

ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની 898 વિકેટમાંથી દોશીએ બંગાળ માટે તો સ્વાભાવિકપણે વધારે (311) વિકેટો લીધી હોય પરંતુ તેમાં નોટ્ટિંગહામશાયર માટેની 157 અને વૉરવિકશાયર માટેની 146 વિકેટની સરવાળો કરીએ તો હિસાબ બરાબર થઈ જાય.

હકીકતમાં કાઉન્ટી ક્રિકેટના બહોળા અનુભવનો જ દિલીપ દોશીને ભારત માટે રમતી વખતે લાભ મળ્યો હતો. ખરેખર તો 1979માં તેમણે કારકિર્દીનો પ્રારંભ કર્યો ત્યાર બાદ ભારતીય ટેસ્ટ ટીમે જે કાંઈ સફળતા હાંસલ કરી હતી તેમાં ભારતના ખ્યાતનામ બૅટ્સમૅન સુનીલ ગાવસ્કર, ગુંડપ્પા વિશ્વનાથ, દિલીપ વેંગસરકર અને મોહિન્દર અમરનાથ જેટલો જ અથવા તો તેના કરતાં પણ વધારે ફાળો કપિલદેવ અને દિલીપ દોશીનો રહ્યો હતો.

1979-80માં ઑસ્ટ્રેલિયા સામે અને 1981-82માં ઇંગ્લૅન્ડ સામે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે ભારતે ટેસ્ટ જીતી તે બંને મૅચમાં દોશીએ પાંચ પાંચ વિકેટ ખેરવી હતી. 1982-83માં ભારતીય ટીમ પાકિસ્તાનના પ્રવાસે ગઈ ત્યારે દિલીપ દોશી ટીમના સૌથી અનુભવી ખેલાડી પૈકીના એક બની ગયા હતા.

આ સિરીઝ બૅટિંગમાં ઝહીર અબ્બાસ અને બૉલિંગમાં ઇમરાન ખાનના આતંક માટે જાણીતી હતી તો સામે પક્ષે મોહિન્દર અમરનાથે એકલા હાથે ભારત માટે લડત આપી હતી તેમ કહેવાતું આવ્યું છે પરંતુ લાહોરમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ ભારતે ડ્રૉ કરી તેમાં મોહિન્દરની સદી ઉપરાંત દોશીની પાંચ વિકેટ કામ કરી ગઈ હતી તે બાબતની ખાસ નોંધ લેવાઈ નથી.

ગરમાગરમ ભોજનથી સ્ટાઇલિશ વસ્ત્રો

દિલીપ દોશીની બીજી એક ખાસિયત ઊડીને આંખે વળગતી હતી તે તેમની ફિલ્ડિંગ હતી. વર્તમાન ક્રિકેટમાં ફિલ્ડિંગ પર વધારે ભાર મૂકવામાં આવે છે અને લગભગ દરેક ખેલાડી એક ઍથ્લીટની માફક ફિલ્ડિંગ કરતો હોય છે પરંતુ આજથી ત્રણેક દાયકા અગાઉ ફિલ્ડિંગમાં આવી જાગૃતિ ન હતી ત્યારે પોતાની શક્તિ બચાવી રાખવા માટે દિલીપ દોશી ફાઇન લેગ કે બાઉન્ડ્રી પરથી બૉલિંગ કરતા હોય તે રીતે થ્રો કરતા હતા જે એ સમયે આકર્ષણનું કેન્દ્ર રહેતી હતી.

ગરમાગરમ ભોજન હોય કે સ્ટાઇલિશ વસ્ત્રોની વાત આવે તેમાં પણ દોશી હંમેશાં આગળ રહેતા હતા તો સાથે સાથે તેઓ પોતાના મૃદુ સ્વભાવને કારણે પણ ટીમમાં તથા અન્ય તમામ સ્થળે આકર્ષણનું કેન્દ્ર રહેતા હતા.

ક્રિકેટમાં ઉચ્ચ કક્ષાએ તક મળે નહીં અથવા તો તેમાં વિલંબ થાય તો કેવી રીતે ધીરજ રાખીને શાનદાર પ્રદર્શન કરતા રહેવું અને તક મળે ત્યારે તેને યોગ્ય રીતે ઝડપીને કેવો પ્રભાવ દાખવવો તેનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ દિલીપ દોશીની કારકિર્દી છે.

બીબીસી માટે કલેકટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન