You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
લૉકડાઉન : ગુજરાતમાં પરપ્રાંતીય મજૂરો અને અધિકારીઓને કેવી મુશ્કેલી પડી રહી છે?
- લેેખક, રોક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
એક તરફ લૉકડાઉનને બે અઠવાડીયા માટે વધારી દેવામાં આવ્યું છે, ત્યાં બીજી બાજુ ગુજરાતમાં અટવાયેલા પરપ્રાંતીય મજૂરોની જાણે ધીરજ ખુટી ગઈ હોય તેમ તેઓ સરાકારી અધિકારીઓના ફોનનંબર ઉપર સતત ફોન કરીને પોતે કેવી સ્થિતિમાં જીવી રહ્યા છે, એની જાણકારી આપી રહ્યા છે.
મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ આ માટે 16 નૉડલ ઑફિસરોની નિમણૂક કરી છે અને આ અંગે તેમના માર્ગદર્શન હેઠળ વ્યવસ્થાતંત્ર પણ ગોઠવવામાં આવ્યું છે. આ નૉડલ ઑફિસરોમાં 8 આઈએએસ અને 8 પીએસઆઈનો સમાવેશ થાય છે.
આ અધિકારીઓના ફોન પર ગુરુવારથી સતત ફોન આવી રહ્યા છે.
ગુજરાતમાં હાલમાં અમદાવાદ, સુરત, કચ્છ અને રાજકોટ જેવા વિસ્તારોમાં ખુબ મોટા પ્રમાણમાં પરપ્રાંતીય મજૂરો ફસાયેલા છે. આ મજૂરોને તેમને વતન પાછા પહોંચાડવા માટે ગુજરાત સરકાર અને બીજા રાજ્યોની રાજ્ય સરકાર સાથે તાલમેલ સાધીને સંબંધિત અધિકારો કામ કરી રહ્યા છે.
જોકે, શુક્રવાર સાંજ સુધી આ તમામ અધિકારીઓ અને તેમના સહયોગીઓ સતત ફોન રિસીવ કરવામાં વ્યસ્ત હતા. ગુજરાતથી મહારાષ્ટ્ર અને મહારાષ્ટ્રથી ગુજરાત પરત આવાનાર લોકોનું સંકલન કરવા માટે આઈએએસ અધિકારી રાકેશ શંકર અને આઈપીએસ અધિકારી હસમુખ પટેલને જવાબદારી સોંપાઈ છે.
હસમુખ પટેલે તો ટ્વીટ કરીને કહ્યું છે કે તેમને દરેક સેકંડે એક ફોન આવી રહ્યો છે અને તેને પગલે તેઓ પોતાના સ્ટાફ સાથે વાત પણ કરી શકે એમ નથી.
પટેલે મોટા પ્રમાણમાં ટ્વીટ કરીને લોકોને હિંદી અને ગુજરાતીમાં શક્ય હોય તેટલી માહિતી આપવા પ્રયાસ કર્યો હતો.
અધિકારીઓને જાણ જ નહોતી?
હસમુખ પટેલે ગુરુવારે બપોરે 12-05 વાગ્યે એક ટ્વીટ કરીને જણાવ્યું હતું :
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"લોકોના ફોનથી મને ખબર પડી કે ગુજરાત અને મહારાષ્ટ્રમાં ફસાયેલા લોકો ને પરત લાવવા-મોકલવા મને નૉડલ ઑફિસર નીમેલ છે. આ કેવી રીતે કરવું તે હું જાણતો નથી. મારી વિનંતીથી રાજ્ય સરકારે બાર વાગ્યે બેઠક રાખી છે. તેમાં જાણી તમને મદદ કરી શકીશ. હું જાણી લઉં પછી મારાથી થતી બધી મદદ કરીશ. "
જોકે બાદમાં તેમણે નવો હેલ્પલાઈન નંબર જાહેર કર્યો અને ટ્વિટર મારફતે લોકોને માહિતી આપી હતી.
આ અંગે બીબીસીએ જ્યારે અધિકારીઓનો ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો તો તમામ અધિકારીઓનો ફોન સતત ઍન્ગેજ આવી રહ્યો હતો.
આઈએએસ અધિકારી રુપવંત સિંહે તો પોતાના ફોન પર રેકર્ડિંગ રાખ્યું છે અને ફોન કરનારને ડિજીટલ ગુજરાતની વેબસાઇટ પર જઇને રજીસ્ટ્રેશન કરવાનું સુચન કર્યું છે.
સિંહને ઉત્તર ભારતનાં રાજ્યોની જવાબદારી સોંપવામાં આવી છે. આઈપીએસ અધિકારી નીરજા ગોત્રુને ફોન કર્યાં બાદ તેમના ફોન પરથી ડિજીટલ ગુજરાતની વેબાસાઇટની લિંક જવાબમાં આવી જાય છે.
ઘણા મજૂરો માને છે કે જે રીતે લૉકડાઉનમાં તેઓ ફસાયા હતા, તેવી જ રીતે હવે પોતાને અહીંથી બહાર નીકળવા માટે પણ તેમણે ખુબ સંઘર્ષ કરવો પડી રહ્યો છે.
ડિજીટલ ગુજરાતની અંગ્રેજી વેબસાઇટ ઉપર ઘણા મજૂરો પોતાની નોંધણી પણ કરાવી શકતા ન હોવાની વાત પણ જાણવા મળી રહી છે. અમદાવાદના 'કોતરપુર વૉટર વર્કસ'માં અટવાયેલા બંગાળના લગભગ ત્રણસો જેટલા મજૂરોમાંથી કોઈને અંગ્રેજી વેબસાઇટ પર ફોર્મ ભરવાનું આવડતું નથી, માટે તેઓ હજી સુધી પોતાને રજિસ્ટર નથી કરી શક્યા.
આ મજૂરોમાંથી એક મજૂર આફતાબ આલમ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહે છે કે તેમને ખબર જ નથી કે સરકારનો કેવી રીતે સંપર્ક કરવો.
તેમની સાથે રહેલા અઝરુદ્દીનનું કહેવું છે કે કૉન્ટ્રેક્ટર તેમને કંઈ જવાબ નથી આપતા અને તેમને મોબાઈલ પર ફોર્મ ભરતા પણ આવડતું નથી. અન્ય એક મજૂર અરબર અલીના જણાવ્યા અનુસાર બંગાળના લગભગ ૩૦૦ જેટલા મજૂરો પ્રથમ લૉકડાઉનથી જ અહીં અટવાયેલા છે.
તેઓ કહે છે, "અમારી પાસે મજૂરી પણ નથી અને અમારી પાસે પાછા જવાની કોઈ માહિતી પણ નથી. અહીં ઘણા કારીગરો કામ કરે છે"
સરકાર શું કરી રહી છે?
તમામ રાજ્યોના નૉડલ ફીસર તરીકે આઈએસ અધિકારી ધનંજય દ્વિવેદીની નિમણૂક કરવામાં આવી છે.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતા દ્વિવેદીએ જણાવ્યું "જેમને ગુજરાત બહાર જવું હોય તેમણે ઑનલાઈન અરજી કરીને ફોર્મ ભરીને, વાહન વગેરેની વિગતો આપવાની રહેશે."
"આ વિગતો પ્રમાણે જે તે રાજ્ય સાથે સંકલન કરવામાં આવશે અને ત્યારબાદ તેમને પરવાનગી મળશે. દરેક વ્યક્તિ જે સ્વસ્થ હોય તેમને જો પાછા જવું હોય તો સરકાર તેમની હિલચાલ માટેની પરવાનગીઓની વ્યવસ્થા કરી રહી છે."
જોકે તેમણે એવું પણ કહ્યું કે આ સુરત, અમદાવાદ, કચ્છ, અને રાજકોટમાં આવા મજૂરો મોટા પ્રમાણમાં છે.
કેવી રીતે જઈ રહ્યા છે લોકો?
સુરતની અનેક ટેક્સ્ટાઇલની ફેક્ટરીમાં કામ કરતાં ઘણા મજૂરો દિવસોની રાહ જોયા બાદ પોતાના વતન પાછા જવા માટે શુક્રવારે રવાના થયા હતા.
સુરતના 'અંજની એસ્ટેટ'માં લગભગ એક હજાર જેટલાં નાનાં-મોટાં ટેક્સ્ટાઇલનાં કારખાનાં છે.
અંજની એસ્ટેટના એક વેપારી વિજયભાઈ માંગુકીયાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું, "આ કારખાનાંમાં ઓડિશા અને મધ્યપ્રદેશના પરપ્રાંતીય કારીગરો કામ કરે છે. લૉકડાઉન પછી તેમણે પોતના વતન જવાના ઘણા પ્રયાસો કર્યાં પરંતુ પરવાનગી વગર જઈ નહોતા શક્યા. હવે કેન્દ્ર સરકારના નિર્દેશો બાદ શુક્રવારના રોજ લગભગ 11 બસોમાં અનેક લોકો ઓડિશા અને મધ્યપ્રદેશ જવા માટે રવાના થયા હતા"
આ તમામ મજૂરો માટે બસોની અંદર જ અહીંના વેપારીઓ દ્વારા રૅશનની વ્યવસ્થા કરાઈ છે. જોકે પોતાના વતન પરત જવા માટેનું બસ ભાડું જે તે મજૂરે જાતે જ ચૂકવવાનું છે.
સરકારી અધિકારી તેમને માત્ર પરવાનગી અને સામેના રાજ્ય સાથેના તાલમેલ પુરતી જ મદદ કરે છે. મધ્યપ્રદેશ જનાર મજૂરે 1500થી 2500 વચ્ચેનું ભાડુ અને ઓડિશા મજુરે લગભગ 3300 રૂપિયા જેટલું ભાડું ચૂકવવાનું છે.
સુરતના ટેક્સ્ટાઇલ વેપારી વિજયભાઈના જણાવ્યા અનુસાર સુરતમાં ટેક્સ્ટાઇલ ક્ષેત્રે લગભગ સાતથી દસ લાખ જેટલા લોકો કામ કરે છે.
આ તમામ મજૂરોએ પહેલાં ઑનલાઈન ફોર્મ ભરીને તેમાં પ્રવાસીની સંખ્યા અને વાહનની વિગત ભરી હતી, તે પ્રમાણે તેમને પાસ મળ્યા હતા.
પોતાની ઓળખાણ આવી દીધા બાદ અને એક સ્ક્રીનિંગની પ્રક્રિયા પુરી કર્યા બાદ તેમને બસમાં પ્રવેશ કરવાની પરવાનગી આપવામાં આપી હતી. સુરત શહેરની સરહદ પર તેમની બસને રોકીને તેને અંદર અને બહારથી સૅનિટાઈઝ કરવામાં આવી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો