સુરેશ મહેતા : ગુજરાતના એ પૂર્વ CM જેમણે ભાજપ છોડીને મોદી સામે મોરચો માંડ્યો હતો

છ મહિનામાં જ કેશુભાઈની સરકાર ઉથલાવી નાખી અને તેમની જગ્યાએ સર્વસ્વીકૃત નેતા તરીકે સુરેશ મહેતાની પસંદગી થઈ હતી

ઇમેજ સ્રોત, Kalpit S Bhachech

ઇમેજ કૅપ્શન, છ મહિનામાં જ કેશુભાઈની સરકાર ઉથલાવી નાખી અને તેમની જગ્યાએ સર્વસ્વીકૃત નેતા તરીકે સુરેશ મહેતાની પસંદગી થઈ હતી
    • લેેખક, દર્શન દેસાઈ
    • પદ, બીબીસી ગુજરાતી માટે
લાઇન
  • ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી સુરેશ મહેતા પોતાના વિષયના ઊંડા અભ્યાસ અને મુદ્દાને રજૂ કરવાની છટાને લઈને જાણીતા હતા
  • જ્યારે શંકરસિંહ વાઘેલાએ ભાજપને વર્ષો બાદ ગુજરાતમાં મળેલ સત્તામાં વિઘ્ન પાડ્યું ત્યારે મોવડીમંડળના આદેશથી સુરેશ મહેતાને મુખ્ય મંત્રી બનાવાયા હતા
  • તેઓ ગુજરાતના જનસંઘના કેટલાક શરૂઆતના સભ્યો પૈકી એક હતા
  • મુખ્ય મંત્રી પદ પર રહ્યા બાદ જ્યારે તેમને લાગ્યું કે પક્ષમાં લોકશાહી ખતમ થઈ ગઈ છે તો તેમણે અંતે પક્ષમાંથી રાજીનામું આપ્યું હતું
  • નરેન્દ્ર મોદીના ગુજરાત ભાજપ પર કથિત એકહથ્થુ શાસનનો અંત આણવા માટે તેમણે ભાજપ વિરુદ્ધ પ્રચાર કરવો પડ્યો હતો
લાઇન

સ્થિતપ્રજ્ઞ હોય તેવું નામ રાજકારણમાં જડે નહીં, પણ એક નામ છે સુરેશ મહેતા. જેમને સંજોગોવશાત્ ગુજરાતના મુખ્ય મંત્રી બનવા મળી ગયું હતું.

ગુજરાતમાં પ્રથમ વખત ભાજપને પોતાના જોર પર બહુમતી મળી અને 182માંથી 121 બેઠકો મળી. કેશુભાઈ પટેલ મુખ્ય મંત્રી બન્યા, પરંતુ તેમને છ મહિનામાં જ ઉથલાવી નખાયા અને તેમની જગ્યાએ સર્વસ્વીકૃત નેતા તરીકે સુરેશ મહેતાની પસંદગી થઈ હતી.

1990માં ગુજરાતમાં ભાજપને પ્રથમવાર સત્તાનો સ્વાદ ચાખવા મળ્યો હતો. તે વખતે ચીમનભાઈ પટેલના જનતા દળ (ગુજરાત) સાથે ભાગીદારીમાં ભાજપને સત્તા મળી હતી, પરંતુ તે પછી 1995માં હવે પોતાના જોર પર સત્તા મળી તે ભાજપ માટે સીમાચિહ્ન હતું.

હવે 86 વર્ષની ઉંમરે પહોંચેલા સુરેશભાઈ જાણે છે કે પોતાનો સ્વભાવ સૌમ્ય રહ્યો હતો અને તેઓ સિદ્ધાંતોમાં બાંધછોડ કરતાં નહોતા. કદાચ તેના કારણે જ શંકરસિંહ વાઘેલા અને નરેન્દ્ર મોદીની છાવણી સામસામે ગોઠવાઈ ગઈ હતી ત્યારે પણ સુરેશ મહેતા તટસ્થ વ્યક્તિ તરીકે ટકી ગયા હતા.

જોકે તેમને ધારણા હતી તે પ્રમાણે એક વર્ષ માંડ તેઓ પૂરું કરી શક્યા.

line

વાજપેયીએ સમાધાનના ભાગરૂપે સુરેશ મહેતાને CM બનાવ્યા

અટલજી અને કેશુભાઈ પટેલ સાથે સુરેશ મહેતા

ઇમેજ સ્રોત, Kalpit S Bhachech

ઇમેજ કૅપ્શન, અટલજી અને કેશુભાઈ પટેલ સાથે સુરેશ મહેતા

શંકરસિંહ વાઘેલાએ ફરીથી બળવો કર્યો અને પોતાની અલગ રાષ્ટ્રીય જનતા પાર્ટીની રચના કરી. કૉંગ્રેસે તેમને બહારથી ટેકો આપ્યો અને તે રીતે વાઘેલા મુખ્ય મંત્રી બન્યા.

વાઘેલાના બળવા પછી પક્ષમાં તડ પડતાં અટકાવવા માટે ભાજપના વરિષ્ઠ નેતા અટલ બિહારી વાજપેયી ગુજરાત દોડી આવ્યા હતા.

નરેન્દ્ર મોદી જૂથ અને કેશુભાઈ પટેલ પણ કોઈ પણ સંજોગોમાં શંકરસિંહ વાઘેલાને મુખ્ય મંત્રી તરીકે સ્વીકારવા માટે તૈયાર નહોતા.

તેથી પ્રથમવાર બળવો થયો ત્યારે વાજપેયીએ આખરે સમાધાન કરાવ્યું હતું અને સમાધાનના ભાગરૂપે જ બંને જૂથોને સ્વીકાર્ય બને તેવા નેતા તરીકે સુરેશ મહેતાને ગાદી સોંપવામાં આવી હતી.

ગાંધીનગર અમદાવાદ હાઈવે પર પોતાના સાદા આવાસમાં બીબીસી સાથે વાતચીત કરતાં સુરેશભાઈ કહે છે,

"આવા કલુષિત વાતાવરણમાં હું મુખ્ય મંત્રી બનવા માટે તૈયાર નહોતો. મને ખ્યાલ હતો કે જૂથો વચ્ચેની અને પક્ષની આંતરિક ખેંચતાણમાં હું સ્વતંત્ર રીતે કામ કરી શકીશ નહીં. આંતરિક ખટપટનું ગંદું રાજકારણ મને ક્યારેય ફાવ્યું નથી."

line

જ્યારે અટલજીએ મહેતાને કહ્યું, 'રણછોડ મત બનીએ'

શંકરસિંહ વાઘેલા સાથે સુરેશ મહેતા

ઇમેજ સ્રોત, Kalpit S Bhachech

ઇમેજ કૅપ્શન, શંકરસિંહ વાઘેલા સાથે સુરેશ મહેતા

મૂળ કચ્છના માંડવીના સુરેશભાઈ યાદ કરતાં કહે છે, "જોકે અટલજીએ કહ્યું કે અત્યારે પક્ષ પર મોટું સંકટ આવ્યું છે ત્યારે તમારે જવાબદારી સ્વીકારવી જોઈએ."

"હું હજી પણ અવઢવમાં હતો ત્યારે તેમણે કહ્યું કે, "દેખીએ રણછોડ મત બનીએ, ઇસ કો લેલો". તેથી આખરે હું તૈયાર થઈ ગયો, હજી મારું મન માનતું નહોતું. હું અટલજી માટે બહુ માન ધરાવતો હતો અને તેમણે કહ્યું હતું એટલે મારે તેનું પાલન કરવું પડે તેમ હતું."

21 ઑક્ટોબર 1995ના રોજ તેઓ મુખ્ય મંત્રી બન્યા, પણ સપ્ટેમ્બર 1996માં તેમની સત્તા જતી રહી હતી.

વાઘેલાએ ફરીથી બળવો કર્યો એટલે હવે વિધાનસભામાં ભારે ધમાલ પછી ગુજરાતમાં રાષ્ટ્રપતિશાસન લાગુ કરી દેવાયું હતું.

વાઘેલાએ રાજપની સ્થાપના કરી અને કૉંગ્રેસનું સમર્થન મળ્યું તે પછી નવી સરકારની રચના કરવામાં આવી હતી. જોકે તે સરકાર પણ લાંબી ચાલી નહોતી અને 1998માં ગુજરાતમાં ફરીથી ચૂંટણી આવી પડી હતી.

1998માં ભાજપને ફરી બહુમતી મળી અને ફરી કેશુભાઈ પટેલ મુખ્ય મંત્રી બન્યા. તેમની સરકારમાં અગાઉની જેમ જ સુરેશ મહેતાને ઉદ્યોગમંત્રી તરીકે ચાલુ રખાયા હતા.

કાયદાની ડિગ્રી ધરાવતા સુરેશભાઈ બંધારણીય બાબતોના નિષ્ણાત રહ્યા છે અને ગૃહમાં ગમે તેવા અઘરા મુદ્દા પર વિપક્ષ ઘેરે ત્યારે તેને ખાળી શકતા હતા.

line

અભ્યાસુ મંત્રી સુરેશ મહેતા

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન સાથે સુરેશ મહેતા

ઇમેજ સ્રોત, Kalpit S Bhachech

ઇમેજ કૅપ્શન, અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન સાથે સુરેશ મહેતા

જુદા જુદા મુદ્દાઓ પર વિપક્ષ વિધાનગૃહમાં સરકારને ઘેરવા પ્રયત્ન કરે ત્યારે સુરેશભાઈ પોતાની આવડતને કારણે કાર્યવાહીને સંભાળી લેતા હતા. એક અભ્યાસુ મંત્રી તરીકે સુરેશ મહેતા હંમેશાં પોતાના વિષયની માહિતી સાથે સજ્જ રહેતા.

આંકડા અને કાનૂની જોગવાઈઓ તેમને આંગળીને વેઢે હોય.

પત્રકારો સામે પણ હંમેશા તેઓ જવાબો આપવા માટે સજ્જ રહેતા. ભલે એકાદ વર્ષ માટે જ તેઓ મુખ્ય મંત્રીપદે રહ્યા હતા, પણ આ અનુભવના કારણે તેમને સમગ્ર રીતે સરકારનાં કામકાજની અને અન્ય મંત્રાલયોની જાણકારી પણ મળી હતી.

તેઓ યાદ કરતાં કહે છે, "હું નાનપણથી જ જાહેરજીવનમાં આવી ગયો હતો. હું માત્ર 12 વર્ષનો હતો ત્યારે 1947માં ભારતને આઝાદી મળી હતી. કચ્છ ભારત સંઘમાં ભળી ગયો ત્યારે ઘણી બધી ચળવળો ચાલી હતી તેનો મને ખ્યાલ છે. કચ્છને પ્રથમ બૉમ્બે સ્ટેટમાં ભેળવવામાં આવ્યું હતું અને બાદમાં મહારાષ્ટ્ર અને ગુજરાત બે રાજ્યો તેમાંથી અલગ પડ્યાં ત્યારે કચ્છને ગુજરાતમાં સમાવી લેવામાં આવ્યું."

"આ રીતે કચ્છ એક સ્વતંત્ર રજવાડું હતું તેમાંથી બે જુદા જુદા રાજ્યોમાં જિલ્લા તરીકે સ્થાન પામ્યું તેનો ચિતાર નાનપણથી મને મળ્યો હતો."

સુરેશ મહેતા સ્વતંત્ર પક્ષમાં જોડાયા હતા અને રાજકારણમાં પગ મૂક્યો હતો. કૉંગ્રેસથી અલગ થઈને રાજગોપાલાચારીએ સ્વતંત્ર પક્ષની સ્થાપના કરી હતી.

આ પક્ષ જોકે માત્ર 1959 સુધી જ ચાલ્યો હતો. દરમિયાન 1957ની લોકસભાની ચૂંટણી આવી ત્યારે કાર્યકર્તા તરીકે સુરેશભાઈ જનસંઘમાં જોડાઈ ગયા હતા.

line

જનસંઘના શરૂઆતના સભ્યો પૈકી એક

કેશુભાઈ પટેલને મુખ્ય મંત્રીપદેથી હઠાવાયા બાદ સુરેશ પટેલને પદભાર સોંપાયો

ઇમેજ સ્રોત, Kalpit S Bhachech

ઇમેજ કૅપ્શન, કેશુભાઈ પટેલને મુખ્ય મંત્રીપદેથી હઠાવાયા બાદ સુરેશ પટેલને પદભાર સોંપાયો

જનસંઘમાં તેઓ સત્તાવાર રીતે 1964માં કચ્છ એકમમાં જોડાયા હતા. તે વિશે વાત કરતાં સુરેશભાઈ કહે છે, "તે વખતે જનસંઘમાં માત્ર 150 સભ્યો હતા".

આગળ જતાં જનસંઘમાંથી જ ભારતીય જનતા પક્ષનો જન્મ થયો હતો.

સુરેશભાઈ કહે છે, "હું ક્યારેય આરએસએસની બહુ નિકટ નહોતો રહ્યો, પરંતુ મારી વિચારસરણી હંમેશાં વ્યાપક બિનસાંપ્રદાયિક રાષ્ટ્રવાદની રહી હતી. યુવાનીમાં પણ મારો અભિગમ કચ્છની ધરતી, દેશ કી ધરતી એ પ્રકારનો રહ્યો હતો અને તેમાં ક્યાં ધર્મનાં વાડાં નહોતાં."

સુરેશ મહેતાએ પ્રથમવાર 1971માં વિધાનસભાની ચૂંટણી લડી. તે પછી 1974માં ધારાસભ્યના અવસાનને કારણે ખાલી પડેલી બેઠક પર પેટાચૂંટણીમાં પણ લડ્યા.

બંને વાર તેઓ હારી ગયા હતા. તે પછી 1975માં પ્રથમવાર માંડવી બેઠક પરથી તેઓ જીત્યા. 1980માં તેઓ ચૂંટણી લડ્યા નહોતા, પરંતુ તે પછી 1995થી ફરી તેઓ માંડવીથી સતત જીતતા રહ્યા અને પાંચ વાર ધારાસભ્ય બન્યા હતા.

કેશુભાઈ 1998માં ફરી મુખ્ય મંત્રી બન્યા પણ તેઓ પાંચ વર્ષ પૂરા કરી શક્યા નહીં. ફરી એકવાર તેમને હઠાવી દેવાયા અને નરેન્દ્ર મોદીને તેમની જગ્યાએ મૂકવામાં આવ્યા.

તે વખતે સિદ્ધાંતોને આગળ ધરીને સુરેશભાઈ મહેતાએ મોવડીમંડળને જણાવેલું કે તેમના માટે નરેન્દ્ર મોદી જેવા જુનિયર નેતાના હાથ નીચે કામ કરવું મુશ્કેલ છે. જોકે ફરી એક વાર તેમણે મોવડીમંડળના આગ્રહ આગળ ઝૂકવું પડ્યું અને વાજપેયીએ આગ્રહ કર્યો તેથી તેઓ ઉદ્યોગમંત્રી તરીકે કામ કરતાં રહ્યા.

line

અંતે ભાજપ છોડ્યો

સુરેશ મહેતા

ઇમેજ સ્રોત, Kalpit S Bhachech

ઇમેજ કૅપ્શન, સુરેશ મહેતા

જોકે ડિસેમ્બર 2002ની વિધાનસભાની ચૂંટણીમાં સુરેશ મહેતા હારી ગયા અને આમ પણ હવે ભાજપમાં માત્ર "એક જ માણસ (નરેન્દ્ર મોદી)ની મરજી પ્રમાણે જ કામ થાય છે" તેનો વિરોધ કરીને ભાજપ છોડી દેવાનો નિર્ણય કર્યો હતો.

2007માં તેમણે ભાજપ છોડવાની જાહેરાત કરી ત્યારે પત્રકારપરિષદમાં જણાવ્યું હતું કે: "જે મકાનને મેં ચણીને એક મહેલ જેવું બનાવ્યું હતું તે (ભાજપ) હવે હું છોડી રહ્યો છું, કેમ કે ત્યાં હવે રહી શકાય તેમ નથી. એક જ માણસની મુનસફી પર આખો પક્ષ ચાલી રહ્યો છે ત્યારે મેં નિર્ણય કર્યો છે કે મારા માટે પક્ષ છોડી દેવો એ જ બેસ્ટ છે."

ભારે અફસોસની લાગણી સાથે સુરેશભાઈ કહે છે કે, "તેમણે પોતાના જીવનના 50 વર્ષ જે પક્ષને મજબૂત કરવામાં ખર્ચી નાખ્યા તેને છોડવો પડ્યો. એટલું જ નહીં હવે નરેન્દ્ર મોદીને ફરીથી સત્તામાં આવતા રોકવા માટે 2007ની ચૂંટણીમાં તેમણે પક્ષ વિરુદ્ધ પ્રચારમાં પણ જોડાવું પડ્યું. તે વખતે તેમણે નરેન્દ્ર મોદી અને તેમના ગુરુ મનાતા એલ. કે. અડવાણી પર આક્ષેપો મૂકતાં જણાવ્યું હતું કે આ નેતાઓએ પક્ષમાં આંતરિક લોકશાહીને ખતમ કરી નાખી છે."

ઑક્ટોબર 2001માં કેવી રીતે કોઈ વાંક વિના કેશુભાઈ પટેલને હોદ્દા પરથી દૂર કરાયા અને તેમની જગ્યાએ મોદીને ગોઠવી દેવાયા હતા તેની વિગતો પણ પત્રકારોને આપી હતી. આ વિશે વાત કરતાં સુરેશભાઈ કહે છે, "તે વખતે ભાજપના 117 ધારાસભ્યો હતા. અડવાણીએ કેશુભાઈને હઠાવીને તેમની જગ્યાએ મોદીને મૂકવાનું નક્કી કર્યું ત્યારે તેમાંથી એકેય ધારાસભ્યને પૂછવામાં આવ્યું નહોતું. આવી રીતને કારણે અમને બહુ લાગી આવ્યું હતું, પણ પક્ષના વ્યાપક હિતને ધ્યાનમાં રાખીને અમે સૌ ચૂપ રહ્યા હતા."

(લેખક ડેવલપમૅન્ટ ન્યૂઝ નેટવર્ક (DNN) ગુજરાતના તંત્રી છે)

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ