શંકરસિંહ વાઘેલા : નરેન્દ્ર મોદીના એક વખતના સાથી એમના જ લીધે જીતેલી બાજી કઈ રીતે હારતા ગયા?

ઇમેજ સ્રોત, SHANKERSINH VAGHELA/FACEBOOK
- લેેખક, દર્શન દેસાઈ
- પદ, બીબીસી ગુજરાતી માટે

- શંકરસિંહ વાઘેલાએ ફરી પ્રજાશક્તિ ડેમૉક્રેટિક પાર્ટી નામે નવા પક્ષની રચનાની તૈયારીઓ કરી છે.
- શંકરસિંહ સત્તાવાર રીતે 2022ની ચૂંટણી લડવાની ક્યારે જાહેરાત કરે છે તે જોવાનું રહે છે.
- શંકરસિંહ વાઘેલા વારંવાર કહી ચૂક્યા છે કે પોતે કૉંગ્રેસમાં ફરી જોડાવા તૈયાર છે.
- ભાજપમાં બાપુનો ઝડપી ઉદય થયો અને તેમને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ બનાવાયા હતા.
- 1995માં ગુજરાતની 182માંથી 121 બેઠકો જીતીને ભાજપે એકલે હાથે સત્તા મેળવી ત્યારે મુખ્ય મંત્રી તરીકે વાઘેલા પ્રબળ દાવેદાર હતા.

એક સમયે ગુજરાતમાં ભાજપનો એક મહત્ત્વનો આધારસ્તંભ શંકરસિંહ વાઘેલા હતા, પણ પ્રથમ વાર ભાજપને સત્તા મળી હતી ત્યારે તેમણે જ તેને ધ્વસ્ત કરી દીધી હતી. 82 વર્ષની વયે પણ તેઓ કોઈ રાજકીય પક્ષમાં નથી અને તેમ છતાં હજુ તેમણે હથિયાર હેઠાં નથી મૂક્યાં.
82 વર્ષની વયે શંકરસિંહ વાઘેલાએ ફરી એક વાર પ્રજાશક્તિ ડૅમોક્રેટિક પાર્ટી નામે નવા પક્ષની રચનાની તૈયારીઓ કરી લીધી છે.
ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ વાઘેલા સાથે મુલાકાતનું ટ્વીટ કરી તેમાં લખ્યું કે તેમની હવે પોતાની એક પાર્ટી છે.
શંકરસિંહ સત્તાવાર રીતે 2022ની ચૂંટણી લડવાની ક્યારે જાહેરાત કરે છે તે જોવાનું રહે છે. જોકે 2017માં પણ તેમણે જનવિકલ્પ નામે પક્ષની જાહેરાત કરી હતી.
બાપુના નામે જાણીતા શંકરસિંહ વાઘેલા વારંવાર કહી ચૂક્યા છે કે પોતે કૉંગ્રેસમાં ફરી જોડાવા તૈયાર છે. આ અંગેનો નિર્ણય સોનિયા ગાંધીએ કરવાનો છે એમ તેમણે કહેલું છે, પરંતુ તે શક્ય લાગતું નથી ત્યારે પોતાના અલગ પક્ષથી ચૂંટણી લડે તેવી શક્યતા છે.
ગાંધીનગરના સીમાડે આવેલા તેમના વિશાળ નિવાસસ્થાને તેમને મળ્યો ત્યારે ફિટ રહેવા માટે કસરત કરીને હજી બેઠા જ હતા.
કૉંગ્રેસમાં જોડાવા અંગેની અટકળો વિશે પૂછ્યું ત્યારે તેમણે મર્માળું હાસ્ય કરીને જવાબ આપ્યો હતો કે, "એ તો એમણે જોવાનું છે. 2017માં કૉંગ્રેસ સત્તાની ઘણી નજીક આવી ગઈ હતી, પણ છેલ્લી ઘડીએ તક ગુમાવી દીધી. હું જો હોત તો પક્ષ જીતી ગયો હોત."

શારીરિક અને રાજકીય રીતે ફિટ રહેવામાં માનતા શંકરસિંહ

ઇમેજ સ્રોત, Getty Images
આટલી ઉંમરે રાજકીય ઉપરાંત શારીરિક રીતે પણ ફિટ રહેવામાં બાપુ માને છે. તેમણે બીબીસી સાથે વાતચીત કરી તે પહેલાં અડધો કલાક જોગિંગ કર્યું અને કસરત કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
2020માં વાઘેલાને કોરોના પણ થયો, પરંતુ એકાદ અઠવાડિયું હૉસ્પિટલમાં રહ્યા અને એક મહિનામાં ફરી તરોતાજા થઈ ગયા. તેઓ કહે છે, "હું એવું માનતો આવ્યો છું કે મને ક્યારેય સાદો તાવ પણ ન આવે. હું હંમેશા સંતુલિત આહાર અને પુરતું દૂધ લઉં છું, એટલે જ મને લાગે છે કે હું કોરોનાનો સામનો કરી શક્યો."
કોરોનામાંથી સાજા થયા પછી તેમણે વધારે નિયમિત કસરત કરવાનું રાખ્યું અને તેથી જ લાગે નહીં કે તેઓ 80 વટાવી ગયા.
ગાંધીનગરના વાસણ ગામે 21 જુલાઈ, 1940માં જન્મેલા શંકરસિંહ વાઘેલાએ ગુજરાત યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં એમ.એ. કર્યું છે.

RSSથી જનસંઘ અને ભાજપ સુધી
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તેઓ જનસંઘમાં જોડાયા તે પહેલાં રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ સાથે જોડાયેલા હતા. જનસંઘમાં કેશુભાઈ પટેલ સહિતના જૂના જોગીઓ સાથે તેઓ પણ પાયાના નેતા તરીકે જોડાયા હતા.
1977માં જનસંઘ જનતા પક્ષમાં વિલીન થઈ ગયો, પરંતુ થોડાં વર્ષ પછી જનતા મોરચો વિખેરાઈ ગયો. તે પછી હવે જનસંઘ નવા સ્વરૂપે ભારતીય જનતા પક્ષ બન્યો હતો.
ભાજપમાં બાપુનો ઝડપી ઉદય થયો અને તેમને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ બનાવાયા. 1985માં તેમની સાથે પક્ષમાં આરએસએસ તરફથી નરેન્દ્ર મોદીને સંગઠનમંત્રી તરીકે મોકલવામાં આવ્યા હતા.
એ વાત આજે પણ જૂના લોકો યાદ કરે છે કે વાઘેલાના રાજદૂત પર પાછળ મોદી સવાર હોય અને બંને નેતાઓ આ રીતે આખું ગુજરાત ખૂંદી વળતા હતા.
આગળ જતા વાઘેલાએ ફિયાટ 1100 કાર ખરીદી હતી. કંપનીએ તે વખતે નવું-નવું આ મૉડલ મૂક્યું હતું. હવે આ કારમાં વાઘેલા ગુજરાતમાં ભાજપનું સંગઠન મજબૂત કરવા ફરતા રહ્યા, તે દિવસો પણ જૂના લોકો યાદ કરે છે. તેમણે ઘણા નેતાઓને અને પત્રકારોને પોતાની આ કારમાં ફેરવ્યા છે.
નરેન્દ્ર મોદી સંઘના પૂર્ણકાલીન પ્રચારક હતા એટલે સંઘની શૈલી પ્રમાણે ઓછું બોલતા. તેથી લોકોને તેઓ કદાચ અહંકારી લાગતા હતા, જેની સામે બાપુ બહુ મળતાવડા અને પ્રેમાળ લાગતા હતા.
પક્ષના નાના-મોટા નેતાઓ અને કાર્યકરોમાં તથા પત્રકારોમાં પણ બાપુ વધારે લોકપ્રિય હતા. ગામેગામ કાર્યકરો સાથે સીધો નાતો ધરાવતા વાઘેલા બહુ ઝડપથી રાજ્યના બહુ લોકપ્રિય આગેવાન બની ગયા હતા.
આગળ જતા તેમાંથી જ ઘણાને ટિકિટ મળેલી અને તેઓ ધારાસભ્ય કે સાંસદ બનેલા અને તે રીતે બાપુનો વિશાળ ટેકેદાર વર્ગ બન્યો હતો.
સમગ્ર રાજ્યમાં શંકરસિંહ વાઘેલાનું નામ ગાજતું થઈ ગયેલું અને તેઓ કોઈ પણ બેઠક પરથી ચૂંટણી જીતી શકે એવું તેમનું રાજકીય કદ થઈ ગયું હતું.

કેશુભાઈને આગળ કરતા ઘવાયા

ઇમેજ સ્રોત, Getty Images
1995માં ગુજરાતની 182માંથી 121 બેઠકો જીતીને ભાજપે એકલે હાથે સત્તા મેળવી ત્યારે મુખ્ય મંત્રી તરીકે વાઘેલા પ્રબળ દાવેદાર હતા.
જોકે તેમની જગ્યાએ કેશુભાઈ પટેલને પસંદ કરવામાં આવ્યા હતા. કેશુભાઈ મોભી છે અને તેમણે ગુજરાતમાં જનસંઘનો પાયો નાખ્યો છે, તે વાત યાદ કરાવીને પક્ષના મોવડીઓએ મનામણાં કર્યાં હતાં. તે વખતે મહામંત્રી તરીકે નરેન્દ્ર મોદી હતા અને તેમણે પણ કેશુભાઈ પટેલનું જ નામ આગળ ધર્યું હતું.
જાણકારો કહે છે કે આ મુદ્દો જ ઘર્ષણનું કારણ બન્યું અને સત્તા મળી તેના થોડા વખત પછી જ વાઘેલા તથા તેમના સમર્થક મનાતા ધારાસભ્યો મુખ્ય મંત્રી કેશુભાઈ પટેલને ન મળી શકે તે પ્રકારના અવરોધો મોદીએ ઊભા કરવાનું શરૂ કર્યું હતું.
એવું કહેવાતું હતું કે નરેન્દ્ર મોદી સુપર સીએમ બની ગયા અને કેશુભાઈની સરકારના મહત્ત્વના નિર્ણયો તેમની ટેકેદારમંડળી જ લેવા લાગી હતી. તેમની મંડળીમાં અમિત શાહ સહિતના નેતાઓ હતા અને આ મંડળી સામે આક્ષેપ હતો કે વાઘેલા અને તેમના ટેકેદાર ધારાસભ્યોનું પત્તુ ધીમે-ધીમે કાપવાનું શરૂ કરી દીધું હતું.
સપ્ટેમ્બર 1995માં ગુજરાતમાં મૂડીરોકાણ લાવવાના હેતુ સાથે કેશુભાઈ પટેલ અમેરિકાના પ્રવાસે ગયા, તે વખતે તેમને વાઘેલાએ ચેતવણી આપી હતી કે તમે વિદેશ જશો ત્યારે જ તમારી સરકારનું પતન થઈ જશે.

ખજૂરિયા હજૂરિયા

ઇમેજ સ્રોત, KALPIT S BHACHECH
27 સપ્ટેમ્બર 1995ના રોજ શંકરસિંહ વાઘેલાએ જ બળવો કર્યો અને પોતાના ગામ વાસણમાં પોતાના ફાર્મહાઉસમાં 55 ધારાસભ્યોને એકઠા કર્યા.
કેટલાક ધારાસભ્યો ત્યાંથી પરત ફર્યા હતા, પરંતુ 48 ધારાસભ્યોનો ટેકો વાઘેલાને હતો. આ ઘારાસભ્યોને સલામત રીતે ગુજરાતની બહાર લઈ જવા માટે ઑપરેશન હાથ ધરાયું અને ચૂપચાપ તેમને ઍરપૉર્ટ પહોંચાડી ખાનગી વિમાનમાં મધ્ય પ્રદેશના ખજૂરાહો લઈ જવાયા.
મધ્ય પ્રદેશમાં ત્યારે કૉંગ્રેસના મુખ્ય મંત્રી દિગ્વિજયસિંહ હતા તેમની સહાય પણ મળી હતી.
આ બળવામાં બાપુ સાથે ખજૂરાહો ગયેલા ધારાસભ્યોને ખજૂરિયા કહેવાયા, જ્યારે કેશુભાઈની સાથે રહેનારા ધારાસભ્યોનું નામ પડ્યું હજૂરિયા. આ બેમાંથી એક પણ છાવણીમાં નહોતા તેવા તટસ્થ ધારાસભ્યો માટે કહેવાયું કે તેઓ મજૂરિયા છે.
આખરે અટલ બિહારી વાજપેયી દોડી આવ્યા અને બંને જૂથો વચ્ચે સમાધાન કરાવાયું. આ સમાધાનના ભાગરૂપે ઉદ્યોગમંત્રી સુરેશ મહેતાને મુખ્ય મંત્રી બનાવાયા, જ્યારે નરેન્દ્ર મોદીને ગુજરાત સંગઠનમાંથી હઠાવીને નવી દિલ્હીમાં મહામંત્રી તરીકે મોકલી દેવામાં આવ્યા.
જોકે સુરેશ મહેતાની સરકાર પણ એકાદ વર્ષ માંડ ચાલી અને ફરી બાપુએ બળવો કર્યો. આ વખતે મામલો બહુ બીચક્યો હતો અને વિધાનસભામાં પણ ધમાલ થઈ હતી.
વાઘેલાના સમર્થક ધારાસભ્યોએ સ્પીકર તરફ માઇક ફેંક્યા હતા અને પત્રકારોને પણ ધક્કે ચડાવ્યા હતા. આ ધમાલના કારણે સુરેશ મહેતાએ રાજીનામું આપ્યું અને થોડો વખત માટે રાષ્ટ્રપતિ શાસન લદાયું.
ત્યારબાદ 48 ધારાસભ્યો સાથે શંકરસિંહ વાઘેલાએ રાષ્ટ્રીય જનતા પક્ષની રચના કરી હતી. તેને કૉંગ્રેસનો બહારથી ટેકો મળ્યો તે સાથે નવી સરકારની રચના થઈ હતી.
આ રીતે આખરે બળવો કરીને શંકરસિંહ વાઘેલા મુખ્ય મંત્રી બની ગયા, પણ તેઓ ઑક્ટોબર 1997 સુધી જ સત્તા પર રહી શક્યા. તેમની કાર્યપદ્ધતિ કૉંગ્રેસને માફક આવે તેમ નહોતી અને ઘર્ષણ થયા કરતું હતું.
તેથી કૉંગ્રેસ તેમને ટેકો આપવા તૈયાર નહોતી. આખરે સમાધાનના ભાગરૂપે દિલીપ પરીખને મુખ્ય મંત્રીની ખુરશીએ બેસાડવાનું નક્કી થયું હતું. જોકે પરીખ માત્ર પાંચ જ મહિના માટે ગાદી પર બેસી શક્યા, કેમ કે તે પછી ફરી એક વાર કૉંગ્રેસે ટેકો પાછો ખેંચી લીધો.

લાલ લાઇટો ઉતરાવી દીધી

ઇમેજ સ્રોત, Getty Images
મુખ્ય મંત્રી તરીકે પોતે અદના સેવક છે તેવી છાપ છોડવાની કોશિશ બાપુએ કરેલી.
તેઓ કહે છે, "મેં પહેલું કામ ગાડીઓ માથેથી લાલ લાઇટો કઢાવી નાખવાનું કરેલું, બધા મંત્રીઓની અને આઈએએસ અધિકારીઓની પણ. માત્ર જજ અને પોલીસનાં વાહનો પર તે રહે. તે સિવાય કોઈને લાલ લાઇટો વાપરવાની છૂટ આપી નહોતી."
વાઘેલા બીબીસી ગુજરાતીને જણાવે છે, "હું પોતે પણ મોટો કાફલો સાથે રાખીને ફરતો નહોતો. મારા માટે મેં કોઈ વિશેષ સિક્યૉરિટી પણ રાખી નહોતી. મેં મુખ્ય મંત્રી તરીકેનો પગાર પણ લીધો નહોતો."
બાપુ કહે છે કે "મુખ્ય મંત્રી પોતાના સાથી મંત્રીઓને પણ ઍપૉઇન્ટમૅન્ટ વિના નહોતા મળતા, એ મેં જોયું હતું ,પણ હું ઍપૉઇન્ટમૅન્ટ વિના જ મંત્રીઓને મળતો હતો. તેઓ પણ મારી જેમ ધારાસભ્યો જ હતા ને."
આ ઉપરાંત તેમણે દર અઠવાડિયે જુદાં જુદાં જિલ્લામથકોમાં કૅબિનેટ બેઠક બોલાવવાની પ્રથા શરૂ કરી હતી. તે પહેલાં કૅબિનેટની બેઠક માત્ર ગાંધીનગરમાં મળતી હતી.
વાઘેલા કહે છે, "મેં બીજી એક પહેલ કરેલી કે જુદા જુદા ક્ષેત્રોમાં સંતુલિત વિકાસ થઈ શકે તે માટેના વિકલ્પો શોધી કાઢવા 15 જેટલી ઍક્સપર્ટ્સ કમિટીઓની રચના કરેલી."
"હું જ બધું જાણું એવો અભિગમ મેં ક્યારેય રાખ્યો નથી. જુદા જુદા ક્ષેત્રના નિષ્ણાતો જ વધારે જાણતા હોય તેમ હું માનું છું."
આવી એક ઍૅક્સપર્ટ કમિટીએ કરેલી ભલામણના આધારે જ તેમણે અમદાવાદ અને સુરતમાં ઇલેક્ટ્રિસિટીનું કામકાજ ખાનગી કંપનીઓને સોંપી દીધું હતું. તેઓ કહે છે, "તેના કારણે જ આજે તમને અમદાવાદ અને સુરતમાં એકધારી વીજળી મળે છે."
જોકે કૉંગ્રેસે ટેકો પાછો ખેંચી લીધો તે પછી હવે રાજપની સરકાર આગળ ચાલી શકે તેમ નહોતી. માર્ચ 1998માં નવેસરથી ચૂંટણીઓ આવી પડી.
વાઘેલા રાજપ સાથે ત્રીજા પક્ષ તરીકે ચૂંટણી લડ્યા પણ તેમના પક્ષને માત્ર ચાર બેઠકો મળી. કૉંગ્રેસને 53 બેઠકો મળી હતી, જ્યારે ભાજપ 117 બેઠકો સાથે ફરી સત્તામાં આવ્યો અને કેશુભાઈ પટેલ બીજી વાર મુખ્ય મંત્રી બન્યા.
આગળ જતા રાજપનું વિલીનીકરણ કૉંગ્રેસમાં કરી દેવાયું અને બાપુ પણ કૉંગ્રેસમાં જોડાઈ ગયા. તેમને ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના પ્રમુખ પણ બનાવાયા અને 2002માં નરેન્દ્ર મોદી સામે લડવાનો પડકાર તેમણે ઉપાડ્યો.
જોકે પ્રદેશ પ્રમુખ તરીકે બહુ મોડે તેઓ મુકાયા હતા એટલે તેમની પાસે તૈયારીનો પૂરતો સમય નહોતો. ચૂંટણીના થોડા મહિના પહેલાં જ તેઓ પ્રદેશ પ્રમુખ બન્યા હતા અને ગોધરાના બનાવો પછી નરેન્દ્ર મોદી હિન્દુ હૃદયસમ્રાટ તરીકે પોતાની છબિ સ્થાપિત કરી ચૂક્યા હતા. તે ચૂંટણીમાં ભાજપને ત્યાં સુધીની સૌથી વધુ 127 બેઠકો મળી હતી, જ્યારે કૉંગ્રેસને માત્ર 51 બેઠકો જ મળી હતી.
વાઘેલા ભાજપમાં હતા, ત્યારે પણ લોકસભામાં જીતી ચૂક્યા હતા. ત્યારબાદ કૉંગ્રેસ તરફથી પણ 2004થી 2009માં સાંસદ બન્યા. મનમોહનસિંહની સરકારમાં તેઓ ટેક્સટાઇલ મંત્રાલયમાં કૅબિનેટમંત્રી પણ બન્યા હતા. વાઘેલા 1984થી 1989 દરમિયાન રાજ્યસભાના સભ્ય તરીકે પણ રહ્યા હતા.

કૉંગ્રેસમાં અકળાવાનું કારણ

ઇમેજ સ્રોત, Getty Images
જોકે કૉંગ્રેસમાં પણ હવે બાપુ અકળાવા લાગ્યા અને 77મા જન્મદિને 21 જુલાઈ, 2017ના રોજ તેમણે કૉંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું
સ્વતંત્ર મિજાજથી કામ કરવા ટેવાયેલા વાઘેલા માટે કૉંગ્રેસની જૂથબંધીમાં કામ કરવું મુશ્કેલ હતું. પોતે જ ભાજપને સારી રીતે જાણે છે અને પોતાની રીતે પક્ષ ચલાવવા દે તો તેને હરાવી દે તેમ તેઓ હંમેશાં કહેતા હતા, પણ તેમનું ધાર્યું થતું નહોતું.
તેમણે ક્યારેય ચોખ્ખું નામ નહોતું લીધું, પણ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહમદ પટેલના કારણે ધાર્યું કામ ન થતું હોવાનો બળાપો તેઓ કાઢતા રહ્યા હતા. ગુજરાતમાં દરેક બાબતમાં અહમદભાઈનું ધાર્યું થતું હતું.
આખરે બાપુ અને તેમની સાથે તેમના 7 ટેકેદાર ધારાસભ્યોએ કૉંગ્રેસમાં બળવો કર્યો અને 2017ની રાજ્યસભાની ચૂંટણી વખતે અહમદ પટેલની વિરુદ્ધમાં વૉટિંગ કર્યું. જોકે તે વખતે કૉંગ્રેસે જબરી ફાઇટ આપી હતી અને બાકીના ધારાસભ્યોને એક રાખીને તથા છોટુભાઈ વસાવાનો મત મેળવીને અહમદ પટેલ રાજ્યસભાની ચૂંટણી જીતી ગયા હતા.
આ પછી તેમણે જનવિકલ્પ મોરચા નામે અલગ પક્ષ સ્થાપ્યો અને 2017ની ચૂંટણીઓ પણ લડી. જોકે જનવિકલ્પનું રજિસ્ટ્રેશન નહોતું થયું એટલે તેને અલગ ચૂંટણીચિહ્ન મળ્યું નહોતું. રાજસ્થાનના એક પ્રાદેશિક પક્ષના ચૂંટણી નિશાન પર ઉમેદવારોને ઊભા રાખવામાં આવ્યા, તેમના મોરચાને એક પણ બેઠક મળી નહોતી.
2019માં તેમણે શરદ પવારના પક્ષ નેશનાલિસ્ટ કૉંગ્રેસ પાર્ટી (NCP)માં જોડાવાનું નક્કી કર્યું અને તેમને ગુજરાત પ્રદેશપ્રમુખ બનાવવામાં આવ્યા. જોકે એનસીપીમાં પણ તેમને ફાવ્યું નહોતું અને એવું કહેવાય છે કે એનસીપીએ જ તેમને પક્ષ છોડી દેવા કહી દીધું હતું. સત્તાવાર રીતે તેમણે રાજીનામું મૂક્યું હતું.
કદીય હાર ન સ્વીકારનારા શંકરસિંહ વાઘેલાએ ફરી કૉંગ્રેસ સાથે અનુસંધાન માટે પ્રયત્નો આદર્યા હતા. કૉંગ્રેસના કેટલાક નેતાઓએ પણ કહેલું કે વાઘેલાને પક્ષમાં ફરી લેવા જોઈએ, પરંતુ મોવડીમંડળ તરફથી કોઈ નિર્ણય લેવાયો નથી.
2022ની ચૂંટણી પહેલાં હવે તેઓ ફરી એક વાર પોતાની અલગ પાર્ટી કરીને ઉમેદવારો ઊભા રાખશે તેવી વાતો વહેતી થઈ છે, ત્યારે સત્તાવાર રીતે ક્યારે જાહેરાત કરે છે તેની જ રાહ જોવાઈ રહી છે. તેમનો સ્વભાવ જોતા તેઓ ચૂંટણી દરમિયાન ચૂપ બેસી રહે એવું કોઈ માનતું નથી.
(લેખક ડેવલપમૅન્ટ ન્યૂઝ નેટવર્ક (DNN) ગુજરાતના તંત્રી છે)
(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત છે, બીબીસીના નહીં.)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













