ગુજરાતમાં એક જ દિવસમાં 12 હજાર કરતાં વધુ કેસ, કોરોનાથી પરિસ્થિતિ વણસી જવાનું જોખમ કેમ?

ગુજરાતમાં કોરોના કેસમાં ભારે ઉછાળો નોંધાતાં સોમવારે 12,735 કેસ નોંધાયા છે. આ દરમિયાન પાંચ દર્દીઓનાં મૃત્યુ પણ થયાં છે. ગુજરાત સરકારની આરોગ્ય અને પરિવારકલ્યાણ વિભાગની અખબારી યાદીમાં આ જાણકારી આપવામાં આવી છે.

નવા નોંધાયેલા કેસમાં સૌથી વધુ અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદ કૉર્પોરેશનમાં કોરોનાના નવા 4340 કેસ નોંધાયા છે. એ બાદ સુરત કૉર્પોરેશનમાં 2955, વડોદરા કૉર્પોરેશનમાં 1207 અને રાજકોટ કૉર્પોરેશનમાં 461 કેસ નોંધાયા છે.

અખબારી યાદી અનુસાર રાજ્યમાં કોરોનાથી સાજા થવાના દરમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. સોમવારે પાંચ વાગ્યા સુધીમાં રાજ્યમાં સાજા થવાનો દર 91.42 ટકા નોંધાયો હતો. જોકે, આ દરમિયાન 5984 દર્દીઓ સાજા પણ થઈ ગયા હતા.

અખબારી યાદી અનુસાર હાલમાં રાજ્યમાં કોરોનાના સંક્રમણના કુલ 70,374 સક્રિય કેસ છે. જેમાંથી 95 દર્દીઓ વૅન્ટિલેટર પર સારવાર લઈ રહ્યા છે.

આ દરમિયાન અમદાવાદમાં ઉત્તરાયણ બાદ કોરોના ટેસ્ટિંગ માટેની લાંબી-લાંબી કતારો જોવા મળી છે.

તબીબોને ચિંતા છે કે જે રીતે ગુજરાતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે એ જોતાં ડેલ્ટા વૅરિયન્ટનું સંક્રમણ ઝડપથી વધી શકે છે અને પરિસ્થિતિ ગંભીર બની શકે છે.

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને રવિવારે વધુ ચાર માઇક્રો કન્ટેનમૅન્ટ ઝોન જાહેર કર્યા છે. શહેરમાં કુલ કન્ટેનમૅન્ટ ઝોનની સંખ્યા વધીને 167 થઈ ગઈ છે.

WHOએ શી આશંકા વ્યક્ત કરી?

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના હેલ્થ ઇમરજન્સી સ્પેશિયાલિસ્ટ ડૉ. માઇક રાયને વિશ્વમાં કોરોનાની સ્થિતિ પર કાબૂ મેળવવા માટે રસીકરણ પર ભાર મૂક્યો છે.

પત્રકારો સાથેની વાતચીતમાં ડૉ. રાયને જણાવ્યું કે વાઇરસ ક્યાંય નથી જવાનો.

તેમણે કહ્યું, "આપણે વાઇરસની પોતાની જાતને વિકસિત કરવાની ક્ષમતાને જોઈ ચૂક્યા છીએ અને એ એવું કરતો રહેશે અને એ માટે રસીકરણ જરૂરી છે."

"જોકે, હજુ પણ વિશ્વનાં કેટલાંય રાષ્ટ્રોમાં રસીકરણના 40 ટકાના લક્ષ્યાંકને આપણે હાંસલ કરી શક્યા નથી. એને હાંસલ કરવો અત્યારની પ્રાથમિક્તા છે."

"જો રસીને દરેક સુધી, જેને જરૂર છે એવી દરેક વ્યક્તિ સુધી નહીં પહોંચાડી શકીએ મને ડર છે કે વર્ષ 2022ના અંતે પણ આપણે કદાજ અત્યારે જે વાત કરી રહ્યા છીએ એ જ કરતા હોઈશું."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો