NRC : આસામમાં અંતિમ યાદીની જાહેરાત અગાઉ તણાવ, કડક સુરક્ષા વ્યવસ્થા - ગ્રાઉન્ડ રિપોર્ટ

ઇમેજ સ્રોત, PTI
- લેેખક, પ્રિયંકા દુબે
- પદ, બીબીસી સંવાદદાતા, ગુવાહાટીથી
નેશનલ સિટિઝન રજિસ્ટર એટલે કે NRCની અંતિમ યાદી આજે જાહેર થવાની છે ત્યારે આસામમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.
સાથે જ હિંસાની આશંકા અને સાંપ્રદાયિક તણાવની આશંકાઓને પગલે પોલીસ, વહીવટીતંત્ર અને ગૃહમંત્રાલયે અલગ અલગ સ્તરે લોકોને શાંતિ જાળવી રાખવાની અને અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ કરી છે.
સામાન્ય જનતાનો વિશ્વાસ સંપાદિત કરવાના પ્રયાસ અંતર્ગત આસામ પોલીસે ટ્વિટર પર એક નિવેદન જાહેર કરતા કહ્યું કે સરકારે એ દરેક લોકોની સુરક્ષા માટે વ્યવસ્થા કરી છે જેમનું નામ NRC યાદીમાં સામેલ નથી.
પાંચ બાબતોની એક વિશેષ એડવાઇઝરી જાહેર કરી આસામ પોલીસે લોકો સમક્ષ અફવાઓ, ગમે તેની વાતો અને ફૅક ન્યૂઝ પર ભરોસો ન કરવા અપીલ કરી છે.
વાહનવ્યવહાર, વહીવટીતંત્ર અને કાયદા વ્યવસ્થાના પાલનને સુનિશ્ચિત કરવા માટે ગુવાહાટી સહિત રાજ્યના અન્ય સંવેદનશીલ ક્ષેત્રોમાં CRPCની કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.
આ કલમ પાંચ કરતા વધારે લોકોના ભેગા થવા, વિરોધ પ્રદર્શન કરવા, હથિયાર અને વિસ્ફોટક સામગ્રી લઈને ચાલવા તેમજ સાંપ્રદાયિક હિંસા ભડકાવવાને પ્રતિબંધિત કરે છે.

31 ઑગસ્ટના રોજ જ નિવૃત્ત થઈ રહેલા આસામના ડિરેક્ટર જનરલ કુલાધર સૈકિયાએ મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે એનઆરસીની અંતિમ યાદીના પ્રકાશન પહેલા સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે.
"રાજ્યમાં પોલીસ સુપરિન્ટેન્ડન્ટથી માંડીને અન્ય બધા જ સુરક્ષા કર્મચારીઓને આ અંગે ખાસ રીતે બ્રીફ કરવામાં આવ્યા છે જેથી તેઓ સારી રીતે કાયદા વ્યવસ્થાનું પાલન કરાવી શકે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"મને આશા છે કે આસામના લોકો આ કાયદા પ્રક્રિયાનું સમર્થન કરશે અને અમે શાંતિપૂર્ણ રીતે NRCનું પ્રકાશન પૂર્ણ કરાવી શકીશું."
સાથે જ ગૃહમંત્રાલયના પ્રવક્તાએ પણ ટ્વીટ કરતા સામાન્ય જનતાને ફેક ન્યૂઝ અને અફવાઓ પર ભરોસો ન કરવાની અપીલ કરી છે.
પોતાના નિવેદનમાં ગૃહમંત્રાલયે કહ્યું, "માત્ર એનઆરસીમાં નામ ન આવવાથી કોઈ નાગરિક વિદેશી નહીં બની જાય."
"જેમનું નામ એનઆરસીમાં આવતું નથી તેઓ રાજ્યમાં બનાવવામાં આવી રહેલી ફૉરેન ટ્રિબ્યૂનલમાં અપીલ કરી શકે છે."

ગરીબને અપાશે મદદ

ઇમેજ સ્રોત, DILIP SHARMA/BBC
સામાન્ય જનતામાં ડર, ભ્રમ અને આતંકની સ્થિતિને રોકવા માટે આસામ સરકારના અતિરિક્ત પ્રમુખ સચિવ કુમાર સંજય કૃષ્ણાએ એક પબ્લિક નોટિસ જાહેર કરી હતી.
તેમાં તેમણે કહ્યું છે કે રાજ્ય સરકાર જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ (ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઑથોરિટી)ના માધ્યમથી જેમનું નામ અંતિમ એનઆરસી યાદીમાં સામેલ નહીં હોય એ દરેકની મદદ કરશે.
એનઆરસીમાં નામ સામેલ ન થવાની સ્થિતિમાં લોકોને ફૉરેન ટ્રિબ્યૂનલમાં નાગરિકતા માટે અરજી નોંધવવા અને સુનાવણીમાં ભાગ લેવા માટે જરૂરી કાયદાકીય મદદ આપવામાં આવશે.
મદદની આ પ્રક્રિયામાં ગરીબ વર્ગના લોકોને પ્રાથમિકતા આપવામાં આવશે.

ધરપકડ કરવામાં નહીં આવે

આસામમાં ફેલાયેલી ફૉરેન ટ્રિબ્યૂનલે એક યાદી જાહેર કરતા આસામના અતિરિક્ત પ્રમુખ સચિવ કુમાર સંજય કૃષ્ણાએ કહ્યું છે કે જે લોકોનાં નામ એનઆરસીમાં સામેલ નહીં થાય, તેઓ ફૉરેન ટ્રિબ્યૂનલમાં અપીલ કરી શકે છે.
આ સિવાય સરકારે રાજ્યમાં 200 નવી ફૉરેન ટ્રિબ્યૂનલ બનાવવાનું આશ્વાસન પણ આપ્યું છે.
કુમાર સંજયને આગળ એ પણ કહેવામાં આવ્યું કે લોકોની સગવડ માટે ફૉરેન ટ્રિબ્યૂનલમાં અપીલ કરવાની સમયસીમા 60થી વધારીને 120 દિવસ કરી દેવામાં આવી છે.
તેમણે સ્પષ્ટ કહ્યું છે કે જે લોકોનાં નામ એનઆરસી યાદીમાં નથી આવ્યા તેમની ધરપકડ કરી શકાતી નથી.
આવું ત્યાં સુધી કરી શકાતું નથી જ્યાં સુધી અપીલ અને સુનાવણી બાદ ફૉરેન ટ્રિબ્યૂનલ 'વિદેશી નાગરિક' ઘોષિત ન કરી દે.

ઇમેજ સ્રોત, PTI
એનઆરસી આસામમાં રહેતા ભારતીય નાગરિકોની એક યાદી છે.
તેને રાજ્યમાં ગેરકાયદેસર રીતે ઘૂસી આવેલા કથિત બાંગ્લાદેશીઓ વિરુદ્ધ આસામમાં છ વર્ષ સુધી ચાલેલા લાંબા જનઆંદોલનના પરિણામ તરીકે પણ જોઈ શકાય છે.
એનઆરસી અંતર્ગત 3 કરોડ 29 લાખ લોકોએ પોતાને આસામના નાગરિક ગણાવતા અરજી નોંધાવી.
પરંતુ 30 જુલાઈ 2018ના રોજ પ્રકાશિત થયેલા NRC ડ્રાફ્ટમાં 40 લાખ લોકોનાં નામ સામેલ ન હતા.
પછી આ જ વર્ષે 26 જૂનના રોજ પ્રકાશિત થયેલી એક નવી યાદીમાં આશરે એક લાખ નવા નામોને યાદીમાંથી બહાર કરવામાં આવ્યા.
આ જ રીતે 31 ઑગસ્ટના રોજ એનઆરસીની અંતિમ યાદીના પ્રકાશન બાદ કુલ 41 લાખ લોકોને પોતાની નાગરિકતાની કાયદાકીય સ્થિતિ અંગે જાણકારી મળશે.

આગળ શું થશે?

ઇમેજ સ્રોત, Getty Images
NRCમાં નામ ન આવવા અને ફૉરેન ટ્રિબ્યૂનલમાં સુનાવણી બાદ 'વિદેશી નાગરિક' ઘોષિત થયા બાદ શું થશે?
કાયદામાં ઘોષિત વિદેશી નાગરિકોની ધરપકડ કરી તેમને નિર્વાસિત કરવાની જોગવાઈ છે.
પરંતુ આ અંગે સરકાર તરફથી કોઈ ઔપચારિક નિવેદન જાહેર કરાયું નથી.
બંધારણના આર્ટિકલ 21નો હવાલો આપતા સ્થાનિક વકીલ અમન વાનુડ જણાવે છે કે આ આર્ટિકલ નાગરિક અને બિન-નાગરિક દરેકને ગરિમા સાથે જીવવાના અધિકારની સુરક્ષા કરે છે.
તેઓ કહે છે, "આર્ટિકલ 21 અંતર્ગત જેમનું નામ યાદીમાં સામેલ નહીં હોય, તેમને પણ ગરિમા સાથે જીવવાનો અધિકાર છે. આશા છે કે ભારત સરકાર દરેકના અધિકારની સુરક્ષા કરશે."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














